ભારતનું સૌથી મોટું પક્ષી. સારસ, માણસના ખભા સુધી આવે તેટલું ઊંચું, દેખાવે ગંભીર અને શાંત હોય છે. તેની ચાલ ધીમી અને પ્રભાવશાળી હોય છે. સારસનું માથું રાખોડી અને પીંછાં વિનાનું હોય છે. સારસના પગ ગુલાબી, ચાંચ લાલાશ પડતી હોય છે. તેના પગ અને ચાંચ લાંબાં હોય છે. તેની પાંખો બંધ હોય છે ત્યારે તેમનાં પીંછાં પૂંછડી ઉપર ઢળકતાં રહે છે. સારસની ઊંચાઈ આશરે ૧.૫ મીટર અને પાંખોનો વિસ્તાર ૨ મીટર જેટલો હોય છે. નર અને માદા દેખાવમાં સરખાં લાગે છે.
સારસ પક્ષી
સામાન્ય રીતે નર-માદા જોડીમાં ફરે છે. આ પક્ષીઓ મૂંગાં મૂંગાં ચરતાં હોય છે પણ જો એક પક્ષી બોલે તો બીજું તેમાં સાદ પુરાવે છે. સારસબેલડીનો રણશિંગા જેવો કર્ણપ્રિય અવાજ વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે. સારસ માણસથી ભડકતાં કે શરમાતાં નથી. નર તથા માદાને એકબીજા માટે ખૂબ ભાવ હોય છે. તેમની જોડી જીવનભર ટકી રહે છે. એવું મનાય છે કે સારસબેલડીમાંથી એકનું મૃત્યુ થાય તો બીજું પણ તેની પાછળ ઝૂરી ઝૂરીને મરી જાય છે. સારસ પાંખ વીંઝીને ઊડે છે. ઉડાન વખતે તે ડોક આગળ અને પગ પાછળ લંબાવેલા રાખે છે. તે જમીનથી બહુ ઊંચું ઊડતું નથી. સારસ જમીન પર જ વસે છે, ત્યાંથી વનસ્પતિ, જીવડાં, દેડકાં અને ધાન્ય મેળવી લે છે. માળો જમીન પર જ બાંધે છે. સારસ પક્ષી ગ્રામજનોને પરિચિત અને શહેરી જનોને અપરિચિત લાગે છે. ગ્રામજનો આ પક્ષીને હેરાન કરતા નથી અને તેને અવધ્ય ગણે છે.
રાજસ્થાન રાજ્યનો જિલ્લો અને જિલ્લાનું વડું મથક. ભૌગોલિક સ્થાન : ૨૮° ૦૮´ ઉ. અ. અને ૭૫° ૨૪´ પૂ. રે.. પૂર્વ દિશાએ હરિયાણા, વાયવ્ય ખૂણે ચુરુ, પશ્ચિમ અને દક્ષિણે સીકર જિલ્લાઓ આવેલા છે. જિલ્લાના ઉદેપુર, ખેતરી અને ચીરવા ત્રણ તાલુકાઓ છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૫૯.૨૮ કિમી. અને વસ્તી ૨૪,૦૦,૦૦૦ (૨૦૨૪, આશરે) છે. જિલ્લામાં દર ચોકિમી.દીઠ ૮૦૦ માણસોની વસ્તી છે. મોટા ભાગની વસ્તી ગ્રામવિસ્તારમાં રહે છે. આ પ્રદેશ અર્ધસૂકો છે. સરેરાશ તાપમાન ૪૨° સે. રહે છે. પણ સૌથી વધુ તાપમાન ક્યારેક ૪૯° સે. થઈ જાય છે. સૌથી ઓછું રાત્રિનું તાપમાન ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ૧૨° સે. રહે છે. જિલ્લાનો મોટો ભાગ ડુંગરાળ છે. ડુંગરો અરવલ્લીના ફાંટા છે. ડુંગરોની સામાન્ય ઊંચાઈ ૩૦૦થી ૪૫૦ મી. છે. ઊંચામાં ઊંચો ડુંગર લોહગામ પાસે આવેલો છે, જેની ઊંચાઈ ૧૦૫૧ મી. છે. અગ્નિખૂણાનો ભાગ રેતાળ છે. કેટલાક વિસ્તારમાં રેતીના ઢૂવા આવેલા છે, જે ખસતા રહે છે અને તેથી ખેતીને નુકસાન થાય છે. જિલ્લામાં સૌથી લાંબી કાંતલી નદી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. દોહન, ચન્દ્રાવતી, સુખનદી તથા લોહગામ પાસેની નદીઓ વહેળા જેવી છે, ચોમાસા સિવાય આ નદીઓમાં પાણી હોતું નથી. ખેતરીથી ૧૧ કિમી. દૂર આવેલ અજિતસાગર બંધના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. આ સિવાય સીકરી, કાળા તળાવ અને પોંખ તળાવ નાનાં તળાવો છે.
બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, પિલાની
જિલ્લામાં બાવળ અને બોરડી જેવાં કાંટાવાળાં વૃક્ષો અને ઘાસનાં બીડો આવેલાં છે. ખીજડો, રોહિડો, લીમડો, પીપળો, વડ ઉપરાંત થોડાં આંબાનાં વૃક્ષો જોવા મળે છે. જિલ્લામાં બાજરી, જુવાર, મગ, મઠ, એરંડા મુખ્ય પાક છે. જ્યાં સિંચાઈની સગવડો છે ત્યાં ઘઉં થાય છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. જંગલી પશુઓમાં ભુંડ, વાંદરાં, લોંકડી, શિયાળ, જરખ વગેરે છે. પાળેલાં પશુઓમાં ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઘોડાં, ઊંટ, ગધેડાં વગેરે છે. મારવાડી ઓલાદનાં ઘેટાંનું ઊન ગાલીચા બનાવવા વપરાય છે. અહીંની જમીન જોધપુર જેવી રેતાળ છે. કેટલેક સ્થળે રેતીનું પ્રમાણ ૬૦%થી વધુ છે. ડુંગરાળ પ્રદેશની જમીન ઓછી ઉપજાઉ ને હલકી હોય છે. ક્યાંક લોહયુક્ત લાલ માટી પણ જોવા મળે છે. ક્વાર્ટ્ઝાઇટ, આરસ, શિસ્ટ, ગ્રૅનાઇટ, ફિલાઇટ, કૅલ્સાઇટ અને તાંબું નીકળે છે. ખેતરીની તાંબાની ખાણ જાણીતી છે. આ ઉપરાંત ફ્લોરાઇટ, નિકલ અને ચૂનાના પથ્થરો થોડા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત ખનન પ્રવૃત્તિ થોડા પ્રમાણમાં છે. ઝુનઝુનુ, ચિડાવા, નવલગઢ, સૂરજગઢ, ખેતરી, પિલાની, બિસાઉ વગેરે વેપારી કેન્દ્રો છે. જિલ્લામથક નજીકના ચુરુ, જયપુર, સીકર વગેરે સાથે રાજ્ય અને જિલ્લા માર્ગ દ્વારા જોડાયેલું છે. પાકા રસ્તાઓનું તથા રેલવેનું પ્રમાણ ઓછું છે. પિલાનીમાં બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી છે. તે સિવાય અન્ય ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ પણ આવેલી છે. નવલગઢમાં પણ કૉલેજ છે. રાણી સતી, રામદેવજી, નોહાપીર વગેરેના મેળા ભરાય છે. ખેતરીમાં જૂનો કિલ્લો અને મહેલ જોવાલાયક છે. આઝાદી પછી ખેતરી, બીસો, નવલગઢ, મંડાવા અને ઉદયપુરવટીની જાગીરો મળીને આ જિલ્લો બન્યો. તે પૂર્વે આ સમગ્ર પ્રદેશ જયપુર રાજ્યનો ભાગ હતો.
