Categories
વાચન સમૃદ્ધિ

મૂળશંકર હરિનંદ મૂલાણી

જ. ૧ નવેમ્બર, ૧૮૬૭ અ. ૧૪ ડિસેમ્બર, ૧૯૫૭

જૂની ગુજરાતી રંગભૂમિના નાટ્યલેખક. અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ. જૂનાગઢમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ ઘરે રહી ધાર્મિક કાર્યો અને સંસ્કૃત ભાષાના ગ્રંથોનું નિયમિત વાંચન કરતા. સંસ્કૃતના પ્રખર વિદ્વાન પાસે અભ્યાસ પણ કર્યો. ધારી ગામમાં ગ્રામ વિકાસ અધિકારી તરીકે કાર્ય આરંભ્યું, પરંતુ મુંબઈ જવાનું થતાં નોકરી છોડી દેવી પડી. કેટલોક સમય સંઘર્ષમાં વિતાવી ‘સત્યવક્તા’ સાપ્તાહિકમાં પ્રૂફરીડર તરીકે જોડાયા. તેઓ પોતાની કટાર ‘ઘનઘટા’માં સત્યઘટનાઓ વર્ણવતા. આ સાપ્તાહિકના તંત્રી પણ બનેલા. પ્રારંભથી જ નાટ્યલેખનનો શોખ હોવાથી ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’માં લેખક તરીકે નોકરી સ્વીકારી. તેમનું પહેલું નાટક ‘શાકુંતલ’ (૧૮૮૯) અને બીજું નાટક ‘રાજબીજ’ (૧૮૯૧) જે ગેઇટી થિયેટરમાં ભજવવામાં આવેલું તે વ્યાવસાયિક રીતે સફળ પણ થયું. ત્યારબાદ ‘કુંદબાળા’ (૧૮૯૨) અને ‘માનિંસહ અભયસિંહ (૧૮૮૩) જેવાં નાટકો લખ્યાં હતાં.

તેમની તબિયત અસ્વસ્થ રહેતાં વતન પાછા આવ્યા, જ્યાં કેટલાંક સફળ નાટકોની રચના કરી, જેમાં ‘મૂળરાજ સોલંકી’ (૧૮૯૫) અને નંદશંકર મહેતાના કરણઘેલો પર આધારિત ‘કરણઘેલો’(૧૮૯૬) વગેરે. તેમણે શેક્સપિયર તથા કાલિદાસનો અભ્યાસ કરી ‘બૅરિસ્ટર’ (૧૮૯૭) નામનું નાટક લખ્યું, જેમાં એક યુવકને પશ્ચિમી વિશ્વ પ્રત્યેના આકર્ષણથી બરબાદ થતો દર્શાવ્યો છે. તેમણે ગુજરાતી રંગભૂમિને કરુણાંતિકાનો પરિચય કરાવ્યો. ત્યારબાદ ‘જયરાજ’ (૧૮૯૮) અને ‘અજબકુમારી’ (૧૮૯૯) નાટકો લખાયાં. તેમની ઉચ્ચ નાટ્યપ્રતિભાનાં દર્શન તો ‘સૌભાગ્યસુંદરી’ નાટક ભજવાવાથી થયું. આ નાટકમાં જયશંકર ભોજકે નાયિકાનો સુંદર અભિનય કરેલો. ત્યારથી તેઓ ‘સુંદરી’ કહેવાયા. ‘જુગલજુગારી’ (૧૯૦૨) તેમનું સામાજિક થીમનું નાટક હતું. તો ‘કૃષ્ણચરિત્ર’ (૧૯૦૬) ભક્તિભાવ અને ધાર્મિક ભાવનાવાળું, ‘એક જ ભૂલ’માં તેમણે રડારથી વિમાનનું નિયંત્રણ બતાવી વૈજ્ઞાનિક વાતને સૌપ્રથમ વાર દર્શાવી. તેમણે સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક વિષયો પર પચાસથી વધુ નાટકો લખ્યાં હતાં, જેમાંથી લગભગ અઠ્ઠાવીસ મંચસ્થ થયાં હતાં. ૧૯૧૫માં તેમણે ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ છોડી. ૧૯૨૦માં તેમણે ‘આર્યસુબોધ’ ગુજરાતી નાટક મંડળી સાથે કાર્ય કર્યું. રંગભૂમિક્ષેત્રે તેમના વિશિષ્ટ પ્રદાન માટે ગુજરાત વિદ્યાસભા તેમજ મુંબઈની સંસ્થાએ એમનું સન્માન કરેલું.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

