Categories
વાચન સમૃદ્ધિ

એન્થની વાન ડાઇક

જ. ૨૨ માર્ચ, ૧૫૯૯ અ. ૯ ડિસેમ્બર, ૧૬૪૧

સર એન્થની વાન ડાઇક એક લેમિશ બારોક ચિત્રકાર હતા; જે સ્પેન, નેધરલૅન્ડ્સ અને ઇટાલીમાં સફળતા પ્રાપ્ત કર્યા પછી ઇંગ્લૅન્ડમાં ટોચના પૉર્ટ્રેટ ચિત્રકાર બન્યા હતા. તેમના પિતા એન્ટવર્પમાં રેશમના એક શ્રીમંત  વેપારી હતા. તેઓ પિતાનાં ૧૨ સંતાનોમાંનું સાતમું સંતાન હતા અને તેમણે નાનપણથી જ ચિત્રકામ શરૂ કર્યું હતું. કિશોરાવસ્થાના અંતમાં તેઓ સ્વતંત્ર ચિત્રકાર તરીકે સફળ થયા હતા. એન્થની વાન ડાઇક ૧૮ ઑક્ટોબર, ૧૬૧૭ના રોજ એન્ટવર્પ ગિલ્ડમાં માસ્ટર બન્યા હતા. તે સમયના અગ્રણી ચિત્રકાર પીટર પોલ રુબેન્સના સ્ટુડિયોમાં તેઓ કામ કરતા હતા, જેમનો એમની ચિત્રકલા પર મોટો પ્રભાવ પડ્યો હતો. ૧૬૨૦ના દાયકાના અંતમાં પ્રખ્યાત સમકાલીન લોકોનાં પૉર્ટ્રેટ ચીતરવાની તેમની કલા ખૂબ જ પ્રશંસા પામેલી આઇકોનોગ્રાફી શ્રેણી તેમણે પૂર્ણ કરી હતી. ૧૬૩૦થી ફ્લેન્ડર્સના હેબ્સબર્ગ ગવર્નર આર્ચડચેસ ઇસાબેલા માટે તેમણે કોર્ટ ચિત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. ૧૬૩૨માં ઇંગ્લૅન્ડના ચાર્લ્સ પ્રથમની વિનંતીને માન આપીને મુખ્ય દરબારી ચિત્રકાર તરીકે લંડન પાછા ફર્યા હતા. હોબ્લીન સિવાય વાન ડાઇક અને તેમના સમકાલીન ડિએગો વેલાઝક્વેઝ એવા પ્રથમ પંક્તિના ચિત્રકારો હતા જેમણે મુખ્યત્વે કોર્ટ પૉર્ટ્રેટિસ્ટ તરીકે કામ કર્યું હતું, જેનાથી એ શૈલીમાં મોટી ક્રાંતિ આવી હતી. વાન ડાઇક કુલીન વર્ગનાં ચિત્રો માટે જાણીતા છે. ૧૫૦ વર્ષથી વધુ સમય સુધી અંગ્રેજી પૉર્ટ્રેટ-પેઇન્ટિંગ પર તેમનો પ્રભાવ રહ્યો હતો. તેમણે પૌરાણિક, રૂપકાત્મક અને બાઇબલના વિષયો પર પણ ચિત્રો દોર્યાં હતાં. એન્થની વાન ડાઇકનો પ્રભાવ આધુનિક સમયગાળા સુધી વિસ્તરે છે. હાલમાં પ્રચલિત વાન ડાઇક દાઢીનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમના જીવનકાળ દરમિયાન ચાર્લ્સ પ્રથમે તેમને ‘નાઇટહુડ’નો ઇલકાબ આપ્યો હતો.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