બૌદ્ધો અને જૈનોનું ધાર્મિક સ્થળ. સારનાથ બનારસ(કાશી)થી ૧૩ કિમી. દૂર આવેલું છે. ભગવાન બુદ્ધને ગયામાં જ્ઞાન લાયું. આ જ્ઞાનનો પ્રથમ ધર્મોપદેશ તેમણે સારનાથમાં આપ્યો માટે તે મોટું તીર્થ ગણાયું. તે ઉપરાંત જૈનોના અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથનું નિર્વાણ અહીં થયું હતું. બૌદ્ધ સાહિત્યમાં આ સ્થળને ‘ૠષિપત્તન’, ‘મૃગદાવ’ અથવા ‘મૃગદાય’ તરીકે ઓળખાવ્યું છે. અહીં મૂલગંધકુટિ વિહાર નામનો મઠ છે. તેમાં ભગવાનના જીવનપ્રસંગોનાં સુંદર ચિત્રો છે. પીપળાનું બોધિવૃક્ષ છે. એક જૈનમંદિર પણ છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રસાર અર્થે અહીં ધર્મરાજિકા નામનો સ્તૂપ બંધાવ્યો હતો. અને સિંહશીર્ષ સાથેનો એકાશ્મક સ્તંભ ઊભો કરાવ્યો હતો. ચાર સિંહોની આકૃતિ ધરાવતી આપણા દેશની રાજમુદ્રા આ સ્તંભના શિરોભાગમાંથી લેવામાં આવી છે. કુષાણો તથા ગુપ્તોના સમય દરમિયાન સારનાથમાં ઘણી ધાર્મિક અને કલાવિષયક પ્રવૃત્તિઓ થઈ હતી. હર્ષવર્ધનના સમય દરમિયાન ચીની યાત્રી યુઅન શ્વાંગે (હ્યુ એન સંગે) સારનાથની મુલાકાત લીધી હતી. પુરાતત્ત્વની દૃષ્ટિએ સારનાથ ઘણું અગત્યનું હોવાથી અહીં જુદા જુદા સમયે ખોદકામ થયાં હતાં.
ધમેખ સ્તૂપ, સારનાથ
સારનાથમાં જોવાલાયક પુરાવશેષોમાં ધમેખનો સ્તૂપ કે ધર્મરાજિક્ સ્તૂપ, મુખ્ય મંદિર અને સિંહ-શિરાવટીવાળા અશોકના શિલાસ્તંભનો સમાવેશ થાય છે. ધમેખના સ્તૂપની બહારનું સુંદર શિલ્પકામ ગુપ્તકાલનું હોવાનું મનાય છે. મૂળ સ્તૂપ કાદવ અને ઈંટોનો બાંધેલો છે. કનિંગહામને ખોદકામ દરમિયાન મૌર્યકાલીન ઈંટોના અવશેષો મળ્યા હતા. તેથી એવું માનવામાં આવે છે કે મૂળ સ્તૂપ મૌર્યકાલ દરમિયાન બાંધવામાં આવ્યો હતો. ધર્મરાજિકાનો સ્તૂપ તથા સિંહ-શિરાવટી ધરાવતો એકાશ્મક સ્તંભ સમ્રાટ અશોકે બંધાવ્યો હતો. સિંહોના મસ્તક પર એક વખત ૩૨ આરાવાળું ધર્મચક્ર મૂકેલું હતું, જે હાલ ખંડિત છે. અહીંનાં જોવાલાયક બીજાં સ્થળોમાં ધર્મરાજિકા સ્તૂપ પાસેનું મુખ્ય મંદિર, એકાશ્મક વેદિકા, વિહારો, જૈનમંદિર અને મ્યુઝિયમનો સમાવેશ થાય છે. દર વર્ષે ઘણા યાત્રાળુઓ તથા પ્રવાસીઓ સારનાથની મુલાકાતે આવે છે.