Categories
વાચન સમૃદ્ધિ

રમાબાઈ પંડિતા

જ. ૨૩ એપ્રિલ, ૧૮૫૮ અ. ૫ એપ્રિલ, ૧૯૨૨

રાષ્ટ્રીય જાગૃતિની દિશામાં અનેક નવી પહેલ કરનાર, અગ્રગામી સમાજસુધારક, વિદુષી નારી રમાબાઈનો જન્મ કેનેરા ડિસ્ટ્રિક્ટ મદ્રાસ પ્રેસિડન્સીમાં થયો હતો. તેમનાં માતા લક્ષ્મીબાઈ અને પિતા અનંત ડોંગરે મહારાષ્ટ્રિયન ચિત્પાવન બ્રાહ્મણ હતાં. માતા-પિતાએ રમાબાઈને સંસ્કૃત વ્યાકરણ અને સાહિત્યનું જ્ઞાન આપ્યું. આ જ્ઞાનને કારણે તેઓ લગભગ ૧૮ હજાર શ્લોકોનું સતત ગાન કરી શકતાં. ૧૮૭૪માં માતાપિતાનું અવસાન થતાં તેઓ ભાઈ સાથે કૉલકાતા પહોંચ્યાં. ત્યાં તેમના જ્ઞાન અને વ્યાકરણ નૈપુણ્યથી પંડિતો, શાસ્ત્રીઓ અને સંસ્કૃત પ્રાધ્યાપકો દિગ્મૂઢ બની ગયા અને જાહેરસભામાં ‘સરસ્વતી’નું બિરુદ આપીને બહુમાન કર્યું. ૧૮૮૦માં તેમણે વકીલ વિપિન બિહારીદાસ સાથે લગ્ન કર્યાં. ૧૮૮૧માં તેમને ત્યાં કન્યા મનોરમાનો જન્મ થયો અને એકાદ મહિનાની અંદર તેમના પતિ કોગળિયા(કૉલેરા)નો ભોગ બની અવસાન પામ્યા. એકલાં પડેલાં રમાબાઈ પુણે ગયાં અને ત્યાં સામાજિક કાર્યો કરવા માટે ‘આર્યમહિલાસમાજ’ નામની સંસ્થાની સ્થાપના કરી. તેમણે મરાઠીમાં ‘સ્ત્રી ધર્મનીતિ’ નામનું પુસ્તક લખ્યું. તેમાંથી મળેલા પૈસામાંથી દીકરીને લઈને તેઓ ઇંગ્લૅન્ડ પહોંચ્યાં. અહીં મઠમાં સેવાભાવી ધર્મસેવિકાઓથી પ્રભાવિત થઈને ૧૮૮૩માં દીકરી સાથે તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. તેમનાં કાર્યોની સુવાસ અમેરિકા સુધી ફેલાતાં તેમને અમેરિકા જવાનું નિમંત્રણ મળ્યું. અહીં તેમણે ‘ઉચ્ચવર્ણીય મહિલા’ (High-cast Hindu Woman) નામનું પુસ્તક લખ્યું. લોકમત જાગૃત કર્યો. ભારતની હિંદુ બાળ-વિધવાઓને મદદરૂપ થવા બૉસ્ટનમાં ‘રમાબાઈ ઍસોસિયેશન’ની સ્થાપના થઈ. મુંબઈ પાછા આવીને વિધવાઓને રહેવા માટે ‘શારદા સદન’ની સ્થાપના કરી જેનો તીવ્ર વિરોધ થયો, પરંતુ તેઓ ડગ્યાં નહીં. તેમણે પ્લેગ, દુકાળ વગેરે જેવી આફતોના સમયે લોકોને ખૂબ મદદ કરી. ૧૯૦૫માં તેમણે પુણે નજીક કેડગાંવમાં છાપખાનું સ્થાપી આશ્રિત સ્ત્રીઓને કામ શિખવાડ્યું. આજે પણ કેડગાંવમાં તેમણે સ્થાપેલ ‘મુક્તિમિશન’ સંસ્થામાં સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર બને તેવું શિક્ષણ અપાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

બી. આર. ચોપરા

જ. ૨૨ એપ્રિલ, ૧૯૧૪ અ. ૫ નવેમ્બર, ૨૦૦૮

બહુમુખી પ્રતિભા ધરાવતા પીઢ ફિલ્મસર્જક. તેમનું પૂરું નામ બળદેવ રાજ ચોપરા હતું. તેમનો જન્મ લાહોરમાં ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમને સાહિત્ય અને કળા તરફ રુચિ હતી. લાહોરની સરકારી કૉલેજમાંથી એમ.એ. થયા. કૉલેજકાળ દરમિયાન લલિત નિબંધો અને ટૂંકી વાર્તાઓ લખતા. અહીં તેમણે ૧૯૪૫ના ગાળામાં ‘સિને હેરલ્ડ’ નામનું સામયિક શરૂ કર્યું હતું. દેશના ભાગલા પડતાં ૧૯૪૭ના ઑગસ્ટમાં મુંબઈ આવ્યા. તેમણે ૧૯૫૨માં ‘શોલે’ અને ૧૯૫૪માં ‘ચાંદની ચોક’ નામે ફિલ્મો બનાવી, જે ખૂબ સફળ રહી. ૧૯૫૫માં સ્વતંત્ર બૅનર સાથે બી. આર. ફિલ્મ્સ કંપનીની સ્થાપના કરી. આ બૅનર તળે બનેલી સૌપ્રથમ ફિલ્મ હતી ‘એક હી રાસ્તા. તેઓ દરેક ફિલ્મમાં સ્વચ્છ મનોરંજન સાથે સમાજના નીતિરીતિ અને વાસ્તવિકતાઓનું પ્રતિબિંબ પડે તેનું ધ્યાન રાખતા. રસિક કથાનક, છટાદાર સંવાદો અને કલાત્મકતા તેમની વિશેષતા હતી. ‘નયાદૌર’, ‘સાધના’, ‘ધૂલ કા ફૂલ, ‘કાનૂન’, ‘ધર્મપુત્ર’, ‘ગુમરાહ’, ‘વક્ત’, ‘હમરાજ’, ‘આદમી ઔર ઇન્સાન’ જેવી સફળ, યાદગાર અને ભાવનાત્મક ફિલ્મો તેમણે બનાવી હતી. તેમણે પોતાની સર્જનાત્મકતાથી ફિલ્મોનું સર્જન કર્યું હતું. જે ખૂબ લોકપ્રિય બન્યું હતું. તેમણે દૂરદર્શનના નાના પડદા માટે ફિલ્મો બનાવેલી. ધારાવાહિક શ્રેણી ‘મહાભારત’ તેમનું એક અમર અને અણમોલ સર્જન છે. આ માટે ચોપરાને ખૂબ યશ, ધન અને નામના મળ્યાં છે. તેમને ‘કાનૂન’ના દિગ્દર્શન માટે ૧૯૬૨માં ‘ફિલ્મફેર ઍવૉર્ડ, ૨૦૦૮માં ‘દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ’ પ્રાપ્ત થયા હતા. ૨૦૦૧માં તેમને ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

જોન મુઈર

જ. ૨૧ એપ્રિલ, ૧૮૩૮ અ. ૨૪ ડિસેમ્બર, ૧૯૧૪

પ્રકૃતિવાદી લેખક, પર્યાવરણીય ફિલૉસૉફર, વનસ્પતિશાસ્ત્રી, પ્રાણીશાસ્ત્રી, હિમનદીશાસ્ત્રી અને યુનાઇટેડ સ્ટેટ્સમાં જંગલી પ્રાણીઓના સંરક્ષણ માટેના પ્રારંભિક હિમાયતી તરીકે જાણીતા જોન મુઈરને ‘પર્વતોના જ્હોન’ અને ‘રાષ્ટ્રીય ઉદ્યાનોના પિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૧ વર્ષની ઉંમર સુધીમાં યુવાન મુઈરે નવા કરાર અને મોટા ભાગનું જૂના કરારનું ‘હૃદયથી અને દુ:ખી શરીરથી’ પાઠ કરવાનું શીખી લીધું હતું. ૨૨ વર્ષની વયે તેમણે વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને ઘણાં વર્ષો સુધી પોતાની રીતે કામ કર્યું હતું. જોન મુઈરનાં પુસ્તકો, પત્રો અને નિબંધો જે પ્રકૃતિ-આલેખનથી ભરપૂર છે તે લાખો લોકો દ્વારા વાંચવામાં આવ્યાં છે. તેમના અથાક પ્રયત્નોથી યોસેમિટી ખીણ અને સેકવોઇયા રાષ્ટ્રીય ઉદ્યાનને જાળવવામાં ખૂબ મદદ મળી હતી. તેમણે જેની સ્થાપનામાં ખૂબ રસ દાખવેલો તે સીએરા ક્લબ અમેરિકાની એક અગ્રણી સંરક્ષણ સંસ્થા છે. તેમના જીવનનો મોટો ભાગ એમણે પશ્ચિમી જંગલોના સંરક્ષણ માટે સમર્પિત કર્યો હતો. યોસેમિટીને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવાની ઝુંબેશના ભાગ રૂપે મુઈરે ‘ધ સેન્ચ્યુરી’ નામના મૅગેઝિનમાં જંગલના સંરક્ષણ વિશે બે સીમાચિહનરૂપ લેખો લખેલા. જેનાથી ૧૮૯૦માં યુ.એસ. કૉંગ્રેસ દ્વારા યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના માટે બિલ પસાર કરવાના દબાણને ટેકો મળ્યો હતો. જોન મુઈરને ‘સ્કોટ્સ અને અમેરિકનો બંને માટે પ્રેરણા’ માનવામાં આવે છે. મુઈરના જીવનચરિત્રકાર સ્ટીવન જે. હોમ્સ તેમને ‘વીસમી સદીના અમેરિકન પર્યાવરણીય પ્રવૃત્તિના આશ્રયદાતા સંતોમાંના એક’ તરીકે મૂલવે છે. તો એન્સેલ એડમ્સ જેવા પ્રકૃતિ ફોટોગ્રાફરો દ્વારા તેમને ઘણી વાર ટાંકવામાં આવ્યા છે. પ્રકૃતિવિષયક એમનાં લખાણો અનેક લોકોને માર્ગદર્શક બન્યાં હોવાથી આધુનિક પર્યાવરણીય ચેતનામાં તેમનું નામ સર્વવ્યાપી બન્યું હતું. ૨૧  એપ્રિલ, ૨૦૧૩ના રોજ સ્કોટલૅન્ડમાં પ્રથમ વાર જોન મુઈર દિવસ ઊજવવામાં આવ્યો હતો. જે તેમની ૧૭૫મી વર્ષગાંઠ હતી, જેમાં આ પ્રકૃતિસંરક્ષકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.