Categories
વાચન સમૃદ્ધિ

સાંચીનો સ્તૂપ

વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધ સ્થાપત્ય.

ભારતમાં બૌદ્ધ સમયનાં અનેક સ્થાપત્યો આવેલાં છે. મયપ્રદેશમાં ભીલસાથી ૮.૮૫ કિમી. દૂર સાંચીમાં આવેલો આ સ્તૂપ જગપ્રસિદ્ધ છે. સાંચીમાં મોટી સંખ્યામાં બૌદ્ધ સ્થાપત્યના અવશેષો આવેલા છે, જે ‘ભીલસા ટૉપ્સ’ના નામે ઓળખાય છે. અહીં આવેલા ત્રણ સ્તૂપો પૈકી મોટો સ્તૂપ સાંચીના સ્તૂપ તરીકે જાણીતો છે.

સાંચીનો સ્તૂપ

સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનેલો હતો અને તે સમ્રાટ અશોકે બંધાવ્યો હતો. અશોકના સમયનો મૂળ સ્તૂપ વર્તમાન સ્તૂપની નીચે ઢંકાયેલો છે. તેનું સ્વરૂપ શુંગકાલીન છે. શુંગકાળમાં સ્તૂપની ઉપર રાતા પથ્થરનું આચ્છાદન (encasing) કરીને તેનો વિસ્તાર બમણો કરવામાં આવ્યો હતો. વર્તમાન સ્તૂપના અંડનો વ્યાસ ૩૬ મીટર છે અને ઊંચાઈ ૧૬ મીટર છે. તેનો આકાર અર્ધવૃત્તાકાર છે. અંડના મથાળાને છેદીને સપાટ કરીને તેની પર ચોરસ કઠેડો (railing) ઊભો કરવામાં આવ્યો છે. સ્તૂપને ફરતો પ્રદક્ષિણાપથ છે. ત્યાં પહોંચવા માટે દક્ષિણ દિશાએ સામસામે પગથિયાં આવેલાં છે. પથ્થરની ઊભી અને આડી છાટો એકબીજાને જોડીને વેદિકાઓ બનાવેલી છે. બબ્બે સ્તંભોની વચ્ચે ત્રણ આડી છાટો જોડેલી છે. તેના ઉપર કમળો, વેલો વગેરે ભાતો કોતરેલી છે. કઠેડાની સ્તંભિકાઓ પર મૂર્તિશિલ્પો કોતરેલાં છે. સ્તૂપની ચારેય દિશામાં ચાર સુંદર, કલાત્મક પ્રવેશદ્વારો આવેલાં છે, તે ચારેયને સુંદર તોરણો છે. દરેક તોરણ ૧૦ મીટર ઊંચું અને ૬ મીટર પહોળું છે. સ્તંભોની ચારેય બાજુએ અને આડી પીઢની બંને બાજુએ અર્ધમૂર્ત શિલ્પો કંડારેલાં છે. તેમાં ભગવાન બુદ્ધના જીવનપ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો તથા બુદ્ધના પૂર્વજીવનને વર્ણવતી જાતકકથાઓના પ્રસંગો, તેમના જીવન સાથે સંબંધ ધરાવતાં વૃક્ષો, પશુ-પંખીઓ, ઊડતા ગાંધર્વો, વિવિધ પુષ્પો અને વેલીઓનાં સુંદર આલેખનો છે. કોરણીની દૃષ્ટિએ સૌથી ઉત્તમ તોરણ ઉત્તરનું છે. પ્રથમ અને છેલ્લા તોરણદ્વાર વચ્ચેના બાંધકામમાં ચાળીસ વર્ષનો ગાળો પડે છે, છતાં ઘાટ અને કોતરણીની દૃષ્ટિએ ચારેય તોરણદ્વારો સરખાં લાગે છે. સાંચીની સમગ્ર શિલ્પકળામાં કોઈ પણ સ્થળે બુદ્ધની મૂર્તિ નથી; પરંતુ મૂર્તિને બદલે તેમનાં પગલાં, વૃક્ષ, આસન કે સ્તૂપ જેવાં પ્રતીકો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ટગબોટ

