Categories
વાચન સમૃદ્ધિ

મેજર મોહિત શર્મા

જ. 13 જાન્યુઆરી, 1978 અ. 21 માર્ચ, 2009

અપૂર્વ પરાક્રમ કરી શહીદ થનાર મેજર મોહિત શર્માનો જન્મ રોહતકમાં થયો હતો. પિતા રાજેન્દ્રપ્રસાદ અને માતા સુશીલા. પરિવારમાં સહુ ‘ચિન્ટુ’ કહેતા અને સાથીઓ તેમને ‘માઈક’ કહેતા. તેમનું શાળેય શિક્ષણ માનવસ્થલી સ્કૂલ, દિલ્હી, હોલી એન્જલ્સ સ્કૂલ, સાહિબાબાદ અને દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાઝિયાબાદમાં થયું હતું. 1995માં રાષ્ટ્રીય સંરક્ષણ એકૅડેમી(NDA)માં અને પછી 1998માં ભારતીય લશ્કરી એકૅડેમી(IMA)માં જોડાયા. તેઓ મદ્રાસ રેજિમેન્ટની પાંચમી મદ્રાસ બટાલિયનમાં કમિશન્ડ થયા. તેઓ 38 રાષ્ટ્રીય રાઇફલ્સમાં કાશ્મીર ગયા. તેમને 2002માં ચીફ ઑફ આર્મી સ્ટાફ કમેન્ટેશન મેડલ (COASM) મળ્યો. 2003માં ભારતીય સેનાના એસિલ ફોર્સ 1 પેરામાં જોડાયા. કાશ્મીરમાં કામગીરી બદલ તેમને 2004માં સેના મેડલ (શૌર્ય) એનાયત કરવામાં આવ્યો. તેઓ 2004માં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ સામેના ગુપ્ત ઑપરેશન માટે છૂપા વેશમાં ઇફ્તિખાર ભટ્ટ તરીકે આતંકવાદીઓ સાથે રહ્યા અને તેમનો વિશ્વાસ જીત્યો. 2009માં કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓની ઘૂસણખોરી માટે મેજર શર્માને જવાબદારી સોંપવામાં આવી. આતંકવાદીઓએ કરેલા હુમલામાં ચાર કમાન્ડો ઘાયલ થયા. મોહિત શર્માએ પોતાની સલામતીને અવગણીને ઘાયલ સૈનિકોને સલામત સ્થળે પહોંચાડ્યા. તેમને છાતીમાં ગોળી વાગવા છતાં પીછેહઠ ન કરી કમાન્ડોને પ્રેરિત કર્યા. તેઓ લડાઈમાં ઘાયલ થયા અને શહીદ થયા. તેમની અદમ્ય બહાદુરી અને બલિદાન માટે તેમને મરણોત્તર અશોકચક્ર એનાયત કરવામાં આવ્યું. તેમનું નામ દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં કોતરવામાં આવ્યું છે. 2019માં દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશને ગાઝિયાબાદના રાજેન્દ્રનગર મેટ્રો સ્ટેશનનું નામ બદલીને મેજર મોહિત શર્મા રાજેન્દ્રનગર મેટ્રો સ્ટેશન કર્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

મહર્ષિ મહેશ યોગી

જ. 12 જાન્યુઆરી, 1911 અ. 5 ફેબ્રુઆરી, 2008

ભાવાતીત ધ્યાનના સમર્થ પુરસ્કર્તા અને વિખ્યાત યોગી. તેમના પૂર્વજીવન વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. તેમણે 1942માં અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી ભૌતિકશાસ્ત્રમાં ઉપાધિ મેળવી અને થોડા સમય માટે કારખાનાંઓમાં કામ કર્યા પછી જ્ઞાનસાધના અને યોગસાધના માટે હિમાલય જતા રહ્યા હતા. ત્યાં તેર વર્ષો સુધી બાબા ગુરુદેવ(બ્રહ્માનંદ સરસ્વતી)ના માર્ગદર્શન હેઠળ અધ્યયન કર્યું. 1952 પછી ભાવાતીત ધ્યાન(ટ્રાન્સન્ડેનટલ મેડિટેશન – TM)ના પ્રચારાર્થે વિશ્વસ્તર પર ઝુંબેશ આદરી. 1970માં આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સામયિક ‘સાયન્સ ઍન્ડ સાયન્ટિફિક અમેરિકન’માં લખાણ પ્રસિદ્ધ થયું અને તેઓ પ્રસિદ્ધિ પામ્યા. 1972માં પોતે તૈયાર કરેલ વૈશ્વિક યોજનાનું વિમોચન કરી તે દ્વારા ચેતનાશુદ્ધિ અંગેના નવા વૈજ્ઞાનિક અભિગમ ‘સર્જનાત્મક ગ્રહણશક્તિ’નો પ્રારંભ કર્યો. છેલ્લાં લગભગ 40 વર્ષમાં તેમણે વિશ્વના બધા જ ભૌગોલિક વિભાગોમાં વિશ્વશાંતિ પરિષદો અને સભાઓનું આયોજન કર્યું છે. તેમના વિશ્વભરના પ્રવાસોને કારણે તેમના અનુયાયીઓમાં તેઓ ‘ધ ફ્લાઇંગ યોગી’ નામથી ઓળખાય છે. અઠ્ઠાવીશ દેશોની 200 જેટલી યુનિવર્સિટીઓ તથા સંશોધનસંસ્થાઓમાં 600 જેટલા વૈજ્ઞાનિક અભ્યાસો થયા પછી એવું ફલિત થયું છે કે તેમના આ કાર્યક્રમો દ્વારા માત્ર વ્યક્તિગત સ્તર પર જ નહિ, પરંતુ સામાજિક સ્તર પર પણ ઘણા લાભ થયા છે. 1987માં તેમણે ‘મહર્ષિ વેદવિજ્ઞાન વિશ્વવિદ્યાપીઠ’ના નેજા હેઠળ 7000 જેટલા વૈદિક વૈજ્ઞાનિકોનું જૂથ ઊભું કર્યું છે, જેમના દ્વારા મહર્ષિના ભાવાતીત ધ્યાન તથા ભાવાતીત સિદ્ધિ કાર્યક્રમો આગળ ધપાવવામાં આવી રહ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

