Categories
વાચન સમૃદ્ધિ

કે. એમ. કરીઅપ્પા

જ. ૨૮ જાન્યુઆરી, ૧૮૯૯ અ. ૧૫ મે, ૧૯૯૩

સ્વતંત્ર ભારતના લશ્કરના પ્રથમ સરસેનાપતિ કે. એમ. કરીઅપ્પાનો જન્મ કૂર્ગ(કર્ણાટક)માં થયો હતો. શરૂઆતનું શિક્ષણ મરકારા તથા મદ્રાસ (ચેન્નાઈ) ખાતે લીધું હતું. ઇન્દોરની ડૅલી કૉલેજમાં ઉચ્ચશિક્ષણ માટે પ્રવેશ મેળવ્યો. ત્યાંથી ભારતીય લશ્કરમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ભરતી થયા. ૧૯૨૦-૨૧માં ઇરાક ખાતે, ૧૯૨૨-૨૫ તથા ૧૯૨૮-૩૦માં વાયવ્ય સરહદ પ્રાંતમાં તેમણે કામગીરી કરી અને કાબેલ અધિકારી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૪૧-૪૨માં ઇરાક, સીરિયા તથા ઈરાન વિસ્તારના યુદ્ધમોરચા પર કામ કર્યું અને ૧૯૪૩-૪૪માં બ્રહ્મદેશના આરાકાન્ત પ્રદેશમાં લશ્કરી કાર્યવાહીમાં ભાગ લીધો. ભારત-પાકિસ્તાનના વિભાજન વખતે  ભારતીય લશ્કરની વહેંચણી કરવાનું કામ ખૂબ સારી રીતે તેમણે પાર પાડ્યું. ૧૯૪૯માં ૧૫મી જાન્યુઆરીએ તેઓ સ્વતંત્ર ભારતના પહેલા સરસેનાપતિ નિમાયેલા. કાશ્મીરનું પહાડી યુદ્ધ તેમની કુશળ નેતાગીરીમાં જ લડાયેલું. ૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધ સમયે તેઓ મોરચા પર જઈને જવાનોને પ્રોત્સાહિત કરતા. નિવૃત્તિ બાદ, તેમણે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ ખાતે ભારતના એલચી તરીકે સેવાઓ આપી. ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું તે પછીના સમયમાં ભારતના લોકોમાં દેશના સંરક્ષણ માટેની સભાનતા વધે તથા ભારતીય યુવાનો લશ્કરમાં જોડાય તે માટેનું પ્રોત્સાહન આપવા માટે તેમણે સમગ્ર દેશનો પ્રવાસ કર્યો.

૧૯૭૭માં મૈસૂર વિશ્વવિદ્યાલયે તેમને ડી.એસસી.ની માનાર્હ પદવી આપી હતી. લશ્કરના એક ઉમદા સેનાપતિ તરીકે તેમને દેશ-વિદેશમાં સન્માનવામાં આવ્યા હતા. ૧૯૪૯માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હૅરી ટ્રુમને તેમને ‘લિજિયન ઑવ્ મેરિટ’ તથા ‘ચીફ કમાન્ડર’ની પદવી આપી હતી. નેપાળના રાજાએ તેમને નેપાળની સેનાના માનાર્હ જનરલના હોદ્દાથી સન્માન્યા હતા. ૧૯૮૬માં ભારત સરકારે તેમને ભારતીય લશ્કરના ‘ફિલ્ડમાર્શલ’ના સર્વોચ્ચ હોદ્દાથી સન્માન્યા હતા. આ સન્માન મેળવનારા તેઓ સેમ માણેકશા પછીના બીજા ભારતીય સેનાપતિ હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ડબલ્યૂ ડી. વેસ્ટ

