Categories
વાચન સમૃદ્ધિ

કાઝી નઝરુલ ઇસ્લામ

જ. 24 મે, 1899 અ. 29 ઑગસ્ટ, 1976

બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ, લેખક, નાટ્યકાર, સંગીતકાર, સૈનિક અને ફિલ્મ અભિનેતા નઝરુલ ઇસ્લામનો જન્મ બંગાળ પ્રેસિડેન્સીના ચુરુલિયામાં થયો હતો. તેમણે મદરેસામાં કુરાન, હદીસ, ઇસ્લામિક ફિલસૂફી અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેઓ ‘લેટોર ડોલ’માં જોડાયા. અભિનય શીખ્યા. નાટકો માટે ગીતો અને કવિતાઓ લખી. તેમણે ‘ચાશા શોંગ’, ‘શેકુનીબોધ’, ‘રાજા યુધિષ્ઠિરેર શોંગ’, ‘દાતા કોર્ણો’, ‘અકબર બાદશાહ’, ‘કોબી કાલિદાસ’ વગેરે લોકનાટકો લખ્યાં. 1917માં તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મીની 49મી બંગાળ રેજિમેન્ટમાં જોડાયા. તેમને કરાંચી છાવણીમાં મૂકવામાં આવ્યા. તેમણે ત્યાં પંજાબી મૌલવી પાસેથી પર્શિયન કવિતા શીખી. 1920માં બંગાળ રેજિમેન્ટને વિખેરી નાખતાં કૉલકાતામાં સ્થાયી થયા. 1920માં તેમની પ્રથમ નવલકથા ‘બંધન-હારા’ પ્રકાશિત થઈ. તેમણે ‘ધૂમકેતુ’ નામનું દ્વિ-સાપ્તાહિક સામયિક શરૂ કર્યું હતું. પોલીસે ‘ધૂમકેતુ’ની ઑફિસ પર દરોડા પાડી તેમની ધરપકડ કરી હતી. તેમણે જેલમાં બ્રિટિશ જેલ સુપરિટેન્ડેન્ટના દુર્વ્યવહારના વિરોધમાં 40 દિવસના ઉપવાસ કર્યા હતા. તેમણે જેલવાસ દરમિયાન કવિતાઓ અને ગીતોની રચના કરી હતી. તેઓ બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ હતા. તેમને ‘બિદ્રોહી કવિ’નું બિરુદ મળ્યું. તેમનાં ગીતો ‘નઝરુલ ગીતી’ તરીકે ઓળખાય છે. તેમણે 500થી વધુ હિંદુ ભક્તિગીતો લખ્યાં છે. તેમની કવિતાનો અંગ્રેજી, સ્પૅનિશ અને પોર્ટુગીઝ ભાષાઓમાં અનુવાદ થયો છે. દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘ધ્રુવ ભક્ત’ હતી. તેમાં અભિનેતા, ગાયક, સંગીતનિર્દેશક તરીકે કામ કર્યું હતું. તેમનું અવસાન થયું ત્યારે ભારતની સંસદે તેમના માનમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું. બાંગ્લાદેશ સરકારે 1972માં તેમને ‘રાષ્ટ્રીય કવિ’નો દરજ્જો આપ્યો હતો. તેમને 1945માં કલકત્તા યુનિવર્સિટી દ્વારા ‘જગત્તારિણી સુવર્ણચંદ્રક’ અને 1960માં ‘પદ્મભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા. તેમને 1974માં ઢાકા યુનિવર્સિટી દ્વારા માનદ ડી.લિટ. અને 1976માં ‘એકુશે પદક’ એનાયત કરવામાં આવ્યા હતા. તેમની યાદમાં માર્ગો, યુનિવર્સિટીઓ, કૉલેજો, સંસ્થાઓ, પુસ્તકાલયો, ઍરપૉર્ટ, સ્ટેશન વગેરેને તેમનું નામ આપવામાં આવ્યું છે. કલકત્તા યુનિવર્સિટીમાં તેમના નામ પર એક ખુરશીનું નામ આપવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

પી. સી. વૈદ્ય

જ. 23 મે, 1918 અ. 12 માર્ચ, 2010

સ્પેસ ટાઇમ જ્યોમેટ્રીના સંશોધનકર્તા, ગણિતજ્ઞ અને આદર્શ શિક્ષક પી. સી. વૈદ્યનો જન્મ જૂનાગઢ તાલુકાના શાપુરમાં થયો હતો. પિતા ચુનિલાલ અને માતા નિર્મળબહેન. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું હતું. ઉચ્ચશિક્ષણ મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાંથી મેળવ્યું. 1938માં પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતા સાથે બી.એસસી. અને 1940માં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે એમ.એસસી.ની પદવી મેળવી. 1942માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંત પર સંશોધન કર્યું. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સમીકરણનો ઉકેલ તેમણે આપ્યો. આ ઉકેલ ‘વૈદ્ય ઉકેલ’ તરીકે જાણીતો છે.

