Categories
વાચન સમૃદ્ધિ

પંડિત બલરામ પાઠક

જ. 5 નવેમ્બર, 1926 અ. 15 ફેબ્રુઆરી, 1991

બલરામ પાઠકનો જન્મ બલિયા, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેમના કુટુંબે સંગીતના ક્ષેત્રે ખૂબ ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમના દાદાજી પંડિત દીનાનાથ પાઠક ઉત્તર ભારતીય સંગીતના ધ્રુપદ ગાયકીના નિષ્ણાત હતા. પંડિત બલરામ પાઠક ઉત્તર ભારતના સર્વોત્તમ સિતારવાદક હતા. બાળપણથી જ તેઓને કુટુંબના વડીલો પાસેથી સંગીતનો વારસો મળેલો. તેમનો ઉછેર સંગીતના માહોલમાં થયો હતો. આથી બાળપણથી તેઓ સિતાર અને સૂરબહાર જેવાં વાદ્યોનું શિક્ષણ તેમના પિતાજી પાસેથી પામ્યા હતા. દસ વર્ષની વયે પણ તેઓ દિવસનો મોટો ભાગ સંગીતની સાધનામાં ગાળતા. તેઓ સૂરસિંગાર જેવાં વાદ્ય તથા કંઠ્ય સંગીત શીખ્યા હતા. પશ્ચિમ બંગાળમાં આવેલ મુરશિદાબાદમાં તેઓએ 12 વર્ષની વયે કાર્યક્રમ આપ્યો હતો. જે તેમનો સૌપ્રથમ જાહેર કાર્યક્રમ હતો. તેમના સંગીતમાં નવીનતા અને સંપૂર્ણતા હતી. તેઓ સંગીતમાં આલાપ મીંડ, મુખડા, ગમક, ઝમઝમ, ઉલ્ટા ઝાલાથી અદ્ભુત સંગીતનું સર્જન કરતા હતા. નાની વયે તેઓ મહારાજા કમલા રંજન રૉયના દરબારના સંગીતકાર બન્યા હતા. તેમની વાદ્યકળાથી તેઓ ધ્રુપદ અને ખયાલની ખૂબીઓ પ્રસ્તુત કરી શકતા હતા. તેમણે અનોખી અને અનેરી અદાથી ઘણા સિતારવાદકોને મોહિત કર્યા હતા. તેઓને કૉલકાતાના સંગીતસમારોહમાં સૂર-સાધક તરીકે સન્માન મળ્યું હતું. તેઓ અઘરા અને વિરલ રાગ ખૂબ સરળતાથી ગાઈ શકતા હતા. આથી સંગીતરસિકોના મનમાં તેઓ ઉચ્ચસ્થાને હતા. મધ્યપ્રદેશની ખૈરાગર યુનિવર્સિટીમાં તેમણે સંગીત શાખાના વડા તરીકે કામગીરી બજાવી હતી. સારા સંગીતકાર ઉપરાંત તેઓ બાળસહજ શુદ્ધતા, સાદગી અને નિર્દોષપણું ધરાવતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દક્ષાબહેન પટ્ટણી

