Categories
વાચન સમૃદ્ધિ

યશવંત શુક્લ

જ. 8 માર્ચ, 1915 અ. 23 ઑક્ટોબર, 1999

ગુજરાતના જાણીતા કેળવણીકાર, વિવેચક, નિબંધકાર, પત્રકાર અને અનુવાદક યશવંત શુક્લનો જન્મ ઉમરેઠમાં થયો હતો. માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું. ૧૯૩૨માં મૅટ્રિક થયા. તે સમયે ટ્યૂશનો કરી જાતે અર્થોપાર્જન કરતા. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે બી.એ. થયા પછી સૂરતની એમ.ટી.બી. કૉલેજમાંથી  ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે એમ.એ. થયા. ત્યારબાદ ‘પ્રજાબંધુ’ના ઉપતંત્રી તરીકે જોડાયા. ત્યાં તેઓ પુસ્તકોની સમીક્ષાઓ લખતા તેમ જ ‘સંસારશાસ્ત્રી’ના ઉપનામથી સામાજિક પ્રશ્નોની ચર્ચા કરતા. તે દરમિયાન ગુજરાત કૉલેજમાં ખંડ-સમયના વ્યાખ્યાતા તરીકે અને પછી મુંબઈમાં અધ્યાપક તરીકે કામગીરી કરી. ત્યારબાદ અમદાવાદને કર્મભૂમિ બનાવી ગુજરાત વિદ્યાસભા અને ભો. જે. વિદ્યાભવનમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૫૫માં ગુજરાતમાં પહેલી ગુજરાતી માધ્યમની કૉલેજ શ્રી રામાનંદ મહાવિદ્યાલય(હાલની શ્રી હ. કા. આર્ટ્સ કૉલેજ)ના પ્રથમ આચાર્ય તરીકે ૧૯૫૫થી ૧૯૭૮ સુધી યશસ્વી કામગીરી કરી. આ દરમિયાન ૧૯૭૪માં એકાદ વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કુલપતિપદ સંભાળ્યું. તેમણે મુખપત્ર ‘બુદ્ધિપ્રકાશ’ના મુખ્ય સંપાદક તરીકે લાંબો સમય કામ કર્યું. તેઓ કેટલોક સમય નૅશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય હતા. ૧૯૮૩થી ૧૯૮૫ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહેલા. તેઓ ‘સંદેશ’માં અવારનવાર વિવેચનલેખો લખતા.

‘કેન્દ્ર અને પરિઘ’ (૧૯૮૦), ‘ઉપલબ્ધિ’ (૧૯૮૨) અને ‘શબ્દાન્તરે’ (૧૯૮૪) જેવા ગ્રંથોમાં અભ્યાસપૂર્ણ લેખો છે. આ ઉપરાંત ‘ક્રાંતિકાર ગાંધીજી’(૧૯૮૦)માં ગાંધીવિચાર વિશે બે વ્યાખ્યાનો સંગ્રહિત છે. તાર્કિકતા, સ્પષ્ટતા અને સુઘડતા તેમનાં ગદ્ય લખાણોની વિશેષતા છે. તેમણે અનુવાદક તરીકે પણ પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમણે ટૉલ્સ્ટૉય અને ઉમાશંકર જોશીની વાર્તાઓનું સંપાદન કર્યું છે. આ ઊંચી કોટિના વિદ્વાન, સાહિત્યકાર અને સમર્થ કેળવણીચિંતકને ૧૯૮૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૯૨માં રણજિતરામ ચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

પંડિત રવિશંકર

જ. ૭ એપ્રિલ, ૧૯૨૦ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૧૨

ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતારવાદક અને સંગીતજ્ઞ તરીકે પંડિત રવિશંકર જગમશહૂર છે. એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું. એમણે વિશ્વભરના કેટલાય મહત્ત્વના સંગીત ઉત્સવોમાં ભાગ લીધો હતો.

પંડિત રવિશંકરનો જન્મ એક બંગાળી પરિવારમાં થયો હતો. ૧૯૪૪માં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સત્યજિત રેલિખિત ફિલ્મ ‘અપુ ટ્રાયોલૉજી’ માટે સંગીત આપ્યું હતું. ૧૯૪૯થી ૧૯૫૬ સુધી ઑલ ઇન્ડિયા રેડિયો, નવી દિલ્હી ખાતે સંગીતનિર્દેશક તરીકે તેમણે સેવા આપી હતી. બ્લૉકબસ્ટર ‘ગાંધી’ (૧૯૮૨) ફિલ્મના અનુસંધાને એકૅડેમી ઍવૉર્ડ માટે તેમને નામાંકિત કરવામાં આવ્યા હતા.

વિશ્વવિખ્યાત ગિટારવાદક જ્યૉર્જ હેરિસન સાથેના તેમના સંપર્કથી ૧૯૬૦ના દાયકાના ઉત્તરાર્ધમાં પશ્ચિમી પોપ સંગીતમાં ભારતીય વાદ્યોનો ઉપયોગ લોકપ્રિય બન્યો હતો. સિતાર અને અન્ય ઑર્કેસ્ટ્રા માટે રચનાઓ લખીને તેઓ પશ્ચિમી સંગીતમાં જોડાયા હતા. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં તેમણે વિશ્વભરનો પ્રવાસ કર્યો હતો. ૧૯૮૮માં મૉસ્કોમાં તેમણે ૧૪૦ સંગીતકારો સાથે પર્ફૉર્મ કર્યું હતું. ૧૯૮૯માં તેમણે નૃત્યનાટક ‘ઘનશ્યામ’ રચ્યું હતું. સમકાલીન સંગીતકાર ફિલિપ ગ્લાસ સાથે તેમણે ૧૯૯૦માં ટેન્જેરીન ડ્રીમ બૅન્ડના પીટર બૌમન દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટમાં ‘પૅસોજીસ નામનું આલબમ બહાર પાડ્યું હતું.