તેમણે ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટ; એમ.ટી.બી. કૉલેજ, સૂરત; વી. પી. સાયન્સ કૉલેજ, વલ્લભવિદ્યાનગર; એમ. એન. કૉલેજ, વિસનગરમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક ગણિત વિભાગમાં જોડાયા અને સંશોધન પ્રવૃત્તિને વેગ આપ્યો. તેમણે વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપી હતી. તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી અને ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સના ફેલો હતા. તેઓ વૈદ્ય મેટ્રિક, વૈદ્ય-પટેલ સૉલ્યુશન અને આઇન્સ્ટાઇન ફિલ્ડ ઇક્વેશન્સ માટે જાણીતા હતા. તેમણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે કાર્ય કર્યું હતું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા. તેઓ યુજીસીની કમિટી ઑન રિલેટિવિટી ઍન્ડ કૉસ્મોલૉજી, ઇન્ડિયન મૅથેમૅટિકલ સોસાયટી, ઇન્ડિયન ઍસોસિયેશન ફોર રિલેટિવિટી ઍન્ડ ગ્રૅવિટેશન વગેરેના અધ્યક્ષ હતા. તેમણે ગાંધીજીના સિદ્ધાંતોને જીવનમાં ઉતાર્યા હતા. તેઓ ખાદી પહેરતા. સાઇકલ પર ગાંધીટોપી પહેરીને નીકળતા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠ અને વેડછી આશ્રમ સાથે જોડાયેલા હતા. તેમણે ગુજરાતમાં ગણિત મંડળ શરૂ કર્યું. 1963માં ‘સુગણિતમ્’ અને 1990માં ‘બૉના મૅથમેટિકા’ શરૂ કર્યું. તેમણે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે જેમાં ‘ચૉક ઍન્ડ ડસ્ટર’, ‘પસ્તીનાં પાનાં’, ‘ગણિતદર્શન’, ‘દશાંશ પદ્ધતિ શા માટે ?’, ‘નવું ગણિત શું છે ?’, ‘દાદાજીની વિજ્ઞાનવાર્તાઓ’ નોંધપાત્ર છે. ગુજરાત સરકારે 1993માં ડૉ. વિક્રમ સારાભાઈ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

હોમી વાડિયા

જ. 22 મે, 1911 અ. 10 ડિસેમ્બર, 2004

ભારતીય સિનેજગતના નિર્દેશક અને નિર્માતાનો જન્મ સૂરતમાં થયો હતો.  શિક્ષણ માંડ મૅટ્રિક સુધીનું. ત્યારબાદ મોટા ભાઈ જે. બી. વાડિયા ફિલ્મક્ષેત્રે હોવાથી તેમણે પણ ફિલ્મક્ષેત્રે જવાનું પસંદ કર્યું. તેઓ 1933માં સ્થાપિત વાડિયા મૂવીટોન પ્રોડક્શનના સહ-સંસ્થાપક હતા. તેમણે સૌપ્રથમ 1934માં ‘વીર ભારત’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું. પ્રથમ ફિલ્મથી જ સ્ટંટ ફિલ્મોની શ્રેણીનો પ્રભાવ શરૂ થયો. આ ફિલ્મો ભવ્ય સેટ્સ, ભવ્ય વેશભૂષાને લીધે ચકિત કરી દેનારાં દૃશ્યોવાળી સાબિત થઈ અને તેમણે સ્ટંટ ફિલ્મોમાં આગવી નામના મેળવી. તેમાં તેમને સૌથી મોટો આધાર અભિનેત્રી નાદિયાનો મળ્યો. નાદિયાનાં દિલધડક સ્ટંટ દૃશ્યો પ્રેક્ષકોને હેરત પમાડે તેવાં હતાં અને તેથી ટિકિટબારી પર ટંકશાળ પડતી હતી. ફિલ્મોમાં રેલવે, ટ્રેન, પ્રાણીઓ, પિસ્તોલ જેવી વસ્તુઓનો સૌપ્રથમ ઉપયોગ કરનાર હોમી વાડિયા હતા. તેમણે 1942માં વસંત પિક્ચર્સની સ્થાપના કરી. તેમણે ચાળીસથી વધુ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું જેમાં ‘હંટરવાલી’ (1935), ‘મિસ ફ્રંટિયર મેલ’ (1936), ‘હીરે કી રાની’ (1940) તથા ‘હાતિમ તાઈ’ (1956)નો પણ સમાવેશ છે. 1954માં સ્થાપિત ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા’ના એક સંસ્થાપક સભ્ય પણ હતા. 1942 સુધી વાડિયા મૂવીટોનની બાર ફિલ્મો હોમી વાડિયાએ દિગ્દર્શિત કરેલી. 1949માં ગુજરાતી ફિલ્મો પણ તેમણે બનાવેલી. તેમની એક ફિલ્મ ‘નૌજવાન’ ગીત વિનાની ફિલ્મ હતી.