રમણલાલ છોટાલાલ મહેતા

જ. ૩૧ ઑક્ટોબર, ૧૯૧૮ અ. ૧૮ ઑક્ટોબર, ૨૦૧૪

ગુજરાતના સંગીતશાસ્ત્રના તજજ્ઞ અને અગ્રગણ્ય સંગીતવિજ્ઞાની (Musicologist) રમણલાલનો જન્મ સૂરતમાં થયો હતો. બી.એ.; ડી.મ્યૂઝ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ તેમણે ફૅકલ્ટી ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટ્સમાં આચાર્ય તરીકે સેવા આપી. તેમણે કંઠ્ય સંગીતની કિરાના શૈલીની તાલીમ કંચનલાલ મામાવાળા અને પછી અબ્દુલ વહીદખાન પાસેથી લીધી. તેમણે ખયાલ ગાયકી તથા ઠૂમરીમાં પોતાની આગવી શૈલી વિકસાવી. તેમણે મ્યુઝિક સર્કલ, સંગીત પરિષદો તથા આકાશવાણી પર શાસ્ત્રીય હિંદુસ્તાની સંગીતના વિવિધ કાર્યક્રમો આપ્યા. રમણલાલે ૪૫થી વધુ વર્ષો ભારતમાં સંગીતશિક્ષણ ક્ષેત્રે કામ કર્યું. તેમણે ભારતની અનેક યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના સંગીત-શિક્ષણ આયોજનમાં નોંધપાત્ર ફાળો આપ્યો. અનેક શૈક્ષણિક સંસ્થાઓ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તથા આકાશવાણીના સેન્ટ્રલ મ્યુઝિક ઑડિશન બોર્ડમાં નિષ્ણાત તરીકે કામગીરી બજાવી. તેમણે ૧૯૭૦માં ઇન્ડિયન મ્યુઝિકોલૉજિકલ સોસાયટી(મુંબઈ-વડોદરા)ની સ્થાપના કરી. તેઓ ‘ધ જર્નલ ઑવ્ ધી ઇન્ડિયન મ્યુઝિકોલૉજિકલ સોસાયટી’ના સ્થાપક તંત્રી હતા.

ઇંગ્લૅન્ડની કૉલેજો તથા યુનિવર્સિટીઓમાં સંગીત પર તેમણે વ્યાખ્યાનો આપ્યાં. સંગીતનાં વિવિધ પાસાં પરનાં તેમનાં પ્રકાશનોમાં ‘આગ્રા ઘરાના-પરંપરા, ગાયકી ઔર ચીજેં’, ‘ગુજરાતી ગેય કવિતા’, ‘સંગીતચર્ચા’ વગેરેનો સમાવેશ થાય છે. તેમના તંત્રીપદ હેઠળ ૧૭ પુસ્તકોનું પ્રકાશન થયું છે. તેઓ ગુજરાત સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ (૧૯૯૩-૯૪, ૧૯૯૫-૯૬) હતા. ૧૯૯૯ સુધી તેઓ તે સંસ્થાના સંગીત કાર્યક્રમમાં આવાહક તરીકે સક્રિય હતા.

રમણલાલ મહેતાને અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ તરફથી ‘ડૉક્ટર ઑવ્ મ્યુઝિક’ની માનાર્હ પદવી, ગુજરાત સરકારનો સંગીતક્ષેત્રનો ઍવૉર્ડ, ભારત સરકાર તરફથી માનાર્હ ફેલોશિપ, મુંબઈની સૂરસિંગાર સંસદ તરફથી સારંગદેવ ફેલોશિપ ઉપરાંત અનેક પ્રશસ્તિપત્રો, રોકડ પુરસ્કાર તથા ‘શ્રેષ્ઠ સંગીતાચાર્ય’નું બિરુદ પ્રાપ્ત થયાં.

૨૦૦૯માં ભારત સરકાર તરફથી તેમને પદ્મભૂષણના ખિતાબથી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પ્રમોદ મહાજન

જ. ૩૦ ઑક્ટોબર, ૧૯૪૯ અ. ૩ મે, ૨૦૦૬

પ્રમોદ વેંકટેશ મહાજન ભારતના રાજકીય નેતા હતા. તેમનો જન્મ મહબૂબનગર, તેલંગાણામાં વેંકટેશ દેવીદાસ મહાજન તથા પ્રભાવતીને ત્યાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ૨૧ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું હતું. શાળાકીય શિક્ષણ તેમણે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના યોગેશ્વરી વિદ્યાલય તથા મહાવિદ્યાલયમાં લીધું હતું. પૂનાની રાનડે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જર્નાલિઝમમાંથી ફિઝિક્સ અને જર્નાલિઝમ વિષય સાથે સ્નાતક તથા રાજ્યશાસ્ત્રના વિષય સાથે અનુસ્નાતક થયા હતા. ગોપીનાથ મૂંડે તેમના સહાધ્યાયી હતા જે પાછળથી તેમના બનેવી બન્યા હતા. સક્રિય રાજનીતિમાં જોડાયા પહેલાં તેઓ ખોલેશ્વર કૉલેજ અંબેજોગાઈમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. નાનપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સભ્ય હતા પણ મરાઠી સમાચારપત્ર ‘તરુણ ભારત’ના સહસંપાદક બન્યા પછી નોકરી છોડી પૂર્ણ સમય માટે આરએસએસના પ્રચારક બની ગયા. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના જનરલ સેક્રેટરી બન્યા. ૧૯૮૩થી ૮૫ દરમિયાન તેઓ પાર્ટીના ઑલ ઇન્ડિયા સેક્રેટરી અને ૧૯૮૪માં ચૂંટણીમાં હાર્યા બાદ તેઓ ઑલ ઇન્ડિયા ભારતીય જનતા યુવામોરચાના પ્રમુખ બન્યા. તેમની મહેનત અને વ્યવસ્થાપન કુશળતાને લીધે તેઓ ધીમે ધીમે વગ ધારણ કરતા ગયા અને રાષ્ટ્રીય સ્તરે પણ તેમની ગણના થવા લાગી. ૧૯૯૦ પછી બીજેપી પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીની રામ રથયાત્રાનું કુશળતાપૂર્વક આયોજન કરી તેઓ નેતાની હરોળમાં આવી ગયા. તેઓ ૧૯૮૬-૯૨, ૧૯૯૨-૯૬, ૧૯૯૮-૨૦૦૪ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. ૧૯૯૬માં તેઓ મુંબઈ ઉત્તરપૂર્વમાંથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા.

અટલ બિહારી બાજપાઈની ૧૩ દિવસની સરકારમાં તેમની નિમણૂક રક્ષામંત્રી તરીકે કરવામાં આવી હતી. ૧૯૯૮માં જ્યારે બીજેપીએ ફરીથી સરકાર બનાવી ત્યારે વડાપ્રધાનના સલાહકાર તરીકે ફરજ બજાવી. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણી જીતી, માહિતી-પ્રસારણ અને ફૂડ પ્રોસેસિંગ મંત્રી બન્યા. એક વર્ષ પછી તેમની બદલી પાર્લમેન્ટરી અફેર્સ અને વૉટર રિસોર્સિસ મંત્રી તરીકે કરવામાં આવી. મહિના પછી તેમને પાર્લમેન્ટરી અફેર્સ ઉપરાંત ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી ખાતું સોંપવામાં આવ્યું. ૨૦૦૧માં કૉમ્યુનિકેશન મંત્રી બન્યા.

૨૨ એપ્રિલ, ૨૦૦૬ના દિવસે તેમના નાના ભાઈ પ્રવીણે હતાશામાં તેમને ગોળી મારી હતી. ૧૩ દિવસ મોત સામે ઝઝૂમ્યા બાદ ત્રીજી મેના દિવસે તેમનું અવસાન થયું હતું.

અમલા પરીખ