Categories
વાચન સમૃદ્ધિ

એમ. એલ. જયસિમ્હા

જ. ૩ માર્ચ, ૧૯૩૯ અ. ૬ જુલાઈ, ૧૯૯૯

મોટગનહલ્લી લક્ષ્મીનરસુ જયસિમ્હાનો જન્મ સિકન્દરાબાદમાં થયો હતો. તેઓ જમોડી બૅટ્સમૅન હતા અને મીડિયમ પેસથી બૉલિંગ કરતા. ઘણી વખત ભારત વતી તેમણે ઓપનિંગમાં બૉલિંગ કરી હતી. તેઓ એક ચુસ્ત અને ચપળ ફિલ્ડર પણ હતા. તેઓ ખૂબ સ્ટાઇલિશ હતા. તેમનું પાતળું શરીર, નાદાન સુંદર દેખાવ, ટ્રેડમાર્ક જેવું સિલ્ક શર્ટ અને સ્કાર્ફ, ઊંચો કરેલો કૉલર તેમને બધા ક્રિકેટરોથી જુદા પાડતા. ૧૯૫૪-૫૫માં ફક્ત ૧૫ વર્ષની વયે તેમણે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં રણજી ટ્રૉફીમાં ભાગ લીધો હતો. તે વખતે તેઓ મહબૂબ કૉલેજ હાઈસ્કૂલમાં ભણતા હતા. રણજી ટ્રૉફી મૅચોમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શનને કારણ તેમનો ૧૯૫૯માં ઇંગ્લૅન્ડના પ્રવાસે જનારી ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો. લૉર્ડ્સ ખાતે પ્રથમ ટેસ્ટમાં તેમનો દેખાવ ખૂબ જ ખરાબ રહ્યો, પરંતુ પછીની બે મૅચોમાં તેમણે સારો દેખાવ કર્યો. ૧૯૫૯-૬૦માં કૉલકાતામાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટના બધા જ પાંચ દિવસ બૅટિંગ કરી તેમણે વિક્રમ નોંધાવ્યો હતો. સમય જતાં તેમણે પોતાને ઓપનરની જગ્યામાં સ્થાપિત કર્યા હતા અને ઘણી શતક ફટકારવામાં સફળ રહ્યા હતા. તે પછી ખરાબ પ્રદર્શન માટે તેમને ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. ચંદુ બોરડે અને ચંદ્રશેખરની ઈજાના કારણે તેમને ૧૯૬૭-૬૮માં ત્રીજી ટેસ્ટ માટે ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હતા. અને તેમણે ૭૪ અને ૧૦૧ રન બનાવી લગભગ અશક્ય લાગતી મૅચ ભારતને જિતાડી હતી. ૧૯૭૦-૭૧ની વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ તેમની કારકિર્દીની છેલ્લી સિરીઝ હતી. અજિત વાડેકર જેવા ટીમના કપ્તાન તેમનાં સલાહસૂચન લેતા હતા. મન્સુર અલી ખાન પટૌડી જેવા ખેલાડી પણ તેમની કપ્તાની હેઠળ રમ્યા હતા. ૧૯૭૭-૭૮ અને ૧૯૮૦-૮૧માં તેઓ ભારતીય ટીમની પસંદગીકાર સમિતિના સભ્ય હતા. ૧૯૮૫-૮૬માં તેઓ શ્રીલંકા જનારી ભારતીય ટીમ સાથે ગયા હતા. MCCએ તેમને ૧૯૭૮માં આજીવન સભ્ય બનાવ્યા હતા. તેઓએ ટી. વી. કૉમેન્ટેટર તરીકે પણ સેવાઓ આપી હતી. તેમના બે પુત્રો વિવેક જયસિમ્હા અને વિદ્યુત જયસિમ્હા પણ ફર્સ્ટક્લાસ ક્રિકેટરો હતા. તેમનું અવસાન ફેફસાંના કૅન્સરથી થયું હતું.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

