Categories
વાચન સમૃદ્ધિ

પ્રાણલાલ દેવકરણ નાનજી 

જ. 11 જૂન, 1894 અ. 22 જુલાઈ, 1956

જાણીતા ઉદ્યોગપતિ, બૅન્કર અને દાતા પ્રાણલાલ નાનજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ શેઠ દેવકરણ નાનજીના બીજા પુત્ર હતા. 1911માં જયવતીબહેન સાથે લગ્ન. તેઓ મુંબઈમાં આવેલી દેવકરણ નાનજી બૅન્કિંગ કંપની, દેવકરણ નાનજી વીમા કંપની અને દેવકરણ નાનજી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સ્થાપક હતા. દેવકરણ નાનજીના પરિવાર દ્વારા દેવકરણ નાનજી બૅન્કિંગ કંપનીની સ્થાપના 26 મે, 1938ના રોજ કરવામાં આવી, જે ડિસેમ્બર, 1939થી ‘દેના બૅન્ક’ તરીકે જાણીતી બની. 1 એપ્રિલ, 2019થી દેના બૅન્કને બૅન્ક ઑફ બરોડામાં સમાવવામાં આવી. તેમના નેતૃત્વ હેઠળ 1946માં ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશનની સ્થાપના કરવામાં આવી. તેમણે 1944-45 અને 1952-53માં ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રમુખ તરીકે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. તેઓ સારા ફોટોગ્રાફર હતા. 1941-42 દરમિયાન તેઓ ફોટોગ્રાફિક સોસાયટી ઑવ્ ઇન્ડિયાના પ્રમુખપદે રહ્યા હતા. સ્વદેશી ચળવળને વેગ આપવા તેમણે સ્વદેશી લીગ ટ્રસ્ટની સ્થાપના કરી. તેમને પોરબંદર રાજ્યના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતીય વિદ્યાભવનની શૈક્ષણિક સંસ્થાઓના સહસ્થાપક હતા. તેમણે કરેલાં કાર્યો બદલ પોરબંદર રાજ્ય દ્વારા રાજભૂષણ પદવીથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્રિટિશ ઇન્ડિયન ગવર્નમેન્ટ દ્વારા તેમને બૉમ્બે સિટી માટે જસ્ટિસ ઑવ્ ધ પીસ અને માનદ પ્રેસિડેન્સી મૅજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા હતા. 1977માં ભારતીય વિદ્યાભવનની ધ ભવન્સ કૉલેજ ઑવ્ કૉમ્યુનિકેશન ઍન્ડ મૅનેજમેન્ટનું નામ ‘ભવન્સ પ્રાણલાલ દેવકરણ નાનજી કૉલેજ ઑવ્ માસ કૉમ્યુનિકેશન’ કરવામાં આવ્યું છે. તેમની યાદમાં ‘પ્રાણલાલ દેવકરણ નાનજી પુરસ્કાર’ આપવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

પોનકા કનકમ્મા

જ.  10 જૂન, 1892 અ. 15 સપ્ટેમ્બર, 1963

સામાજિક કાર્યકર્તા અને સ્વતંત્રતાસેનાની પોનકા કનકમ્માનો જન્મ નેલ્લોરમાં થયો હતો. તેમનું જીવન દૃઢતા, સંકલ્પ અને ન્યાયની અતૂટ શોધનું જીવતુંજાગતું ઉદાહરણ છે. તેઓ એક સમૃદ્ધ જમીનદારનાં પુત્રી હતાં. તેમનાં લગ્ન ફક્ત આઠ વર્ષની વયે તેમના મામા સુબ્બારાવ રેડ્ડી સાથે કરવામાં આવ્યાં. પતિ રૂઢિવાદી હોવાને કારણે શાળામાં જઈ અભ્યાસ કરવાની અનુમતિ ન મળી. આથી કોઈ પણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરી ન શક્યાં, પરંતુ અસાધારણ બુદ્ધિમત્તા ધરાવતાં કનકમ્મા જ્ઞાન મેળવવાની તીવ્ર જિજ્ઞાસા ધરાવતાં હોવાથી જાતે જ સ્વશિક્ષિત બન્યાં. તેઓ તેલુગુ, હિંદી અને સંસ્કૃત ભાષામાં પારંગત બન્યાં. 1916થી 1919 સુધી થોડો સમય ક્રાંતિકારી રાજનીતિના પ્રભાવમાં રહ્યાં. ત્યારબાદ ગાંધીજીનાં અનુયાયી બન્યાં. તેમણે પેન્ના નદીને કિનારે નેલ્લોરથી લગભગ 8 માઈલ દૂર પલ્લીપાડુ ગામમાં 13 એકર જમીન ખરીદી અને તેમના ક્રાંતિકારી મિત્રોને હથિયાર છુપાવવા તથા અન્ય પ્રવૃત્તિઓ માટે સોંપી દીધી. તેમણે સ્થાપેલા પિનાકિની સત્યાગ્રહ આશ્રમનું ગાંધીજીએ 7 એપ્રિલ, 1921માં ઉદ્ઘાટન કર્યું હતું. કનકમ્માએ વંદે માતરમ્ આંદોલન, અસહયોગ આંદોલન તથા મીઠાના સત્યાગ્રહમાં સક્રિય ભાગ લીધો હતો. તે માટે તેમણે બે વર્ષ કઠોર કારાવાસ ભોગવ્યો હતો. 1923માં તેમણે કન્યાઓ માટે ‘કસ્તૂરી વિદ્યાલયમ્’ની સ્થાપના કરી. નેલ્લોર પાસે પોટલાપુડી ગામમાં ‘સુજના રંજની સમાજમ્’ અને ‘વિવેકાનંદ ગ્રંથાલય’ની સ્થાપના કરી. તેમણે હરિજનો અને ગરીબોના ઉત્કર્ષ માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો. તેઓ નેલ્લોર કૉંગ્રેસ કમિટીનાં પ્રથમ અધ્યક્ષ હતાં. તેઓ એક કવયિત્રી પણ હતાં. તેમણે રમણ મહર્ષિ પર કેટલીક દાર્શનિક કવિતાઓ લખી છે. તેમણે ભગવદ્ગીતાનો સાર તેલુગુમાં ‘જ્ઞાન નેત્રમ્’ નામે અનુવાદિત કર્યો હતો. તેમણે તેલુગુ સાપ્તાહિક પત્રિકા ‘જમીન રાયતુ’ પ્રકાશિત કરી હતી. તેમણે સામાજિક માપદંડોને પડકારીને સમાજના કલ્યાણ તથા ભારતના સ્વતંત્રતાસંગ્રામમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ માટે તેમને ગૃહલક્ષ્મી સ્વર્ણકંકનમ્ જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

