જ. ૨૩ એપ્રિલ, ૧૮૫૮ અ. ૫ એપ્રિલ, ૧૯૨૨

રાષ્ટ્રીય જાગૃતિની દિશામાં અનેક નવી પહેલ કરનાર, અગ્રગામી સમાજસુધારક, વિદુષી નારી રમાબાઈનો જન્મ કેનેરા ડિસ્ટ્રિક્ટ મદ્રાસ પ્રેસિડન્સીમાં થયો હતો. તેમનાં માતા લક્ષ્મીબાઈ અને પિતા અનંત ડોંગરે મહારાષ્ટ્રિયન ચિત્પાવન બ્રાહ્મણ હતાં. માતા-પિતાએ રમાબાઈને સંસ્કૃત વ્યાકરણ અને સાહિત્યનું જ્ઞાન આપ્યું. આ જ્ઞાનને કારણે તેઓ લગભગ ૧૮ હજાર શ્લોકોનું સતત ગાન કરી શકતાં. ૧૮૭૪માં માતાપિતાનું અવસાન થતાં તેઓ ભાઈ સાથે કૉલકાતા પહોંચ્યાં. ત્યાં તેમના જ્ઞાન અને વ્યાકરણ નૈપુણ્યથી પંડિતો, શાસ્ત્રીઓ અને સંસ્કૃત પ્રાધ્યાપકો દિગ્મૂઢ બની ગયા અને જાહેરસભામાં ‘સરસ્વતી’નું બિરુદ આપીને બહુમાન કર્યું. ૧૮૮૦માં તેમણે વકીલ વિપિન બિહારીદાસ સાથે લગ્ન કર્યાં. ૧૮૮૧માં તેમને ત્યાં કન્યા મનોરમાનો જન્મ થયો અને એકાદ મહિનાની અંદર તેમના પતિ કોગળિયા(કૉલેરા)નો ભોગ બની અવસાન પામ્યા. એકલાં પડેલાં રમાબાઈ પુણે ગયાં અને ત્યાં સામાજિક કાર્યો કરવા માટે ‘આર્યમહિલાસમાજ’ નામની સંસ્થાની સ્થાપના કરી. તેમણે મરાઠીમાં ‘સ્ત્રી ધર્મનીતિ’ નામનું પુસ્તક લખ્યું. તેમાંથી મળેલા પૈસામાંથી દીકરીને લઈને તેઓ ઇંગ્લૅન્ડ પહોંચ્યાં. અહીં મઠમાં સેવાભાવી ધર્મસેવિકાઓથી પ્રભાવિત થઈને ૧૮૮૩માં દીકરી સાથે તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. તેમનાં કાર્યોની સુવાસ અમેરિકા સુધી ફેલાતાં તેમને અમેરિકા જવાનું નિમંત્રણ મળ્યું. અહીં તેમણે ‘ઉચ્ચવર્ણીય મહિલા’ (High-cast Hindu Woman) નામનું પુસ્તક લખ્યું. લોકમત જાગૃત કર્યો. ભારતની હિંદુ બાળ-વિધવાઓને મદદરૂપ થવા બૉસ્ટનમાં ‘રમાબાઈ ઍસોસિયેશન’ની સ્થાપના થઈ. મુંબઈ પાછા આવીને વિધવાઓને રહેવા માટે ‘શારદા સદન’ની સ્થાપના કરી જેનો તીવ્ર વિરોધ થયો, પરંતુ તેઓ ડગ્યાં નહીં. તેમણે પ્લેગ, દુકાળ વગેરે જેવી આફતોના સમયે લોકોને ખૂબ મદદ કરી. ૧૯૦૫માં તેમણે પુણે નજીક કેડગાંવમાં છાપખાનું સ્થાપી આશ્રિત સ્ત્રીઓને કામ શિખવાડ્યું. આજે પણ કેડગાંવમાં તેમણે સ્થાપેલ ‘મુક્તિમિશન’ સંસ્થામાં સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર બને તેવું શિક્ષણ અપાય છે.
શુભ્રા દેસાઈ