Categories
વાચન સમૃદ્ધિ

જામિની રૉય

જ. ૧૧ એપ્રિલ, ૧૮૮૭ અ. ૨૪ એપ્રિલ, ૧૯૭૨

બંગાળ શૈલીમાં ચિત્રસર્જન કરનાર એક અગ્રણી આધુનિક ભારતીય ચિત્રકાર. તદ્દન સપાટ (flat) ભાસતાં તેમનાં ચિત્રો પર બંગાળ અને ઓડિશામાં તદ્દન નજીવી કિંમતે વેચાતાં ‘બાઝાર’ (Bazaar) અને કાલીઘાટ ચિત્રો અને આધુનિક યુરોપિયન ચિત્રશૈલીઓમાંથી ‘ફોવીઝમ’ ચિત્રશૈલીનો પ્રભાવ છે.

બાંકુરા જિલ્લાના સમૃદ્ધ કાયસ્થ બ્રાહ્મણ જમીનદાર પરિવારમાં તેમનો ઉછેર થયો. સોળ વર્ષની ઉંમરે કૉલકાતા ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ત્યાં વાઇસ પ્રિન્સિપાલ તથા બંગાળ ચિત્રશૈલીના સ્થાપક કલાકાર અવનીન્દ્રનાથ ટાગોર હેઠળ જીવતાં મૉડલોને તેલના માધ્યમમાં સંપૂર્ણ નગ્ન ચીતરવાનો કસબ શીખ્યા. ૧૯૦૮માં આ કૉલેજનો ડિપ્લોમા મેળવ્યો. પ્રિન્સિપાલ ઈ. બી. હાવેલની સૂચનાથી બંગાળની બઝાર અને કાલીઘાટ શૈલી ઉપરાંત સાંથાલ આદિવાસીઓની આદિમ (Primitive) કલાનાં લક્ષણોને આત્મસાત્ કર્યાં, પરિણામે રૉયની કલા તદ્દન સપાટ આભાસ ઊભો કરતી થઈ. તેઓ રોજનાં દસ ચિત્રો સર્જતા રહેતા અને તેમનાં ચિત્રોની કુલ સંખ્યા વીસ હજારને પાર કરી ગઈ. દેશવિદેશમાં અનેક સ્થળે તેમનાં ચિત્રોનાં પ્રદર્શન થયાં. તેમણે સમગ્ર જીવન કૉલકાતામાં પસાર કર્યું. પોતે કાલીઘાટ શૈલીમાં કામ કરતા હોવાથી તે પોતાને ‘પટુવા’ એટલે કે પટ ચીતરનાર ચિત્રકાર કહેવડાવતા. તેમનાં ચિત્રો દિલ્હી ખાતેની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, લંડન ખાતે વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં તથા કૉલકાતા ખાતેના ઇન્ડિયન મ્યુઝિયમમાં કાયમી ધોરણે પ્રદર્શિત છે. ૧૯૫૬માં તેઓ કેન્દ્રીય લલિતકલા અકાદમીના ફેલો તરીકે નિમાયા હતા.

૧૯૩૪માં ત્યારના વાઇસરૉયે તેમને સુવર્ણચંદ્રકથી નવાજ્યા હતા. ૧૯૫૪માં ભારત સરકારે તેમને પદ્મભૂષણ ખિતાબ આપ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. ધનંજય રામચંદ્ર ગાડગીલ

જ. ૧૦ એપ્રિલ, ૧૯૦૧ અ. ૩ મે, ૧૯૭૧

ભારતના અગ્રગણ્ય અર્થશાસ્ત્રી, પુણેના ગોખલે ઇન્સ્ટિટ્યૂટના સંસ્થાપક-નિયામક તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ. તેમનો જન્મ મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. બાળપણ નાગપુરમાં વીત્યું. તેમણે ૧૯૧૪માં સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી અને ૧૯૧૮માં ઉચ્ચશિક્ષણ માટે ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને  અર્થશાસ્ત્ર વિષયમાં પદવી પ્રાપ્ત કરી. તેમણે ‘ઇન્ડસ્ટ્રિયલ ઇવૉલૂશન ઇન ઇન્ડિયા ઇન રિસન્ટ ટાઇમ્સ’ શીર્ષક નીચે શોધપ્રબંધ લખ્યો એ પુસ્તક રૂપે વર્ષો સુધી ભારતના આર્થિક ઇતિહાસનું પ્રમાણભૂત પાઠ્યપુસ્તક રહ્યું હતું.

