Categories
વાચન સમૃદ્ધિ

છગનભાઈ જાદવ

જ. ૨૨ ફેબ્રુઆરી, ૧૯૦૩ અ. ૧૨ એપ્રિલ, ૧૯૮૭

ગુજરાતના આધુનિક ચિત્રકાર, કલા-વિશ્વને અધ્યાત્મની અનુભૂતિભર્યાં કલાસર્જનો આપનાર આ કલાકારનો જન્મ ગરીબ કુટુંબમાં થયો હતો. તે સમયની પ્રથા પ્રમાણે માત્ર નવ વર્ષની વયે તેમનાં લગ્ન થયાં હતાં. એકવીસ વર્ષની તેઓની વય હતી ત્યારે તેમનાં પત્ની તથા બાળક અવસાન પામ્યાં. ત્યારબાદ જીવનપર્યંત તેઓ એકલા જ રહ્યા. પોતાનું જીવન કલાને સમર્પિત કરી દીધું. સૌપ્રથમ કનુ દેસાઈ પાસે ત્યારબાદ રવિશંકર રાવળ પાસે કલાની દીક્ષા લીધી. ઇંદોર તથા લખનૌ જઈને પણ શિક્ષણ લીધું. ત્યાં કલાગુરુ બેન્દ્રે પાસેથી પણ લૅન્ડસ્કેપ શીખ્યા. છગનભાઈ ૨૬ વર્ષની વયે રવિશંકરના કળા-વિદ્યાર્થી બન્યા. ઇંદોરની આર્ટ સ્કૂલમાં છગનલાલને નારાયણ શ્રીધર બેન્દ્રે સાથે દોસ્તી થઈ, તેમની સાથે કાશ્મીરમાં પરિભ્રમણ કર્યું. કાશ્મીરનાં નિસર્ગ ચિત્રો કર્યાં. ત્યારબાદ તેઓ લખનૌની આર્ટસ્કૂલના વિદ્યાર્થી બન્યા અને તેમની કળા પરિપક્વ થઈ. લખનૌથી પાછા ફરીને છગનભાઈએ ઘણાં ઉત્તમ ચિત્રો સર્જ્યાં. બૉમ્બે આર્ટ સોસાયટીની હરીફાઈમાં શ્રેષ્ઠ ચિત્ર તરીકે અને મુંબઈના ગવર્નરનું પણ ઇનામ તેમને મળ્યું. ૧૯૩૦માં દાંડીકૂચના, ગાંધીજીના સ્કૅચીઝ કર્યા. ૧૯૬૫ પછી થોડાં વર્ષો તેઓ ગુજરાત રાજ્ય લલિતકળા અકાદમીના ઉપાધ્યક્ષપદે રહ્યા. ૧૯૪૪માં છગનભાઈ ફરીથી હિમાલયની લાંબી યાત્રાએ ગયા અને ત્યાંનાં દૃશ્યોનાં ચિત્રો દોર્યાં. ચિત્રો દોરતાં તેમની અધ્યાત્મસાધના પણ વધતી ગઈ. ગુજરાત લલિતકળા અકાદમીએ ‘ગૌરવ પુરસ્કાર’ વડે ૧૯૬૮માં છગનલાલ જાદવનું બહુમાન કરેલું. તેમનું અવસાન અમદાવાદમાં થયું હતું.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

રશ્મિભાઈ ક્ષત્રિય

જ. ૨૧ ફેબ્રુઆરી, ૧૯૨૬ અ. – ઑગસ્ટ, ૧૯૮૬

ગુજરાતના એક આધુનિક ચિત્રકાર અને કલાશિક્ષક. વડોદૃરાના એક મધ્યમવર્ગમાં જન્મેલા રશ્મિની બાર વર્ષની ઉંમર પહેલાં જ માતાપિતા અવસાન પામતાં કાકાએ તેમને ઉછેર્યા. મૅટ્રિક્યુલેશન કર્યા પછી અમદાવાદ ખાતે રવિશંકર રાવળની ચિત્રશાળા ‘ગુજરાત કલાસંઘ’માં વિદ્યાર્થી તરીકે જોડાઈને કલાસાધના આરંભી. એ સાથે સરકારના રેશિંનગ અનાજના ખાતામાં નોકરી શરૂ કરી. પરંતુ સરકારે નોકરીમાંથી કાઢી મૂકતાં સરકારી ઑફિસના ઓટલા પર બેસીને લોકોને વિવિધ અરજીઓ લખી આપીને ગુજરાન ચલાવ્યું તથા કલાસાધના માટેના ખર્ચની જોગવાઈ કરી. ઉદાર રવિશંકર રાવળે પણ તેમને કલાસાધના માટે આર્થિક મદદ કરી. આ જ રીતે અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ પણ પ્રાપ્ત કરી. એ પછી પહેલાં ઉત્તર ગુજરાતના સરઢવ ગામમાં અને પછી અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાવિહાર શાળામાં પ્રાથમિક વિભાગમાં ચિત્રકલાના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી અને પૂરી કરી. શેઠ સી. એન. વિદ્યાવિહારના નિયામક સ્નેહરશ્મિ(ઝીણાભાઈ દેસાઈ)એ ૧૯૭૩માં વિદ્યાવિહારના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરેલું. કેવી રીતે કલાપ્રવૃત્તિ કરવી તે બાબતમાં રશ્મિભાઈ બાળકોને પૂરતી આઝાદી આપતા. કેવી રીતે બાળકોને કલાશિક્ષણ આપવું તે બાબતમાં સ્નેહરશ્મિએ રશ્મિભાઈને પૂરતી આઝાદી અને મોકળાશ આપેલાં. તેઓ બાળકો પાસે કલાના અવનવા પ્રયોગો કરાવતા. રશ્મિભાઈ મૌલિક ચિત્રકાર હતા અને તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો રશિયા, ચેક રિપબ્લિક, જર્મની, ઇટાલી, કૅનેડા, જાપાન, બ્રિટનમાં થયેલાં. તેમની મૌલિક કલાનો સૂર હતો – ‘મારાં લોહી અને આંસુથી લખેલી મારા પ્રેમ અને નિરાશાની વેદના.’ તેમને બિલાડાં ખૂબ જ વહાલાં હતાં. તેમણે ઘણી બધી બિલાડીઓ પાળેલી અને રોજેરોજ તેમને જાતે રાંધીને ખવડાવતા. આજીવન એકાકી – અપરિણીત રશ્મિભાઈ કલાશિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી ત્રણ માસમાં જ અવસાન પામ્યા.