બિસ્મિલ્લાખાં

જ. ૨૧ માર્ચ, ૧૯૧૬ અ. ૨૧ ઑગસ્ટ, ૨૦૦૬

વિશ્વવિખ્યાત શરણાઈવાદક બિસ્મિલ્લાખાંનો જન્મ ડુમરાંવ, બિહારમાં પયગંબરબક્ષખાં અને મિઠ્ઠનબાઈને ત્યાં થયો હતો. જન્મ વખતનું તેમનું નામ કમરૂદ્દીન હતું. તેમના દાદા રસૂલબક્ષખાંએ નવજાત બાળકને જોઈ ‘બિસ્મિલ્લાહ’ એવો ઉદગાર કાઢ્યો અને ત્યારથી તેઓ બિસ્મિલ્લાખાં તરીકે ઓળખાવા માંડ્યા. તેમના દાદા રસૂલબક્ષ તથા પરદાદા ભોજપુર દરબારમાં શરણાઈવાદક હતા. પિતા ઉસ્તાદ પયગંબરબક્ષ પણ સારા સંગીતકાર હતા. બિસ્મિલ્લાખાંએ શરણાઈવાદનની તાલીમ છ વર્ષની ઉંમરથી તેમના મામા ઉસ્તાદ અલીબક્ષ પાસેથી લેવાની શરૂઆત કરી હતી. અલીબક્ષ વારાણસીના કાશીવિશ્વનાથ મંદિરમાં શરણાઈ વગાડતા હતા. બિસ્મિલ્લાખાંએ શરણાઈવાદનની સાથે સાથે એહમદહુસેનખાં પાસેથી શાસ્ત્રીય કંઠ્ય સંગીતની અને હાર્મોનિયમની તાલીમ લક્ષ્મણપ્રસાદ તથા ગ્વાલિયરના ગણપતરાવ ભૈયા પાસેથી મેળવી. મામાની સાથે નાની ઉંમરથી જ અનેક સંગીતસંમેલનમાં હાજર રહેવાની તેમને તક મળી. સખત રિયાઝને પરિણામે આશરે ૧૬ વર્ષની નાની વયે તો તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં કુશળ કલાકાર તરીકે ઓળખાવા લાગ્યા. પ્રયાગ સંગીત વિદ્યાલયના સંગીતસમારોહમાં શરણાઈ વગાડવા માટે તેમને સુવર્ણચંદ્રક મળ્યો અને ત્યારથી તેમને ખૂબ પ્રસિદ્ધિ મળતી ગઈ અને તેઓ ઉસ્તાદ બિસ્મિલ્લાખાં તરીકે જાણીતા થયા. ૧૯૪૭, ૧૫મી ઑગસ્ટે જ્યારે ભારતનો રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા ઉપરથી ફરકાવવામાં આવ્યો ત્યારે શરણાઈના સૂર રેલાવા બિસ્મિલ્લાખાંને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ૧૯૫૬માં શરણાઈવાદન માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવેલા. તેમણે અમેરિકા, સોવિયેત સંઘ, સાઉદી અરેબિયા તથા ઇરાક જેવા દેશોની યાત્રા કરી હતી અને અપૂર્વ ચાહના મેળવી હતી. આકાશવાણી ઉપરથી પણ તેમના અનેક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવ્યા છે. તેમને મળેલા પુરસ્કારોમાં ‘સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ’ (૧૯૫૬), ‘પદ્મશ્રી’ (૧૯૬૧), ‘પદ્મભૂષણ’ (૧૯૬૮), ‘પદ્મવિભૂષણ’ (૧૯૮૦) અને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારત રત્ન’(૨૦૦૧)નો સમાવેશ થાય છે. તેમના મૃત્યુના દિવસે ભારત સરકારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

કર્નલ જેમ્સ ટૉડ

જ. ૨૦ માર્ચ, ૧૭૮૨ અ. ૧૮ નવેમ્બર, ૧૮૩૫

બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક અધિકારી. સ્કૉટલૅન્ડના ઇસ્લિંગટનમાં જન્મેલા જેમ્સ ટૉડને માત્ર સત્તર વર્ષની ઉંમરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નિયુક્તિ મળી. ૧૮૧૩માં તેમને કૅપ્ટનના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. ૧૮૧૮થી ૧૮૨૨ સુધી તેઓ પશ્ચિમી રાજપૂતાનાના પોલિટિકલ એજન્ટ તરીકે કાર્યરત રહ્યા. તેમણે રાજપૂત રાજ્યોમાં શાંતિ સ્થાપીને લોકોમાં વિશ્વાસ પેદા કર્યો. પરિણામ સ્વરૂપે માત્ર એક જ વર્ષમાં અગાઉ ખાલી થયેલાં ૩૦૦ જેટલાં કસબા અને ગામોમાં લોકો પાછા ફર્યા અને વેપારરોજગાર શરૂ થયો. તેમણે તેમના વહીવટનાં પાંચ વર્ષ દરમિયાન લોકોની ખૂબ ચાહના મેળવી. બ્રિટિશ રાજના રાજપ્રતિનિધિ તરીકે તેમનું યોગદાન ખૂબ ઉલ્લેખનીય રહ્યું. તેમની નિમણૂક દરમિયાન જ્યારે તેઓ પહેલી વાર ઉદયપુર ગયા ત્યારે રાજપૂતાના અને તેના આસપાસના પ્રદેશોના ટોપોગ્રાફિકલ નકશા તૈયાર કર્યા અને રાજપૂતાના પર નવો ઇતિહાસ-ગ્રંથ લખી ઇતિહાસનું પુનર્લેખન કરવાનું નક્કી કર્યું. ૧૮૧૯માં જોધપુર પહોંચી તેમણે પુરાતત્ત્વ પર ગહન શોધકાર્ય કર્યું. તેમણે ઘણી મુદ્રાઓ તથા અભિલેખોનો સંગ્રહ કર્યો જે ઇતિહાસલેખનમાં અત્યંત ઉપયોગી સાબિત થયો. ત્યારબાદ અજમેર, પુષ્કર, જયપુર, સીકર, ઝૂંઝનૂ, પાલી, મેડતા આદિ જગ્યાઓએ રહી ગ્રંથ માટે આધારસામગ્રી ભેગી કરી. આમ અથાગ મહેનત બાદ ૧૪ જાન્યુઆરી, ૧૮૨૩માં તેમણે ‘ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા’ કૃતિ પ્રકાશિત કરી. ૧૮૨૯માં ઇંગ્લૅન્ડ પાછા ફર્યા બાદ તેમની સુવિખ્યાત રચના ‘એનલ્ઝ ઍન્ડ ઍન્ટિક્વિટીઝ ઑફ રાજસ્થાન ઑફ ધ સેન્ટ્રલ ઍન્ડ વેસ્ટર્ન રાજપૂત સ્ટેટ્સ ઑફ ઇન્ડિયા’નો પ્રથમ ભાગ તથા ૧૮૩૪માં બીજો ભાગ પ્રકાશિત થયો. તેમની રચનામાં સર્વપ્રથમ વાર ‘રાજસ્થાન’ શબ્દનો પ્રયોગ થયો. તેમને રાજસ્થાનના ઇતિહાસ-લેખનના પિતામહ માનવામાં આવે છે. તેમનું નામ અને કામ ઇતિહાસ અને યાત્રા-સાહિત્યમાં બહુ આદર સાથે લેવાય છે.

રાજશ્રી મહાદેવિયા