રેલવેના એન્જિન માફક બજરાઓ(barges)ને તથા સમુદ્રની મોટી ખેપ કરતી સ્ટીમરોને બારામાં ધક્કા(dock) સુધી અને બારા બહાર મધદરિયા સુધી ખેંચી લાવતું શક્તિશાળી અને ઝડપી નાનું જહાજ. કોઈ કારણસર જહાજ લાધી ગયું હોય કે તેનાં યંત્રો કામ કરતાં બંધ પડ્યાં હોય તો તેવા જહાજને સુરક્ષિત રીતે ખેંચી લાવવાનું કામ પણ તે કરે છે. વરાળયુગના પ્રારંભમાં ઈ. સ. ૧૮૦૦ની આસપાસ પૅડલ-વ્હીલ (paddle – ક્ષેપણી) સંચાલિત ટગબોટ કામ કરતી હતી. ૧૮૫૦માં સ્ક્રૂ-સંચાલિત ટગબોટ અસ્તિત્વમાં આવી હતી. ઈ. સ. ૧૯૦૦થી વરાળ-એન્જિનનું સ્થાન ડીઝલ-એન્જિને લીધું હતું. ૧૭૩૬માં જોનાધન હલે (ગ્લૉસેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) ન્યૂકોમેન સ્ટીમ-એન્જિન દ્વારા સંચાલિત ટગબોટ માટે પેટન્ટ લીધો હતો. સર્વપ્રથમ બંધાયેલ ટગબોટ ‘શાર્લોટ ડુન્ડાસ’ હતી, જેનું સંચાલન વૉટ એન્જિન અને પૅડલ-વ્હીલ દ્વારા થતું હતું, તેનો ઉપયોગ સ્કૉટલૅન્ડની ફૉર્ડ નદી અને ક્લાઇડ નદીની નહેરમાં જહાજોને લાવવા લઈ જવા થતો હતો. યુ.એસ.માં ૧૮૫૦માં સ્ક્રૂ પ્રોપલ્ઝનવાળી ટગબોટનો ઉપયોગ થતો હતો.

જહાજને ખેંચી લાવતી ટગબોટ

ઓગણીસમી સદી દરમિયાન ટગનું કદ એકસરખું અને સ્થિર (૨૧ મી.થી ૬૪ મી. સુધીનું) રહ્યું હતું. અગાઉની ટગ કરતાં હાલમાં વપરાતી ટગનું એન્જિન દસગણી વધારે શક્તિ ધરાવે છે. કેટલીક ટગનાં તો ૩૦૦૦ હો.પા.થી વધારે પાવરનાં એન્જિનો હોય છે. સામાન્ય રીતે માત્ર બારામાં જ હેરફેર કરતી ટગ ૨૧.૪૬ મી. લાંબી, એક સ્ક્રૂવાળી અને ૧૭૫૦ હોર્સપાવરવાળી હોય છે. ખુલ્લા સમુદ્રમાંથી લાધેલાં જહાજને કાંઠે બારામાં ધક્કા સુધી લાવવા વધારે શક્તિશાળી ટગની જરૂર પડે છે. લાધી ગયેલા જહાજને કાંઠે લાવતી ટગ ૩૮ મી.થી ૬૦ મી. લાંબી હોય છે અને તેનું એન્જિન ૫૦૦૦ હો.પા. સુધીનું હોય છે. આંતરિક જળમાર્ગ માટે યંત્રવિહીન બજરા(dumb barge)ને ખેંચવા ટગ વપરાય છે. રેલવેના ડબાની માફક દોરડાં કે સાંકળ દ્વારા ૧૦થી ૨૦ બજરાઓને ટગ ખેંચે છે. ધક્કા સુધી બજરાને કે જહાજને ખેંચી લાવતી ટગનું ખોખું (hull) સ્થિતિસ્થાપક (resilient) લાકડાનું બનેલું હોય છે, જેથી જહાજ કે ટગને ખેંચવાથી નુકસાન થતું નથી. ટગ સહેલાઈથી અવરજવર કરી શકે તે માટે તેની લંબાઈ ઓછી અને તેનો મોરો (stern) સાંકડો હોય છે. પાણી ઉપર તેના પ્રૉપેલરની સારી પકડ રહે તે માટે તેની ગતિ ધીમી હોય છે. ટેમ્સ નદીમાં ફરતી ટગો ૨૪ મી.થી ૩૬ મી. લાંબી હોય છે. દુનિયાના અન્ય ભાગોમાં તેનો દેખાવ, લંબાઈ વગેરે જુદાં જુદાં હોય છે. જર્મનીની રહાઇન નદી અને યુ.એસ.ની મિસિસિપી નદીમાં લાંબા અંતર સુધી ઘણા દિવસો સુધી બજરાઓના સમૂહને ટગ ખેંચી જતી હોય છે. આવી ટગોમાં ટગના કર્મચારીઓ માટે રહેવાની તથા ખોરાક વગેરે સંઘરવાની સગવડ હોય છે. લાધી ગયેલાં જહાજોને સલામત લાવતી ટગ ખૂબ જ શક્તિશાળી અને દરિયામાં લાંબો વખત રહી શકે તેવી હોય છે. જહાજને ખેંચી લાવવા ભારે ગિયર કે ગેરવાળી ટગ હોય છે. આવી ટગમાં લોખંડના તારનાં દોરડાં, પાણી ઉલેચવાનો પંપ તથા અગ્નિ શમાવવાનાં સાધનો હોય છે. ગુજરાતમાં ઘોઘામાં ૨૦૦ ટનથી ૨૫૦ ટનની ટગ બંધાય છે. મુંબઈ, કૉલકાતા તથા વિશાખાપટ્ટનમમાં પણ તે જરૂર પ્રમાણે બંધાય છે. ડચ લોકો ટગના બાંધકામ માટે સમગ્ર દુનિયામાં જાણીતા છે. તેમણે ૬૫ મી. લાંબી, ૧૫.૬ મીટરના સ્તંભવાળી ૧૬,૦૦૦ કિવૉ.ની શક્તિશાળી ‘સ્મીટ લંડન’ ટગ બાંધી હતી, જે ગમે તેવા વિશાળકાય જહાજને ખેંચી લેવા સમર્થ હતી.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સાલારજંગ સંગ્રહાલય (મ્યુઝિયમ)

સાલારજંગ દીવાને કરેલા કલાસંગ્રહને અનુલક્ષીને આંધ્રમાં હૈદરાબાદ ખાતે સ્થપાયેલું અદ્વિતીય સંગ્રહાલય. ૧૯મી સદીના મધ્યભાગમાં હૈદરાબાદના નિઝામે એક દીવાનની નિયુક્તિ કરી જેને ‘સાલારજંગ’ની ઉપાધિ આપવામાં આવી. આ દીવાનનો પુત્ર સાલારજંગ બીજો અને પૌત્ર સાલારજંગ ત્રીજો પણ દીવાનપદે રહ્યા. આ સાલારજંગ ત્રીજાએ ત્રીસ વર્ષોમાં કરેલો સંગ્રહ તે સાલારજંગ સંગ્રહાલય તરીકે ઓળખાયો.  મીર યૂસુફ ખાન (સાલારજંગ ત્રીજો) કલાપ્રેમી હોવાથી તેને જુદી જુદી કલાકારીગીરીવાળી વસ્તુઓનો સંગ્રહ કરવાનો ખૂબ જ શોખ હતો. તે ૧૯૪૯માં મૃત્યુ પામ્યો. તેને કોઈ વારસ ન હોવાથી એક કમિટી રચાઈ અને તેણે એમની સંઘરેલી વસ્તુઓનું મહેલમાં પ્રદર્શન કરવાનું નક્કી કર્યું. ૧૯૫૮માં આ સંગ્રહ ભારત સરકારને આપવામાં આવ્યો અને ૧૯૬૮માં તે  સંગ્રહને સંગ્રહાલય-સ્વરૂપે જાહેર જનતાને જોવા માટે પ્રદર્શિત કરવામાં આવ્યો.

સાલારજંગ મ્યુઝિયમ

હજારો મૂલ્યવાન નમૂનાઓ જે પ્રથમ મહેલમાં ‘દીવાન દેવડી’માં રાખવામાં આવેલા તે એક કરોડના ખર્ચે બંધાયેલા નવા મકાનમાં ૧૯૬૮માં વિભાગવાર અને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા. તેમાં પૌરસ્ત્ય (પૂર્વના) અને પાશ્ચાત્ય (પશ્ચિમના) – એમ  બે મુખ્ય વિભાગો પાડવામાં આવ્યા. પૌરસ્ત્ય વિભાગમાં નાના-મોટા ૪૦ ખંડો અને વરંડાઓ છે. તેમાં જેડ (Jade), શસ્ત્રો, વસ્ત્રાભૂષણો અને સોના, ચાંદી તેમ જ અન્ય ધાતુઓના અલંકારોનો ઉત્તમ સંગ્રહ છે, જે મુઘલ શાસકોના તત્કાલીન જીવનના વૈભવ અને જાહોજલાલીનો નિર્દેશક છે. ભોંયતળિયાના પ્રથમ ખંડમાં સાલારજંગની અંગત ચીજવસ્તુઓનો સંગ્રહ છે. તેમનાં વસ્ત્રો, ઘરવખરી, ફર્નિચર, પુસ્તકો, ભેટસોગાતો, તેમના જીવન અને સમયના ફોટોગ્રાફો વગેરેની દસ્તાવેજી સામગ્રી ત્યાં પ્રદર્શિત કરાઈ છે. બાકીના ભાગમાં ભારતીય કલાકારીગીરીના નમૂનાઓનો સમાવેશ થાય છે. અહીં આભૂષણો, ચિત્રો, શસ્ત્રો, ચિનાઈ માટીનાં અને કાંસાનાં વાસણો, ઝવેરાત, ગાલીચા, હાથીદાંતની કેટલીક ચીજો, કાચ ઉપરની ચિત્રકારીવાળી વસ્તુઓ, વિવિધ પ્રકારનાં ઘડિયાળો, કીમતી ધાતુ પરની કારીગરીના નમૂનાઓ, ધાતુ-પથ્થર તથા કાષ્ઠની મૂર્તિઓ વગેરે હજારોની સંખ્યામાં પ્રદર્શિત કરેલાં છે. શિલ્પવિભાગમાં  નેલાકોન્ડા-પલ્લીમાંથી મળી આવેલી ૩જી સદીની બુદ્ધની પ્રતિમા, કોસામ્બીમાંથી મળેલું ૪થી સદીનું એકમુખી લિંગ, વારાંગલથી મળેલ ૧૨મી સદીની કાર્તિકેયની પ્રતિમા તથા પલ્લવ, ચોળ અને પાંડ્ય રાજ્યકાલ દરમિયાનની ભારતીય કાંસ્ય અને પથ્થરની પ્રતિમાઓ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાલારજંગ સંગ્રહાલય (મ્યુઝિયમ), પૃ. ૧૨૦)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી