Categories
વાચન સમૃદ્ધિ

અલવર આલ્ટો

જ. ૩ ફેબ્રુઆરી, ૧૮૯૮ અ. ૧૧ મે, ૧૯૭૬

હ્યુગો અલવર હેનરિક આલ્ટો ફિનિશ આર્કિટૅક્ટ અને ડિઝાઇનર હતા. તેમના પિતા જ્હૉન હેનરિક આલ્ટો ફિનિશભાષી જમીન સર્વેયર હતા અને તેમનાં માતા સેલમા માટિલ્ડા ‘સેમી’ સ્વીડિશભાષી પોસ્ટમિસ્ટ્રેસ હતાં. તેમણે હેલસિંકી યુનિવર્સિટી ઑફ ટૅકનૉલૉજીમાંથી આર્કિટૅક્ચરનો અભ્યાસ કર્યો હતો. તેમની પ્રારંભિક કારકિર્દી ૨૦મી સદીના પહેલા ભાગમાં ફિનલૅન્ડના ઝડપી, આર્થિક વિકાસ અને ઔદ્યોગિકીકરણ સાથે સમાંતર ચાલી હતી. ૧૯૨૧માં સ્નાતક થયા બાદ ૧૯૨૨માં તેમણે લશ્કરની સેવા શરૂ કરી અને ૧૯૨૩માં તેમને સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમણે ‘અલવર આલ્ટો આર્કિટૅક્ટ અને મોન્યુમેન્ટલ આર્ટિસ્ટ’ નામની એક આર્કિટૅક્ચરલ ઑફિસ ખોલી હતી. આ સિવાય તેમણે રીમસ ઉપનામ રાખીને ‘જયવસ્કીલા’ અખબાર માટે લેખો લખ્યા હતા. સાથોસાથ સંખ્યાબંધ નાના સિંગલ-ફૅમિલી હાઉસ ડિઝાઇન કર્યા હતા. અલવર આલ્ટોએ ફિનલૅન્ડ અને વિદેશમાં પ્રતિષ્ઠિત રાજ્યની જાહેર ઇમારતો માટે અનેક સ્થાપત્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વ્યાવસાયિક જર્નલોમાં લખાયેલા લેખ ઉપરાંત તેમના સૌથી જાણીતા નિબંધોમાં ‘અર્બન કલ્ચર’ (૧૯૨૪), ‘જેવાસ્કીલા રિજ પર મંદિર સ્નાન’ (૧૯૨૫), ‘એબ્બે કોઈનાર્ડનો ઉપદેશ’ (૧૯૨૫) અને ‘દરવાજાથી લિવિંગ રૂમ સુધી’(૧૯૨૬)નો સમાવેશ થાય છે. તેમનાં લખાણોમાં માનવતાવાદી અભિગમ જોવા મળે છે. ૧૯૩૮માં ન્યૂયૉર્કમાં MOMA ખાતે તેમની કૃતિઓનું પ્રદર્શન યોજવાના આમંત્રણને પગલે અમેરિકામાં તેમની પ્રતિષ્ઠા ખૂબ વધી હતી. જેના લીધે પાછળથી ૧૨ શહેરોમાં તેમનું પ્રદર્શન યોજાયું હતું. ૧૯૪૧માં તેમને અમેરિકામાં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાં મુલાકાતી અધ્યાપક તરીકે આમંત્રણ મળ્યું હતું. ૧૯૫૦ના દાયકામાં તેઓ શિલ્પ બનાવવા માટે લાકડાં, કાંસ્ય, આરસ અને મિશ્ર માધ્યમોની શોધખોળમાં વ્યસ્ત રહ્યા હતા. આ સમયગાળાની નોંધપાત્ર કૃતિઓમાં તેમનું ૧૯૬૦નું સુઓમુસ્સલમી યુદ્ધનું સ્મારક છે. આલ્ટોને મળેલા પુરસ્કારોમાં ૧૯૫૪માં પ્રિન્સ યુજેન મેડલ, ૧૯૫૭માં રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કિટૅક્ટ્સ તરફથી રૉયલ ગોલ્ડ મેડલ મોખરે છે. ૧૯૬૦માં તેમણે નૉર્વેજિયન યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજી (NTNU) ખાતે માનદ ડૉક્ટરેટ પણ પ્રાપ્ત કર્યું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

રાજકુમારી અમૃત કૌર

જ. ૨ ફેબ્રુઆરી, ૧૮૮૯ અ. ૬ ફેબ્રુઆરી, ૧૯૬૪

અમૃત કૌરનો જન્મ લખનઉમાં થયો હતો. તેઓ પંજાબ પ્રાંતના કપૂરથલ્લા રાજ્યના રજવાડા પરિવારના સાત ભાઈઓનાં એકનાં એક બહેન હતાં. તેમનો પ્રારંભિક અભ્યાસ ડોરસેટ ઇંગ્લૅન્ડ ખાતે તથા કૉલેજશિક્ષણ ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાં લીધું હતું. ત્યારબાદ તેઓ ભારત પાછાં આવ્યાં. ભારત આવીને તેઓ સ્વતંત્રતાચળવળમાં જોડાઈ ગયાં. તેમના પિતા ભારતના રાષ્ટ્રીય કૉંગ્રેસના મુખ્ય નેતાઓ સાથે પરિચય ધરાવતા હતા, આથી ૧૯૧૯માં અમૃત કૌર મહાત્મા ગાંધીને મુંબઈ ખાતે મળ્યાં અને તેમના વિચારોથી પ્રભાવિત થઈ ગયાં. જલિયાંવાલા બાગમાં થયેલ હત્યાકાંડથી તેઓ બ્રિટિશ રાજનાં પ્રખર વિરોધી અને આલોચક બન્યાં. ત્યારબાદ તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાઈ ગયાં અને ભારતીય સ્વતંત્રતાઆંદોલનમાં સક્રિય થયાં અને સામાજિક સુધારણાના વિષયમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે ૧૯૨૭માં અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના કરી. ૧૯૩૦માં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ દાંડીકૂચમાં ભાગ લેવા બદલ તેઓને જેલવાસ થયો. ત્યારબાદ તેઓ ગાંધીજીનાં અંતેવાસી બન્યાં અને કઠોર જીવનશૈલી અપનાવી. તેમણે ૧૬ વર્ષ સુધી ગાંધીજીનાં મંત્રી તરીકે કાર્ય કર્યું ઉપરાંત મહિલાઉત્કર્ષ અને શિક્ષણપ્રવૃત્તિઓમાં સવિશેષ રસ લીધો. બાળલગ્ન અને પરદાપ્રથાનો વિરોધ કર્યો. તેઓ સ્વતંત્ર ભારતનાં પહેલાં સ્વાસ્થ્યમંત્રી હતાં. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ભારતના પ્રારંભિક રાજકીય જીવનમાં તેઓએ માનભર્યું સ્થાન હાંસલ કર્યું હતું. તેમની ઇચ્છાનુસાર તેઓને મૃત્યુ પછી દફનાવવાને બદલે અગ્નિસંસ્કાર અપાયો હતો.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

અબ્બાસ તૈયબજી

જ. ૧ ફેબ્રુઆરી, ૧૮૫૪ અ. ૯ મે, ૧૯૩૬

ભારતીય સ્વાતંત્ર્યસેનાની અને મહાત્મા ગાંધીજીના નિકટના સાથી તથા વડોદરા રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ. તેમનો જન્મ ખંભાત, ગુજરાતના એક સમૃદ્ધ સુલેમાની વહોરા મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમણે ઘેર રહીને ઉર્દૂ, ફારસી અને કુરાનનો અભ્યાસ કર્યો. ઉપરાંત મિશન સ્કૂલમાં અંગ્રેજીનો અભ્યાસ કર્યો. અગિયાર વર્ષની વયે ઇંગ્લૅન્ડ ગયા અને ૧૮૭૨માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ૧૮૭૫માં બૅરિસ્ટર થયા. ઇંગ્લૅન્ડના રહેવાસ દરમિયાન પાશ્ચાત્ય જીવનપદ્ધતિ અને વિચારોથી પ્રભાવિત થવાથી ભારત પરત આવ્યા બાદ પણ બ્રિટિશ રાજ પ્રત્યે વફાદાર રહ્યા. ૧૮૭૯માં વડોદરા રાજ્યની અદાલતમાં ન્યાયાધીશ તરીકે નોકરી સ્વીકારી. મુસ્લિમ સમાજમાં કેળવણીનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી તેમણે તેના ફેલાવા માટે પ્રયાસ કર્યો. વડોદરાની અંજુમન-એ-ઇસ્લામ સંસ્થા તથા સુરમાયા-જમાતે સુલેમાની બોર્ડિંગ સ્કૂલનાં ઘણાં વર્ષો સુધી પ્રમુખ રહ્યા. તેઓ સ્ત્રીશિક્ષણ અને સમાજસુધારાને સમર્થન કરતા. પડદાપ્રથાનો અસ્વીકાર કરવાની સાથે પોતાની પુત્રીઓને શાળામાં મોકલી તત્કાલીન રૂઢિગત રિવાજોને પણ પડકાર્યા હતા. ૧૮૮૫માં હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનાના સમયથી જ તેના સભ્ય હતા. ૧૯૧૭માં ગોધરા ખાતે આયોજિત એક સામાજિક સંમેલનમાં ભાગ લીધો અને ૧૯૧૯ પછી બ્રિટિશ શાસનના વિરોધી બન્યા. જલિયાંવાલા બાગ હત્યાકાંડના બનાવ અંગે રચાયેલી કૉંગ્રેસ તપાસ સમિતિમાં પણ જોડાયા. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમની જીવનદૃષ્ટિમાં પરિવર્તન આવ્યું. ૧૯૨૦માં ગુજરાત રાજકીય પરિષદ(અમદાવાદ)ના પ્રમુખ બન્યા. તેઓ બારડોલી સત્યાગ્રહમાં પણ જોડાયા અને ૧૯૩૦ની દાંડીકૂચ વખતે ગાંધીજીની ધરપકડ પછી તેઓ આંદોલનના મુખ્ય નેતા બન્યા. તેથી ૭૮ વર્ષની વયે જેલમાં જવું પડ્યું. ૧૯૩૨માં પણ ફરી જેલવાસ થયો. તૈયબજીની ધરપકડ અને જેલની સજાના સંદર્ભે ગાંધીજીએ તેમને ‘ગ્રાન્ડ ઓલ્ડ મૅન ઑફ ગુજરાત’ તરીકે નવાજ્યા હતા. ૧૯૩૩ અને ૧૯૩૫માં તે વડોદરા પ્રજામંડળના પ્રમુખ રહ્યા હતા.

રાજશ્રી મહાદેવિયા