અમિતાભ મડિયા

Categories
વાચન સમૃદ્ધિ

અરિંવદ બૂચ

જ. ૨૦ ફેબ્રુઆરી, ૧૯૨૦ અ. ૨૮ જુલાઈ, ૧૯૯૮

મજૂર નેતા અરિંવદ બૂચનો જન્મ જૂનાગઢમાં નવરંગલાલ અને લજ્જાબહેનને ત્યાં થયો હતો. તેઓ અગ્રણી ગાંધીવાદી હતા અને મજૂર મહાજન સંઘના પ્રમુખપદે તેમણે સેવાઓ આપી હતી. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ૧૯૪૧માં તેઓ વિજ્ઞાનના વિષય સાથે સ્નાતક થયા. પોરબંદરની મહારાણા મિલમાં જોડાયા બાદ ૧૯૪૨માં તેઓ મજૂર મહાજન સંઘમાં દાખલ થયા. સંઘના સ્થાપક નેતાઓ ખંડુભાઈ દેસાઈ અને શ્યામાપ્રસાદ વસાવડા પાસેથી તાલીમ મેળવી ઘડાઈ ગયા. સમય જતાં તેઓ પ્રમુખપદ સુધી પહોંચી ગયા. ૧૯૮૬ સુધી તે પદે કુશળતાથી સેવાઓ આપી પછી નિવૃત્ત થયા. પરંતુ સંઘની કારોબારી સમિતિએ તેમને પ્રમુખપદ માટે ફરી આમંત્રિત કરતાં ઑગસ્ટ, ૧૯૮૯થી પુન: તેઓ સંઘના પ્રમુખ બન્યા. આ કારકિર્દી દરમિયાન કાપડઉદ્યોગના કામદારોના હિતની સતત ચિંતા સેવી, કાપડઉદ્યોગના માલિકો સામે મજૂરો દ્વારા શાંતિમય લડતો ચલાવી. તેમણે મજૂર મહાજન સંઘને એક આદર્શ ઉદાહરણ સંસ્થા તરીકે વિકસાવી. તેઓ ૩૦ જેટલા કામદાર સંઘોના પણ પ્રમુખ બન્યા. જેમાં કેમિકલ ઉદ્યોગ, કામદાર સંઘ, મીઠાપુર અને ગુજરાત સ્ટેટ ટ્રાન્સપૉર્ટ વર્કર્સ ફેડરેશન ખાસ ઉલ્લેખનીય છે. તે ઉપરાંત તેમણે ઘણાં બધાં ટ્રસ્ટ અને સંસ્થાઓના પ્રમુખ કે ચૅરમૅનપદે પણ સેવાઓ આપી કુશળતા બતાવી હતી. ‘સેવા અને ‘મહિલા બૅન્ક જેવી ઘણી સંસ્થાઓના તેઓ સ્થાપક પ્રમુખ અને ચૅરમૅન રહ્યા હતા. કામદાર સંઘોની કામગીરી માટે તેમણે કુલ ૨૮ વાર વિદેશપ્રવાસ કર્યો હતો. ૫૫ વર્ષની વયે તેમની કારકિર્દીમાં તેઓ સદાયે કામદારોના પડખે ઊભા રહ્યા હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં પણ ભારત સરકાર વિરુદ્ધ બંધ મિલોના કામદારોની તરફદારી માટે ૧૨૦૦ દિવસનો ફૂટપાથ સત્યાગ્રહ આદર્યો હતો. મજૂરો માટેની તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેમને અનેક સન્માનોથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા જેમાં ‘પદ્મશ્રી, ‘મે ડે’, ‘વિશ્વગુર્જરી’ સન્માનનો સમાવેશ થાય છે. ભારતના રાષ્ટ્રપ્રમુખ દ્વારા વિશ્વભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતનના સભ્યપદે તેમની નિમણૂક થઈ હતી.

અમલા પરીખ