Categories
વાચન સમૃદ્ધિ

જિબ્રાલ્ટર

સ્પેનના એન્ડેલુશિયા પ્રાંતની દક્ષિણ દિશામાં સ્થિત ભૂશિર તથા સ્વાયત્ત બ્રિટિશ વસાહત. ભૌગોલિક સ્થાન : ૩૬° ૦૭´ ઉ. અ. અને ૫° ૨૧´ પ. રે.. ભૂમધ્ય સાગર તથા આટલાંટિક મહાસાગર વચ્ચેના પ્રવેશદ્વાર તરીકે તેનું લશ્કરી દૃષ્ટિએ વિશિષ્ટ મહત્ત્વ રહ્યું છે. ૭૧૧માં તારિક નામના મુસ્લિમ મૂર નેતાએ સ્પેન પર વિજય મેળવવાના હેતુથી ઉત્તર આફ્રિકા તરફથી સ્પેન તરફ કરેલી કૂચના માર્ગમાં આવેલા આ સ્થાનના ખડક પર એક મજબૂત દુર્ગ બાંધેલો. આ ઉપરથી આ સ્થળનું ‘જેબલ અલ્ તારિક’ (The Hill of Tariq) નામ પડેલું, જેના અપભ્રંશ તરીકે પાછળથી આ ભૂશિરનું નામ ‘જિબ્રાલ્ટર’ પડ્યું છે. ૪.૮ કિમી. લંબાઈ તથા ૧.૨ કિમી. પહોળાઈ ધરાવતી અહીંની વસાહત કુલ ૬.૫ ચોકિમી. વિસ્તાર ધરાવે છે. તેની વસ્તી ૩૨,૬૮૮ (૨૦૨૩) જેટલી છે, જેમાંથી મોટા ભાગના નાગરિકો સ્પૅનિશ તથા ઇટાલિયન મૂળના છે. આ લોકો રોમન કૅથલિક ધર્મના અનુયાયીઓ છે. ત્યાંની આબોહવા ખુશનુમા હોય છે. તાપમાન ઉનાળાના સમયે ૧૬°થી ૨૭° સે. રહે છે. ડિસેમ્બરથી મે વચ્ચેના ગાળામાં આશરે સરેરાશ ૭૨૨ મિમી. વરસાદ પડે છે. સંગ્રહ કરેલ મીઠા પાણીનો જથ્થો ખૂટે ત્યારે પીવાના પાણીની યુરોપમાંથી આયાત કરવી પડે છે. યુરોપની વાનરોની એકમાત્ર જાતિ બર્બર વાનર અહીં વસે છે.

