Categories
વાચન સમૃદ્ધિ

કાંશીરામ

જ. ૧૫ માર્ચ, ૧૯૩૪ અ. ૯ ઑક્ટોબર, ૨૦૦૬

‘બહુજન નાયક’, ‘માન્યવર’ અથવા ‘સાહબ કાંશીરામ’ વગેરે નામથી જાણીતા કાંશીરામનો જન્મ  પીર્થીપુર બન્ગા ગામ, રોપર જિલ્લો, પંજાબમાં થયો હતો. તેઓ ચમાર જાતિના શીખ પરિવારમાં જન્મ્યા હતા. વિવિધ સ્થાનીય શાળાઓમાં શિક્ષણ મેળવી, ૧૯૫૬માં રોપરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી બી.એસસી. થયા. ભણતર બાદ તેઓ પુણેની એક્સપ્લોઝિવ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ લૅબોરેટરીમાં જોડાયા. ડૉ. આંબેડકરના પુસ્તક ‘એનિહિલેશન ઑવ્ કાસ્ટ’ની તેમના ઉપર ખૂબ અસર થઈ હતી. તેમણે બહુજન, પછાત અને દલિતોના ઉદ્ધાર માટે કામ કરવાનું પ્રણ લીધું હતું. તેમણે ૧૯૮૧માં દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિની રચના કરી હતી. દલિતોના સંગઠન અને વોટ ભેગા કરવા ૧૯૮૪માં તેમણે બહુજન સમાજ પાર્ટીની રચના કરી, ૧૯૮૪માં તેઓ પ્રથમ વાર છત્તીસગઢની જાંજગીર ચાપાં સીટ ઉપરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. ત્યારપછી ૧૯૮૮માં તેમને ફરી હારનો સામનો કરવો પડ્યો. ૧૯૯૧માં મુલાયમિંસહ યાદવ સાથે ગઠબંધન કર્યા બાદ પ્રથમ વખત ચૂંટણી જીત્યા અને લોકસભામાં પહોંચ્યા. ૧૯૯૬માં બીજી વખત ચૂંટણી જીત્યા. ૨૦૦૧માં ખરાબ સ્વાસ્થ્યને લીધે તેમણે સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ લીધો અને માયાવતીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યાં. ૧૯૮૨માં તેમણે ‘ધ ચમચા એજ’ પુસ્તક લખ્યું જેમાં જગજીવનરામ, રામવિલાસ પાસવાન અને રામદાસ અઠાવલે જેવા નેતાઓને ‘ચમચા’ અર્થાત્ કઠપૂતળી કહી નિશાન બનાવ્યા હતા. ડૉ. આંબેડકરની જેમ બૌદ્ધ ધર્મ ગ્રહણ કરવાની તેમની મહેચ્છા હતી, પરંતુ અવસાન થવાથી તે પૂર્ણ થઈ શકી ન હતી. ‘ધ ચમચા એજ’ ઉપરાંત, ‘બર્થ ઑવ્ બામસેફ’ નામનું પુસ્તક પ્રકાશિત થયુ હતું. ‘કાંશીરામ : લીડર ઑફ ધ દલિત’ બદ્રીનારાયણ તિવારીએ લખેલું તેમનું જીવનચરિત્ર છે. તેમણે આપેલાં ભાષણો પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયાં છે. એવું કહેવાય છે કે ભારતમાં આંબેડકરવાદ જીવિત રાખવાનું શ્રેય કાંશીરામને ફાળે જાય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

આલ્બર્ટ આઇન્સ્ટાઇન

જ. ૧૪ માર્ચ, ૧૮૭૯ અ. ૧૮ એપ્રિલ, ૧૯૫૫

નોબેલ પારિતોષિકવિજેતા, જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ તેમજ સાપેક્ષવાદ (theory of relativity) સિદ્ધાંતના સ્થાપક તરીકે જાણીતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન બોલતાં મોડું શીખેલા. માતાની પ્રેરણાથી સંગીત શીખીને વાયોલિનવાદક તરીકે સિદ્ધિ પ્રાપ્ત કરેલી પણ કેવળ નિજાનંદ માટે જ તેઓ વાયોલિન વગાડતા હતા. કાકા જેકોબની પ્રેરણાથી ગણિતમાં અને કાકા કેઝર કૉકે દ્વારા વિજ્ઞાનમાં તેમને ઊંડી જિજ્ઞાસા જાગી હતી. પરિણામે બાર વર્ષના આલ્બર્ટમાં વિશાળ વિશ્વનાં વિવિધ રહસ્યોનો ઉકેલ શોધવાના મનોરથ જાગ્યા હતા. આલ્બર્ટ આઇન્સ્ટાઇને સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે ઝૂરિકની ફેડરલ પોલિટૅકનિક એકૅડેમીમાંથી ૧૯૦૦ની સાલમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. થોડો સમય શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ સ્વિટ્ઝર્લૅન્ડની પેટન્ટ ઑફિસમાં બર્ન ખાતે નમૂનાઓના નિરીક્ષક તરીકે તેમને નોકરી મળી હતી. જ્યાં તેમને વિવિધ પ્રકારની શોધખોળોની ચકાસણી કરવાની હતી. જેનાથી વૈજ્ઞાનિક સંશોધનોનાં પરિણામોના પાયામાં રહેલાં તથ્યો તારવવાની તેમની શક્તિ કેળવાઈ હતી. ૧૯૦૫માં ઝૂરિકના સુપ્રસિદ્ધ સામયિક ‘અનાલેં દર ફિઝિક’માં આઇન્સ્ટાઇનના પાંચ સંશોધનલેખ પ્રગટ થયા હતા. જેના પ્રથમ લેખ દ્વારા તેમને ઝૂરિક યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત થઈ હતી. E=MC2 સમીકરણના સંશોધન દ્વારા તેમને યુરોપના અગ્રણી વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવવાની તક પ્રાપ્ત થઈ હતી. તેમણે પ્રાથમિક અવલોકનોની મદદ લીધા વિના શુદ્ધ અને મૌલિક ચિંતનથી ગાણિતિક મૉડલ તૈયાર કરીને તેના ગુણધર્મો તારવ્યા પછી તેને અવલોકનો દ્વારા ચકાસવાની નવી પ્રણાલી સ્થાપી હતી. ૧૯૨૧માં આલ્બર્ટ આઇન્સ્ટાઇનને તેણે શોધેલ ‘ફોટોવિદ્યુત નિયમ અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે કરેલા પ્રદાન’ને માટે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અમેરિકા દ્વારા હિરોશીમા પર પરમાણુ બૉમ્બ ઝીંકાયો તેનું તેમને અપાર દુઃખ હતું. તેથી જિંદગીનાં છેલ્લાં વર્ષો તેમણે વિજ્ઞાનને સ્વાર્થી સત્તાધારી વર્તુળોના હાથમાં જતું ઉગારવામાં ગાળ્યાં હતાં.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

યજ્ઞેશ હરિહર શુક્લ

જ. ૧૩ માર્ચ, ૧૯૦૯ અ. ૧૩ ડિસેમ્બર, ૧૯૮૧

પીઢ પત્રકાર, નવલકથાકાર અને વાર્તાકાર. બાળપણમાં જ પિતાનું અવસાન થવાથી માતા વિજયાબહેને ઉછેર્યા. પછી મુંબઈમાં પિતરાઈ મોટા ભાઈ જયકૃષ્ણ સાથે રહી દાવર્સ કૉલેજમાં અભ્યાસ કરવા લાગ્યા. જોકે અભ્યાસ પણ અધવચ્ચે છોડી સામયિકોમાં લેખો-વાર્તાઓ લખવા લાગ્યા. સાહિત્યના અભ્યાસી પત્રકાર અંબાલાલ બુલાખીરામ જાની પાસે પત્રકારત્વની તાલીમ લીધી. ૧૯૨૭માં મુંબઈના પ્રસિદ્ધ સાપ્તાહિક ‘ગુજરાતી’માં જોડાયા. ત્યારબાદ ‘હિન્દુસ્તાન-પ્રજાપતિ’, ‘જન્મભૂમિ’  અને ‘વંદે માતરમ’માં જોડાયા. શામળદાસ ગાંધીના અવસાન બાદ ‘વંદે માતરમ્’ બંધ થવાથી ‘પ્રજામત’ નામના દૈનિકનું તંત્રીપદ સંભાળ્યું, પણ હૃદયરોગના હુમલાને કારણે તે કામ પડતું મૂકવું પડ્યું. ૧૯૨૯થી એક દસકા સુધી સ્ત્રી-માસિક ‘ગુણસુંદરી’નું સંપાદનકાર્ય સંભાળ્યું. સાથે સાથે જ્ઞાતિની ‘વિદ્યોત્તેજક સભા’ તથા મુંબઈના સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રીતે સંકળાયેલા રહ્યા. ૧૯૫૫માં સ્વાસ્થ્ય સુધરતાં ‘મુંબઈ સમાચાર’ પત્રે તેમને જવાબદારી સોંપી. ૧૯૫૮માં પત્રના અગ્રલેખ-લેખક તરીકે ટોચનું સ્થાન પ્રાપ્ત કરી, જીવનપર્યંત કાર્યરત રહ્યા. તેમના વિશદ અને વિસ્તૃત અગ્રલેખોમાં રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કારિક અભ્યાસની ગહનતા જોવા મળે છે. ૧૯૬૮માં ઉત્તર મુંબઈની રોટરી ક્લબે તેમના માહિતીસભર અને નીડરતાભર્યા અગ્રલેખોની કદર કરતાં ‘સ્વ. બેન્જામિન ગાઇ હૉર્નિમૅન’ના નામનો વર્ષના શ્રેષ્ઠ પત્રકારને અપાતો પુરસ્કાર અર્પણ કરાયો હતો.

તેમણે અગિયાર જેટલાં પુસ્તકોની રચના કરી છે. તેમણે નવલકથા અને ટૂંકી વાર્તાક્ષેત્રે પ્રદાન કર્યું છે. ‘એક વ્યવસાયી પત્રકારની ઘડતરકથા’ અને ‘અર્ધી શતાબ્દીની અખબાર-યાત્રા’ નામનાં પુસ્તકોમાં પોતાની જ ઘડતરકથા સાથે પત્રકારત્વક્ષેત્રની વિશિષ્ટ વ્યક્તિઓ તથા ઘટનાઓને વર્ણવી છે.

રાજશ્રી મહાદેવિયા