તાંજાવુર (તાંજોર)

ભારતના અગ્નિખૂણે આવેલા તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો, જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 10° 48´ ઉ. અ. અને 79° 09´ પૂ. રે.. આ જિલ્લાની ઉત્તરે આરિયાલુર, ઈશાને નાગપટ્ટિનમ્, પૂર્વમાં થિરુવરુર, દક્ષિણે પાલ્કની સામુદ્રધુની, નૈઋત્યે પુડુકોટ્ટાઈ, પશ્ચિમે તિરુચિરાપલ્લી જિલ્લા આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ 3476 ચોકિમી. તથા કુલ વસ્તી 26,30,000 (2025, આશરે) છે. ચક્રવાતને કારણે તે જૂન અને ઑક્ટોબર દરમિયાન અવારનવાર વાવાઝોડાનો ભોગ બને છે. સરાસરી વાર્ષિક તાપમાન 27.5° સે. રહે છે. ઉનાળા તથા શિયાળામાં અનુક્રમે 30° થી 32° સે. અને 25.5° સે. થી 27° સે. તાપમાન રહે છે. દરિયાકિનારે આવેલ ત્રિકોણપ્રદેશમાં નાળિયેર, આંબા અને કેળનાં વૃક્ષો જોવા મળે છે. ડાંગર, શેરડી અને મગફળીના મુખ્ય પાક ઉપરાંત મકાઈ, તમાકુ, મરચાં વગેરેનો પણ પાક થાય છે. કાવેરીની નહેરોને કારણે ડાંગરનો પાક બે વખત લેવાય છે. નેવેલીમાં લિગ્નાઇટની ખાણો છે.

બૃહદીશ્વર મંદિર, તાંજાવુર

જિલ્લામાં કાપડની મિલો ઉપરાંત ખોરાકી ચીજોના તથા હાથસાળ કાપડના મુખ્ય ઉદ્યોગો છે. 70 ટકા લોકો ખેતીમાં રોકાયેલા છે. ત્રણ શહેરો તાંજાવુર, નાગપટ્ટીનમ્ અને કુંભકોણમ્ સિવાયનો બાકીનો ગ્રામવિસ્તાર છે. નાગપટ્ટીનમ્ મધ્યમ કક્ષાનું બંદર છે. કુંભકોણમ્ તીર્થક્ષેત્ર છે. તે સાતમી સદીમાં ચોલ રાજ્યનું પાટનગર હતું. તાંજાવુર કાવેરી નદીની શાખા ઉપર ત્રિકોણાકાર પ્રદેશને પશ્ચિમ છેડે નાગપટ્ટીનમ્ થી 97 કિમી. પશ્ચિમે આવેલું છે. નવમીથી અગિયારમી સદી દરમિયાન તે ચૌલ રાજાઓની રાજધાની હતું. આ શહેર વહીવટી કેન્દ્ર ઉપરાંત જિલ્લાનું વેપારીકેન્દ્ર અને દક્ષિણ રેલવેનું મહત્ત્વનું મથક છે. અહીં કાપડ, ખેતીની પેદાશો ઉપર આધારિત ઉદ્યોગો ઉપરાંત હાથવણાટ, વીણા, ઝવેરાત, ગાલીચા અને ધાતુકામ વગેરેના ગૃહઉદ્યોગો વિકસ્યા છે. તે જમીનમાર્ગો તથા રેલવે દ્વારા ચેન્નાઈ, ચિત્તુર, સાલેમ, કરૂર, બૅંગાલુરુ, નાગપટ્ટીનમ્ સાથે જોડાયેલું છે. રાજરાજ પહેલાએ ઈ. સ. 1000માં બંધાવેલ 50મી. ઊંચા ગોપુરમવાળું બૃહદીશ્વર મંદિર તથા કિલ્લો જોવાલાયક છે. ઇતિહાસ : તાંજાવુર પર દસમી સદીના મધ્યભાગથી ચોલ રાજાઓનું 1400થી હોયસલ વંશનું અને 1465થી વિજયનગરનું શાસન હતું. તે બિજાપુરના સુલતાન નીચે હતું ત્યારે શિવાજીના પિતા શાહજી તેનો વહીવટ સંભાળતા હતા. શાહજીનો પુત્ર વ્યંકોજી 1676માં તાંજોરની ગાદીએ બેઠા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાંજાવુર (તાંજોર), પૃ. 824 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાંજાવુર/)