Categories
વાચન સમૃદ્ધિ

ફાટફાટ સમૃદ્ધિ કોરીકટ દરિદ્રતા લાગે છે !

આખો દિવસ વાદળછાયું આકાશ હોય અને સૂર્યનું એક કિરણ પણ જોવા ન મળે, ત્યારે એને પામવા માટે મન કેટલું બધું તડપતું હોય છે ! એ પ્રકાશ વિના વાતાવરણ ગમગીન અને ઉદાસ લાગે છે અને ચિત્ત પર ભારે બોજનો અનુભવ થાય છે. એવા વાદળછાયા આકાશમાંથી કિરણ ફૂટે, ધીરે ધીરે સૂર્યનો પ્રકાશ ફેલાય ત્યારે મન કેવું નાચી ઊઠે છે ! પ્રકાશની સાથે ચિત્તને ગાઢ સંબંધ છે. એ જ મનને તાજગી, સ્ફૂર્તિ અને ઉત્સાહ આપે છે, પરંતુ જ્યારે આત્મામાં પ્રકાશનો અનુભવ થાય છે ત્યારે એમ લાગે છે કે બહારનું અંધારું કે પ્રકાશ – એ સઘળું જ અંધકારમય હતું. જેને ઉત્સાહપ્રેરક પ્રકાશ માનતા હતા એ પણ ક્યાં પ્રકાશ છે ? ભીતરનો પ્રકાશ મળતાં બહારનો પ્રકાશ અંધકારમાં પરિવર્તન પામે છે. ધીરે ધીરે બહારનો પ્રકાશ કે અંધકાર બધું જ ઓગળી જાય છે અને ભીતરમાં પ્રકાશનું અજવાળું સતત ફેલાયેલું રહે છે.

આ ભીતરનો પ્રકાશ કોઈ આકાર ધરાવતો નથી, કોઈ વસ્તુ સાથે સંબંધિત નથી. માત્ર એનો અનુભવ વ્યક્તિના અણુએઅણુમાં વ્યાપી રહે છે. એ પ્રકાશમાંથી જાગતી દૃષ્ટિ જગતને બદલી નાખે છે, પહેલાં બહાર જે દેખાતું હતું અને જેની ચાહના હતી એ બધું શૂન્યવત્ બની જાય છે. બહારની ગમગીની કે ઉત્સાહ ઓસરી જાય છે. એ પ્રકાશનો કઈ રીતે ઉદગમ થયો, એનો સહેજે અણસાર નહોતો, પણ ભીતરનો આ પ્રકાશ વ્યક્તિનું અસ્તિત્વ પલટી નાખે છે. દુનિયા એવી જ બેઢંગી હોય છે, પણ પ્રકાશની પ્રાપ્તિ પછી સઘળા  ઢંગ બદલાઈ જાય છે. જીવન એ જ હોય છે, પણ જીવનના રંગ પલટાઈ જાય છે. પહેલાં લાલ રંગનું આકર્ષણ હતું, હવે શ્વેત રંગ પસંદ પડે છે. પહેલાં જેમ ફાટફાટ સમૃદ્ધિ જોઈ હતી, ત્યાં કોરીકટ નિર્ધનતા નજરે પડે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

નીનુ મજુમદાર

જ. ૯ નવેમ્બર, ૧૯૧૫ અ. ૩ માર્ચ, ૨૦૦૦

માત્ર ગાયક નહિ પણ સંગીતજ્ઞ અને બહુશ્રુત સ્વરકાર નીનુ મજુમદારનો જન્મ વડોદરામાં થયો હતો. પિતા નગેન્દ્રભાઈ ચલચિત્રોના અભિનેતા અને સંગીતકાર હતા. બાળપણથી જ સંગીત સાથે લગાવ હતો અને તેથી જ  નીનુભાઈએ ઉસ્તાદ ફૈયાઝખાં અને ઉસ્તાદ ઇમામઅલીખાન પાસે સંગીતની તાલીમ લીધી હતી. ૧૯૩૧માં મુંબઈ આવીને નીનુભાઈ પિતા સાથે જોડાયા. રવીન્દ્રસંગીતની પણ તાલીમ લીધી. ૧૯૩૭માં વારાણસી જઈ ઉત્તર ભારતનું લોકસંગીત શીખ્યા. મુંબઈ પાછા આવીને પિતાની સાથે જ તેમણે ચલચિત્રોમાં સંગીત આપવાનું શરૂ કર્યું. શરૂઆત તેમણે બંસરીવાદનથી કરી. સમય જતાં હિંદી અને ગુજરાતી ચિત્રોમાં પાર્શ્વગાયક અને સંગીતકાર બન્યા. સી. એચ. આત્મા અને મીના કપૂર પાસે તેમણે ગીતો ગવડાવ્યાં હતાં. હિંદી ચિત્ર ‘ગોપીનાથ’માં તેમનું સંગીત ખૂબ વખણાયું હતું. ૧૯૫૬માં વી. શાંતારામે બનાવેલા દસ્તાવેજી ચિત્ર ‘ગુજરાતનું લોકસંગીત’નું નિર્દેશન નીનુભાઈએ કર્યું હતું. નીનુભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સંગીતમાં શાસ્ત્રીય, લોક અને સુગમસંગીત, ગરબા, નાટક વગેરે ક્ષેત્રોમાં તેમની આગવી સૂઝ હતી. ગુજરાતના ગામડે ગામડે ફરીને તેમણે લોકસંગીતનું સંશોધન કર્યું હતું. ૧૯૫૩થી ૧૯૭૫ સુધી આકાશવાણી મુંબઈમાં સંગીતનિર્માતા તરીકે તેઓ કાર્યરત હતા. ત્યાંથી નિવૃત્ત થયા બાદ ‘સીતાયન’ અને બીજાં સંગીતનાટકો તેમણે લખ્યાં હતાં. તેમણે સ્વરબદ્ધ કરેલાં જાણીતાં ગીતોમાં ‘મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ’, ‘રક્ષા કરો જગદંબા ભવાની’, ‘પંખીઓએ કલશોર કર્યો’ વગેરેનો સમાવેશ થાય છે.

