Categories
વાચન સમૃદ્ધિ

સુરેન્દ્ર દેસાઈ

જ. ૨ ઑગસ્ટ, ૧૯૦૧ અ. ૧૦ નવેમ્બર, ૧૯૭૬

એસ. વી. દેસાઈના હુલામણા નામે જાણીતા શિક્ષણશાસ્ત્રી સુરેન્દ્ર દેસાઈનો જન્મ અમદાવાદમાં. વતન અલીણા. માતાનું નામ વિજયાગૌરી અને પિતાનું નામ વૈકુંઠરાય. પિતા મુંબઈની હોમરૂલ લીગના આગેવાન અને દાદા અંબાલાલ સાકરલાલ દેસાઈ ન્યાયમૂર્તિ હતા. તેઓ ૧૯૧૮માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં સમગ્ર બોર્ડમાં સાતમા સ્થાને હતા. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ઇન્ટર આર્ટ્સ કરીને ઉચ્ચઅભ્યાસ માટે ૧૯૨૧માં અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા. ત્યાં બી.એસસી. અને એમ.એસ.ની પદવી ‘એ’ ગ્રેડ સાથે મેળવી. તેમને ‘બીટા-ગૅમા-સિગ્મા’નું બહુમાન મળ્યું હતું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી વિદ્યાર્થી હતા. તેઓ ગુજરાતમાં ડબલ ગ્રૅજ્યુએટ થનાર પ્રથમ હતા. ભારતમાં આવીને તેઓ ‘ઇન્ડિયન ઇકૉનૉમિક્સ’ સાપ્તાહિકમાં જોડાયા. પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને અર્થશાસ્ત્ર વિભાગના વડા બન્યા. તેમણે સિંધિયા સ્ટીમ નૅવિગેશન કંપનીમાં પણ કામ કર્યું. એ પછી તેઓ સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં જોડાયા. ૧૯૩૬માં તેઓ અમદાવાદની એચ.એલ.કૉલેજ ઑવ્ કૉમર્સમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ૧૯૪૪માં આચાર્ય બન્યા. તેમણે ગુજરાત યુનિવર્સિટીની સેનેટ સિંડિકેટ અને એકૅડેમિક કાઉન્સિલમાં સેવા આપી હતી. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પણ બન્યા હતા. ૧૯૪૨ની ‘ભારત છોડો’ લડત દરમિયાન દેશભક્તિના રંગે રંગાયા. તેમણે આજીવન ખાદીનાં વસ્ત્રો પહેરવાનો નિર્ણય કર્યો અને પાળ્યો પણ ખરો. તેઓ સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા. શિક્ષણક્ષેત્રે તેમણે કરેલાં કાર્યો આજે પણ સ્મરણીય બની રહ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

પુરુષોત્તમદાસ ટંડન

જ. ૧ ઑગસ્ટ, ૧૮૮૨ અ. ૧ જુલાઈ, ૧૯૬૨

દેશના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની અને દેશસેવક તરીકે જાણીતા પુરુષોત્તમદાસ ટંડનનો જન્મ ઉત્તરપ્રદેશના અલાહાબાદ શહેરના એક ખત્રી પરિવારમાં થયો હતો. ૧૯૦૬માં ઇતિહાસ વિષય સાથે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરીને તેઓ સર તેજબહાદુર સપ્રુના હાથ નીચે વકીલાતમાં જોડાયા હતા. ૧૯૨૧માં વકીલાતનો ત્યાગ કરીને તેમણે પૂર્ણ સમય માટે દેશસેવા શરૂ કરી હતી. થોડા સમય માટે તેમણે ગ્વાલિયરની વિક્ટોરિયા કૉલેજમાં અધ્યાપક તરીકે પણ ફરજ નિભાવી હતી. પુરુષોત્તમદાસ ટંડન વિદ્યાર્થી હતા ત્યારથી જ કૉંગ્રેસમાં જોડાયા હતા. ૧૯૧૯માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ વખતે તેઓ કૉંગ્રેસની સત્યશોધ સમિતિના સભ્ય હતા. ૧૯૨૦થી ૧૯૩૦ના દાયકા દરમિયાન તેઓએ અસહકાર આંદોલન અને મીઠાના સત્યાગ્રહમાં ભાગ લઈને જેલવાસ ભોગવ્યો હતો. આ જ દાયકામાં બિહાર કિસાનસભાના પ્રમુખ તરીકે તેમણે કિસાનોના પ્રશ્નોને વાચા આપી હતી. ૧૯૨૧ની સાલમાં તેઓ લાલા લજપતરાય દ્વારા સ્થાપિત ભારત લોકસેવક મંડળના પ્રમુખ તરીકે નિમાયા હતા. ૧૯૩૭ની વચગાળાની સરકારની રચના બાદ તેમણે ઉત્તરપ્રદેશની પ્રાંતીય વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી ૧૯૫૦ સુધી નિભાવી હતી. ૧૯૫૦માં આચાર્ય કૃપલાણીને હરાવીને પુરુષોત્તમદાસ ટંડન કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે મતભેદો થતાં તેમણે રાજીનામું આપ્યું હતું. ૧૯૫૨માં લોકસભા અને ૧૯૫૬માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા. દેશની રાષ્ટ્રભાષા હિંદી જ હોવી જોઈએ તેના તેઓ આગ્રહી હતા અને તે માટે તેમણે ખૂબ પ્રયત્નો કર્યા હતા. પુરુષોત્તમદાસ ટંડનની દેશસેવા અને સમાજસેવાથી પ્રભાવિત થઈને ગાંધીજી તેમને ‘રાજર્ષિ’ નામે ઓળખાવતા હતા. ૧૯૬૧માં તેમને દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારતરત્ન’થી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રેમચંદજી