૧૯૨૩માં તેઓ ભારત પાછા ફર્યા. તેમણે સૂરતની એમ.ટી.બી. કૉલેજના આચાર્ય તરીકે કારકિર્દીનો આરંભ કર્યો.

તેઓ ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પોલિટિક્સ ઍન્ડ ઇકૉનૉમિક્સના પ્રથમ નિયામક થયા. ગાડગીલ સંખ્યાબંધ સહકારી સંગઠનો સાથે સભ્ય કે અધ્યક્ષ તરીકે ગાઢ રીતે સંકળાયેલા હતા. તેમણે સહકારી ધોરણે ખાંડનું સર્વપ્રથમ કારખાનું સ્થાપ્યું. ભારતના આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે તેમણે યાદગાર ભૂમિકા ભજવી. તેમના અંગત જીવનમાં તે સાદા અને શિસ્તબદ્ધ હતા અને નીતિ તથા ધર્મની બાબતમાં ભારે ઉદામવાદી વિચારો ધરાવતા હતા. તેમના અવસાન પછી 1972માં નાગપુરમાં ધનંજયરાવ ગાડગીલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કો-ઑપરેટિવ મૅનેજમેન્ટ (DGICM) શરૂ કરવામાં આવી. ભારત સરકારે તેમના સન્માનમાં એક ટપાલટિકિટ બહાર પાડી હતી. કોઈ અર્થશાસ્ત્રીના નામની ટિકિટ બહાર પડી હોય તેવો ભારતમાં આ પહેલો બનાવ છે.

Categories
વાચન સમૃદ્ધિ

લક્ષ્મીનારાયણ વૈદ્યનાથન

જ. 9 એપ્રિલ, 1942 અ. 19 મે, 2007

પ્રખ્યાત વાયોલિનવાદક, સંગીતકાર અને સંગીતદિગ્દર્શક લક્ષ્મીનારાયણ વૈદ્યનાથન કર્ણાટકી, હિન્દુસ્તાની અને પાશ્ચાત્ય એમ ત્રણેય સંગીત પ્રણાલિકાઓમાં કામ કરનારા સંગીતકાર તરીકે પ્રસિદ્ધ છે. પિતા વી. લક્ષ્મીનારાયણ અને માતા સીતાલક્ષ્મી બંને કુશળ સંગીતકાર હતાં. તેઓ પ્રખ્યાત વાયોલિનવાદક એલ. શંકર અને એલ. સુબ્રમણ્યમના મોટા ભાઈ હતા. તેમણે પ્રારંભમાં તેમના પિતા પાસે સંગીતનો અભ્યાસ કર્યો હતો.

લક્ષ્મીનારાયણ વૈદ્યનાથને આઠ વર્ષની ઉંમરે પહેલો વાયોલિનવાદનનો કાર્યક્રમ આપ્યો હતો. તેમણે વિવિધ ભાષાઓની ૧૭૦થી વધુ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. કમલ હસન અભિનીત મૂક ફિલ્મ ‘પેસુમ પદમ’ તેમના પાર્શ્વસંગીતને કારણે લોકપ્રિય બની હતી. તેમણે જી. કે. વેંકટેશના સહાયક સંગીતનિર્દેશક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેમણે ‘શોભરાજ ફિલ્મ માટે સંગીત આપી મલયાળમ ફિલ્મઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તેમણે આખું જીવન ફિલ્મસંગીતની દુનિયામાં વિતાવ્યું. તેમને ભારતીય શાસ્ત્રીય સંગીત અને પશ્ચિમી સંગીતનું ઊંડું જ્ઞાન હતું. આથી તેમની રચનાઓ અદ્યતન લાગતી હતી. તેમણે મૅન્ડોલીન, વાયોલિન, વાંસળી અને વિવિધ લોકવાદ્યોનાં મિશ્રણવાળી રચનાઓ કરી. તેમણે સી. અશ્વથ સાથે કામ કર્યું અને અશ્વથ-વૈદી નામથી ઘણી કન્નડ ફિલ્મો માટે સંગીત આપ્યું. તેમણે આર. કે. નારાયણની ‘માલગુડી ડેઝ’ ધારાવાહિકની શીર્ષક-ધૂન ‘થાના ના નાના’ બનાવી હતી, જે અત્યંત લોકપ્રિય બની હતી. તેમની સંગીતયાત્રાને અનેક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તમિળનાડુ સરકારે ફિલ્મ અને સંગીતના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપવા બદલ કલાઈમામણિ ઍવૉર્ડથી તેમને સન્માનિત કર્યા હતા.