Categories
વાચન સમૃદ્ધિ

બાળ સીતારામ મર્ઢેકર

જ. ૧ ડિસેમ્બર, ૧૯૦૯ અ. ૨૦ માર્ચ, ૧૯૫૬

‘નવતર’ મરાઠી કવિતા અને વિવેચનના પ્રણેતા. એમનો જન્મ ખાનદેસપ્રદેશના ફૈઝપુર(મહારાષ્ટ્ર)માં થયો હતો. તેઓ પુણે યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને આઈ.સી.એસ.ની પરીક્ષા માટે લંડન ગયા, પણ તેમાં નિષ્ફળતા મળી. જોકે એ નિમિત્તે તેમનો બૌદ્ધિક વિકાસ ખૂબ થયો. ઇંગ્લૅન્ડના સાહિત્યિક પ્રવાહોના અભ્યાસને કારણે તેમની સાહિત્યિક રુચિનું ઘડતર સરસ થયું. ૧૯૩૨માં ભારત પાછા આવ્યા અને ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં મદદનીશ સંપાદક તરીકે જોડાયા. ત્યારબાદ ધારવાડ, મુંબઈ અને અમદાવાદની સરકારી કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૩૮માં ઑલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા અને ત્યાં છેક સુધી કાર્યરત રહ્યા. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શિશિરાગમ’ ૧૯૩૯માં પ્રગટ થયો. ‘કાહી કવિતા’ (૧૯૪૭), ‘આણખી કાહી કવિતા’ (૧૯૫૧), ‘આલા આષાઢ શ્રાવણ’ તેમના અન્ય કાવ્યસંગ્રહો છે. તેમની પાસેથી ‘રાત્રિચા દિવસ (૧૯૪૨), ‘તામ્બડી માતી’ (૧૯૪૩), ‘પાની’ (૧૯૪૮) વગેરે નવલકથાઓ પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત તેમણે નાટક, સંગીત અને વિવેચનક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. ‘કર્ણ’, ‘નટશ્રેષ્ઠ’, ‘સંગમ’, ‘ઔકશાન’ વગેરે નાટકો તેમની પાસેથી મળ્યાં છે. અન્ય સર્જકો સાથે તેમના પ્રદાનનો તુલનાત્મક અભ્યાસ પણ સંશોધન માટે થયો છે.

કોઈ પણ સાહિત્યિક પરંપરાનું તેમણે આંધળું અનુકરણ કર્યું નથી. સંસ્કૃત અને અંગ્રેજી અભિવ્યક્તિના દેખીતા અનુકરણને બદલે કાવ્યક્ષેત્રે તેમણે હિંમતભર્યા અને નવા પ્રયોગો કર્યા છે અને નવો પ્રતીકવાદ વિકસાવ્યો હતો. તેમનાં બિનપરંપરાગત કલ્પનાચિત્રો અને ભાષાવિષયક નવા અર્થઘટનને કારણે તેઓ ‘ક્રાંતિકારી કવિ’ તરીકે જાણીતા થયા છે. સાહિત્યિક મુલવણીના સંદર્ભમાં સૌંદર્યમૂલક અભિગમ અને સાહિત્ય તથા વિવેચનના સિદ્ધાંત જેમાં સ્થાપિત કર્યા છે તેવી કૃતિ ‘સૌંદર્ય આણિ સાહિત્ય’ (૧૯૫૫) માટે તેમને ૧૯૫૬ના વર્ષનો સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

વિઠ્ઠલદાસ દામોદર ઠાકરશી

જ. ૩૦ નવેમ્બર, ૧૮૭૩ અ. ૧૨ ઑગસ્ટ, ૧૯૨૨

પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, દાનવીર અને સામાજિક કાર્યકર્તા સર વિઠ્ઠલદાસનો જન્મ મુંબઈમાં ભાટિયા જ્ઞાતિના વૈષ્ણવ કુટુંબમાં થયો હતો. ૧૮૯૧માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. તે પછી એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો. પિતાના ધંધામાં જોડાવા માટે અભ્યાસ અધૂરો છોડ્યો, પરંતુ જ્ઞાન મેળવવાની લગની તીવ્ર હોવાથી અંગ્રેજી, સંસ્કૃત, હિંદુ ધર્મ, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વગેરેનો અભ્યાસ ઘરે રહીને કર્યો. ૧૮૯૪માં મુંબઈના કાપડઉદ્યોગની સુધારણાની જરૂરિયાતો વિશે ગુજરાતીમાં મૌલિક લેખ લખ્યો. ટૂંકા ગાળાના ધિરાણની મદદથી પ્રજાકલ્યાણ માટે જાહેર બાંધકામો કરવાનો આગ્રહ કરતી નોંધ તેમણે તૈયાર કરી હતી. અતિશય વાંચન, અધ્યયન અને કઠિન પરિશ્રમને પરિણામે તેઓ કાબેલ વેપારી અને સાહસિક ઉદ્યોગપતિ બન્યા. તેમને વિપુલ ધનરાશિ પ્રાપ્ત થઈ. ૧૯૦૦ સુધીમાં તો મુંબઈના અગ્રગણ્ય શ્રીમંતોમાં તેમની ગણના થવા માંડી. દેશના ઔદ્યોગિક વિકાસમાં તથા ખાસ કરીને કાપડઉદ્યોગક્ષેત્રે તેમનું યોગદાન અત્યંત મૂલ્યવાન ગણાય છે.

