Categories
વાચન સમૃદ્ધિ

હાનેસ આલ્વેન

જ. 30 મે, 1908 અ. 2 એપ્રિલ, 1995

સ્વીડનના પ્રસિદ્ધ ખગોળ-ભૌતિક વિજ્ઞાની અને પ્લાઝમા વિજ્ઞાની હાનેસ આલ્વેનનો જન્મ સ્વીડનના નોરકૂપિંગમાં થયો હતો. તેમણે અપ્સલા વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું અને 1934માં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. 1940માં તેઓ સ્ટોકહોમના રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાં વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત અને વિદ્યુતમાન જેવા વિષયના પ્રોફેસર બન્યા. 1945માં તેમને ઇલેક્ટ્રૉનિક્સ વિભાગના અધ્યક્ષનું પદ પ્રાપ્ત થયું. 1963માં તેમને પ્લાઝમા ભૌતિકી-વિજ્ઞાનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1967થી કૅલિફૉર્નિયા યુનિવર્સિટી તેમજ ઑસ્લોની રૉયલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યુત-અભિયાંત્રિકી વિભાગમાં શિક્ષણકાર્ય કર્યું હતું. 1967માં તેમણે થોડો સમય સોવિયત સંઘમાં વિતાવ્યો. ત્યારબાદ અમેરિકામાં જઈ ત્યાં કાર્ય કર્યું. તેમણે પ્લાઝમા ભૌતિકીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. તેમણે અરોરા વિજ્ઞાન, વેન ઍલન વિકિરણ બેલ્ટ, મૅગ્નેટોહાઇડ્રોડાયનેમિક્સ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર ચુંબકીય તોફાનોનો પ્રભાવ, સ્થલીય ચુંબક મંડળ અને મિલ્કીવે વગેરેમાં પાયાનું કામ કર્યું હતું. ચુંબકીય ઝંઝાવાત અને ધ્રુવીય જ્યોતિ (aurora) અંગેના તેમના સંશોધને પૃથ્વીના ચુંબકમંડળ (megneto Sphere) અંગેના આધુનિક સિદ્ધાંત પર ઊંડો પ્રભાવ પાડ્યો. ન્યૂક્લિયર સંલયન(fusion) પ્રક્રિયાને અંકુશમાં રાખવા માટે આલ્વેનનું સંશોધન પથદર્શક (pioneering) હતું. અંતરીક્ષ ભૌતિકશાસ્ત્રનું પ્લાઝમા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની પ્રક્રિયા અંગેનું ‘ફ્રોઝન-ઇન-ફલક્સ’ પ્રમેય તેમનું અગત્યનું પ્રદાન છે. આનો ઉપયોગ તેમણે કૉસ્મિક કિરણોની ઉત્પત્તિ સમજાવવા માટે કર્યો હતો. 1942માં તેમણે કરેલી વિદ્યુતચુંબકીય તરંગોની શોધને ‘આલ્વેન તરંગો’ કહેવામાં આવે છે. તેમને તેમના જીવનકાળ દરમિયાન અનેક સુવર્ણપદકો તથા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાનક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ 1970માં તેમને ફ્રાન્સના લુઇ નીલ સાથે સંયુક્ત રૂપે નોબેલ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

હીરાબાઈ બરોડેકર

જ. 29 મે, 1905 અ. 20 નવેમ્બર, 1989

શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાનાં ગાયિકા હીરાબાઈ બરોડેકરનો જન્મ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મિરજમાં થયો હતો. તેમનું બાળપણનું નામ ચંપાકલી હતું. પિતા ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન અને માતા તારાબાઈ. તેમણે પુણેની હજુરપાગા સ્કૂલ અને પછી સેન્ટ મેરી કૉલેજમાં શિક્ષણ મેળવ્યું. તેમણે સંગીતની પ્રારંભિક તાલીમ તેમના ભાઈ સુરેશબાબુ માને પાસેથી અને પછી ઉસ્તાદ અબ્દુલ વહીદખાન પાસેથી મેળવી. તેમણે 1921માં પુણેના ગાંધર્વ મહાવિદ્યાલયના સંગીતસમારોહમાં પ્રથમ કાર્યક્રમ આપ્યો. તેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેઓ છોટા ખ્યાલ, બડા ખ્યાલ, ઠૂમરી, મરાઠી નાટ્યસંગીત, અભંગ અને ભજન માટે જાણીતાં હતાં. તેમણે ‘નૂતન સંગીત વિદ્યાલય નાટ્યશાળા’ની સ્થાપના કરી હતી. HMVએ તેમની મરાઠી ભજનોની અને હિન્દીની રેકર્ડસ બહાર પાડી હતી. તેમની 75 જેટલી રેકર્ડસ રિલીઝ થઈ હતી. ચાળીસ જેટલાં રેડિયોસ્ટેશન પરથી તેમનાં ગીતો પ્રસારિત થયાં છે. જલંધરમાં દર વર્ષે યોજાતા હરિવલ્લભ મેળામાં ગાનાર તેઓ પ્રથમ મહિલા હતાં. તેમણે સંગીત ઉપરાંત નાટકમાં પણ અભિનય કર્યો હતો. તેમણે ‘સૌભદ્ર’, ‘સાધ્વી મીરાંબાઈ’, ‘સંશય કલ્લોલ’, ‘યુગાંતર’, ‘વિદ્યાહરણ’, ‘સ્ત્રી-પુરુષ’ વગેરે નાટકોમાં તેમજ ‘સુવર્ણમંદિર’, ‘પ્રતિભા’, ‘સંત જનાબાઈ’ વગેરે ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેમણે ફિલ્મોમાં પાર્શ્વગાયિકા તરીકે પણ કામ કર્યું હતું. 15 ઑગસ્ટ, 1947ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પરથી વંદે માતરમ્ ગાવા માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે 1949માં દક્ષિણ આફ્રિકા અને 1953માં ચીનની મુલાકાત લીધી હતી. તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર, વિષ્ણુદાસ ભાવે પુરસ્કાર, બાલગંધર્વ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્ર સરકારે તેમને ‘ગાનહીરા’ પદવી આપી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

