Categories
વાચન સમૃદ્ધિ

સાઉથ સુદાન

આફ્રિકા ખંડમાં આવેલો દેશ.

સાઉથ સુદાન ૩° અને ૧૩° ઉ. અ. અને ૨૪° અને ૩૬° પૂ. રે. વચ્ચે ૬,૧૯,૭૪૫ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ સુદાનનો જ ભાગ હતો, પરંતુ ૨૦૧૧માં તે સુદાનથી છૂટો પડી એક સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ દેશ એની બધી દિશાઓમાં ભૂમિભાગોથી ઘેરાયેલો છે. તેની ઉત્તરે સુદાન, પૂર્વમાં ઇથિયોપિયા, દક્ષિણમાં કેન્યા, યુગાન્ડા અને કૉંગો (પ્રજાસત્તાક) તથા પશ્ચિમે મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક દેશો આવેલા છે. અહીં વ્હાઇટ નાઇલ નદી દ્વારા રચાયેલો પંક-વિસ્તાર ‘સુદ’ (Sudd) આવેલો છે, જે બહર અલ્ જેબલ તરીકે જાણીતો છે. તેની રાજધાની જુબા છે. તે દસ રાજ્યોમાં વિભાજિત છે. તેની વસ્તી ૧,૨૭,૦૩,૭૧૪ (૨૦૨૩, આશરે) જેટલી છે. તે યુનોનું પણ સભ્ય છે. સાઉથ સુદાનની દક્ષિણે યુગાન્ડાની સીમા પર ઇમાતોન્ગ પર્વતોની હારમાળા વિસ્તરેલી છે. તેનું કિન્યેતી (Kinyeti) શિખર ૩,૧૮૭ મીટરની ઊંચાઈ ધરાવે છે. લોતુકે શિખર ૨,૭૮૫ મીટરની તેમ જ ગુમ્બીરી શિખર ૧,૭૧૦ મીટરની ઊંચાઈ ધરાવે છે. તે પછી પશ્ચિમ તરફ ઊંચાઈ ઘટતી જાય છે. વ્હાઇટ નાઇલ સાઉથ સુદાનની મુખ્ય નદી છે, જે યુગાન્ડા-કૉંગો પ્રજાસત્તાકની સીમા પાસેના પહાડી ક્ષેત્રમાંના આલ્બર્ટ સરોવરમાંથી ઉદભવે છે. તેને મળતી બહર-અલ્-ઘઝલ તથા સોબાત નદીઓ પણ મહત્ત્વની છે. અન્ય નદીઓમાં પૉન્ગો (Pongo), કુરુન (Kurun), બૉરો, જુલ, પિબોર, યેઇ, સ્યૂ (Sue) વગેરેનો સમાવેશ થાય છે.

રાજધાની જુબાનું એક દૃશ્ય

સાઉથ સુદાન ઉષ્ણકટિબંધીય આબોહવા ધરાવે છે, જેમાં ભેજયુક્ત વર્ષાૠતુનો સમાવેશ થાય છે. યુગાન્ડા સાથેના સીમાવિસ્તારો આશરે ૨૪૦૦ મિમી. જેટલો વાર્ષિક વરસાદ મેળવે છે. તેનો સરેરાશ વાર્ષિક વરસાદ લગભગ ૧,૧૧૮ મિમી. જેટલો છે. પાટનગર જુબાનું જાન્યુઆરીનું તાપમાન ૨૭.૩૦° સે. જ્યારે જુલાઈનું તાપમાન ૨૪.૫૦° સે. રહે છે. સાઉથ સુદાનમાં ટૂંકું ઘાસ, ઊંચા ઘાસનાં બીડ, કાંટાળાં ઝાંખરાં અને બાવળનાં વૃક્ષોનાં જૂથ જોવા મળે છે. આયર્નસ્ટોન ઉચ્ચપ્રદેશ પાનખર-જંગલો અને સવાના પ્રકારની વનસ્પતિથી છવાયેલો છે. છેક દક્ષિણે સદાહરિત વિષુવવૃત્તીય જંગલો જોવા મળે છે. અહીંનાં જંગલોમાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ તથા પક્ષીઓ જોવા મળે છે. અહીંના બાન્ડિનજિલો રાષ્ટ્રીય ઉદ્યાન, બોમા (Boma) નૅશનલ પાર્ક તથા સુદ પંકભૂમિ વિસ્તારમાં હાથી, જિરાફ, સિંહ, જંગલી ભેંસ, કોબ (Kob), ટૉપી (Topi) જેવાં પ્રાણીઓ જોવા મળે છે. અહીં આવેલાં અભયારણ્યોમાં હાથી, ચિમ્પાન્ઝી વાનરો તથા અસંખ્ય હરણો વસવાટ કરે છે. અહીં વરસાદી ખેતીના મુખ્ય વિસ્તારો આવેલા છે, જ્યાં ગ્રામવિસ્તારના આદિવાસીઓ જમીનફેરબદલી(land rotation)-પદ્ધતિથી જુવાર, બાજરી, તલ તથા દુરા જેવાં ધાન્યો ઉપરાંત કપાસ અને બીજા પાકોની ખેતી કરે છે. વ્હાઇટ નાઇલની ઉપલી ખીણના વિસ્તારોમાં ઘાસનાં બીડ આવેલાં છે. અહીં બાન્ટુ તથા સુદાનિક લોકોનું જાતિમિશ્રણ ધરાવતી અઝાન્ડે પ્રજા મોટી સંખ્યામાં વસે છે. પાટનગર જુબા ઉપરાંત મલાકાલ, વાઉ, મારીદી (Maridi) અગત્યનાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાઉથ સુદાન, પૃ. ૯3)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

જ્યોતિર્લિંગ

ભારતમાં આવેલાં બાર પ્રસિદ્ધ શિવલિંગો. ભગવાન શિવની લિંગસ્વરૂપે પૂજા વેદ અને પુરાણોમાં વર્ણવાઈ છે. અથર્વવેદમાં બ્રહ્મના સ્કંભ (સ્તંભ) સ્વરૂપના ઉલ્લેખો જોતાં વેદકાળમાં પ્રકાશપુંજના સ્તંભના પ્રતીકરૂપ લિંગપૂજા પ્રચલિત હશે. ઉપનિષદોમાં શિવને પરબ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે. પરબ્રહ્મમાંથી સર્વપ્રથમ તેજ સ્કંભ રૂપે ઉત્પન્ન થયું છે. પરબ્રહ્મના પ્રકાશથી –  તેજથી – બધી વસ્તુઓ જન્મી છે અને પ્રકાશવાળી વસ્તુઓ પણ પરબ્રહ્મના પ્રકાશથી જ પ્રકાશે છે; અર્થાત્, ભગવાન શિવ પ્રકાશમય કે તેજોમય છે. પરબ્રહ્મ શિવના તેજમાંથી જન્મેલું જગત પરબ્રહ્મ શિવમાં જ લીન થાય છે. આમ, શિવને તેજોમય કે પ્રકાશમય લિંગ રૂપે (ચિહ્ન કે પ્રતીક રૂપે) પૂજવામાં આવે છે. ભારત દેશમાં અસંખ્ય મંદિરોમાં સ્થપાયેલાં શિવલિંગોમાં અતિશય ઉત્કૃષ્ટ શિવલિંગોને જ્યોતિર્લિંગો એટલે પરબ્રહ્મનાં પ્રકાશમય લિંગો કહેવામાં આવ્યાં છે. ઉપનિષદો આદિત્યને બ્રહ્મ કહે છે : એક વર્ષના ૧૨ મહિનાઓમાં ૧૨ જુદા જુદા આદિત્યો છે તેમ પ્રકાશપુંજ પરબ્રહ્મ શિવનાં ૧૨ સર્વપ્રકૃષ્ટ જ્યોતિર્લિંગો પુરાણોમાં આ પ્રમાણે વર્ણવેલાં છે : (૧) સોમનાથ : સસરા દક્ષની વારંવાર વિનંતી છતાં ચંદ્ર તેની ૨૭ નક્ષત્રપત્નીઓમાં રોહિણી પ્રત્યે વધારે અનુરાગ રાખતો, તેથી ક્રુદ્ધ થઈ દક્ષે તેને ક્ષીણ થવાનો શાપ આપ્યો. દુ:ખી ચંદ્રે બ્રહ્માજીની શિખામણથી પ્રભાસક્ષેત્રમાં જઈ ભગવાન શંકરની આરાધના કરી. (૨) મલ્લિકાર્જુન : પોતે વસ્તુત: પૃથ્વીપ્રદક્ષિણા કરી હોવા છતાં, માતા-પિતાની પ્રદક્ષિણાને પૃથ્વીપ્રદક્ષિણાની સમકક્ષ ગણી શિવપાર્વતીએ ગણપતિનાં લગ્ન કરી દીધાં તેથી રોષે ભરાઈને શિવપાર્વતીના જ્યેષ્ઠ પુત્ર કાર્તિકેય દક્ષિણમાં ક્રૌંચ પર્વત ઉપર જતા રહ્યા.

