Categories
વાચન સમૃદ્ધિ

કર્નલ જેમ્સ ટૉડ

જ. ૨૦ માર્ચ, ૧૭૮૨ અ. ૧૮ નવેમ્બર, ૧૮૩૫

બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક અધિકારી. સ્કૉટલૅન્ડના ઇસ્લિંગટનમાં જન્મેલા જેમ્સ ટૉડને માત્ર સત્તર વર્ષની ઉંમરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નિયુક્તિ મળી. ૧૮૧૩માં તેમને કૅપ્ટનના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. ૧૮૧૮થી ૧૮૨૨ સુધી તેઓ પશ્ચિમી રાજપૂતાનાના પોલિટિકલ એજન્ટ તરીકે કાર્યરત રહ્યા. તેમણે રાજપૂત રાજ્યોમાં શાંતિ સ્થાપીને લોકોમાં વિશ્વાસ પેદા કર્યો. પરિણામ સ્વરૂપે માત્ર એક જ વર્ષમાં અગાઉ ખાલી થયેલાં ૩૦૦ જેટલાં કસબા અને ગામોમાં લોકો પાછા ફર્યા અને વેપારરોજગાર શરૂ થયો. તેમણે તેમના વહીવટનાં પાંચ વર્ષ દરમિયાન લોકોની ખૂબ ચાહના મેળવી. બ્રિટિશ રાજના રાજપ્રતિનિધિ તરીકે તેમનું યોગદાન ખૂબ ઉલ્લેખનીય રહ્યું. તેમની નિમણૂક દરમિયાન જ્યારે તેઓ પહેલી વાર ઉદયપુર ગયા ત્યારે રાજપૂતાના અને તેના આસપાસના પ્રદેશોના ટોપોગ્રાફિકલ નકશા તૈયાર કર્યા અને રાજપૂતાના પર નવો ઇતિહાસ-ગ્રંથ લખી ઇતિહાસનું પુનર્લેખન કરવાનું નક્કી કર્યું. ૧૮૧૯માં જોધપુર પહોંચી તેમણે પુરાતત્ત્વ પર ગહન શોધકાર્ય કર્યું. તેમણે ઘણી મુદ્રાઓ તથા અભિલેખોનો સંગ્રહ કર્યો જે ઇતિહાસલેખનમાં અત્યંત ઉપયોગી સાબિત થયો. ત્યારબાદ અજમેર, પુષ્કર, જયપુર, સીકર, ઝૂંઝનૂ, પાલી, મેડતા આદિ જગ્યાઓએ રહી ગ્રંથ માટે આધારસામગ્રી ભેગી કરી. આમ અથાગ મહેનત બાદ ૧૪ જાન્યુઆરી, ૧૮૨૩માં તેમણે ‘ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા’ કૃતિ પ્રકાશિત કરી. ૧૮૨૯માં ઇંગ્લૅન્ડ પાછા ફર્યા બાદ તેમની સુવિખ્યાત રચના ‘એનલ્ઝ ઍન્ડ ઍન્ટિક્વિટીઝ ઑફ રાજસ્થાન ઑફ ધ સેન્ટ્રલ ઍન્ડ વેસ્ટર્ન રાજપૂત સ્ટેટ્સ ઑફ ઇન્ડિયા’નો પ્રથમ ભાગ તથા ૧૮૩૪માં બીજો ભાગ પ્રકાશિત થયો. તેમની રચનામાં સર્વપ્રથમ વાર ‘રાજસ્થાન’ શબ્દનો પ્રયોગ થયો. તેમને રાજસ્થાનના ઇતિહાસ-લેખનના પિતામહ માનવામાં આવે છે. તેમનું નામ અને કામ ઇતિહાસ અને યાત્રા-સાહિત્યમાં બહુ આદર સાથે લેવાય છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