જ. ૨૭ જાન્યુઆરી, ૧૯૦૧ અ. ૨૩ જુલાઈ, ૧૯૯૪

ભારતીય ભૂસ્તરશાસ્ત્ર તેમજ ભારતમાં ભૂસ્તરશાસ્ત્રના અધ્યયન અને અધ્યાપનમાં મોટો ફાળો આપનાર વિલિયમ ડિક્સન વેસ્ટનો જન્મ બોર્નમથ, ઇંગ્લૅન્ડમાં થયો હતો. તેમનો મોટા ભાગનો જીવનકાળ ભારતમાં જ વીતેલો. ડૉ. વેસ્ટે તેમનું શિક્ષણ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી લીધેલું. ૧૯૨૦માં તેમણે નેચરલ સાયન્સની માનાર્હ પરીક્ષા પસાર કરેલી. ૧૯૨૨માં વિન્ચેસ્ટર પ્રાઇઝ અને હાર્નેસ શિષ્યવૃત્તિ મેળવેલી. ૧૯૨૩માં જિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં જોડાયા ત્યારથી ૧૯૪૨ સુધીના બે દાયકા દરમિયાન તેઓ વિવિધ ભૂસ્તરીય અન્વેષણકાર્યમાં પરોવાયેલા રહ્યા. તેમાં નાગપુર જિલ્લાના સોસરપટ્ટાનું અન્વેષણ, સિમલા હિમાલયના શાલી અને તેની આજુબાજુના વિસ્તારનું નકશાકાર્ય તથા બલૂચિસ્તાનમાં ભૂકંપનો અભ્યાસ અને અફઘાનિસ્તાનમાં કોલસાનું આર્થિક અન્વેષણ વિશેષ ઉલ્લેખનીય છે. ડેક્કન ટ્રેપ લાવા પ્રવાહો પરનું તેમનું કામ પણ આ ખંડીય લાવા શ્રેણીના અભ્યાસમાં ખૂબ મદદરૂપ બની રહેલું. ૧૯૪૫માં ડૉ. વેસ્ટ ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતાના ડિરેક્ટર બન્યા હતા. તેમણે આ ખાતાના ઉત્કર્ષ અને વિકાસ માટે રાષ્ટ્રીય ઉન્નતિના સંદર્ભમાં બે પંચવર્ષીય આયોજનો પણ કરી આપ્યાં હતાં. બીજા વિશ્વયુદ્ધને કારણે ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણની પ્રવૃત્તિઓ પર વિપરીત અસર પડી; જેના પુન: સ્થાપનની વ્યવસ્થા કરવાની જવાબદારી તેમને સોંપાઈ હતી. ડૉ. વેસ્ટની દીર્ઘ ષ્ટિએ ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતાની ભાવિ સફળતાનાં દ્વાર ખોલી આપ્યાં. તેઓ સાગર યુનિવર્સિટીના જિયૉલૉજી ડિપાર્ટમેન્ટનું એક અવિભાજ્ય અંગ હતા. તેમને ભારત અને ભારતીયો માટે અનહદ પ્રેમ અને લાગણી હતાં. એક માનવી તરીકે તેઓ સ્વભાવે ખૂબ જ નમ્ર, માયાળુ અને પદ્ધતિસરની કાર્યશૈલીના આગ્રહી હતા. વિજ્ઞાની સાથીદારો અને વિદ્યાર્થીઓનું કલ્યાણ સધાય એમાં જ એમની રુચિ અને રસ હતાં. તેમણે ઘણા ભૂસ્તરવિદોની સમસ્યાઓ ઉકેલી આપી હતી. ભારતીયોની યોગ્ય અપેક્ષાઓને હંમેશાં પ્રોત્સાહિત કરી હતી. ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતાએ ૨૦૦૦ના જાન્યુઆરીની ૨૭મી તારીખે તેમની એકસોમી જન્મજયંતી ઊજવીને તેમના પ્રત્યેની માનની લાગણીને મૂક અંજલિ આપી હતી.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