તેમનું આખું કુટુંબ વિવિધ કળા સાથે સંકળાયેલું છે. પત્ની કૌમુદી મુનશી ગુજરાતની કોકિલાના ઉપનામથી પ્રખ્યાત ગાયિકા હતાં અને પુત્રી રાજલ મહેતા પણ ગાયિકા છે. મીનળ પટેલ અભિનેત્રી છે અને સોનલ શુક્લ લેખિકા છે. પુત્ર ઉદય મજુમદાર ગાયક અને સંગીતકાર છે. નીનુ મજુમદારની ગીત બંદિશોમાં કાવ્ય અને સંગીતના ઊંડા રસની અભિવ્યક્તિ પ્રાપ્ત થાય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

સુરિન્દરિંસહ નરૂલા

જ. ૮ નવેમ્બર, ૧૯૧૭ અ. ૧૬ જૂન, ૨૦૦૭

પંજાબના પ્રગતિવાદી સાહિત્યકાર સુરિન્દરસિંહ નરૂલાનો જન્મ અમૃતસરમાં થયો હતો. અમૃતસરની ખાલસા કૉલેજમાંથી ત્રણ સુવર્ણચંદ્રકો મેળવીને બી.એ. થયા અને ૧૯૩૮માં રાજ્ય સચિવાલયમાં કાર્યરત બન્યા. ૧૯૪૨માં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે લુધિયાણાની સરકારી કૉલેજમાં અંગ્રેજી અને અમેરિકન સાહિત્યના અનુસ્નાતક વિભાગના વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યું. રાવલપિંડીની ખાલસા કૉલેજમાં પણ થોડા સમય માટે કામ કર્યું. સુરિન્દરસિંહે પંજાબી કથાસાહિત્યમાં યથાર્થવાદનો આરંભ કર્યો અને નવલકથાના વિષયવસ્તુ અને શૈલીની દૃષ્ટિએ અસંખ્ય પ્રયોગો કર્યા. એમની કથાઓની વિશેષતા એમાંની દૃશ્યક્ષમતાને કારણે છે. તેમની પ્રથમ નવલકથા ‘પિયો પુત્તર’(પિતા-પુત્ર)માં અમૃતસરના શહેરીજીવનનું સર્વવ્યાપી ચિત્રનું ઐતિહાસિક દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. તેમની બીજી નવલકથા ‘સિલાલૂની’માં ભારતના વિભાજન પછી પંજાબમાં થયેલાં હત્યાકાંડનાં હૃદયદ્રાવક દૃશ્યોનો ચિતાર આલેખ્યો છે. તેમની કેટલીક પ્રસિદ્ધ નવલકથાઓમાં ‘રંગમહલ’, ‘જગબીતી’, ‘રાહે કુરાહે’, ‘નીલીબાર’, ‘દીનદુખિયા’ વગેરેનો સમાવેશ થાય છે. તેમનાં લખાણોનો હિન્દી, ગુજરાતી, બંગાળી તથા મલયાળમ ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમનાં કેટલાંક પુસ્તકોનો રશિયન તેમજ કેટલીક વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમણે ૧૨ નવલકથાઓ, ૭ ટૂંકી વાર્તાનાં પુસ્તકો, કવિતાસંગ્રહો તથા વિવેચનકાર્ય પંજાબી અને અંગ્રેજી ભાષામાં લખ્યાં છે. તેમનાં લખાણોમાં ડાબેરી વિચારસરણીની છાંટ જણાય છે.

તેમની પ્રસિદ્ધ નવલકથા ‘સિલાલૂની’ માટે પંજાબ સરકાર તરફથી ૧૯૫૫માં તેમને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. ૧૯૮૧માં પંજાબ સરકારના સાહિત્ય વિભાગ તરફથી વર્ષના શ્રેષ્ઠ સાહિત્યકારનો ઍવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

શુભ્રા દેસાઈ