ડાહ્યાભાઈ ધોળશાજી

જ. ૧૯ માર્ચ, ૧૮૬૭ અ. ૩૦ એપ્રિલ, ૧૯૦૨

ગુજરાતી નાટ્યકાર તરીકે જાણીતા ડાહ્યાભાઈ ધોળશાજીની અટક ઝવેરી હતી. તેમનું તખલ્લુસ ‘નવીન’ હતું. તેમનો જન્મ અમદાવાદમાં જૈન ઓસવાળ જ્ઞાતિના એક શ્રીમંત કુટુંબમાં થયો હતો. તેમણે ૧૮૮૫માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં દાખલ થયા હતા, પરંતુ એક વર્ષ બાદ તેમણે અભ્યાસ છોડી દીધો હતો. ડાહ્યાભાઈ ધોળશાજીનું ગુજરાતી નાટકક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન છે. તેમણે ધના દેસાઈ અને ધમલા માળી જેવાં હાસ્યપોષક ખલપાત્રો(comic villains)નું સર્જન કર્યું હતું. નાટકોમાં તેમણે લોકગીતો અને લોકકથાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો. રંગમંચ ઉપર સચોટ સંવાદ લખવાની પ્રથા, ગીતોની આકર્ષક તરજો બાંધવાની, યુગલગીતો મૂકવાની તેમજ ‘ટૅબ્લો’ ગોઠવવાની પ્રથા તેમણે શરૂ કરી હતી. ૧૮૮૯માં કવિ કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુંતલમ્’ નાટકના અનુવાદથી તેમની સાહિત્યસર્જનની યાત્રા શરૂ થઈ હતી. તેમનાં નાટકોમાં મનુષ્યજીવનનાં સુખો અને દુ:ખો જેવાં સંવેદનોની છાયાઓની સાથોસાથ સદાચાર અને નીતિબોધ પણ વણાયેલા છે. ‘શાકુન્તલ’ બાદ ‘સતી સંયુક્તા, ‘સુભદ્રાહરણ’, ‘ભોજરાજ’, ‘ઉર્વશી અપ્સરા’, ‘વીર વિક્રમાદિત્ય’, ‘રામરાજ્યવિયોગ, ‘સતી પાર્વતી’, ‘ભગતરાજ’, ‘કેશર-કિશોર’, ‘મ્યુનિસિપલ ઇલેક્શન, ‘અશ્રુમતી’, ‘સરદારબા’, ‘ઉમાદેવડી’, ‘તારાસુંદરી’, ‘વીણા-વેલી’, ‘વિજયાવિજય’, ‘ઉદયભાણ’ અને ‘મોહિનીચંદ્ર’ જેવાં ૨૦થી વધુ નાટકો પ્રાપ્ત થાય છે. ‘વિજય-કમળા નાટકનો એક અંક ડાહ્યાભાઈએ અને બીજો અંક છોટાલાલ ઋષભદેવ શર્માએ ડાહ્યાભાઈના અવસાન બાદ ૧૯૦૪માં લખ્યો હતો.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

નગેન્દ્ર સિંહ

જ. ૧૮ માર્ચ, ૧૯૧૪ અ. ૧૧ ડિસેમ્બર, ૧૯૮૮

ભારતીય વકીલ અને પ્રશાસક નગેન્દ્ર સિંહનો જન્મ ડુંગરપુર, રાજસ્થાનમાં રાજપૂત સિસોદિયા રાજપરિવારમાં થયો હતો. ૧૯૮૫થી ૧૯૮૮ સુધી તેમણે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના અધ્યક્ષ તરીકે કામ કર્યું. તેઓએ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના પ્રથમ ભારતીય અધ્યક્ષ તરીકે પોતાની ઓળખ બનાવી. તેમના પિતા વિજય સિંહ ડુંગરપુર રિયાસતના રાજા હતા. માતાનું નામ દેવેન્દ્રકુંવરબા. મોટા ભાઈ લક્ષ્મણ સિંહ ડુંગરપુરના અંતિમ રાજા હતા. સિવિલ સેવામાં જોડાતાં પહેલાં નગેન્દ્ર સિંહે સેન્ટ જોન્સ કૉલેજ કેમ્બ્રિજમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ ભારતીય સિવિલ સેવામાં કાર્યરત બન્યા અને પૂર્વી રાજ્યોના ક્ષેત્રીય આયુક્ત બન્યા અને ભારતની સંવિધાન સભાના સભ્ય બન્યા. તેઓ ભારતના રક્ષામંત્રાલયના સંયુક્ત સચિવ તરીકે પરિવહન મહાનિર્દેશક તરીકે તથા સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં વિશેષ સચિવ તરીકે સક્રિય હતા. ૧૯૬૬થી ૧૯૭૨ સુધી તેઓ ભારતના રાષ્ટ્રપતિના સચિવ હતા. તે પછી ૧ ઑક્ટોબર, ૧૯૭૨થી ૬ ફેબ્રુઆરી, ૧૯૭૩ સુધી ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી (કમિશનર) રહ્યા. ૧૯૬૬, ૧૯૬૯ અને ૧૯૭૫માં મળીને ત્રણ વખત તેમને સંયુક્ત રાષ્ટ્રસભામાં ભારતના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ૧૯૬૭થી ૧૯૭૨ સુધી ખંડસમય માટે સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય વિધિ આયોગમાં કામ કર્યું. તેમને આંતરરાષ્ટ્રીય બાર ઍસોસિયેશનમાં સચિવ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૯૭૩માં તેઓ નેધરલૅન્ડના હેગમાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે ગયા અને ફેબ્રુઆરી, ૧૯૮૫થી ફેબ્રુઆરી, ૧૯૮૮ સુધી ત્યાં અધ્યક્ષ બની રહ્યા. તેઓ નિવૃત્તિ બાદ મૃત્યુપર્યંત હેગમાં જ રહ્યા. ૧૯૩૮માં તેમને કામા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૭૩માં ભારત સરકાર દ્વારા ‘પદ્મવિભૂષણ’થી તેમને સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