જ. ૩૧ જુલાઈ, ૧૮૮૦ અ. ૮ ઑક્ટોબર, ૧૯૩૬

હિન્દી અને ઉર્દૂ સાહિત્યના પ્રતિષ્ઠિત અને લોકપ્રિય સાહિત્યકાર પ્રેમચંદજીનું મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું. તેમનો જન્મ બનારસના લમહી ગામમાં પોસ્ટ-ઑફિસમાં કારકુન તરીકે કાર્ય કરતા અજાયબલાલ મુનશીને ત્યાં થયો હતો. માતા આનંદીદેવી સ્વરૂપવાન અને સંસ્કારી હતાં. પ્રેમચંદનું બાળપણ ગામડામાં વીતેલું. પહેલાં આઠ વરસ ફારસી ભણ્યા ને પછી અંગ્રેજી. લમહીમાં જ એક મૌલવીસાહેબ પાસેથી થોડું ઉર્દૂ અને ફારસી શીખ્યા. ૧૩ વર્ષની વય સુધીમાં તો તેમણે ઉર્દૂના રતનનાથ સરશાર, મિર્ઝા રુસવા અને મૌલાના શરરને ખૂબ જ વાંચ્યા. સરકારી નોકરી કરતાં કરતાં વાર્તા લખવાની શરૂ કરી ત્યારે ‘નવાબરાય’ એ ઉપનામ રાખેલું. આથી ઘણા તેમને જીવનભર ‘નવાબ’ કહેતા. એમનો પહેલો વાર્તાસંગ્રહ ‘સોજે વતન’ સરકારે જપ્ત કર્યો ત્યારે ‘નવાબરાય’-એ ઉપનામનો ત્યાગ કર્યો અને ‘પ્રેમચંદ’ ઉપનામથી લખવાનું શરૂ કર્યું ને પછી તો એ નામે જ તેઓ ઓળખાયા. સાતેક વર્ષના હતા ત્યારે માતાનું મૃત્યુ અને પંદરેક વર્ષના હતા ત્યારે પિતાનું મૃત્યુ થયું. અભ્યાસ માટે તેમને ખૂબ જ સંઘર્ષ કરવો પડેલો. ઈ. સ. ૧૮૯૯માં તેઓ ચુનારની મિશનરી સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. પછી અનેક સ્થળોએ નોકરી કરી. પાછળથી આચાર્ય પણ થયેલા. પ્રારંભમાં તેઓ ગોખલેના શિષ્ય હતા. છેલ્લે ગાંધીજીના પ્રભાવ તળે આવ્યા. પ્રેમચંદજી ભારતની બે મોટી કોમો હિંદુ અને મુસલમાન નજીક આવે તેમ ઇચ્છતા હતા. તેમની પાસેથી અનેક નવલકથાઓ અને સંખ્યાબંધ વાર્તાઓ મળી છે. ‘રૂઠી રાની’, ‘કૃષ્ણ’, ‘સેવાસદન’, ‘નિર્મલા’, ‘ગબન’, ‘કર્મભૂમિ’ વગેરે તેમની નવલકથાઓ છે. ‘ગોદાન ભારતીય નવલકથાના ઇતિહાસમાં સીમાચિહન રૂપ ગણાય છે. તેમણે હિંદી સાહિત્યને વિપુલ પ્રમાણમાં વાર્તાઓ આપી છે. તેમની બધી જ વાર્તાઓ ‘માનસરોવર’(ભાગ ૧-૮)માં સંગૃહીત થઈ છે. તેમની ‘શતરંજ કે ખિલાડી’ વાર્તા પરથી હિન્દી ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે નાટકો, નિબંધો, જીવનકથાઓ અને અનુવાદો પણ આપ્યાં છે. ૧૯૩૬ના મે માસમાં તેમની અતિ પ્રસિદ્ધ નવલકથા ‘ગોદાન’ બહાર પડી. એ પછી તેમની તબિયત ખૂબ બગડી. એમાંથી ઊઠી ન શક્યા. તેઓ ‘હિંદી સાહિત્યના ગૉર્કી’ કહેવાય છે. તેમના આગમનથી હિંદી કથાસાહિત્યના જગતમાં નવો યુગ શરૂ થયો.