અતુલચંદ્ર ઘોષ

જ. ૨ માર્ચ, ૧૮૮૧ અ. ૧૫ ઑક્ટોબર, ૧૯૬૧

ભારતની આઝાદીની ચળવળના બંગાળના એક અગ્રણી રાજકીય નેતા. તેમનો જન્મ ખાંડઘોષા, બર્દવાન, બંગાળમાં થયો હતો. પિતા શિક્ષક હતા. બાળપણમાં માતાપિતાનું અવસાન થતાં અન્યત્ર બે કુટુંબો દ્વારા ઉછેર થયો. શરૂઆતનું શિક્ષણ બર્દવાનમાં અને તે પછી કૉલકાતાની મેટ્રોપૉલિટન ઇન્સ્ટિટ્યૂટમાં, પરંતુ તે અધવચ્ચે છોડી દેવું પડેલું. ૧૯૦૮માં પુરબિયા ખાતે વકીલાત શરૂ કરી. નિબારણચંદ્ર દાસગુપ્તાના સાથમાં તેમણે બંગાળના પુરબિયા જિલ્લામાં તેલ્કાપાડા ગામ ખાતે ‘શિલ્પાશ્રમ’ની સ્થાપના કરી, જેમાં ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપ્યું. ગાંધીજીના પ્રભાવ હેઠળ ૧૯૨૧માં વકીલાત બંધ કરી, અસહકારની ચળવળમાં જોડાયા, ત્યાંથી જાહેરજીવનની શરૂઆત થઈ. આઝાદીને પ્રેરક કામો શરૂ કર્યાં. બંગાળી સાપ્તાહિક પત્ર ‘મુક્તિ’ના તે સંપાદક હતા. બિહાર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સભ્ય બન્યા. ૧૯૨૧-૩૫ દરમિયાન માનભૂમ જિલ્લા કૉંગ્રેસ સમિતિના સેક્રેટરી અને ૧૯૩૫-૪૭ દરમિયાન તેના પ્રમુખ હતા. ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ દરમિયાન જિલ્લાની સત્યાગ્રહ સમિતિના સેક્રેટરી તરીકે કારાવાસ ભોગવ્યો. આ ઉપરાંત ૧૯૩૨, ૧૯૪૫માં પણ કારાવાસ ભોગવેલો. ૧૯૪૭માં કૉંગ્રેસ પક્ષનો ત્યાગ કર્યો અને ‘લોકસેવક સંઘ’ની સ્થાપના કરી. ૧૯૫૨માં ચૂંટણી યોજાઈ તેમાં જે ઢંઢેરો આ સંસ્થાએ બહાર પાડેલો તેમાં ગાંધીજીની વિચારણાનો પડઘો સ્પષ્ટપણે જોવા મળે છે. માનભૂમની પ્રજાના ન્યાયી અધિકારો માટે ૧૯૫૦-૫૨ દરમિયાન તેમણે વારંવાર સત્યાગ્રહ કર્યો હતો. તેમનું સમગ્ર કુટુંબ તેમની આ પ્રવૃત્તિમાં સતત તેમની સાથે સક્રિય રહેલું હતું. સંતાનોને તેમણે સ્વતંત્રતા અને સ્વદેશીના સંસ્કારો આપ્યા હતા. તેમનાં પત્ની લાવણ્યપ્રભા ઘોષ પણ આઝાદીની ચળવળનાં સૈનિક હતાં. અતુલચંદ્ર ઘોષનું અવસાન કૉલકાતામાં થયું હતું. લોકો પ્રેમથી તેમને ‘માનભૂમ કેસરી’ નામે સંબોધતા અને તેમનાં પત્નીને ‘માનભૂમ જનની’ તરીકે સંબોધતા.

અમિતાભ મડિયા

Categories
વાચન સમૃદ્ધિ

રાલ્ફ એલિસન

જ. ૧ માર્ચ, ૧૯૧૪ અ. ૧૬ એપ્રિલ, ૧૯૯૪

અમેરિકાના સુપ્રસિદ્ધ અશ્વેત સાહિત્યકાર. તેમનો જન્મ અમેરિકાના ઓકલાહોમા શહેરમાં થયો હતો. ૧૯૨૧માં રાલ્ફ તેમની માતા સાથે ગેરી, ઇન્ડિયાના રાજ્યમાં રહેવા ગયા, પણ ત્યાં માતાને કોઈ કામ ન મળતાં પાછા ઓકલાહોમા આવ્યા જ્યાં રાલ્ફ બસબૉય, બૂટ-પૉલિશ કરવાવાળા, હોટલમાં વેઇટર તથા દાંતના ડૉક્ટરને ત્યાં કામ કરવા લાગ્યા. તેમને સંગીતમાં ઘણો રસ હોવાથી પિતાના મિત્ર પાસેથી પૈસા લઈ ટ્રમ્પેટ અને સેક્સોફોન શીખવા માટે ટસ્કેગી સંસ્થામાં ૧૯૩૩થી ૧૯૩૬ સુધી શિક્ષણ લીધું. પણ ત્યારબાદ સાહિત્યનો શોખ હોવાથી વાચન કરવાથી સાહિત્યસર્જન કરવા પ્રેરાયા. ૧૯૩૬માં ન્યૂયૉર્ક નગરના બીજા અશ્વેત લેખક રિચર્ડ રાઇટને મળ્યા અને ‘ફેડરલ રાઇટર્સ પ્રોજેક્ટ’ સાથે સંકળાયા. તેમણે ‘ધ ઇનવિઝિબલ મૅન’ (૧૯૫૨) નામની એક નવલકથા દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. તેમને આ નવલકથા માટે ૧૯૫૩માં નૅશનલ બુક ઍવૉર્ડ પણ મળેલો. તેમના જીવન વિશે તેમના નિબંધસંગ્રહ ‘શૅડો ઍન્ડ ઍક્ટ’ (૧૯૬૪) દ્વારા વધુ જાણી શકાય છે. તેમણે  અમેરિકાના ગુલામોના વંશજ આફ્રિકન હબસીઓની સંસ્કૃતિ, તેમનું લોકસાહિત્ય, તેમનું સર્જનાત્મક લેખન વગેરે વિશે અનેક વ્યાખ્યાનો આપ્યાં હતાં. આ ઉપરાંત અમેરિકાની અનેક કૉલેજોમાં અને વિદ્યાપીઠોમાં અધ્યાપનકાર્ય પણ કર્યું હતું. ૧૯૭૦થી ૧૯૮૦ દરમિયાન તેઓ ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં આલ્બર્ટ સ્વાઇત્ઝર પ્રોફેસર ઑફ હ્યુમેનિટીઝ તરીકે ફૅકલ્ટીના કાયમી સભ્ય રહ્યા. તેમની લેખનશૈલી પર રશિયન લેખક દોસ્તોવસ્કી, ફ્રેન્ચ લેખક આન્દ્રે માલરો અને અમેરિકન અશ્વેત લેખક રિચર્ડ રાઇટનો પ્રભાવ જોવા મળે છે. તેમનો નિબંધસંગ્રહ ‘ગોઇંગ ટુ ધ ટેરીટરી’ (૧૯૬૬) અને ટૂંકી વાર્તા ‘લાઇંગ હોમ’ (૧૯૯૬) મરણોત્તર પ્રકાશન પામેલી.

રાજશ્રી મહાદેવિયા