Categories
વાચન સમૃદ્ધિ

આનંદશંકર ધ્રુવ

જ. ૨૨ જાન્યુઆરી, ૧૮૬૯ અ. ૭ એપ્રિલ, ૧૯૪૨

શિક્ષણ, સાહિત્ય તેમજ સમગ્ર સાંસ્કૃતિક ક્ષેત્રમાં દેશભરમાં ખ્યાતિ પામનાર આનંદશંકરનો જન્મ અમદાવાદમાં થયો હતો. પિતા બાપુભાઈ તથા માતા મણિબા. બાળપણ વડોદરા અને રાજકોટમાં વીત્યું. તેમણે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કર્યો હતો અને નાની ઉંમરે જ સંસ્કૃત શીખ્યા હતા. ૧૮૯૩માં એમ.એ.ના અભ્યાસની સાથે તેમણે ગુજરાત કૉલેજમાં સંસ્કૃતનું અધ્યાપનકાર્ય શરૂ કર્યું. ત્યારબાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં પણ કેટલાંક વર્ષો અધ્યાપનકાર્ય કર્યું. ગાંધીજીના સૂચનથી ૧૯૧૯માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આચાર્ય તરીકે ગયા. ૧૯૨૦માં હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ થયા અને ૧૯૩૬માં નિવૃત્ત થઈને અમદાવાદ આવી ગયા. ષડ્દર્શનનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો.

તેમણે ‘મુમુક્ષુ’ અને ‘હિંદ-હિતચિંતક’ ઉપનામોથી સાહિત્યસર્જન કર્યું હતું. ધર્મચિંતન અને સાહિત્યતત્ત્વચર્ચાના ક્ષેત્રમાં તેમનું અર્પણ ઉત્કૃષ્ટ કોટિનું હતું. મણિલાલના તેઓ વિશ્વાસુ અને સમાનધર્મા હતા. તેઓ ધર્મની વ્યાખ્યા કરતાં તેનો વિશાળ અર્થ જીવનની સર્વ પ્રવૃત્તિઓને લાગુ પાડવામાં માનતા હતા. તેમણે ભારતીય ફિલસૂફી અને સંસ્કૃત સાહિત્ય પર અને પશ્ચિમ ફિલસૂફી અને સંસ્કૃતિ જેવા વિષયો પર અનેક પુસ્તકો લખ્યાં છે. વધુમાં તેમણે ધર્મ અને હિંદુ શ્રદ્ધાના સાર પરની ફિલસૂફી આધારિત ચર્ચા કરતા નિબંધો પણ લખ્યા છે. તેમણે ૧૯૦૨માં ‘વસંત’ માસિકની શરૂઆત કરી હતી. ‘વસંત’ દ્વારા તેમણે એક વિશ્વવિદ્યાલયની ગરજ સારે તેવું વિદ્યા અને સંસ્કારનું ચિંતન કરવાનો પ્રયત્ન કરેલો. તેઓ ‘સુદર્શન’ના તંત્રીપદે પણ રહ્યા હતા. તેઓ ૧૯૨૮માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ફિલૉસૉફિકલ કૉંગ્રેસ જેવી સંસ્થાઓના પ્રમુખપદે રહ્યા હતા. ૧૯૩૦માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ નિયુક્ત થયેલા. ૧૯૩૬માં સર્વધર્મ પરિષદના પ્રમુખ બન્યા હતા. ‘કાવ્યતત્ત્વવિચાર’, ‘સાહિત્યવિચાર’, ‘દિગ્દર્શન’ અને ‘વિચારમાધુરી (ભાગ ૧-૨), ‘નીતિશિક્ષણ’, ‘ધર્મવર્ણન’, ‘હિંદુ (વેદ) ધર્મ’, ‘હિંદુ ધર્મની બાળપોથી’ અને ‘આપણો ધર્મ’ તેમના સાહિત્ય અને ધર્મને લગતા મહત્ત્વના ગ્રંથો છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

રામકૃષ્ણ ત્રિવેદી

જ. ૨૧ જાન્યુઆરી, ૧૯૨૧ અ. ૧૯ નવેમ્બર, ૨૦૧૫

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણીનિયામક અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ. તેમનો જન્મ મ્યાનમારમાં થયો હતો. લખનૌ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી ૧૯૪૩માં ભારતીય સિવિલ સર્વિસીસમાં જોડાયા. ૧૪ જુલાઈ, ૧૯૪૩થી તેમણે કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશ રાજ્ય સરકાર બંને સાથે ૩૬ વર્ષથી વધુની વિશિષ્ટ સેવાઓ આપી. ૧૯૫૩થી ૧૯૭૯ દરમિયાન તેમણે જિલ્લા-મૅજિસ્ટ્રેટ, આઈ.એ.એસ. ટ્રેનિંગ સ્કૂલ, દિલ્હીમાં વાઇસપ્રિન્સિપાલ, ત્યારબાદ રાજ્ય સરકારમાં ડિરેક્ટર, સેક્રેટરી, કમિશનર, ચૅરમૅન જેવા વિવિધ હોદ્દાઓ પર પણ કામ કર્યું. ૧૯૭૮-૭૯માં બુંદેલખંડ યુનિવર્સિટી, ઝાંસીના કુલપતિ રહ્યા. ૧૯૮૦ના જાન્યુઆરીથી જૂન દરમિયાન મધ્યપ્રદેશના રાજ્યપાલના સલાહકાર તરીકે કાર્ય કર્યું. તેઓ ૧૯૮૦થી ૧૯૮૨ સુધી ભારતના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર હતા. ત્યારબાદ જૂન ૧૯૮૨થી ડિસેમ્બર ૧૯૮૫ સુધી ભારતના સાતમા મુખ્ય ચૂંટણીનિયામક તરીકે સેવાઓ આપી. આ ઉપરાંત તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશનના વાઇસ પ્રેસિડન્ટ અને કુઆલાલંપુર ખાતે એશિયન સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઍડ્મિનિસ્ટ્રેશનના સલાહકાર પણ હતા. ૧૯૮૬-૯૦ સુધી ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે સેવાઓ આપી. ત્યારબાદ તેમણે લખનૌમાં રામકૃષ્ણ મિશનમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી. તેમની વિચક્ષણ બુદ્ધિપ્રતિભાથી વિવિધ ક્ષેત્રોમાં આપેલ પ્રદાનને ધ્યાનમાં લેતાં ૧૯૮૬માં ભારત સરકારે તેમને પદ્મભૂષણની ઉપાધિથી પુરસ્કૃત કર્યા હતા.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

કૈલાસ ચન્દ્રદેવ બૃહસ્પતિ

જ. ૨૦ જાન્યુઆરી, ૧૯૧૭ અ. ૩૦ જુલાઈ, ૧૯૭૯

સંગીતવિદ્યાનો સંસ્કારવારસો કૈલાસને કુળપરંપરાથી મળ્યો હતો. દસ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું, તેથી તેમનાં વિદુષી માતા નર્મદાદેવીએ તેમનું પાલનપોષણ કર્યું અને સંસ્કાર તથા વિદ્યાનું સિંચન કર્યું. માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરથી જ કૈલાસચન્દ્ર શુદ્ધ ઉચ્ચાર કરતા હતા. પાંચ વર્ષની વયે તેઓને સંસ્કૃતના અનેક શ્લોકો કંઠસ્થ હતા. અગિયાર વર્ષની વયે તેઓ મૌલિક કાવ્યરચના કરતા હતા, ચૌદ વર્ષની વયે એમના મુખેથી સ્વરચિત શ્લોકોનું ગાન સાંભળીને પંડિતોએ તેઓને કાવ્યમનીષી, સાહિત્યસૂરિ જેવી ઉપાધિઓથી અલંકૃત કર્યા હતા. શાસ્ત્રો, ભાષા, સાહિત્ય, વિવિધ વિદ્યાઓ સંગીતની ગાયન-વાદન કલાઓ વગેરેનું જ્ઞાન પંડિતો પાસેથી મળવાથી કૈલાસચન્દ્રનું જીવન ખીલી ઊઠ્યું. તેઓએ સંગીત વિશે પોતાનો શોધનિબંધ રજૂ કર્યો હતો.  ભારતીય પ્રાચીન સંગીતશાસ્ત્ર અને ગાયનપદ્ધતિ સંપૂર્ણ વૈજ્ઞાનિક અને વ્યવહારુ છે. તેઓએ ‘બૃહસ્પતિ વીણા’ નામે એક નવી વીણાનો આવિષ્કાર કર્યો હતો. તેમણે સંગીતવિષયક મૌલિક ચિંતન વ્યક્ત કરતા બે ગ્રંથો લખ્યા છે : ‘ભારત કા સંગીતસિદ્ધાંત’ તથા ‘સંગીત ચિંતામણિ’. આ ઉપરાંત તેમણે ભારતનાટ્યશાસ્ત્રના ૨૮મા અધ્યાય પર વિદ્વત્તાપૂર્વક ટીકા લખી છે. ટીકાનું નામ ‘સાધના’ આપ્યું. તેમણે પોતાની ગૃહિણી સાધના અને પોતાની સંગીતસાધના બંનેને અમર બનાવી દીધાં. તેમને અનેક પદવીઓ, પદકો, પ્રતિષ્ઠાઓ અને પદાધિકારો પ્રાપ્ત થયાં હતાં.

અંજના ભગવતી