જ. 4 નવેમ્બર, 1938 અ. 10 માર્ચ, 2019

ગુજરાતનાં શિક્ષણવિદ, પ્રાધ્યાપિકા અને લેખિકા દક્ષાબહેનનો જન્મ ભાવનગરમાં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતા શાંતાબહેન અને પિતા વિજયશંકર. પિતા લેખક અને ચિંતક હતા. દક્ષાબહેન પ્રસિદ્ધ લેખક મુકુંદરાય પારાશર્યનાં નાનાં બહેન અને ભાવનગર રાજ્યના પ્રભાશંકર પટ્ટણીનાં ભત્રીજી હતાં. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં થયું હતું. તેઓ 1962માં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે સ્નાતક અને 1965માં તે વિષયો સાથે અનુસ્નાતક થયાં હતાં. 1976માં ડૉ. ઈશ્વરલાલ દવેના માર્ગદર્શનમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું. તેઓ 1962માં ભાવનગરની ઘરશાળામાં શિક્ષિકા તરીકે જોડાયાં અને 1965 સુધી ત્યાં કામ કર્યું. 1969માં પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ કૉલેજમાં જોડાયાં અને પછી 1970માં ભાવનગરની વળિયા આર્ટસ અને મહેતા કૉલેજમાં પ્રાધ્યાપિકા તરીકે જોડાયાં. 2001માં નિવૃત્ત થયાં ત્યાં સુધી તેમણે ત્યાં જ અધ્યાપનકાર્ય કર્યું. તેમણે 1977થી 1994 સુધી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાત અને ગાંધીદર્શનનાં વિઝિટિંગ વ્યાખ્યાતા તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠ અને લોકભારતી, સણોસરામાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેમણે ગાંધીવિચારધારાને જીવનનો અભિન્ન ભાગ બનાવ્યો હતો. તેઓ 1982થી 2013 સુધી ભાવનગરની ગાંધીસ્મૃતિ સંસ્થાની ગાંધીવિચારધારા સમિતિનાં સભ્ય હતાં. ગાંધીવિચારની શાળાઓમાં લેવાતી પરીક્ષાના કાર્યમાં જોડાયાં હતાં. વક્તૃત્વ અને લેખન તેમની પ્રિય પ્રવૃત્તિ હતી. તેમણે પીએચ.ડી. માટે લખેલ શોધનિબંધ છ ખંડોમાં પ્રકાશિત થયો : ‘ગાંધીજીનું ચિંતન’ (1980), ‘ગાંધીજી : વ્યક્તિત્વનું ઘડતર’ (1981), ‘ગાંધીજી : ધર્મવિચારણા’ (1984), ‘ગાંધીવિચાર : સત્ય અને અહિંસા’ (2000), ‘ગાંધીજીના વિચારમાં સત્યાગ્રહ’ (2001) અને ‘ગાંધીજીનું ચિંતન : મૂલ્યાંકન’ (2003). આ ઉપરાંત તેમનાં 50થી વધુ નિબંધો, વ્યાખ્યાનો અને વિવેચનો પ્રકાશિત થયાં છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ભગિની નિવેદિતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

ઉમા રાંદેરિયા

જ. 3 નવેમ્બર, 1927 અ. 7 ઑક્ટોબર, 2007

જાણીતા અનુવાદક ઉમાબહેનનો જન્મ અમદાવાદમાં નાગર પરિવારમાં થયો હતો. માતા સૌદામિનીબહેન અને પિતા ગગનવિહારી મહેતા. સર લલ્લુભાઈ સામળદાસ તેમના દાદા થાય. પિતા ગગનવિહારી મહેતા ‘ટેરિફ કમિશન’ના અધ્યક્ષ, પ્રથમ પ્લાનિંગ કમિશનના સભ્ય અને 1952-58 દરમિયાન અમેરિકા ખાતે ભારતના રાજદૂત નિમાયા હતા. પિતા અને દાદાનો શૈક્ષણિક અને સંસ્કારવારસો ઉમાબહેનને પણ મળ્યો હતો. પિતાના વ્યવસાયને કારણે 1952 સુધી તેમનો નિવાસ કૉલકાતામાં હતો. માતૃભાષા ગુજરાતી હોવા છતાં પણ સમગ્ર શિક્ષણ તેમણે બંગાળી ભાષામાં લીધું. 1946માં કલકત્તા યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાનના વિષય સાથે સ્નાતક બન્યાં. 1946થી 1948 સુધી અમેરિકામાં કૉર્નેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો. જોકે તે સમયે નાદુરસ્ત તબિયતને કારણે પદવી પ્રાપ્ત કર્યા વિના જ સ્વદેશ પરત આવ્યાં. પિતા અમેરિકામાં ભારતના રાજદૂત નિયુક્ત થતાં 1952માં બે માસ માટે વૉશિંગ્ટનમાં નિવાસ કર્યો. 1953થી 1983 સુધી મુંબઈમાં રહ્યાં અને 1983થી અમદાવાદમાં સ્થાયી થયાં. તેઓ અર્થશાસ્ત્રી પ્રિયવદન રાંદેરિયા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. 1973થી 1978 સુધી ઉમાબહેને રશિયન ભાષાનો અભ્યાસ કર્યો હતો. તેમણે કેટલીક કૃતિઓનો સુંદર અનુવાદ કર્યો છે. તેમણે અનુવાદ કરેલી જાણીતી કૃતિઓમાં ‘નવા યુગનું પરોઢ’ (2005), ‘રૂદાલી અને બીજી બાળવાર્તાઓ’, ‘કેટલીક બાળકથાઓ’, ‘ટૉલ્સ્ટૉયની વાર્તાઓ’, ‘દૂરનો માણસ અને બીજી વાર્તાઓ’ વગેરેનો સમાવેશ થાય છે. ‘નવા યુગનું પરોઢ’ એ સુનીલ ગંગોપાધ્યાયની નવલકથાનો અનુવાદ છે. આ અનુવાદ માટે તેમને 2005નો ‘દિલ્હી સાહિત્ય અકાદમી’ પુરસ્કાર મળ્યો હતો. તે ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સાહિત્ય પરિષદનાં પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં.