Categories
વાચન સમૃદ્ધિ

ઉમર ખય્યામ

જ. 18 મે, 1048 અ. 4 ડિસેમ્બર, 1131

ફારસી કવિ, ગણિતજ્ઞ, ખગોળશાસ્ત્રી અને દાર્શનિક ઉમર ખય્યામનો જન્મ ઈરાનના નિશાપુરમાં થયો હતો. તેમનું મૂળ નામ ગ્યાસુદ્દીન અબુલ ફતહ ઉમર ઇબ્ન ઇબ્રાહીમ અલ-ખય્યામી હતું. ખય્યામનો અર્થ તંબુ બનાવનાર. તત્કાલીન સમયની રૂઢિવાદી સામાજિકતા સામે ફારસી ભાષામાં પદ્યના માધ્યમથી એમણે અવાજ ઉઠાવ્યો હતો. સ્વાભાવિક રીતે સમાજે પહેલાં એમનો સ્વીકાર ન કર્યો, પરંતુ પરમ તત્ત્વ સાથેના એક સંધાનને કારણે ઉમર ખય્યામ એમનાં કાર્યોમાં રત રહ્યા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. ક્યૂબિક સમીકરણો હલ કરવા માટે જ્યામિતીય પદ્ધતિઓની એમણે શોધ કરી. બીજગણિતને સમજવા અને સમજાવવા એમણે વિવિધ પદ્ધતિઓના પ્રયોગ કર્યા. સૌર વર્ષની સ્પષ્ટ ગણના સાથે જલલી કૅલેન્ડરની એમણે રચના કરી હતી. વળી સંસારની ક્ષણભંગુરતાને કેન્દ્રમાં રાખીને અનેક રૂબાઈ અર્થાત્ ચોપાઈઓની એમણે રચના કરી. 19મી સદીમાં ઍડવર્ડ ફિટ્ઝ ગેરાલ્ડે ઉમર ખય્યામના કાવ્યસંગ્રહ ‘રૂબાઇયત’નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. હિન્દી ભાષામાં ‘ખય્યામ કી મધુશાલા’ એ ખૂબ પ્રખ્યાત કાવ્યસંગ્રહ છે. પરમ તત્ત્વ તથા સંસારનું તત્ત્વજ્ઞાન ઉમર ખય્યામે ઉમદા રીતે સમજાવ્યું હતું. ભારતના દાર્શનિકો પણ ઉમર ખય્યામના જ્ઞાનથી પ્રભાવિત હતા. પરમહંસ યોગાનંદ સ્વામીએ ઉમર ખય્યામનાં પુસ્તકો તથા વિચારોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. 83 વર્ષની વયે એમનું અવસાન થયું. સંગીત, સાહિત્ય તથા જીવનના તત્ત્વજ્ઞાન, ગણિત, ખગોળશાસ્ત્ર બાબતે ઉમર ખય્યામનું પ્રદાન આજે એક હજાર વર્ષે પણ યાદ કરવામાં આવે છે. જીવનનાં તથા બ્રહ્મનાં રહસ્યો ખોલી આપતું એવું ઉમર ખય્યામનું સર્જન માનવજાત માટે મોટી મિરાત સમું છે.

Categories
વાચન સમૃદ્ધિ

કુમુદિની લાખિયા

જન્મ 17 મે, 1930 અવસાન 12 એપ્રિલ, 2025

 કલાપ્રેમી કુટુંબમાં જન્મેલાં કુમુદિનીબહેનનો નૃત્યપ્રેમ માતા લીલા જયકરે નાનપણમાં જ પારખી  લીધો હતો. માતા ખુદ ગાયિકા હોવાથી તેમણે કુમુદિનીને નૃત્યકળામાં પોતાની કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યાં. સાત વર્ષની ઉંમરે તેમણે બનારસ અને બિકાનેર ઘરાનાના ગુરુજનો પાસે તાલીમ શરૂ કરી. 1947માં સત્તર વર્ષની ઉંમરે તેમને નૃત્યકાર શ્રી રામ ગોપાલ સાથે નૃત્યનાટિકામાં કામ કરવાની તક મળી, આ તક તેમના જીવનમાં સીમાચિહનરૂપ બની રહી. તેમણે  દેશ-વિદેશમાં તેમની સાથે અઢળક કાર્યક્રમો કર્યાં. જયપુર ઘરાનાના ગુરુઓ પાસે તથા લખનૌ ઘરાનાના ગુરુ શંભુ મહારાજ પાસે તેમણે નૃત્યની વિશેષ તાલીમ લીધી. તેમણે કથકને વ્યક્તિગત રજૂઆત સુધી સીમિત ન રાખતાં સમૂહમાં રજૂ કરવાનું બીડું ઝડપ્યું અને ખૂબ લોકચાહના પામ્યાં. કથકની રજૂઆતોમાં ચાલ્યા આવતા પરંપરાગત વાર્તાસંદર્ભોમાં પણ તે જહેમતથી આમૂલ પરિવર્તન લાવ્યાં. 1967માં તેમણે અમદાવાદમાં ‘કદંબ’ સંસ્થા સ્થાપી. આ સંસ્થામાં નવી પેઢીને તેમણે આગવી પદ્ધતિથી કથક શીખવવાનું શરૂ કર્યું અને તેથી જ આ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પામી. આ સંસ્થાના કલાકારોએ 1988માં રશિયામાં ઉઝબેકિસ્તાનમાં અને 2007માં ટોકિયોમાં સફળ નૃત્યપ્રસ્તુતિ કરી હતી. 1980માં દિલ્હી ખાતે યોજાયેલ વાર્ષિક કથક મહોત્સવમાં  તેમણે રજૂ કરેલ ‘અત: કિમ?’, 1997-98માં આઝાદીની સુવર્ણજયંતી નિમિત્તે રજૂ કરેલ ‘ડ્રીમ ઑફ ફ્રીડમ’ અને ‘સુવર્ણ’ પણ ખૂબ વખણાઈ. તેમની અન્ય જાણીતી નૃત્યનાટિકા પ્રસ્તુતિમાં ‘ઓખાહરણ’, ‘દશાવતાર’, ‘હોરી’, ‘ધબકાર’, ‘યુગલ’ વગેરે. ‘સૂરસંગમ’, ‘ઉમરાવ જાન’ જેવી હિન્દી ફિલ્મોમાં તેમણે નૃત્યકાર તરીકે કામ કર્યું. તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યા, જેમાં ઇશીરા પરીખ, મૌલિક શાહ, ઊર્જા ઠાકોર, દક્ષા શેઠ વગેરેનો સમાવેશ થાય છે. નૃત્યકળાને જીવી જનાર આ નૃત્યાંગનાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી (1987), પદ્મભૂષણ (2010) અને મરણોત્તર પદ્મવિભૂષણ(2025)થી સન્માનિત કરાયાં છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ કલાક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર ગુજરાતીને અપાતો ‘પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ’ 2022માં તેમને અર્પણ કરવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