રામચંદ્ર ગાંધી

જ. 9 જૂન, 1937 અ. 13 જૂન, 2007

અગ્રણી દાર્શનિક મહાત્મા. મહાત્મા ગાંધીજીના પૌત્ર. રામચંદ્રના પિતા દેવદાસ ગાંધી અને માતા લક્ષ્મી (રાજાજીનાં પુત્રી). તેમણે સ્નાતક સુધીનું શિક્ષણ દિલ્હીમાં મેળવ્યું. ત્યારબાદ ઉચ્ચશિક્ષણ સેન્ટ સ્ટીવન્સ કૉલેજ, દિલ્હી અને પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં મેળવ્યું હતું. તેમણે અનુસ્નાતક સ્તરથી પ્રથમ પદવી ભૌતિકશાસ્ત્રમાં મેળવી, પછી દિલ્હીની સેન્ટ સ્ટીવન્સ કૉલેજમાંથી દર્શનશાસ્ત્રની અનુસ્નાતકની પદવી મેળવી. ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ફિલૉસૉફીની પદવી મેળવી હતી. તેમણે હૈદરાબાદ યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રનું ડિપાર્ટમેન્ટ સ્થાપ્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટી ઉપરાંત ઇંગ્લૅન્ડની સાઉધમ્પટન યુનિવર્સિટી, અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટી, રવીન્દ્રનાથ ઠાકુરે સ્થાપેલી શાંતિનિકેતન યુનિવર્સિટી અને હૈદરાબાદ ખાતેની કેન્દ્રીય યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમનું હિંદી અને અંગ્રેજી ભાષાઓ પર અદ્ભુત પ્રભુત્વ હતું. ‘રામુ’ નામના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતા થયેલા રામચંદ્રની દર્શનશાસ્ત્ર વિષય પરની પકડથી પશ્ચિમના દાર્શનિકો વ્હાઇટહેડ અને લુડવિંગ વિટેન્સ્ટેન તથા ભારતના મહર્ષિ અરવિંદ અને રમણ મહર્ષિ પણ પ્રભાવિત થયેલા. ઉપનિષદોની બારીકાઈનો ઊંડાણથી અભ્યાસ કરી દર્શનશાસ્ત્ર જેવા જટિલ વિષય પરનાં તેમનાં પ્રવચનોથી શ્રોતાઓ દિગ્મૂઢ થઈ જતા. તેમણે લખેલાં પુસ્તકોમાં તેમની પ્રતિભા જણાઈ આવે છે. 1976માં ‘ધ અવેલેબિલિટી ઑવ્ રિલિજિયસ લૅંગ્વેજ’, 1984માં ‘આઈ એમ ધાઉ’, 1992માં ‘સિતાઝ કિચન : અ ટેસ્ટીમોની ઑફ ફેઇથ ઍન્ડ ઇન્કયારી’, 2003માં ‘સ્વરાજ – અ જર્ની વિથ તૈયબ મહેતાઝ શાંતિનિકેતન ત્રિપ્ટીચ’ અને 2005માં ‘મુનિયાઝ લાઇટ : અ નેરેટિવ ઑફ ટ્રૂથ ઍન્ડ મિથ’ તેનાં ઉદાહરણો છે.