Categories
વાચન સમૃદ્ધિ

ટ્રિનિડાડ અને ટોબેગો

વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના સમૂહમાં તેના દક્ષિણ છેડા પર આવેલો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : ૧૧° ૦૦´ ઉ. અ. અને ૬૧° ૦૦´ પ. રે.. વિસ્તારની દૃષ્ટિએ તે ટાપુઓમાં બીજા ક્રમનો છે. તે ૨ મુખ્ય તથા ૨૧ નાના ટાપુઓનો બનેલો દેશ છે. તેનો કુલ વિસ્તાર ૫,૧૩૧ ચોકિમી. તથા તેના દરિયાકિનારાની લંબાઈ ૪૭૦ કિમી. છે. તે વિષુવવૃત્તની ઉત્તરે આશરે ૧૦° પર, ઓરિનોકો મુખત્રિકોણની સામે, અમેરિકાની ઉત્તર કિનારાની નજીક છે. માળખાગત તથા ભૌગોલિક બંને રીતે તેને વેસ્ટ ઇન્ડિયન ટાપુ કરતાં દક્ષિણ અમેરિકાનો ટાપુ ગણાય. ટોબેગો ટાપુનું ટ્રિનિડાડ સાથે ૧૮૯૮માં વિલીનીકરણ થયું. ટોબેગોનો કુલ વિસ્તાર ૩૦૦ ચોકિમી. છે અને તે ટ્રિનિડાડના ઈશાન ખૂણે ૩૧ કિમી. અંતરે આવેલો છે. ટ્રિનિડાડ અને ટોબેગો બંનેની કુલ વસ્તી ૧૫,૦૮,૬૩૫ (૨૦૨૪) તથા વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. ૨૫૪ છે. કુલ વસ્તીના ૬૯% શહેરી વિસ્તારમાં તથા ૩૧% ગ્રામવિસ્તારમાં રહે છે, બંને ટાપુઓના કુલ ભૂભાગનો ૯૫% ભૂભાગ તથા કુલ વસ્તીના આશરે ૯૫% વસ્તી ટ્રિનિડાડની છે. પૉર્ટ ઑવ્ સ્પેન તેનું પાટનગર, મુખ્ય બંદર, મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર તથા મોટામાં મોટું શહેર છે. આ ટાપુઓની મુખ્ય ભાષા અંગ્રેજી છે.

કોકોની ખેતી

પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ આ વૈવિધ્યપૂર્ણ પ્રદેશના ત્રણ મુખ્ય ભૌગોલિક ભાગ પાડી શકાય : (૧) ઉત્તરમાં પર્વતોની શૃંખલા, જે ટાપુઓની કુલ પહોળાઈને આવરી લઈ પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલી છે. હકીકતમાં આ પર્વતશૃંખલા વેનેઝુએલાની શૃંખલાનો ભાગ છે. આ ભાગમાં વ્યાપારી પવનો મુખ્યત્વે પૂર્વમાંથી ઈશાન તરફ વહે છે. ટાપુના પૂર્વ તરફના પ્રદેશમાં અને ખાસ કરીને પર્વતશૃંખલાના ઈશાનમાં ભારે વરસાદ પડે છે, જે ઘણી વાર વાર્ષિક સરેરાશ ૩,૭૫૦ મિમી.ને વટાવી જાય છે. (૨) ટાપુના ઉત્તર તરફના ભાગમાં ગીચ જંગલો તથા ઊંડી  ખીણો આવેલાં છે. અન્ય બે પર્વતશૃંખલાઓમાં મધ્ય તથા દક્ષિણની ઊંડી ખીણો  તરફની પર્વત-શૃંખલાઓનો સમાવેશ થાય છે, જે દક્ષિણ તરફ ક્રમશ: ઘટતી જાય છે. ત્રણે પર્વતશૃંખલાઓ : ઉત્તર, મધ્ય તથા દક્ષિણનાં શિખરોની ઊંચાઈ ૧૫૨.૩ મી.થી ૧૫૨૩ મી. વચ્ચે છે. ઉત્તર તરફની પર્વતશૃંખલાનાં ઘણાં શિખરોની ઊંચાઈ ૯૧૪ મી. કરતાં પણ વધારે છે. માઉન્ટ એરિપો શિખર ઊંચામાં ઊંચું (૯૪૦ મીટર) છે. મોટાભાગની કાંપની જમીન પૉર્ટ ઑવ્ સ્પેનની પૂર્વે તથા કોકોસ ઉપસાગરની પશ્ચિમે આવેલી છે. (૩) ટાપુના મધ્ય વિસ્તારની પર્વતશૃંખલાઓ તથા કિનારા સુધીની પર્વતશૃંખલાઓ વચ્ચેનો પ્રદેશ સપાટ અથવા ક્વચિત્ સમુદ્રતરંગ જેવો દેખાય છે અને તેમાંનો ઘણો ભાગ કળણભૂમિથી વ્યાપેલો છે. પશ્ચિમ તરફના બે દ્વીપકલ્પોનો વિશાળ પ્રદેશ પારિયાની ખાડી તરીકે ઓળખાય છે, જેમાં છીછરો દરિયો ભરાય છે. ટ્રિનિડાડના કુલ ભૌગોલિક વિસ્તારના ત્રીજા ભાગ જેટલી જમીન ખેતીક્ષેત્ર હેઠળ આવરી લેવામાં આવી છે. ખાંડ અને કોકો ત્યાંની મુખ્ય પેદાશો છે. પશ્ચિમના દરિયાકાંઠાના સૂકા મેદાની પ્રદેશમાં શેરડીની ખેતી થાય છે, જ્યારે ઉત્તરના પર્વતીય ઉષ્ણ પ્રદેશની ખીણોમાં કોકોની પેદાશ થાય છે. ઉપરાંત, કૉફી, નારિયેળ, કેળાં તથા મોટાં સંતરાં જેવાં, સ્વાદે સહેજ કડછાં હોય તેવાં ગ્રેઇપ-ફ્રૂટની પેદાશ ઠીક ઠીક પ્રમાણમાં થાય છે. ટાપુના નિકાસ વ્યાપારમાં નારિયેળ તથા તેની પેદાશો અગ્રસ્થાને રહે છે. સ્થાનિક ખોરાક માટે નારિયેળનું તેલ તથા ઘરગથ્થુ વપરાશ માટે સાબુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. તાજેતરનાં વર્ષોમાં સ્થાનિક વપરાશ માટે ચોખાની પેદાશમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. લીંબુ, નારંગી, મોસંબી, મોટાં લીંબુ તથા અન્ય ખાટાં ફળો અને તેના રસની નિકાસોને સહકારી સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. શેરડી તથા કોકોની પેદાશ કંપનીઓની માલિકી હેઠળની જમીનો પર થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટ્રિનિડાડ અને ટોબેગો,
પૃ. 402)

Categories
વાચન સમૃદ્ધિ

સુવર્ણમંદિર (અમૃતસર)

પંજાબમાં અમૃતસરમાં આવેલું શીખોનું પવિત્ર મંદિર. તેનું મૂળ નામ હરિમંદિર સાહિબ છે. તેના પર સોનાના ઢોળવાળાં તાંબાનાં પતરાં જડેલાં હોવાથી તે સુવર્ણમંદિર તરીકે જાણીતું છે. ચોથા શીખ ગુરુ રામદાસે અમૃતસર નામનું તળાવ બંધાવી એ જ નામનું ત્યાં નગર પણ વસાવ્યું. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવ(૧૫૮૧–૧૬૦૬)ના સમયમાં ૧૫૮૮માં મંદિરનું બાંધકામ શરૂ થયું અને ૧૬૦૧માં તે પૂરું થયું. મંદિર સરોવરની મધ્યમાં છે. મંદિરનું આરસનું સુશોભન અને સોનાનું કામ ૧૮૦૦ પહેલાંનું છે. આ કામ માટે પંજાબના શીખ રાજ્યના મહારાજા રણજિતસિંહે પુષ્કળ પ્રમાણમાં સોનું અને આરસ પૂરાં પાડ્યાં હતાં. તેમણે મંદિરના ઘુમ્મટ વગેરે ભાગોને સોનાના ઢોળવાળાં તાંબાનાં પતરાં જડાવ્યાં હતાં.

