Categories
વાચન સમૃદ્ધિ

બાબુ જગજીવનરામ

જ. ૫ એપ્રિલ, ૧૯૦૮ અ. ૬ જુલાઈ, ૧૯૮૬

બાબુજી તરીકે જાણીતા જગજીવનરામ સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી હતા. જેમણે ૩૦ વર્ષથી વધુ સમય માટે વિવિધ વિભાગોમાં મંત્રી તરીકે સેવા આપી હતી. ૧૯૨૭માં તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જોડાયા હતા જ્યાં તેમને બિરલા શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. ૧૯૩૧માં તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી મેળવી હતી અને મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ અસ્પૃશ્યતા વિરોધી ચળવળમાં પણ ભાગ લીધો હતો. બાબુ જગજીવનરામે ૧૯૩૫માં અસ્પૃશ્યો માટે સમાનતા પ્રાપ્ત કરવાના હેતુસર સમર્પિત સંગઠન ઑલ ઇન્ડિયા ડિપ્રેસ્ડ ક્લાસીસ લીગની સ્થાપના કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા બાદ ‘સત્યાગ્રહ’ અને ‘ભારત છોડો’ આંદોલનમાં સક્રિય ભાગીદારી બદલ બે વાર જેલવાસ પણ ભોગવ્યો હતો. આઝાદી પ્રાપ્ત થયા બાદ જવાહરલાલ નહેરુની કામચલાઉ સરકારમાં અને ત્યારબાદ પ્રથમ ભારતીય મંત્રીમંડળમાં શ્રમમંત્રી તરીકે યુવાવયે હોદ્દો ગ્રહણ કર્યો હતો. તેઓ ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર બંધારણ સભાના પણ સભ્ય હતા. ઇન્દિરા ગાંધીની સરકારમાં ૧૯૬૬થી ૧૯૭૦ સુધીનો તેમનો કાર્યકાળ હરિયાળી ક્રાંતિનું સફળતાપૂર્વક નેતૃત્વ કરવા માટે યાદગાર રહ્યો છે. તેમણે સપ્ટેમ્બર, ૧૯૭૬થી એપ્રિલ, ૧૯૮૩ સુધી ભારત સ્કાઉટ્સ ઍન્ડ ગાઇડ્સના પ્રમુખ તરીકે સેવા આપી હતી. મોરારજીભાઈ દેસાઈની સરકાર વખતે તેમણે ૨૪ જાન્યુઆરી, ૧૯૭૯થી ૨૮ જુલાઈ, ૧૯૭૯ સુધી ભારતના નાયબ વડાપ્રધાન તરીકેનો હોદ્દો પણ સંભાળ્યો હતો. ૧૯૫૨માં પહેલી ચૂંટણીથી ૧૯૮૬માં તેમના મૃત્યુ સુધી પાંત્રીસ વર્ષથી વધુ સમય સુધી બાબુ જગજીવનરામ સંસદસભ્ય તરીકે રહ્યા તે એક વિશ્વરેકૉર્ડ છે. તેમના અગ્નિસંસ્કાર સ્થળને ‘સમતા સ્થળ’ નામના સ્મારકમાં ફેરવવામાં આવ્યું છે. તેમની જન્મજયંતીને એટલે કે પાંચ એપ્રિલને સમતા દિવસ કે સમાનતા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. દિલ્હીમાં ‘બાબુ જગજીવનરામ રાષ્ટ્રીય ફાઉન્ડેશન અને મુંબઈમાં ‘જગજીવનરામ હૉસ્પિટલ’ તેમની લોકપ્રિયતાનાં દ્યોતક છે.

Categories
વાચન સમૃદ્ધિ

સારંગ બારોટ

જ. ૪ એપ્રિલ, ૧૯૧૯ અ. ૫ ફેબ્રુઆરી, ૧૯૮૮

ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર. તેમનો જન્મ વિજાપુરમાં થયો હતો. તેમનું મૂળ નામ ડાહ્યાભાઈ દોલતરામ બારોટ પણ ગુજરાતી સાહિત્યમાં સારંગ બારોટ તરીકે જાણીતા છે. તેમણે મૅટ્રિક સુધી અભ્યાસ કર્યા બાદ વડોદરામાં આવેલી કલાભવન ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફોટોગ્રાફી અને બ્લૉકમેકિંગનો ડિપ્લોમા મેળવ્યો હતો. ૧૯૪૧-૧૯૫૦ દરમિયાન મુંબઈ ફિલ્મક્ષેત્રે આસિસ્ટન્ટ કૅમેરામૅન તરીકે અને ત્યારબાદ થોડો સમય પ્રેસ ફોટોગ્રાફર અને રિપોર્ટર તરીકે કાર્ય કર્યું હતું. તેમણે લેખનની શરૂઆત ૧૯૫૦થી કરી અને આશરે ત્રીસેક જેટલી નવલકથાઓ લખી જેમાં કૌટુંબિક પ્રશ્નોની છણાવટ મુખ્ય વિષય રહ્યો. આ ઉપરાંત સામાજિક પ્રશ્નો પણ અગ્રસ્થાને રહેલા છે. તેમની રચનાઓમાં ‘અગનખેલ, ‘રેનબસેરા’ (ભાગ ૧ અને ૨), ‘નંદનવન’, ‘બાદલછાયા, ‘કુર્યાત્ સદા મંગલમ્, ‘નદી, નાવ, સંજોગ, ‘વિલાસવહુ’, ‘સૂર્યમુખી’, ‘શ્યામ સૂરજનાં અજવાળાં’ અને ‘ધીરા સો ગંભીર’ મહત્ત્વની ગણી શકાય. વાર્તાસંગ્રહોમાં ‘અક્ષયપાત્ર’ (૧૯૫૨), ‘મોહનાં આંસુ’ (૧૯૫૨), ‘વિમોચન’ (૧૯૫૩), ‘કોઈ ગોરી, કોઈ સાંવરી’ (૧૯૫૪), ‘મેઘમલ્હાર’ (૧૯૬૩) અને ‘ગુલબંકી’ (૧૯૬૭) નોંધપાત્ર છે. સામયિકોના દીપોત્સવી અંક માટે પણ તેમણે અનેક વાર્તાઓ લખેલ છે. તેમની ‘ઝોબો’, ‘વાડામાંનો વાઘ’, ‘સુખિયો જીવ’ અને ‘કપાતર’ ઘણી પ્રશંસા પામી છે. તેમણે લખેલાં નાટકોમાં ‘પ્રેમસગાઈ’ (૧૯૬૭) અને ‘એક ડાળનાં પંખી’ (૧૯૭૯) ધ્યાનાકર્ષક ગણાય.

Categories
વાચન સમૃદ્ધિ

અમૃતલાલ સુંદરજી પઢિયાર

જ. ૩ એપ્રિલ, ૧૮૭૦ અ. ૨ જુલાઈ, ૧૯૧૯

વિચારપ્રધાન ગદ્યના લેખક અને સમાજસુધારક અમૃતલાલનો જન્મ ચોરવાડમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આઠ વર્ષની વયે માતા કસ્તૂરબાઈનું અવસાન થતાં તેઓ પિતા અને ફોઈઓની નજર નીચે ઊછર્યા. માત્ર છ જ ચોપડી ભણ્યા છતાં તેમની જિજ્ઞાસાવૃત્તિ સતેજ હોવાથી લખવાનો શોખ તેમને શાળામાંથી જ લાગ્યો. કામગીરીના પ્રારંભમાં તેમણે કઠિન દિવસો વિતાવવા પડ્યા. ફક્ત ચણા ફાકીને પણ ચલાવવું પડેલું. શેઠ લક્ષ્મીદાસ ખીમજીને ત્યાં છાપાં-માસિકો વાંચી સંભળાવવાની નોકરી કરીને તેમની પાસે પ્રથમ પુસ્તક પ્રગટ કરાવ્યું. વિધવાઓની કરુણ સ્થિતિ વર્ણવતું ‘આર્યવિધવા’ (૧૮૮૧) અને ત્યાર બાદ ‘અમૃતવચનો’ (૧૯૦૦) જેવી પ્રારંભિક કૃતિઓ બાદ ‘સંસારમાં સ્વર્ગ’ (૧૯૦૨) અને ‘સરસ્વતીચંદ્ર’ ભાગ ત્રીજા અને ચોથાને અનુસરતી નવલકથા આપી જેનાથી સાહિત્યકાર તરીકે તેમને પ્રતિષ્ઠા મળી. તેમણે ‘સ્વર્ગ’ નામધારી સંખ્યાબંધ કૃતિઓ રચી જેમાં ધર્મસામાન્યની ભૂમિકા પર રહી નીતિમત્તા વગેરે મૂલ્યપ્રધાન જીવનનો મહિમા સ્થાપિત કર્યો. સ્વામી બ્રહ્માનંદજી પાસે તેમણે વૈદક અને યોગનો અભ્યાસ કર્યો હતો. નિર્ધનો અને અપંગોની શુશ્રૂષા અર્થે તેમણે આજીવન લગ્ન ન કરવાનું પ્રણ લીધું. ૧૯૧૮માંના દુકાળ સમયે સંકટગ્રસ્તોને બહુમૂલ્ય સેવા આપી. ઉત્તરાવસ્થામાં તેઓ ભાગવતભક્તિ તરફ ઢળ્યા હતા. ‘શ્રીમદ્ ભાગવતનો ટૂંકસાર’ તથા ‘પ્રેમ, પ્રેમ અને પ્રેમ’ એમની ભક્તિપ્રધાન બનેલા જીવનની રચનાઓ છે. તેમનું જીવન અને લેખન બંને સાદાં, સાત્ત્વિક ધર્માચરણયુક્ત હતાં. તેમનું લેખન મુખ્યત્વે ધાર્મિક આધાર લઈને જીવનશુદ્ધિ તરફ દોરનારું હતું. અલ્પશિક્ષિતોને ધર્મવિષયક માહિતી પૂરી પાડવામાં તેમનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. કવિ ન્હાનાલાલે આ સૌજન્યશીલ અને સાધુચરિત પુરુષને ‘સૌરાષ્ટ્રના સાધુ’ની ઉપમા આપી છે. કૉલેરાને કારણે મુંબઈમાં તેમનું અવસાન થયું.