ડેવિડ ઍડવર્ડ હ્યૂજેસ

જ. 16 મે, 1830 અ. 22 જાન્યુઆરી, 1900

વેલ્શ-અમેરિકી સંશોધક, વ્યવહારુ પ્રયોગકર્તા અને સંગીતજ્ઞ ડેવિડ હ્યૂજેસનો જન્મ લંડનમાં થયો હોવાનું મનાય છે. તેમનો જન્મ સંગીતપ્રતિભાથી સંપન્ન પરિવારમાં થયો હતો. તેમની સાત વર્ષની વયમાં તેમનો પરિવાર અમેરિકા જઈ વસ્યો. તેઓ 6 વર્ષની વય થતાં સુધીમાં તો હાર્પ (harp) અને અંગ્રેજી કોન્સર્ટિના (English concerting) વગાડવામાં સક્ષમ થઈ ગયા હતા. સમય જતાં ઉત્તમ કક્ષાના વાદ્યસંગીતમાં તેઓ નિપુણ થઈ ગયા. તેમની સંગીતપ્રતિભા જોઈ અમેરિકાના એક પ્રખ્યાત જર્મન પિયાનોવાદક હેરહાસ્ટે તેમને કેંટકીની સેંટ જોસેફ કૉલેજમાં સંગીતના પ્રોફેસર તરીકે નિયુક્તિ અપાવી. 1855માં હ્યૂજેસે એક પ્રિન્ટિંગ ટેલિગ્રાફી પ્રણાલી તૈયાર કરી. તેમણે પ્રિન્ટિંગ ટેલિગ્રાફની અમેરિકી પેટન્ટ પ્રાપ્ત કરી. 1857માં તેઓ પાછા લંડન ગયા. યુરોપમાં હ્યૂજેસની ટેલિગ્રાફ પ્રણાલીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્યતા મળી. 1878માં ટેલિફોન માટે વિકસિત કરાતી ધ્વનિ(ઇલેક્ટ્રૉનિક સાઉન્ડ ઇફેક્ટ)ની અસર પર સંશોધન કર્યું. તેમનું આ સંશોધન નવા માઇક્રોફોન તરીકે ઓળખાયું. તેમની આ શોધ પર તેમણે પેટન્ટ ક્યારેય ન કઢાવી જેથી ભવિષ્યમાં બીજા નિષ્ણાતો તે પર વધુ સંશોધન કરી શકે. તેમનો શોધપત્ર 8 મે, 1878માં લંડનની રૉયલ સોસાયટી સમક્ષ થોમસ હેનરી હકસલ દ્વારા વાંચવામાં આવ્યો અને તેમના આ નવા માઇક્રોફોનને ટેલિગ્રાફ જર્નલ અને ઇલેક્ટ્રિકલ રિવ્યૂના 1 જુલાઈના અંકમાં સમાવિષ્ટ કર્યો. તેમણે સંશોધનોમાં પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખીને ઉત્તમ પ્રકારના કાર્બન માઇક્રોફોનની શોધ કરી. આ વિકસિત કાર્બન માઇક્રોફોને ટેલિફોનમાં ધ્વનિને સ્પષ્ટ રૂપથી પ્રસારિત કરવાનું શક્ય બનાવ્યું. તેઓ રેડિયોતરંગોની શોધક્ષેત્રે તથા વિદ્યુતસંચારક્ષેત્રે અગ્રણી ગણાય છે. વિજ્ઞાનક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ તેમને અનેક સુવર્ણચંદ્રકો તથા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. 1880માં રૉયલ સોસાયટીના ફેલો નિમાયા. 1885માં રૉયલ મેડલથી પુરસ્કૃત થયા. તેમના અવસાન બાદ રૉયલ સોસાયટી દ્વારા ભૌતિકવિજ્ઞાનક્ષેત્રે મૌલિક શોધ કરનાર વૈજ્ઞાનિકને હ્યૂજેસ મેડલથી સન્માનવામાં આવે છે.