જિબ્રાલ્ટર

બર્બર વાનર

જિબ્રાલ્ટરની સામુદ્રધુનીની ઈશાને ૪૨૫ મી. ઊંચાઈ ધરાવતો ‘ધ રૉક’ નામનો ખડક છે જેના પર હાલ બ્રિટિશ કબજા હેઠળનો દુર્ગ છે. આ ખડકની તળેટીમાં જ નાગરિકોની વસાહત છે. સામુદ્રધુનીની બીજી તરફ, સામેના કાંઠા પર ૨૨ કિમી. અંતરે સ્પૅનિશ મોરોક્કોમાં ‘જેબેલ સૂસા’ નામનો ૧૯૪ મી. ઊંચાઈ ધરાવતો બીજો ખડક છે. ભૂમધ્ય સમુદ્રના પશ્ચિમ છેડાની નાકાબંધી કરવા માટે આ સ્થળ મોખરાનું હોવાથી ફિનિશિયન, કાર્થેજિયન, રોમન તથા વિસિગૉથ લોકોએ વારાફરતી તેના પર કબજો કરેલો. અહીં હળવા ઉદ્યોગોનો વિકાસ થયો છે, પરંતુ લશ્કર સાથે સંકળાયેલા માણસોની નાગરિક જરૂરિયાતો પૂરી કરવા માટેની આર્થિક પ્રવૃત્તિ સિવાય ત્યાં અન્ય કોઈ આર્થિક પ્રવૃત્તિ થતી નથી. અમુક અંશે પર્યટકો માટે આ સ્થળ શિયાળાની ઋતુમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. નૈસર્ગિક, પુરાણી તથા યુદ્ધમાં વપરાતી વસ્તુઓનાં ત્યાં સંગ્રહાલયો છે. ઇતિહાસ : ૧૪૬૨માં સ્પેનના શાસકોએ જિબ્રાલ્ટર પર કબજો મેળવ્યો. સ્પેનના વારસાયુદ્ધ દરમિયાન ૧૭૦૪માં બ્રિટિશ સૈનિકોએ તે પોતાને હસ્તક લીધું. ૧૭૧૩માં યુટ્રેક્ટ સંધિ (Treaty of Utrecht) હેઠળ તેના પરની બ્રિટિશ હકૂમતને અધિકૃત માન્યતા આપવામાં આવી. ૧૭૨૬માં સ્પેને તેના પર ફરી કબજો મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેને સફળતા સાંપડી નહિ. નૌકાદળના મથક તરીકે ઓગણીસમી સદીથી અત્યાર સુધી તેનું મહત્ત્વ અકબંધ રહ્યું છે. ૧૮૬૯માં સુએઝ નહેર ખુલ્લી મુકાતાં ઇંગ્લૅન્ડ તથા ભારત વચ્ચેના ભૂમધ્ય સાગર મારફતના લશ્કરી તથા નાગરિક પુરવઠા માર્ગ તરીકે જિબ્રાલ્ટરનું મહત્ત્વ વધ્યું. વીસમી સદીની શરૂઆતમાં આ સ્થળે બંદર બાંધવામાં આવ્યું. પાછળથી આધુનિક ઢબે બંદરનો વિસ્તાર કરવામાં આવ્યો. બ્રિટિશ હકૂમત હેઠળના આ નૌકામથકનો બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯–૪૫) દરમિયાન હવાઈ મથક તરીકે પણ ઉપયોગ થયો. આજે પણ નૌકાદળની કવાયતો માટે ‘નાટો’ (NATO) લશ્કરી સંગઠન તેનો ઉપયોગ કરે છે. ૧૯૬૪માં આ વસાહતને આંતરિક સ્વાયત્તતા પ્રદાન કરવામાં આવી. ત્યાંના ગવર્નરની નિમણૂક બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવે છે. ૨૦૦૨માં જિબ્રાલ્ટર-વાસીઓએ સંયુક્ત (સ્પેન સાથેના) સાર્વભૌમત્વની દરખાસ્તોનો સામનો કરી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવવાનું પસંદ કર્યું.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

Categories
વાચન સમૃદ્ધિ

સબમરીન

સામાન્ય રીતે દરિયામાં પાણીની સપાટી નીચે લાંબો સમય પ્રવાસ કરી શકે તેવી યાંત્રિક નૌકા.

સબમરીન પાણીની સપાટી ઉપર તેમ જ પાણીની સપાટી હેઠળ પણ ચાલી શકે છે. સબમરીન જેવા વાહનની શોધ ૧૭મી સદીની શરૂઆતમાં થઈ હતી; પરંતુ ૧૯મી સદીમાં બે અમેરિકન સંશોધકો જૉન. પી. હૉલંડ અને સાયમન લેકને સબમરીન બાંધવામાં સફળતા મળી. તેમાં આંતરદહન એન્જિનો અને બૅટરીનો સહિયારો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સબમરીનોએ પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં મહત્ત્વની કામગીરી બજાવી હતી. અનેક ઉતારુ-જહાજો તથા લશ્કરી જહાજોને ડુબાડી દઈ આ સબમરીનોએ આતંક મચાવ્યો હતો.

સબમરીન જહાજના આકારની મોટી હવાચુસ્ત પેટી જેવી હોય છે. દરિયાના તળિયે પાણીનું પ્રચંડ દબાણ સહન કરવા માટે તેની સપાટી ધાતુની બનેલી મજબૂત હોય છે.  સબમરીન પેટ્રોલ, ડીઝલ જેવાં બળતણથી કે અણુશક્તિ(ન્યૂક્લિયર પાવર-ઊર્જા)થી ચાલે છે. તેમાં હવા ભરેલી ખાલી ચેમ્બરો હોય છે. આ ચેમ્બરો ખાલી હોય ત્યારે તે સપાટી પર રહે છે. આ ચેમ્બરોમાં પાણી ભરાય ત્યારે તેનું વજન વધે છે અને પાણીમાં નીચે જતી રહે છે. માછલીની ઝાલર જેવા તેના ‘હાઇડ્રૉપ્લેઇન્સ’ સબમરીન ડૂબે કે ઉપર આવે ત્યારે તેનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. સબમરીન હજારો નાના-મોટા પુરજાઓનું બનેલું અતિ સંકુલ વાહન છે. તેની રચના અને કામગીરી અટપટી હોય છે. અણુશક્તિ-સંચાલિત સબમરીન તો પાણીની સપાટી પર આવ્યા વિના નીચે રહીને સેંકડો કિલોમીટરનો પ્રવાસ ખેડી શકે છે. સબમરીનનો મુખ્ય ઉપયોગ યુદ્ધમાં થાય છે. દરિયાના તળિયે સંશોધનો કરવા માટે પણ તે ઉપયોગી છે. આધુનિક સબમરીનો મહાવિનાશક અણુ-પ્રક્ષેપાસ્ત્રોથી સજ્જ હોય છે. આ સબમરીનો દિશા નક્કી કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે. સબમરીનને ઘણા લોકો ‘પાતાળપરી’ તરીકે ઓળખે છે. જોકે આ પરી એક એવું ઘાતક વાહન છે, જે દુશ્મન માટે ભયાનક દુ:સ્વપ્ન લાવી શકે. મહિના– બે મહિના સુધી અંધારિયા દરિયે લપાતી-છુપાતી, એક જ ઠેકાણે અડિંગો જમાવીને બેઠેલી સબમરીનની ભાળ મેળવવી મુશ્કેલ હોય છે. જોકે આવી સબમરીન એની આસપાસ કે ઉપરના પાણીમાંથી પસાર થતાં જહાજોના સગડ બરાબર પારખી શકે છે. વિશ્વના વિકસિત દેશો પાસે જે સબમરીનો છે તેમની સરખામણીમાં ભારત પાસેની સબમરીનોની સંખ્યા, તેમનું કદ અને સંહારક શક્તિ વામણાં જ લાગે. જોકે ૨૦૧૨માં ભારતે રશિયા પાસેથી નવી ન્યૂક્લિયર સબમરીન ‘ચક્ર’ મેળવી છે. વળી સ્વદેશી બનાવટની એક ન્યૂક્લિયર સબમરીન ‘અરિહંત’ પણ તૈયાર થઈ ગઈ છે, જે પરંપરાગત સબમરીન કરતાં લાંબો સમય પાણીમાં રહી શકે છે. આમ ભારતના વિશાળ સાગરકિનારાનું રક્ષણ કરવા માટે બે અણુ-સબમરીનો નૌકાદળના કાફલામાં જોડાઈ છે. દુનિયાના કોઈ પણ સંરક્ષણદળમાં સૌથી છૂપી ખુફિયા કામગીરી સબમરીન બજાવે છે. દુશ્મન જહાજો કે એમના જાસૂસી ઉપગ્રહોની નજરથી બચવા દિવસો સુધી ઊંડા પાણીમાં રહેતી અને દેશની જળસીમાનું ધ્યાન રાખતી આ સબમરીનોમાં ક્યારેક અકસ્માતો પણ સર્જાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સબમરીન, પૃ. ૧૬)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જિયોલૉજિકલ સર્વે ઑફ

ઇન્ડિયા ================================

ભારતમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી સઘળી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ પ્રમુખ સંસ્થા. મુખ્ય મથક કૉલકાતા. તેની સ્થાપના ૧૮૫૧માં પૂર્વ ભારતમાં કોલસાના પૂર્વેક્ષણ (prospecting) માટે થઈ હતી. તેના દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો સહિત ભારતના ભૂસ્તરશાસ્ત્રીય, ભૂરાસાયણિક અને ભૂભૌગોલિક નકશાઓ (ધરા અને વાયુસહિત) તૈયાર થયા છે અને તેણે દેશના જુદા જુદા ભાગના સખત ખડક પ્રદેશ (hard rock terrain)ના ૬૮,૦૦૦ કિમી. જેટલા વિસ્તારના નકશા (mapping) તૈયાર કર્યા છે. ભૂસ્તરીય મોજણી દ્વારા તે સંસ્થા વિવિધ ખડકોની સ્તરરચના, સ્તરભંગ, ભૂગેડ, ખનિજ-ઉદભવસ્થાન અને ભૂપૃષ્ઠ-બંધારણનો અભ્યાસ કરે છે. હાલ તેના ઉપક્રમે કુદરતી વાયુ અને તેલ તેમજ પરમાણ્વીય ખનિજો સિવાયનાં ખનિજોનાં અન્વેષણ (exploration) અને મૂલ્યાંકન (evaluation), ભૂપ્રાવિધિક (geotechnical) અન્વેષણ તેમજ ભૂવિદ્યાઓ (earth sciences) અને સંબંધિત વિજ્ઞાનની અન્ય શાખાઓ; જેવી કે, ભૂકાલલેખન (geochron-ography), સ્તરવિજ્ઞાન (stratigraphy), જીવાવશેષશાસ્ત્ર (palaeontology), ખડકવિદ્યા (petrology), દૂરસંવેદન (remote sensing), ખનિજવિજ્ઞાન (mineralogy), ભૂરસાયણ (geochemistry), વૈશ્લેષિક રસાયણ અને ભૂભૌતિક વિજ્ઞાનમાં મૂળગત અને પ્રયુક્ત (applied) – એમ બંને પ્રકારનું સંશોધન ચાલી રહ્યું છે. તદુપરાંત તે ભૂતાપીય(geothermic) ક્ષેત્ર, હિમનદવિજ્ઞાન (glaciology), ભૂકંપશાસ્ત્ર (seismology), પ્રકાશ-ભૂસ્તરશાસ્ત્ર (photo-geology) વગેરેમાં પણ વિશિષ્ટ સંશોધન હાથ ધરી રહેલ છે. સંસ્થાની હૈદરાબાદ અને જયપુરસ્થિત પ્રયોગશાળાઓ ખનિજ પૃથક્કરણમાં કાર્યરત છે. આ ઉપરાંત તે વિવિધ ઇજનેરી પરિયોજનાઓમાં નિષ્ણાત તકનીકી સલાહનું પ્રદાન તેમજ ખનન, જમીન ઉપરાંત નદીઓ અને જંગલોના ઉપયોગ તથા રણનિયંત્રણ વગેરે સાથે સંબદ્ધ ભૂપર્યાવરણીય (geo-environmental) અભ્યાસના ક્ષેત્રમાં પણ પ્રવૃત્તિશીલ છે. એન્ટાર્કટિકાનાં અભિયાનો(expeditions)માં પણ તે પ્રથમથી જ ભાગ લઈ રહેલ છે.

જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા, કૉલકાતા

સંસ્થામાં કાર્ય કરતા ભૂસ્તરશાસ્ત્રીઓ, ભૂવૈજ્ઞાનિકો, ખનિજ ઇજનેરો વગેરેની ભરતી કેન્દ્રીય સેવા પસંદગી સમિતિ દ્વારા લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોમાંથી કરવામાં આવે છે. સંસ્થાનું સંચાલન ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિભાગોનાં વડાં મથકો અનુક્રમે લખનૌ, હૈદરાબાદ, રાયપુર અને જયપુર વચ્ચે વહેંચાયેલ છે. સંસ્થાનાં ૬ પ્રાદેશિક કાર્યાલયો, ૨૯ સર્કલ કાર્યાલયો અને ૨૫ જેટલી વિશિષ્ટ એજન્સીઓ છે. વિભાગોના કાર્યપાલકો તેમના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં કેન્દ્રીય ભૂસ્તરીય પ્રોગ્રામિંગ બોર્ડની મંજૂરી અન્વયે રાષ્ટ્રીય અગ્રિમતા મુજબ ભૂસ્તરીય મોજણીની જુદી જુદી યોજનાઓ કાર્યાન્વિત કરે છે. ખાણ-મંત્રાલયની ખનિજ અંગેની સમિતિઓમાં આ સંસ્થાના પ્રતિનિધિ સદસ્ય હોય છે, જ્યારે રાજ્યસરકારના ભૂસ્તરીય કાર્યક્રમ અંગેના બોર્ડમાં જે તે વિભાગના વડા સદસ્ય તરીકે હોય છે. સંસ્થા દ્વારા તેની જુદી જુદી પ્રાદેશિક શાખાઓ કે પાંખો દ્વારા એકઠા કરાયેલા આંકડાઓ એકત્રિત કરી તેમનું સમાનુકરણ (collation) અને પ્રક્રમણ (processing) કર્યા બાદ તેમનું વિતરણ (dissemination) કરવામાં આવે છે. વૈજ્ઞાનિક માનવબળના વિકાસાર્થે સંસ્થા દ્વારા તાલીમ કાર્યક્રમો ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. આમ તે ભારતીય સંસ્થાઓ તેમજ ESCAPના સભ્ય દેશોને મદદ કરી રહી છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

જયંતીભાઈ વિષ્ણુપ્રસાદ ભટ્ટ