સુવર્ણમંદિર (અમૃતસર), પંજાબ

સુવર્ણમંદિર આરસનું બાંધેલું ચોરસ મંદિર છે. તેનો વિસ્તાર ૨૦ મી.  ૨૦ મી. છે. મંદિરને ફરતું સરોવર છે. સરોવર ૬૧ મી. લાંબા આરસના માર્ગ વડે ઘેરાયેલું છે. તેની ઉપર તોરણવાળો માર્ગ છે. મંદિરને ચાર પ્રવેશ છે. તેના ઘુમ્મટ નીચે રેશમમંડિત બેઠકમાં શીખોના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’ની પ્રતિષ્ઠા કરેલી છે. કોઈ પણ વ્યક્તિ ધર્મ, વર્ણ, પંથ કે જાતિના ભેદભાવ વિના મંદિરમાં પ્રવેશી શકે છે. મંદિરમાં દારૂ, સિગારેટ, માંસ કે અન્ય કોઈ પદાર્થ લઈ જવા પર પ્રતિબંધ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે મંદિરમાં પ્રવેશે ત્યારે તેણે તેનું માથું ઢાંકેલું રાખવું જોઈએ. મંદિરપ્રવેશ પહેલાં હાથ-પગ ધોયેલા હોવા જરૂરી છે. ગુરુવાણીનું પઠન સાંભળવા મંદિરમાં બેસી શકાય છે. મંદિર સંકુલમાં રોજ લગભગ ૧,૦૦,૦૦૦ લોકો વિનામૂલ્યે ભોજન કરી શકે છે. આ વ્યવસ્થા ‘લંગર’ તરીકે જાણીતી છે. મંદિર સંકુલમાં શીખ ધર્મના ગુરુઓ, શહીદો વગેરેનાં સ્મારકો આવેલાં છે. અહીં બૈસાખી તેમ જ ધર્મગુરુઓના જન્મદિવસો ધામધૂમથી ઊજવાય છે. ૧૯૮૪ના અરસામાં મંદિરને ઘણું નુકસાન થયું હતું. ભારત સરકાર જેને આતંકવાદી માનતી હતી અને શીખો જેને ધાર્મિક નેતા માનતા હતા તે જરનૈલસિંઘ ભિંડરાંવાલે અને તેના સાથીદારોએ સુવર્ણમંદિરમાં આશરો લીધો હતો. આતંક ઉગ્ર બનતાં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ સાહસપૂર્ણ નિર્ણય લઈ ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ નામક લશ્કરી પગલું ભરવું પડ્યું હતું. તેમાં સુવર્ણમંદિરમાં સૈનિકો મોકલી ભિંડરાંવાલે સહિત ઘણા આતંકીઓનો નાશ કર્યો હતો. ગોળીબાર, તોપમારો અને હેલિકૉપ્ટરને કારણે મંદિરના સંકુલને ઘણું નુકસાન પહોંચ્યું હતું. પાછળથી કારસેવકો દ્વારા આ નુકસાનનું સમારકામ કરાવવામાં આવ્યું હતું.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ટ્રક

ભૂમિ પર માલસામાનના ઝડપી પરિવહન માટે વપરાતું ભારે યાંત્રિક વાહન. આદિમાનવ જાતે ચીજવસ્તુ પાસે પહોંચી જતો. આશરે ૯,૦૦૦ વર્ષ પૂર્વે ભારતમાં તથા આનાતોલિયામાં માણસે ગોવંશને પાળવાની શરૂઆત કરી. બેએક હજાર વર્ષ પછી માણસ ઘોડો પાળતો થયો. પશુની સહાયથી સામાનની હેરફેર કરવાનું સરળ બન્યું. આ પરિસ્થિતિમાં હજારો વર્ષો સુધી ફરક પડ્યો નહિ. ૧૭૬૫માં વરાળયંત્રની શોધ સાથે શરૂ થયેલી ઔદ્યોગિક ક્રાંતિથી પરિસ્થિતિ ઝડપથી બદલાવા લાગી. કારખાનાં માટે કાચા માલ તથા તૈયાર માલની હેરફેર માટે નાનાં અને ઝડપી વાહનો આવશ્યક બન્યાં. પ્રારંભે વરાળયંત્ર ઉપયોગી જણાયું; પણ ટૂંક સમયમાં જ ધીરો વેગ, વધારે પડતો ભાર, પાટાની જરૂર, ઇંધન રાખવાની અગવડ, ખૂણેખાંચરે પહોંચી જવામાં અક્ષમતા વગેરે મર્યાદાઓ સામે આવી. ૧૮૮૫માં જર્મનીના કાર્લ બેન્ઝે અંતરદહન–પેટ્રોલ–એંજિનની શોધ કરી. ૧૮૯૬માં એ જ દેશના ઇજનેર ગોટલીબ ડેમલરે પ્રથમ ટ્રક બનાવી અને નવો યુગ બેઠો. પ્રારંભિક ટ્રકો પ્રમાણમાં અણઘડ યંત્રકામવાળી તથા બહુ ભારે હતી. નગરની પાકી સડકોની બહાર તે નકામી હતી. ૧૯૦૩માં અમેરિકામાં યોજાયેલી ટ્રકસ્પર્ધાએ સુધારેલાં વાહનોના નિર્માણને ઉત્તેજન પૂરું પાડ્યું. પ્રથમ વિશ્વયુદ્ધના અંતસમયે (૧૯૧૮) એકલા અમેરિકામાં જ ૧૦ લાખથી વધારે ટ્રકો લગભગ તમામ ભાગોમાં દોડતી હતી.