સર વિઠ્ઠલદાસ જાહેરજીવન અને રાજકારણમાં પણ સક્રિય હતા. ૧૯૦૦ના દશકમાં તેઓ ઇમ્પીરિયલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાના સભ્ય હતા. ૧૯૦૩માં કૉલકાતામાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ઔદ્યોગિક સંમેલનની અધ્યક્ષતા કરી. તેઓ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન, મુંબઈ ધારાસભા અને કેન્દ્રીય ધારાસભાના સભ્ય હતા. તેઓ રાષ્ટ્રીય કૉંગ્રેસના સમર્થક હતા. તેમણે અનેક સખાવતો કરી છે. કાશી, દ્વારકા અને અન્ય યાત્રાધામોની પાઠશાળાઓને તેમણે દાન કર્યાં છે. ધોંડો કેશવ કર્વેની મહિલા તાલીમશાળા અને હિંગણે આશ્રમ(પુણે)ને તેમણે આર્થિક મદદ કરી છે. માતા નાથીબાઈની સ્મૃતિમાં ‘શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી’ (SNDT) મહિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી. મુંબઈના કામદાર વિસ્તાર પરેલમાં પિતાની યાદગીરીમાં ૧૯૧૯માં દામોદર ઠાકરશી હૉલ બંધાવ્યો. ૧૯૫૯માં તેમનાં પત્ની પ્રેમલીલા ઠાકરશીએ સર વિઠ્ઠલદાસ ઠાકરશી કૉલેજ ઑવ્ હોમસાયન્સની સ્થાપના કરી.

૧૯૦૮માં બ્રિટિશ સરકાર દ્વારા ‘નાઇટ’ની ઉપાધિથી તેમને સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અલી સરદાર જાફરી

જ. ૨૯ નવેમ્બર, ૧૯૧૩ અ. ૧ ઑગસ્ટ, ૨૦૦૦

ઉર્દૂ ભાષાના જાણીતા લેખક, વિવેચક અલી સૈયદ જાફરીનો જન્મ ઉત્તરપ્રદેશના બલરામપુર શહેરમાં થયો હતો. કૌટુંબિક નામને કારણે સાહિત્યિક વર્તુળોમાં સરદાર જાફરી નામે ઓળખાતા થયા. ૧૯૩૩માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં દાખલ થયા. દરમિયાન માર્ક્સની વિચારસરણી તરફ આકર્ષાયા. ૧૯૩૬માં અંગ્રેજી શાસન વિરુદ્ધ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવા બદલ યુનિવર્સિટી છોડવી પડી. ત્યારબાદ ૧૯૩૮માં દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. અનુસ્નાતક અભ્યાસ લખનૌ યુનિવર્સિટીમાંથી પૂરો કર્યો, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પ્રસંગે યુદ્ધવિરોધી કવિતા કર્યા બદલ અટકાયત થવાથી પરીક્ષા આપી શક્યા નહિ અને નજરકેદ થયા. લેખક તરીકેની કારકિર્દીનો પ્રારંભ ૧૯૩૮માં ટૂંકી વાર્તાઓના સંગ્રહ ‘મંઝીલ’થી થયો. ૧૯૪૪માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘પરવાઝ’ પ્રગટ થયો. ૧૯૩૬માં પ્રગતિશીલ લેખક સંઘ સ્થપાયો. ૧૯૩૮માં તેની કૉલકાતા પરિષદ વખતે સરદાર જાફરી તેમાં જોડાયા. ૧૯૩૯માં તેઓ સંઘની પત્રિકા ‘નયા અદબ’ના સહસંપાદક બન્યા.

લાલ કિલ્લા, સાબરમતી હરિજન આશ્રમ, તીનમૂર્તિભવન આદિના ધ્વનિપ્રકાશ કાર્યક્રમોનું આલેખન કર્યું. ‘સંત કબીર’, ‘મહંમદ ઇકબાલ’ અને ‘હિન્દુસ્તાન હમારા’ એ દસ્તાવેજી ચિત્રો તથા ‘કહકશાં’ નામે ટીવી શ્રેણી તૈયાર કર્યાં. સૈયદ જાફરી તેમનાં લખાણો તથા તેમાં વ્યક્ત થતા ક્રાંતિપ્રેરક વિચારો માટે  અમુક વર્ગમાં ભારે ચાહના પામ્યા હતા. તેમણે ‘ગુફતગુ નામના સામયિકનું પણ સંપાદન કર્યું હતું. તેમણે લખેલો છેલ્લો સાહિત્ય સંગ્રહ ‘સરહદ’, તે વખતના ભારતના પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈ ૧૯૯૯માં લાહોર બસયાત્રામાં તેમની સાથે લઈ ગયા હતા અને પાકિસ્તાનના તે વખતના વડાપ્રધાન નવાઝ શરીફને ભેટ આપ્યો હતો. તેમનાં જાણીતાં કાવ્યસંગ્રહોમાં ‘પરવાઝ’, ‘કિસકા ખૂન હૈ’, ‘નઈ દુનિયા કો સલામ’, ‘ખૂન કી લકીર’, ‘પથ્થર કી દીવાર’ વગેરેનો સમાવેશ થાય છે. ‘મંઝીલ’, ‘લખનઉ કી પાંચ રાતે’, ‘ઇકબાલ શનાસી’ તેમનાં ગદ્યનાં પુસ્તકો છે. ‘દીવાને ગાલિબ’, ‘દીવાને મીર’, ‘કબીરબાની’, ‘પ્રેમબાની’ તેમનાં સંપાદિત પુસ્તકો છે. તેમનાં કાવ્યોનું જુદી જુદી ભાષાઓમાં ભાષાંતર થયેલ છે.

તેમને અર્પણ થયેલા નોંધપાત્ર પુરસ્કારોમાં જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૯૭), પદ્મશ્રી (૧૯૬૭), જવાહરલાલ નહેરુ ફેલોશિપ (૧૯૭૧), ડી. લિટ્. માનાર્હ ઉપાધિ – અલીગઢ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

અમલા પરીખ