૧૨ જ્યોતિર્લિંગો

(૩) મહાકાલ અથવા મહાકાલેશ્વર : મોક્ષદાયિની ૭ નગરીઓમાંની અવંતી કે ઉજ્જયિનીમાં પ્રાચીન કાળમાં વેદપ્રિય નામે શિવભક્ત બ્રાહ્મણ રહેતો હતો. એક સમયે રત્નમાલા પર્વતનિવાસી દૂષણ નામે અસુરે સર્વત્ર આતંક ફેલાવી ધર્મપરાયણ લોકોમાં હાહાકાર પ્રવર્તાવ્યો ત્યારે, વેદપ્રિયની આગેવાની હેઠળ લોકોની પ્રાર્થના સાંભળી ભગવાન વિકરાળ સ્વરૂપે પ્રગટ થયા અને દુષ્ટોનો સંહાર કર્યો અને ઈશ્વર ત્યાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા. (૪) ઓમકારેશ્વર : નારદમુનિની ટકોરથી રિસાયેલા વિંધ્યાચળે નર્મદા અને કાવેરીના સંગમ પર ઓમકારેશ્વરમાં શિવજીની આરાધના કરી. શિવજીએ પ્રગટ થઈ તેને ઇષ્ટ વર આપ્યો અને ઓમકારના લિંગમાંથી બીજા જ્યોતિર્લિંગ રૂપે ઉપસ્થિત થઈ ત્યાં સ્થાયી વાસ કર્યો. તે ઓમકારેશ્વર કહેવાયા. (૫)  વૈદ્યનાથ : પ્રાચીન કાળમાં કેવળ શિવપ્રીતિ અર્થે રાક્ષસરાજ રાવણે શિવજીની આકરી આરાધના કરી. એક પછી એક પોતાનાં ૯ મસ્તકોથી કમલપૂજા કરી. અંતે શિવજી જ્યોતિ રૂપે પ્રગટ થયા. રાવણે જ્યોતિર્લિંગની સ્થાપના પોતાના પ્રદેશમાં કરવા ઇચ્છા કરી. (૬) ભીમાશંકર : પૂર્વે સહ્યાદ્રિમાં મહાકોશી નદીની ખીણમાં કર્કટી નામે રાક્ષસી તેના ભીમ નામે પુત્ર સાથે રહેતી હતી. આ ભીમે પ્રદેશના લોકોને રંજાડવા માંડ્યા. તેથી કામરૂ દેશના રાજાને પ્રભુએ લોકોની રક્ષા કરવા આદેશ આપ્યો. (૭) રામેશ્વરમ્ : સીતાની શોધમાં ભગવાન શ્રીરામ શ્રીલંકા સામેના ભારતના દક્ષિણ કાંઠે પહોંચ્યા. ત્યાં તેમણે પુરોહિત તરીકે રાવણની સહાયથી શિવપૂજા કરી. ભગવાન જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ્યા અને રામેશ્વર નામે ત્યાં વસ્યા. (૮) નાગનાથ અથવા નાગેશ્વર : પૂર્વે દક્ષિણમાં દારુકાવનમાં રહેતો દારુક નામનો રાક્ષસ લોકોને પીડા કરતો હતો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જ્યોતિર્લિંગ, પૃ. 70)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સાઇબીરિયા

ઉત્તર એશિયાનો રશિયાના તાબા હેઠળનો ભૂમિવિસ્તાર.