આ સમયે ટ્રકોને છાપરું કે બારણાં નહોતાં. આગળ રક્ષણ નહોતું. એંજિન છેક આગળ હતું. પૈડાં પર રબરનો પાટો હતો. કલાકના વધારેમાં વધારે ૩૦ કિમી.ના વેગે આ ટ્રકો માર્ગ પર જમણી બાજુ દોડતી. સમય જતાં વધુ સુધારા થયા. ૧૯૩૦માં વર્તમાન પ્રકારની ટ્રક આવી. હવે વિવિધ પ્રકારનાં ટ્રેલરોનો ઉપયોગ પણ વ્યાપક બન્યો. ત્રીસીના દસકામાં ટ્રક એંજિન માટે ઇંધન તરીકે ડીઝલ તેલનો ઉપયોગ શરૂ થયો. આધુનિક ટ્રક યંત્ર-ઇજનેરીની કુશળતાનો એક અદભુત નમૂનો છે. પોતાનો તથા સામાનનો મળીને એકત્ર ભાર વહન કરવાની ક્ષમતા અનુસાર બે ધરીવાળી ટ્રકોના ત્રણ વર્ગો પાડવામાં આવે છે : (૧) હળવા વજનવાળી ટ્રક : આમાં વાહનના એકંદર વજન(gross vehicle weight)ની મર્યાદા ૬૦૦૦ કિગ્રા. સુધીની હોય છે. (૨) મધ્યમ વજનવાળી ટ્રક : આમાં વાહનના એકંદર વજનની મર્યાદા ૬,૦૦૦ કિગ્રા.થી ઉપર અને ૧૨,૦૦૦ કિગ્રા.થી વધુ નહિ તે મુજબની હોય છે. (૩) ભારે વજનવાળી ટ્રક : આમાં વાહનના એકંદર વજનની મર્યાદા ૧૨,૦૦૦ કિગ્રા.થી વધારે હોય છે. સામાન્ય રીતે આ વજનની મર્યાદા ૧૬,૦૦૦ કિગ્રા. આસપાસની હોય છે. આ ઉપરાંત વધુ વજન વહન કરવા માટે બેથી વધુ ધરી(ઍક્સલ)નો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે માલસામાનના પરિવહન માટે ૯,૦૦૦થી ૧૦,૦૦૦ કિગ્રા. વજન લઈ જવાની ક્ષમતા(pay load)ની ટ્રકનો ઉપયોગ થાય છે, જ્યારે નાના રસ્તાઓ તથા ગીચ ટ્રાફિક માટે હળવાં વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રકની રચનાની વિગતો નીચે મુજબ છે : (૧) વ્હીલ બેજ : આગળની ધરીથી પાછળની ધરી વચ્ચેના અંતરને વ્હીલ બેજ કહેવામાં આવે છે. (૨) રિયર ઓવર હગ : પાછળની ધરીથી પાછળ તરફ ચેસીસનો જેટલો ભાગ લંબાયેલ હોય તેને રિયર ઓવરહગ કહે છે અને મોટર વિહિકલ ઍક્ટ ઍન્ડ રૂલ્સની જોગવાઈને ધ્યાનમાં લઈ ટ્રકનું પાછળનું બૉડી બાંધવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટ્રક, પૃ. ૩૭૫)