Categories
વાચન સમૃદ્ધિ

હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય

જ. ૨ એપ્રિલ, ૧૮૯૮ અ. ૨૩ જૂન, ૧૯૯૦

ભારતીય કલાકાર, નાટ્યકાર, અદાકાર, સંગીતકાર અને અંગ્રજી ભાષામાં કવિતા લખનાર કવિ હતા. તેઓ સરોજિની નાયડુના નાના ભાઈ હતા. તેમના પિતાજીએ હૈદરાબાદ કૉલેજની સ્થાપના કરી, તેમનાં માતાજી કવયિત્રી હતાં અને બંગાળી ભાષામાં કવિતાઓ લખતાં. હરીન્દ્રનાથ ૧૯ વર્ષના હતા ત્યારે ‘ધ ફિસ્ટ ઑફ યૂથ’ નામનું તેમની કવિતાઓનું પ્રથમ પુસ્તક છપાયું હતું. આ પુસ્તક તેઓએ અંગ્રેજી ભાષામાં લખ્યું હતું, પણ તેમાં લખેલ કવિતાઓ ભારતીય સંસ્કૃતિ પર હતી. તેઓનાં લગ્ન કમલાદેવી ચટ્ટોપાધ્યાય જોડે થયાં હતાં, જે એક સમાજવાદી હતાં. તેઓ ઑલ ઇન્ડિયા વુમન્સ કૉન્ફરન્સ અને ઑલ ઇન્ડિયા હૅન્ડિક્રાફ્ટસ બોર્ડનાં અધ્યક્ષ હતાં. હરીન્દ્રનાથ અને કમલાદેવીનું લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં અને તેઓ છૂટાં પડી ગયાં. હરીન્દ્રનાથે ‘રેલગાડી’, ‘સૂર્ય અસ્ત હો ગયા’, ‘તરુણ અરુણસે રંજિત ધરણી’ જેવી કવિતાઓ લખી અને સ્વરબદ્ધ કરી. રવીન્દ્રનાથ ટાગોર પણ તેમની કવિતાની પ્રશંસા કરતા હતા. બાળકો માટે તેમણે હિન્દી ભાષામાં ઘણી કવિતાઓ લખી છે. ૧૯૫૧ની ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં વિજયવાડા મતવિસ્તારમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીત્યા હતા. તેમણે  સત્યજિત રેની ત્રણ ફિલ્મોમાં, ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ તથા ‘બાવર્ચી’ ફિલ્મમાં અભિનય કર્યો હતો. ૧૯૮૪માં મુંબઈ દૂરદર્શન ‘આડોશ પડોશ’ નામની ટીવી સિરિયલમાં તેઓએ ભાગ લીધો હતો.

૧૯૭૩માં પદ્મભૂષણથી તેમને સન્માનવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અજિત વાડેકર

જ. ૧ એપ્રિલ, ૧૯૪૧ અ. ૧૫ ઑગસ્ટ, ૨૦૧૮

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન અજિત લક્ષ્મણ વાડેકરનો જન્મ મુંબઈમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાની ઇચ્છા તેમને એન્જિનિયર બનાવવાની હતી, પરંતુ તેમણે ક્રિકેટની રમત ઉપર પસંદગી ઉતારી. છ ફૂટ ઊંચા અજિત વાડેકર બૅટિંગની વિશિષ્ટ શૈલી ધરાવનાર ડાબોડી બૅટ્સમૅન હતા. ડાબોડી મધ્યમ બૉલિંગ પણ તેઓ કરતા હતા. તેઓ હંમેશાં ત્રીજા ક્રમાંક ઉપર રમવા ઊતરતા.

પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ૧૯૫૮થી ૧૯૭૫ દરમિયાન તેઓ મુંબઈ અને વેસ્ટ ઝોન તરફથી રમ્યા હતા. રણજી ટ્રૉફી સ્પર્ધામાં મુંબઈનું કપ્તાનપદ દીર્ઘકાળ સુધી સંભાળ્યું હતું. તેમની ગણના ‘હાર્ડ હિટર’ તરીકે થતી હતી. તેઓ ‘હાફ વૉલી’ દડાને ફટકારવાનું ભાગ્યે જ ચૂકતા હતા.

૧૯૬૬-૬૭માં રાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની શાનદાર બૅટિંગના પ્રતાપથી તેમણે પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ સામે મુંબઈ ખાતે ૧૩મી ડિસેમ્બર, ૧૯૬૬ના રોજ પ્રથમ ટેસ્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૬૭માં ઇંગ્લૅન્ડ પ્રવાસમાં અને ૧૯૬૭-૬૮માં ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં તેમનો દેખાવ નોંધપાત્ર રહ્યો હતો. ૧૪૩ રન ફટકારી તેમણે ન્યૂઝીલૅન્ડ સામે ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.

૧૯૭૦-૭૧માં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં અજિત વાડેકર ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન બન્યા હતા. ૧૯૭૧માં કૅંરિબિયન પ્રવાસમાં અને ત્યારબાદ એ જ વર્ષે ઇંગ્લૅન્ડના પ્રવાસમાં તેમણે ભારતને બેવડા ટેસ્ટશ્રેણી વિજયોની ભેટ ધરી હતી. તેમણે ૧૬ ટેસ્ટમૅચોમાં ભારતનું નેતૃત્વ સંભાળ્યું હતું. ભારતની પ્રથમ એકદિવસીય ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમના પણ તેઓ સભ્ય હતા. ૧૯૭૪માં વાડેકરે નિવૃત્તિ જાહેર કરી હતી.

અજિત વાડેકર સ્ટેટ બૅન્ક ઑવ્ ઇન્ડિયામાં જનસંપર્ક વિભાગમાં જનરલ મૅનેજરના હોદ્દા પર હતા. તેઓ જૂજ એવા ભારતીય ક્રિકેટરોમાંના હતા જેમણે ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ ખેલાડી, કપ્તાન, કોચ, મૅનેજર અને પસંદગીકાર (સિલેક્ટર) તરીકે સેવાઓ આપી હતી.

૧૯૬૮માં ભારત સરકાર દ્વારા તેમને અર્જુન ઍવૉર્ડ અને ૧૯૭૨માં પદ્મશ્રીના ઇલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

બળવંત પાંડુરંગ કિર્લોસ્કર

જ. ૩૧ માર્ચ, ૧૮૪૩ અ. ૨ નવેમ્બર, ૧૮૮૫

મરાઠી ભાષાના પ્રથમ ઉત્તમ સંગીત નાટ્યકાર અને સંગીત નાટ્યભૂમિના શિલ્પી બળવંત કિર્લોસ્કરનો જન્મ ધારવાડમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અણ્ણાસાહેબના નામથી જાણીતા આ ઉત્કૃષ્ટ રંગમંચના અભિનેતા, સંગીતકાર અને કવિ પણ હતા. તેમણે બાર વર્ષો સુધી કાનડી અને મરાઠી ભાષાનું અધ્યયન ઘરમાં જ કર્યું. પુણેમાં ઉચ્ચશિક્ષણ લીધું. વિદ્યાર્થીકાળથી જ નાટકો પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા. તેઓ નાટકમંડળીઓ માટે ગીતો રચી આપતા. સમય જતાં તેમણે પોતાની કિર્લોસ્કર નાટકમંડળીની સ્થાપના કરી, પરંતુ તેમાં સફળતા ન મળતાં પાછા પોતાને ગામ આવ્યા. ત્યાં તેમણે ‘શંકરદિગ્વિજય’ નાટક લખ્યું (૧૮૭૩). ‘અભિજ્ઞાન શાકુંતલમ્’નો મરાઠી અનુવાદ કરી તેમાં પોતાની રચનાઓ ઉમેરીને તે ભજવ્યું. તેને ખૂબ સફળતા મળતાં કિર્લોસ્કર નાટક મંડળી પુનર્જીવિત કરી. ૧૮૮૨માં ‘સંગીત સૌરભ નાટક લખ્યું અને સફળતાપૂર્વક ભજવ્યું, જે ખૂબ લોકપ્રિય બન્યું. ૧૮૮૪માં લખેલું ‘રામરાજ્યવિયોગ’ નાટક તેમની અંતિમ કૃતિ હતી. તેઓ કુશળ નટ અને દિગ્દર્શક પણ હતા. મહારાષ્ટ્રની અત્યંત પ્રચલિત સંગીતનાટક પ્રવૃત્તિના તેઓ જનક હતા. પ્રસંગ અને હાવભાવને અનુરૂપ ગીતરચના કરવામાં તેઓ કાબેલ હતા. તેઓ શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. તેમણે અનેક આખ્યાનોની પણ રચના કરી છે. બેલગામ ખાતે તેમણે સ્થાપેલી ‘ભરતનાટ્યોત્તેજક મંડળી’એ તેમનાં નાટકો સફળતાપૂર્વક ભજવ્યાં. સાંગલીકર નાટકમંડળી માટે તેમણે ‘શ્રીકૃષ્ણ પારિજાત’ નામનું નાટક લખ્યું. તેમણે શિવાજી મહારાજ પર ૫૦૦ આર્યા ધરાવતું ખંડકાવ્ય રચ્યું હતું. ૧૯૪૩માં મહારાષ્ટ્રમાં તેમની જન્મશતાબ્દી ધામધૂમથી ઊજવવામાં આવી હતી. પુણે ખાતે તેમના ચાહકોએ ‘કિર્લોસ્કર નાટ્યગૃહ’ની રચના કરીને તેમને ભાવભીની અંજલિ અર્પી. ઉત્તમ નાટ્યલેખન, નાટ્યપ્રયોગ, સંગીત વગેરેને કારણે તેઓ મરાઠી સંગીત રંગભૂમિના આદ્યશિલ્પી ગણાય છે.