વિનાયક સાવરકર

જ. 28 મે, 1883 અ. 27 ફેબ્રુઆરી, 1966

સ્વાતંત્ર્યસેનાની, ક્રાંતિકારી, પ્રખર હિંદુત્વવાદી સમાજસુધારક અને સાહિત્યકાર વિનાયક સાવરકરનો જન્મ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના ભગૂર ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નાશિક ખાતે. 1901માં મૅટ્રિક થયા અને ઉચ્ચશિક્ષણ માટે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા. 1904માં મુંબઈ યુનિવર્સિટીની પ્રથમ વર્ષ એલએલ.બી.ની તથા 1905માં બી.એ.ની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્માની આર્થિક સહાયથી 1906માં બૅરિસ્ટર થવા માટે ઇંગ્લૅન્ડ ગયા. 1909માં બાર-ઍટ-લૉની પરીક્ષા પાસ કરી, પરંતુ પદવી ગ્રહણ કરવાની સ્પષ્ટ ના પાડી. પંદર વર્ષની વયે સ્વતંત્રતાની દેવી સમક્ષ દેશની સ્વાધીનતા માટે પ્રાણોની આહુતિ આપવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. 1900માં નાશિક ખાતે યુવા સંગઠનની રચવાની પહેલ, 1903માં રાષ્ટ્રભક્તિથી અભિભૂત થઈ પ્રથમ કવિતા ‘જ્યોસ્તુતે’ની રચના કરી સાહિત્યસર્જનની શરૂઆત કરી. 1904માં ‘અભિનવ ભારત’ ક્રાંતિ-સંગઠનની સ્થાપનામાં પણ સક્રિય ભાગ લીધો. 1907માં લંડન ખાતે 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ઉજવણીમાં ભાગ લીધો. ઇટાલીના સ્વાતંત્ર્યસંગ્રામના કર્ણધાર જૉસેફ મૅઝિનીના લખેલ ચરિત્રનું પ્રકાશન કર્યું. 1910માં પૅરિસ ખાતે બૉમ્બ બનાવવાની ટૅકનિક જાણવા ગયા પણ ત્યાં ધરપકડ થઈ. ફ્રાન્સના માર્સેઇલ્સ બંદર નજીક જહાજના શૌચાલયમાંથી દરિયામાં છલાંગ મારી અને ડિસેમ્બરમાં ‘કાળાપાણી’ની જન્મટીપની કઠોર શિક્ષા ભોગવી. તેમને આંદામાનની સેલ્યુલર જેલની એકલ કોટડીમાં ગોંધી રાખી ઘાણી ચલાવવા જેવી કઠોર શારીરિક શ્રમની સજા કરી. કેદીઓ પરના જુલમોનો વિરોધ કરવા ભૂખહડતાળ અને સામૂહિક પ્રદર્શન ચાલુ રાખ્યાં. મરાઠીમાં રચેલું ‘કમલા’ મહાકાવ્યનું નિર્માણ ખીલી જેવી અણીદાર વસ્તુથી જેલની કોટડીની ભીંત પર કોતર્યું હતું. લગભગ એક વર્ષ સુધી બંગાળની અલિપુર જેલ તથા મુંબઈની રત્નાગિરિ જેલમાં પૂરવામાં આવ્યા. થોડો સમય પુણેની યરવડા જેલમાં પણ રાખવામાં આવ્યા. 1924ના જાન્યુઆરીમાં રાજકારણમાં ભાગ નહીં લેવાની તથા રત્નાગિરિ જિલ્લાની સરહદની બહાર ન જવાની શરતે છોડવામાં આવ્યા. 1970માં તેમની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી. 2002માં પૉર્ટ બ્લેર ઍરપૉર્ટને ‘વીર સાવરકર ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ’ જાહેર કરવામાં આવ્યું. 2003માં ભારતીય સંસદમાં તેમનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું હતું.