ભોગીલાલ ગાંધી

જ. ૨૬ જાન્યુઆરી, ૧૯૧૧ અ. ૧૦ જૂન, ૨૦૦૧

અગ્રણી સ્વાતંત્ર્યસેનાની તથા સાહિત્યકાર ભોગીલાલ ગાંધીનું ઉપનામ ‘ઉપવાસી’ હતું. જન્મ મોડાસામાં પણ અમદાવાદ, મુંબઈ અને ભરૂચમાં પ્રારંભિક શિક્ષણ મેળવી ૧૯૩૦માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. સ્વાતંત્ર્યચળવળમાં સક્રિય હોવાથી જેલવાસ વેઠ્યો અને તે દરમિયાન માર્કસવાદી સાહિત્યથી આકર્ષાઈ ૧૯૪૦માં સામ્યવાદી પક્ષમાં જોડાયા. સ્વરાજ પછી સામ્યવાદી પક્ષની નવી નીતિના સંદર્ભમાં અઢાર માસનો જેલવાસ થયો. ત્યારબાદ વૈચારિક મૂલ્યાંકન બાદ ૧૯૫૬માં પક્ષમાંથી રાજીનામું આપ્યું પછી જયપ્રકાશ નારાયણના આંદોલન સાથે જોડાયા. ગુજરાતમાં જનતા મોરચાની રચનામાં તથા કટોકટી સામેના લોકસંઘર્ષમાં તેમણે ૧૯૭૪-૭૭માં અગ્રભૂમિકા ભજવી હતી. ૧૯૫૮ના આરંભમાં અમદાવાદ-મુંબઈમાં પ્રગતિશીલ લેખક મંડળનું સંચાલન કરી ગુજરાતી પ્રકાશનોનું સંપાદન-સંકલન કર્યું. તેમણે ‘વિશ્વમાનવ’ સામયિક તથા સરદાર પટેલ યુનિવર્સિટી સંયોજિત જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના પ્રથમ સત્તાવીસ ગ્રંથો(૧૯૬૭-૧૯૯૦)નું સંપાદન કર્યું હતું. તેઓ ‘ઉપવાસી’ ઉપનામ હેઠળ લેખનકાર્ય કરતા. એમનાં મૌલિક પુસ્તકોમાં પ્રવાસકથા ‘મહાબળેશ્વર’ (૧૯૩૮); જીવનચરિત્રોમાં ‘પ્રા. કર્વે’, ‘રાજગોપાલાચારી’, ‘મહામાનવ રોમાં રોલાં’ (૧૯૫૮) અને ‘પુરુષાર્થની પ્રતિભા’(૧૯૩૯-૮૦)નો સમાવેશ થાય છે. તેમનો કાવ્યસંગ્રહ ‘સાધના’ (૧૯૪૩) અને વાર્તાસંગ્રહ ‘પરાજિત પ્રેમ’ (૧૯૫૭) અને ‘લતા’ (૧૯૬૭). અમુક અપવાદો બાદ કરતાં તેમણે મુખ્યત્વે સ્વાધ્યાયલક્ષી લેખન કર્યું છે. ‘સોવિયેટ રશિયા’ (૧૯૪૭), ‘સામ્યવાદ’ (૧૯૪૮), ‘રશિયાની કાયાપલટ’ (૧૯૫૯), ‘અદ્યતન સોવિયેત સાહિત્ય’ (૧૯૬૪), ‘મહર્ષિ ટૉલ્સ્ટૉય’ (૧૯૮૩) જેવાં પુસ્તકો સાથે સાથે સમીક્ષા પુસ્તકો ‘ઇન્દિરાજી કયા માર્ગે’ (૧૯૬૯), ‘ચમત્કારોનું મનોવિજ્ઞાન’ (૧૯૮૨) જેવા પરામનોવૈજ્ઞાનિક લેખો તથા ‘ઇસ્લામ – ઉદય અને અસ્ત’ (૧૯૮૪) જેવી લેખમાળાનું સંકલન પણ કર્યું છે. તેમજ બંગાળના ઉત્તમ સાહિત્યકારો શરદબાબુ, રવીન્દ્રનાથ વગેરેનાં લખાણોના અનુવાદ પણ કર્યા છે. દેવદાસનો અનુવાદ પણ તેમણે કરેલો. ૧૯૭૦માં લખેલા ‘મિતાક્ષર’ તેમનો સાંસ્કૃતિક અભ્યાસલેખ તથા ‘પાથેય’ ૧૯૭૨માં લખેલ વિચારમંથનનો લેખ છે. તેમના આવા પ્રદાનની કદર રૂપે ૨૦૧૧માં તેમની યાદમાં ‘ભોગીલાલ ગાંધી જન્મશતાબ્દી ગ્રંથ’ બહાર પાડવામાં આવ્યો હતો.

રાજશ્રી મહાદેવિયા