જ. 19 જૂન, 1924 અ. 16 જાન્યુઆરી, 2015

ડાંગના ગાંધી તરીકે ઓળખાતા સ્વાતંત્ર્યસેનાની ઘેલુભાઈનો જન્મ ગણદેવી તાલુકાના કોલવા ગામમાં થયો હતો. પિતાનું નામ ગુલાબભાઈ અને માતાનું નામ લક્ષ્મીબહેન. તેઓ અગિયાર વર્ષના હતા ત્યારે ગાંધીજી અમલસાડની રેંટિયાશાળામાં આવ્યા હતા. ગાંધીજીને મળ્યા પછી તેઓ ગાંધીજીથી પ્રભાવિત થયા હતા. તેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશિયલ સાયન્સ, મુંબઈમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. અનુસ્નાતક થયા પછી સમાજકલ્યાણ વિભાગના ડિરેક્ટર તરીકે જોડાવા નિમણૂકપત્ર મળ્યો, પરંતુ તેમણે એ પદનો અસ્વીકાર કર્યો. 1942માં ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. 1948માં સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી તેઓ ડાંગમાં ગયા અને આદિવાસીઓ માટે પ્રવૃત્તિઓ શરૂ કરી. 7 સપ્ટેમ્બર, 1948ના રોજ તેમના ભાઈ અને ચુનીલાલ વૈદ્ય સાથે મળીને તેમણે ડાંગ સ્વરાજ આશ્રમની સ્થાપના કરી. એ પછી 1949માં આહવા તાલુકાના કાળીબેલ ગામમાં આશ્રમશાળા શરૂ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેમણે આજીવન ખાદી પહેરી. આદિવાસીઓને સાક્ષર બનાવવા માટે ગામડાંઓમાં લોકશાળાઓ શરૂ કરી અને છાત્રાલયો શરૂ કર્યાં. તેમણે રોજગારી મળી રહે એ માટે ગૃહનિર્માણ, ખાદીગ્રામોદ્યોગ અને પશુઉછેરને મહત્ત્વ આપ્યું. તેમણે નશાબંધી માટે મહત્ત્વનું કાર્ય કર્યું. તેમણે તંદુરસ્તી માટે શરીર સફાઈને મહત્ત્વ આપ્યું. એ માટે ‘ગામ ચાલ્યું નાહવા’ નામે કાર્યક્રમ શરૂ કર્યો. આખા ગામના લોકો નાચતાં-ગાતાં નદીકિનારે જઈ સ્નાન કરતા. વાળ લાંબા હોય તો વાળ કાપવામાં આવતા. આ રીતે સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવતા. તેમણે ખ્રિસ્તીઓ દ્વારા થતી ધર્મપરિવર્તનની પ્રવૃત્તિનો વિરોધ કર્યો હતો. ઘેલુભાઈ સાચા અર્થમાં સેવક હતા. તેમણે ડાંગ જિલ્લામાંથી પાંચ હજાર જેટલા સાપ પકડ્યા હતા. તેમણે સાડા ત્રણસો કરતાં વધુ પ્રસૂતિ કરાવી હતી. તેઓ સહુ કોઈના ‘ઘેલુકાકા’ બની રહ્યા. 1960માં મહાગુજરાત આંદોલનમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. ડાંગનું મહારાષ્ટ્ર સાથે જોડાણ ન થાય અને એ ગુજરાતમાં રહે એ માટે આંદોલન કર્યું હતું. તેમના કારણે જ આજે ડાંગ ગુજરાતમાં છે. 88 વર્ષની ઉંમરે તેમણે સાપુતારામાં પેરાગ્લાઇડિંગ કર્યું હતું. તેમને 1999માં ગૂજરાત વિદ્યાપીઠ તરફથી ગ્રામસેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અનિલ રાવલ