પંડિત રવિશંકરે ૧૯૬૮માં ‘માય મ્યુઝિક, માય લાઇફ’ નામની આત્મકથા લખી હતી. ૧૯૯૭માં તેમણે ‘રાગમાલા’ નામે બીજી આત્મકથા લખી હતી. તેમણે ૧૯૮૬થી ૧૯૯૨ સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી.

પંડિત રવિશંકરને નાનાંમોટાં ૨૫થી વધુ સરકારી અને શૈક્ષણિક સન્માનો અને કલા-પુરસ્કારો પ્રાપ્ત થયાં હતાં. ભારત સરકારે તેમને ૧૯૬૭માં પદ્મભૂષણ, ૧૯૮૧માં પદ્મવિભૂષણ અને ૧૯૯૯માં ભારતરત્નથી નવાજ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સુચિત્રા સેન

જ. ૬ એપ્રિલ, ૧૯૩૫ અ. ૧૭ જાન્યુઆરી, ૨૦૧૪

‘મહાનાયિકા’નું બિરુદ મેળવનાર સુચિત્રા સેનનો જન્મ બાંગ્લાદેશમાં થયો હતો. તેમનું મૂળ નામ રોમા દાસગુપ્તા હતું. પિતા કરુણામય દાસગુપ્તા અને માતા ઇન્દિરા દેવી. તેમનો ઉછેર પટણામાં તેમના મોસાળમાં થયો હતો. નાની વયે જ તેમનાં લગ્ન દીબાનાથ સેન સાથે થયાં હતાં. સુચિત્રા પરણીને સાસરે ગયાં તે પછી તેમના સસરા અને પતિએ તેમની પ્રતિભા પારખી, તેમને અભિનય માટે ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે સુચિત્રા સેન નામ સાથે બંગાળી ચિત્રોમાં કામ શરૂ કરી દીધું. પરિણીત અભિનેત્રીને પ્રેક્ષકો પ્રણયદૃશ્યોમાં સ્વીકારતા નથી એવી એક માન્યતા તેમણે તોડી નાખી હતી. બંગાળી ચિત્રોના લોકપ્રિય અભિનેતા ઉત્તમકુમાર અને સુચિત્રા સેનની જોડીએ વર્ષો સુધી એક પછી એક સફળ ચિત્રો આપ્યાં હતાં. તેમણે અભિનય આપેલી ૬૦ ફિલ્મોમાં ૩૦ ફિલ્મો તેમણે ઉત્તમકુમાર સાથે કરી હતી. બંગાળી અને હિંદી ચિત્રોમાં રૂપસૌંદર્ય અને અભિનયપ્રતિભાથી એક અભિનેત્રી તરીકે જીવંત દંતકથા બની જવાની સિદ્ધિ તેમણે મેળવી હતી. બધાં ચિત્રોમાં તેમના તેજસ્વી વ્યક્તિત્વને કારણે તેમની ભૂમિકાઓ મહત્ત્વની બની રહી હતી. તેમણે ‘દેવદાસ’, ‘મમતા’ અને ‘આંધી’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ દમદાર અભિનય આપ્યો હતો.

સુચિત્રાના પતિ દીબાનાથનું ૧૯૬૯માં એક અકસ્માતમાં અવસાન થયું હતું. જોકે કાનૂની રીતે તે પહેલાં જ બંને છૂટાં પડી ગયાં હતાં. ૧૯૭૮ના અરસામાં તેમનું ચિત્ર વ્યાવસાયિક રીતે નિષ્ફળ જતાં સુચિત્રાએ એકાએક જ માયા સંકેલી લીધી હતી. તેમણે જાહેરમાં દેખાવાનું પણ બંધ કરી દીધું હતું. અભિનયમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં રહ્યાં હતાં. કોઈ પણ આંતરરાષ્ટ્રીય ચિત્ર મહોત્સવમાં પારિતોષિક મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યાં હતાં. તેમનાં નોંધપાત્ર ચલચિત્રોમાં ‘કજરી’, ‘સદાનંદેર જોલા’, ‘ઓરા થાકે ઓધારે’, ‘ગૃહપ્રવેશ’, ‘અગ્નિપરીક્ષા’, ‘દેવદાસ’, ‘ભાલોબાસા’, ‘સાગરિકા’, ‘દીપ જ્વલે જાય’, ‘સાત પાકે બાંધા’, ‘મમતા’, ‘આલો અમાર આલો’, ‘આંધી’ વગેરેનો સમાવેશ થાય છે. તેમને મળેલા પુરસ્કારોમાં ૧૯૭૨માં ‘પદ્મશ્રી’, ૨૦૧૨માં ‘બાન્ગા વિભૂષણ’, ૨૦૦૫માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ(જે તેમણે સ્વીકાર્યો ન હતો)નો સમાવેશ થાય છે.