તે આશરે ૪૨° ઉ. અ.થી ૮૦° ઉ. અ. અને આશરે ૬૪ પૂ. રે.થી ૧૭૦° ૫. રે. વચ્ચે આવેલો છે. તેના ઉત્તર ભાગમાંથી ઉ.ધ્રુવવૃત્ત (૬૬ ૧/૨૦ ઉ. અક્ષાંશવૃત્ત) પસાર થાય છે. તેના પૂર્વ છેડાના ભાગોને ૧૮૦ રેખાંશવૃત્ત સ્પર્શે છે. પશ્ચિમે યુરલ પર્વતમાળાથી પૂર્વે પ્રશાંત મહાસાગરના કાંઠા સુધી સાઇબીરિયાનો પ્રદેશ આશરે ૧૩ કરોડ ચોકિમી. વિસ્તારને આવરે છે. સાઇબીરિયા પૃથ્વીનો લગભગ 10 % ભૂમિવિસ્તાર તથા રશિયાનો આશરે ૭૭% વિસ્તાર આવરી લે છે. ઉત્તરમાં મહાસાગરથી દક્ષિણ તરફ જતાં તે કઝાખસ્તાનની ટેકરીઓ તથા ચીન અને મૉંગોલિયાની સરહદને સ્પર્શે છે. આર્કટિકના ભાગ રૂપે કારા સમુદ્ર, લેપ્ટેવ સમુદ્ર, પૂર્વ સાઇબીરિયાનો સમુદ્ર, ચુકચી વગેરે સમુદ્રો આવેલા છે. તેમાં સેવેરનાયા ઝેમલ્યા, ન્યૂ સાઇબીરિયન, રેન્ગેલ (Wrangel) વગેરે ટાપુઓ આવેલા છે. બેરિંગ તથા ઓખોટ્સ્ક સમુદ્ર પૅસિફિક મહાસાગરના ઉપસમુદ્રો છે. તેના દરિયાકાંઠાના ભાગોમાં કામચત્કા તથા ચુકચી દ્વીપકલ્પો તેમ જ સખાલીન, ક્યુરાઇલ (Kuril) વગેરે દ્વીપો આવેલા છે. સાઈબીરિયાની વસ્તી ૩ કરોડ ૬૮ લાખ જેટલી છે (૨૦૨૩).

નૉવોસીબિસ્ક રેલવે-સ્ટેશન, સાઇબીરિયા

આ પ્રદેશના નામનો શબ્દ ‘સાઇબીરિયા’ પ્રાચીન ટર્કિક (Turkic) શબ્દ છે. ‘સ્લીપિંગ લૅન્ડ’ અથવા ‘બ્યૂટીફુલ’ અર્થવાળા શબ્દ ઉપરથી તે નામ પાડવામાં આવ્યું હોય એવું મનાય છે; જ્યારે અમુક લોકોના મત પ્રમાણે આ નામ ત્યાં વસવાટ કરતી પ્રાચીન વિચરતી જાતિ ‘સાબિર’ (Sabir) પરથી પડ્યું છે. આ સાબિર જાતિ પછીથી ‘સાઇબીરિયન તાર્તાર’ નામે જાણીતી બની હતી. પ્રાકૃતિક દૃષ્ટિએ સાઇબીરિયાને મુખ્યત્વે ચાર વિભાગોમાં વહેંચી શકાય : (૧) પશ્ચિમ સાઇબીરિયાનાં મેદાનો, જેમની રચના ઑબ- યેનિસી નદીઓ તથા તેમની ઉપનદીઓએ કરી છે. આ મેદાનો કાદવકીચડ અને જંગલવાળાં છે. (૨) મધ્ય સાઈબીરિયાનો ઉચ્ચપ્રદેશ ઓબ-યેનિસી નદીઓનાં મેદાનોથી પૂર્વ બાજુએ છેક લીના(Lena) નદીની ખીણ સુધી વિસ્તરેલો છે. તે સમુદ્રસપાટીથી લગભગ ૨૦૦થી ૨,૦૦૦ મી.ની ઊંચાઈ ધરાવે છે. (૩) સાઇબીરિયાની દક્ષિણમાં તથા પૂર્વમાં પર્વતીય હારમાળાઓ આવેલી છે, જેમાં અનેક સક્રિય તથા નિષ્ક્રિય જવાળામુખીઓ છે. છેક દક્ષિણમાં અલ્તાઈ(Altai)ની ગિરિમાળા આવેલી છે. તેનું સૌથી ઊંચામાં ઊંચું શિખર બેલુખા ૪,૫૦૬ મી.ની ઊંચાઈએ આવેલું છે. તેની પૂર્વ તરફ સાયન ગિરિમાળા આવેલી છે. તેની પડોશમાં દુનિયાનું સૌથી ઊંડું સરોવર બૈકલ, ધનુષાકારે લગભગ ૩૧,૦૮૦ ચોકિમી.ના વિસ્તારમાં પથરાયેલું છે. સાઇબીરિયાના ઉત્તરના ટુન્ડ્ર પ્રદેશમાં ધ્રુવીય શિયાળ અને રીંછ, લેમિન્ગ્ઝલ, રૅન્ડિયર વગેરે પ્રાણીઓ જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાઇબીરિયા, પૃ. ૯0)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી