Categories
વાચન સમૃદ્ધિ

દિલીપ રાણપુરા

જ. ૧૪ નવેમ્બર, ૧૯૩૧ અ. ૧૬ જુલાઈ, ૨૦૦૩

તીવ્ર અનુભવશીલતા અને બહુજનસમાજ માટેની ઊંડી કરુણામાંથી જેમનું સાહિત્ય પ્રગટ્યું છે તેવા વાસ્તવદર્શી નવલકથાકાર અને વાર્તાકાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ ધંધૂકાના મધ્યવર્ગીય પરિવારમાં થયેલો. ઘરની સ્થિતિને કારણે ઉચ્ચતર શાળાનુંય શિક્ષણ તેઓ પામી શક્યા નહોતા. તેમનું જીવન કઠોર સંઘર્ષમાં વીત્યું હતું. તેઓ ૧૩ વર્ષના હતા ત્યારે પિતા ગુમાવ્યા. પ્રાથમિક શિક્ષણ પણ ટુકડે ટુકડે લીધું. નિભાવ માટે ક્યાંક કંપોઝિટર તરીકે તો ક્યાંક ઑર્ડરમૅન તરીકે કામ કર્યું. સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા અને રાજકીય પ્રવૃત્તિઓ પણ કરી. આ બધી મથામણો વચ્ચે વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષા પસાર કરી એટલે ૧૯૫૭થી પ્રાથમિક શિક્ષક બન્યા. અનેક  સ્થળોએ બદલી થયા પછી છેલ્લે દસાડા તાલુકાના બજાણાની પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે નિવૃત્ત થયા. તેઓ ‘જનસત્તા’ અને ‘ફૂલછાબ’માં કટારલેખન કરતા હતા. જે લોકપ્રિય હતી. અનેક ગામે બદલી થતી હોવાથી તેમને જીવનનો ખૂબ અનુભવ થયો. વળી ખૂબ સંવેદનશીલ પ્રકૃતિ. ૧૯૫૩માં પ્રથમ વાર્તા લખાઈ ‘માણસાઈનું રુદન’ ત્યારબાદ તેમણે નવલકથાઓ લખવાનું શરૂ કર્યું.

તેમના લેખનનું એક મહત્ત્વનું લક્ષણ સાદગી છે. તેઓ જનસામાન્યની ભાષામાં લખતા. તેમનાં પાત્રો મધ્યમ અને નીચલા સ્તરનાં સ્ત્રી-પુરુષો હતાં. તેમની મોટા ભાગની કથાઓમાં શિક્ષણક્ષેત્રે, ગ્રામવિકાસક્ષેત્રે, સ્વાતંત્ર્યસંગ્રામમાં કે સામાજિક રૂઢિઓ સામેના સંઘર્ષોને નિરૂપવામાં આવ્યા છે. તેમની પાસેથી ‘સંકેત’(૧૯૬૪)થી માંડી ‘સુખનું બીજું નામ’ (૨૦૦૨) સુધીની નવલકથાની યાત્રામાં લગભગ ૪૧ નવલકથાઓ મળી છે. તેમની ‘નિયતિ, ‘આંસુ ભીનો ઉજાસ’ અને ‘મીરાંની રહી મહેક’ વગેરે નવલકથાઓને ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારો મળ્યા છે. તેમની પાસેથી સાતેક વાર્તાસંગ્રહો, આઠેક સંસ્મરણકથાઓ, ચરિત્રનિબંધો, રેખાચિત્રો, પ્રસંગકથાઓ, બોધકથાઓ વગેરે વિપુલ પ્રમાણમાં સાહિત્ય મળ્યું છે. એમની વાર્તાઓમાં માનવતાવાદી અભિગમ જોવા મળે છે.  સાવ સાધારણ લાગતા પ્રસંગમાંથી ચિત્તને સ્પર્શી જાય તેવું તેઓ આલેખન કરતા. તેમનાં પુસ્તકો જુદી જુદી સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પોંખાયાં છે.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

ભનુભાઈ ર. વ્યાસ ‘સ્વપ્નસ્થ’

જ. ૧૩ નવેમ્બર, ૧૯૧૩ અ. ૨૩ ઑક્ટોબર, ૧૯૭૦

કવિ, વાર્તાકાર ભનુભાઈનું બીજું નામ લક્ષ્મીનારાયણ હતું અને ‘મોહન શુક્લ’ તેમનું બીજું ઉપનામ હતું. રાજકોટમાં જન્મેલા આ કવિનું વતન જામનગર હતું. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધેલું. મૅટ્રિક સુધીનો અભ્યાસ કરેલો. ૧૯૩૩થી ૧૯૪૪ સુધી મુંબઈમાં ઝંડુ ફાર્માસ્યૂટિકલ વર્ક્સમાં કામ કરેલું. પછી થોડો સમય ‘વંદેમાતરમ્’ અને ‘સંસ્કાર’ સામયિકોમાં કામ કર્યું. ક્ષયની બીમારીને કારણે જામનગરમાં જઈ કેટલોક સમય આરામ કર્યા બાદ ૧૯૪૮માં પાછા મુંબઈ ગયા અને ત્યાં ‘આસોપાલવ’, ‘નૂતન ગુજરાત’ અને ‘હિંદુસ્તાન પત્રો’માં કાર્ય કર્યું. ૧૯૫૦થી યુ.એસ.એસ.આર.ના પબ્લિસિટી વિભાગ, દિલ્હીમાં ગુજરાતી ભાષાંતરકાર તરીકે કામ કર્યું. ૧૯૩૬માં કવિ કાન્તનાં પુત્રી ડોલર સાથે લગ્ન થયું. ગાંધીયુગીન કવિતાનો થોડોક પ્રભાવ ઝીલવા છતાં ગાંધીવિચારસરણી કરતાં સામ્યવાદી વિચારસરણી તરફ આસ્થાવાળા આ કવિમાં પ્રગતિશીલ સર્જકોનો મિજાજ વિશેષ છે. તેમની પાસેથી કેટલાંક દીર્ઘ કાવ્યો મળ્યાં છે. સૉનેટ, ગીત અને છંદોબદ્ધ કાવ્યોના ‘અજંપાની માધુરી’ સંગ્રહમાં વાસ્તવિકતા અને પ્રકૃતિનાં કાવ્યો વિશેષ જોવા મળે છે. ‘રાવણહથ્થો’ની રચનાઓમાં સમાજમાં પ્રવર્તતાં શોષણ, ગરીબાઈ અને ગુલામી જોઈને અજંપો અનુભવતા કવિનો રોષ અને વેદના વ્યક્ત થયાં છે. ‘લાલ સૂર્ય’ એ કવિની સામ્યવાદી વિચારધારા પરની આસ્થાને વ્યક્ત કરતો કાવ્યસંગ્રહ છે. ‘ચિરવિરહ’ (૧૯૭૩) એ એમનો મરણોત્તર પ્રકાશિત કાવ્યસંગ્રહ છે.

‘દિનરાત’ અને ‘ધૂણીનાં પાન’ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. વસ્તુ તરફ જોવાનો કવિનો વાસ્તવવાદૃી અભિગમ અને ઝીણું રેખાંકન આ વાર્તાઓની વિશેષતા છે. ‘જાહનવી’ એ નવલકથા અને ‘શોધ’ એ ‘મોહન શુક્લ’ના નામે લખાયેલી લઘુનવલ છે. આ ઉપરાંત તેમની પાસેથી કેટલુંક અનુવાદ સાહિત્ય પણ મળ્યું છે. તો એમણે અન્ય સાથે મળી કેટલુંક સંપાદનકાર્ય પણ કર્યું છે. ‘યુગપુરુષ ગાંધી’, ‘પૂનમનાં પોયણાં’, ‘પલટાતો જમાનો’ એ એમના અનૂદિત ગ્રંથો છે. તેઓ સોવિયેત પ્રચાર વિભાગમાં ગુજરાતી ભાષાંતરકાર તરીકે રહ્યા હોવાથી ભાષાંતર પર એમની હથોટી સારી હતી.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

ફાટફાટ સમૃદ્ધિ કોરીકટ દરિદ્રતા લાગે છે !

આખો દિવસ વાદળછાયું આકાશ હોય અને સૂર્યનું એક કિરણ પણ જોવા ન મળે, ત્યારે એને પામવા માટે મન કેટલું બધું તડપતું હોય છે ! એ પ્રકાશ વિના વાતાવરણ ગમગીન અને ઉદાસ લાગે છે અને ચિત્ત પર ભારે બોજનો અનુભવ થાય છે. એવા વાદળછાયા આકાશમાંથી કિરણ ફૂટે, ધીરે ધીરે સૂર્યનો પ્રકાશ ફેલાય ત્યારે મન કેવું નાચી ઊઠે છે ! પ્રકાશની સાથે ચિત્તને ગાઢ સંબંધ છે. એ જ મનને તાજગી, સ્ફૂર્તિ અને ઉત્સાહ આપે છે, પરંતુ જ્યારે આત્મામાં પ્રકાશનો અનુભવ થાય છે ત્યારે એમ લાગે છે કે બહારનું અંધારું કે પ્રકાશ – એ સઘળું જ અંધકારમય હતું. જેને ઉત્સાહપ્રેરક પ્રકાશ માનતા હતા એ પણ ક્યાં પ્રકાશ છે ? ભીતરનો પ્રકાશ મળતાં બહારનો પ્રકાશ અંધકારમાં પરિવર્તન પામે છે. ધીરે ધીરે બહારનો પ્રકાશ કે અંધકાર બધું જ ઓગળી જાય છે અને ભીતરમાં પ્રકાશનું અજવાળું સતત ફેલાયેલું રહે છે.

આ ભીતરનો પ્રકાશ કોઈ આકાર ધરાવતો નથી, કોઈ વસ્તુ સાથે સંબંધિત નથી. માત્ર એનો અનુભવ વ્યક્તિના અણુએઅણુમાં વ્યાપી રહે છે. એ પ્રકાશમાંથી જાગતી દૃષ્ટિ જગતને બદલી નાખે છે, પહેલાં બહાર જે દેખાતું હતું અને જેની ચાહના હતી એ બધું શૂન્યવત્ બની જાય છે. બહારની ગમગીની કે ઉત્સાહ ઓસરી જાય છે. એ પ્રકાશનો કઈ રીતે ઉદગમ થયો, એનો સહેજે અણસાર નહોતો, પણ ભીતરનો આ પ્રકાશ વ્યક્તિનું અસ્તિત્વ પલટી નાખે છે. દુનિયા એવી જ બેઢંગી હોય છે, પણ પ્રકાશની પ્રાપ્તિ પછી સઘળા  ઢંગ બદલાઈ જાય છે. જીવન એ જ હોય છે, પણ જીવનના રંગ પલટાઈ જાય છે. પહેલાં લાલ રંગનું આકર્ષણ હતું, હવે શ્વેત રંગ પસંદ પડે છે. પહેલાં જેમ ફાટફાટ સમૃદ્ધિ જોઈ હતી, ત્યાં કોરીકટ નિર્ધનતા નજરે પડે છે.

કુમારપાળ દેસાઈ