Categories
વાચન સમૃદ્ધિ

જોધપુર

રાજસ્થાનના ૩૩ પૈકીનો એક જિલ્લો તથા જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. જોધપુર જિલ્લો ૨૬°થી ૨૭° ૩૭´ ઉ. અ. અને ૭૨° ૫૫´થી ૭૩° ૫૨´ પૂ. રે. વચ્ચે આવેલો છે. ઉત્તરે બિકાનેર અને વાયવ્યે જેસલમેર જિલ્લા, દક્ષિણે બારમેર અને પાલી અને પૂર્વમાં નાગોર જિલ્લો છે. ઉત્તરથી દક્ષિણ ૧૯૭ કિમી. લંબાઈ અને પૂર્વથી પશ્ચિમ ૨૦૮ કિમી. પહોળાઈ છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૨૨,૮૫૦ ચોકિમી. છે. જોધપુર જિલ્લાનો નીચાણવાળો ભાગ, અરવલ્લી ગિરિમાળા, અગ્નિખૂણે આવેલ રાજસ્થાનના ઉચ્ચ પ્રદેશ અને પશ્ચિમે અને વાયવ્ય ખૂણે થરના રણની વચ્ચે આવેલો છે. અર્ધરણ જેવા સપાટ પ્રદેશ વચ્ચે રેતીના ઢૂવા થાય છે. અરવલ્લીના ફાંટા રૂપે આવેલા ડુંગરો ૬૦થી ૧૫૦ મી. ઊંચા છે અને વનસ્પતિ વિનાના છે. જિલ્લાનો શુષ્ક પ્રદેશ રેતાળ છે પણ અરવલ્લી અને લૂણી નદી વચ્ચેનો પ્રદેશ ખેતીલાયક છે. અહીં પાણી ખૂબ ઊંડાઈએ મળે છે. જોધપુર જિલ્લાની આબોહવા રણ જેવી છે. ઉનાળામાં મે માસમાં વધુમાં વધુ તાપમાન ૪૯° સે. અને શિયાળામાં સરેરાશ તાપમાન ૧૪° સે. હોય છે. ઉનાળામાં સખત લૂ વાય છે. સરેરાશ વરસાદ ૨૫૦થી ૫૦૦ મિમી. પડે છે. જિલ્લાની માટીમાં રેતીનું પ્રમાણ વધારે છે. માટી લાલ તથા ખારાશવાળી છે. ખેતીના પાકોમાં જુવાર, બાજરો, સરસવ, એરંડા, ગુવાર, મગ, મઠ વગેરે મુખ્ય છે. પાણીની સગવડ હોય ત્યાં થોડા પ્રમાણમાં ઘઉં અને ચણા થાય છે.

પશુઓમાં ઘેટાં, બકરાં અને ગાય, બળદ, ઊંટ, ઘોડા વગેરે છે. વન્ય પશુઓમાં વાઘ, રીંછ, સાબર, ચીતળ અને રોઝ મુખ્ય છે. ફલોદી પાસેના ખારા તળાવના પાણીનો મીઠું બનાવવા માટે ઉપયોગ થાય છે. આ સિવાય ચિરોડી, બાંધકામ માટેનો પથ્થર અને મુલતાની માટી વગેરે ખનિજો પણ છે. આછો ગુલાબી પથ્થર અને બલુઆ પથ્થર પ્રસિદ્ધ છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ઉદ્યોગો મુખ્યત્વે જોધપુર શહેરમાં આવેલા છે. અહીં ગરમ કાપડની મિલ, સિમેન્ટનું કારખાનું, મોટરના પિસ્ટન અને કૂલર, શાફ્ટ વગેરેના છૂટક ભાગો બનાવવાનું કારખાનું; કાચ, લોખંડનું રાચરચીલું, ચામડાની બૅગ, પગરખાં તથા ઍલ્યુમિનિયમની વસ્તુઓ અને વાસણો વગેરેનાં કારખાનાં છે. રંગાટી તથા છાપકામ, ધાબળા, બાંધણી વગેરે ગૃહઉદ્યોગો વિકસ્યા છે. જોધપુરમાં રાજસ્થાન રાજ્યની સંગીત અકાદમી, વિશ્વવિદ્યાલય, ઇજનેરી તથા અન્ય કૉલેજ, સંગ્રહસ્થાન વગેરે આવેલાં છે. જોધપુર જિલ્લાની વસ્તી ૨૦૨૪માં ૪૭,૯૦,૦૦૦ (આશરે) છે. તે ધોરી માર્ગે રેલવે દ્વારા બિકાનેર, જેસલમેર, જયપુર, અમદાવાદ, દિલ્હી, અજમેર તથા રાજસ્થાનનાં મુખ્ય વેપારી કેન્દ્રો તથા જિલ્લામથકો સાથે જોડાયેલું છે. અહીં ઍર ઇન્ડિયાનું વિમાનઘર તથા વાયુસેનાનું મથક છે. જસવંત થડામાં ટકોરા મારવાથી સંગીતના સૂર કાઢતું સંગેમરમરનું સ્ફટિક ભવન છે. જોધપુરની પ્રાચીન રાજધાની મંડોર કે માંડવગઢમાં કિલ્લો, જનાના ઉદ્યાન, દેવતાઓનો સાલ મહેલ અને સંગ્રહાલય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જોધપુર, પૃ. 27)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સંગ્રહાલય (મ્યુઝિયમ)

ઐતિહાસિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને કલાકીય દૃષ્ટિએ મૂલ્યવાન વસ્તુઓની જાળવણી તથા પ્રદર્શન જ્યાં થતું હોય તે મથક – સંસ્થા. દેશપરદેશની અજાયબી ભરેલી, જાણવા અને જોવાલાયક વસ્તુઓનો સંગ્રહ કરીને તેને એક સ્થળે રાખવામાં આવ્યો હોય તેને સંગ્રહાલય, સંગ્રહસ્થાન કે મ્યુઝિયમ કહેવામાં આવે છે. તેના બે પ્રકારો છે : એક જાહેર સંગ્રહાલય – જેનું સંચાલન ને વહીવટ સાર્વજનિક સ્તરે – રાષ્ટ્રસ્તરે અથવા સ્થાનિક સત્તાતંત્ર મારફત થાય છે અને બીજું ખાનગી સંગ્રહાલય – જેનો વહીવટ કોઈ વ્યક્તિ કે ટ્રસ્ટીમંડળને હસ્તક હોય છે. સંગ્રહાલય લોકશિક્ષણનું અગત્યનું અંગ છે. આંખ અને સ્પર્શ દ્વારા અપાતી કેળવણીની યોજનામાં આવાં સંગ્રહાલયો શિક્ષણ માટેનું મહત્ત્વનું અંગ હોય છે. સંગ્રહાલયનો નિયામક (ક્યુરેટર) પ્રદર્શિત નમૂનાઓ સાથે સંકળાયેલા વિષયોનો નિષ્ણાત હોય છે. પ્રદર્શિત કરવા માટેની ચીજવસ્તુના મૂલ્યમહિમાનો તે જાણતલ હોય છે. કઈ વસ્તુ કઈ રીતે પ્રદર્શિત કરવી, તેને કઈ જગ્યાએ ગોઠવવી અને તેની જાળવણી કેવી રીતે કરવી તે તે નક્કી કરે છે.

સંગ્રહાલય પરંપરાગત રીતે આજ દિન સુધી વિકસેલી ને ટકેલી સંસ્કૃતિનો સાર્વજનિક ખજાનો હોય છે. તેમાં પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન કાળની અવનવી ચીજવસ્તુઓના મૂળ કે અનુકૃત નમૂનાઓનો સંગ્રહ કરેલો હોય છે. તેમાં અનેક જુદા જુદા વિભાગો હોય છે; જેમ કે, ઐતિહાસિક-સાંસ્કૃતિક, કલા અને વિજ્ઞાનને લગતા તથા પ્રાકૃતિક વગેરે. સંગ્રહસ્થાનોમાં પ્રાણીવિભાગ હોય તો ત્યાં પ્રાણીઓના શબને ચર્મપૂરણ કરી પ્રદર્શિત કરવાની પણ વ્યવસ્થા કરાય છે.

ઐતિહાસિક સંગ્રહાલયમાં ઇતિહાસના જે તે સમયનાં સ્થળ કે વ્યક્તિ વિશેની માહિતી મળે છે. વળી ક્યારેક કોઈ વ્યક્તિએ સંઘરેલા સિક્કાઓ, ચંદ્રકો, ટિકિટો, ફર્સ્ટ-ડે-કવરો વગેરેનો પણ સમાવેશ થાય છે. સાંસ્કૃતિક સંગ્રહાલયમાં જુદા જુદા સમયના લોકોની જીવનશૈલી પ્રમાણે વસ્ત્રો, અલંકારો, જે તે સમયે વપરાતાં વાસણો, રાચરચીલું તથા રહેઠાણ વગેરેની માહિતી મળે છે. ક્યારેક વિજ્ઞાન અને તકનીકી સંગ્રહાલયમાં વિજ્ઞાનનાં પુરાતન ઉપકરણોથી માંડીને આધુનિક શોધોનાં ઉપકરણો જોવા મળે છે. કલાના સંગ્રહાલયમાં ચિત્રો, શિલ્પો અને હસ્તકલાના નમૂનાઓ વગેરે જોવા મળે છે.

ભારતમાં સાચા અર્થમાં ‘સંગ્રહાલય’નો ખ્યાલ ૧૮મી અને ૧૯મી સદીમાં અંગ્રેજો લાવ્યા. તે પહેલાં રાજાઓના મહેલમાં વૈભવની દૃષ્ટિએ અલભ્ય ચિત્રો, શિલ્પો, શસ્ત્રાસ્ત્રો કે કલાકૃતિઓને રાખવામાં આવતાં હતાં, પણ સામાન્ય લોકોને આ બધું જોવા-જાણવા કે માણવા માટે મળતું નહોતું. ભારતનું સૌથી પ્રથમ સંગ્રહાલય ૧૮૭૫માં કૉલકાતામાં બનાવવામાં આવ્યું હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સંગ્રહાલય [મ્યુઝિયમ], પૃ. 63)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

જૉડ્રલ-બૅંક રેડિયો ઑબ્ઝર્વેટરી, ઇંગ્લૅન્ડ (નૂફીલ્ડ રેડિયો ઍસ્ટ્રોનૉમી લૅબોરેટરીઝ)

જૉડ્રલ-બૅંક નામના સ્થળે આવેલી યુનાઇટેડ કિંગ્ડમ(બ્રિટન)ની રેડિયો-ખગોલીય વેધશાળા. સંખ્યાબંધ રેડિયો-દૂરબીનો ધરાવતી અને વિશાળ વિસ્તારમાં પથરાયેલી આ વેધશાળા ચેશાયર પરગણામાં અને માંચેસ્ટર નગરથી દક્ષિણે આશરે ૪૦ કિમી. દૂર આવેલી છે. આ વેધશાળાની સ્થાપના ૧૯૪૫માં એટલે કે રેડિયો-ખગોળશાસ્ત્ર જ્યારે આરંભિક તબક્કામાં હતું તેવા સમયે માંચેસ્ટર યુનિવર્સિટી દ્વારા થઈ હતી. ત્યારથી એનું સંચાલન આ યુનિવર્સિટીના રેડિયો-ખગોળશાસ્ત્ર વિભાગ દ્વારા થાય છે. માત્ર બ્રિટનની જ નહિ, દુનિયામાં એના પ્રકારની એટલે કે કોઈ એક વિશાળ રેડિયો-ટેલિસ્કોપ હોય તેવી એ જૂનામાં જૂની રેડિયો-વેધશાળા છે. એ સમયે એનું નામ ‘જૉડ્રલ બૅંક એક્સપેરિમેન્ટલ સ્ટેશન’ હતું; પરંતુ પાછળથી માત્ર ‘જૉડ્રલ બૅંક’ તરીકે એ ખ્યાત બની. વેધશાળાના આરંભકાળના એક તબક્કે રેડિયો-ટેલિસ્કોપ બનાવવામાં લૉર્ડ નૂફીલ્ડ અને એમના નૂફીલ્ડ ફાઉન્ડેશને કરેલા માતબર દાનને કારણે ૧૯૬૦થી આ વેધશાળા ‘નૂફીલ્ડ રેડિયો ઍસ્ટ્રોનૉમી લૅબોરેટરીઝ’ તરીકે પણ ઓળખાય છે.

આ વેધશાળાની સ્થાપના પાછળ જો કોઈ એક વ્યક્તિનું નામ આપવું હોય તો તે છે અંગ્રેજ ખગોળભૌતિકશાસ્ત્રી અને પાછળથી રેડિયો-ખગોળશાસ્ત્રી અને લેખક બનેલા સર બર્નાર્ડ લોવેલ, (જ. ૧૯૧૩). બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૪ ઑગસ્ટ, ૧૯૩૯ના રોજ શૈક્ષણિક કાર્ય છોડીને દેશની યુદ્ધસેવામાં એ જોડાયા. અહીં એમની કામગીરી એક નવા પ્રકારના યુદ્ધોપયોગી રડારને વિકસાવવા સંબંધી હતી. આ અંગેના પ્રયોગો કરતાં એમણે જોયું કે રડારમાં પ્રયોજાતા રેડિયો-તરંગોનો ઉપયોગ તો ખગોળશાસ્ત્રમાં અને પોતાનાં સંશોધનોને આગળ ધપાવવામાં પણ થઈ શકે. જેવી રીતે રડારની મદદથી દુશ્મનના બૉમ્બ લઈ જતાં વિમાનોને પકડી શકાતાં હતાં, તેવી જ રીતે અંતરિક્ષમાંથી આવતી અંતરિક્ષ-કિરણોની ઝડીઓની ભાળ પણ મેળવી શકાય. વળી આ જ રીતે, ઉલ્કાઓ (meteors) અને ધૂમકેતુઓનો અભ્યાસ પણ થઈ શકે. પૃથ્વી પર દિવસ દરમિયાન આવી પડતી ઉલ્કાઓ નરી આંખે તો જોઈ ન શકાય; પરંતુ, રેડિયો-તરંગોની મદદથી એ ‘દેખી’ શકાય. વળી ઉલ્કાઓના વેગ (meteor velocites) વગેરે પણ માપી શકાય. તેવી જ રીતે, રેડિયો-તરંગોની મદદથી ઉલ્કાઓની ભ્રમણકક્ષાઓ અને ઉલ્કામૂલ (radiant of meteors) અંગેની જાણકારી તેમજ આ રીતે મેળવેલી માહિતીઓને આધારે ઉલ્કાઓ ક્યાંથી આવે છે તે અંગેની જાણકારી પણ સાંપડી શકે. આમ લોવેલે જોયું કે રડાર અથવા તો રેડિયો-તરંગોને ખગોલીય સંશોધનોમાં પલોટતાં એક નવી જ દિશા ખૂલી હતી. જોકે આવું વિચારનારા લોવેલ દુનિયાના કાંઈ એકલા અને પહેલા ખગોળશાસ્ત્રી ન હતા. અમેરિકાના કાર્લ જેન્સ્કી (૧૯૦૫–૧૯૫૦) નામના રેડિયો-ઇજનેરે છેક ૧૯૩૨માં અંતરિક્ષના ઊંડાણમાંથી આવતા રેડિયો-તરંગોને ધરાતલ પર પહેલી જ વાર ઝીલીને આ દિશામાં પ્રવેશવાનાં દ્વાર ખોલી આપ્યાં હતાં, તો ૧૯૧૧માં જન્મેલા ગ્રોટે રેબર નામના બીજા એક અમેરિકી ઇજનેરે ૧૯૩૭માં જેન્સ્કીના પગલે જ ડગ માંડીને દુનિયાનું પ્રથમ રેડિયો-દૂરબીન પણ બનાવ્યું હતું, જેના પરાવર્તક એટલે કે ઍન્ટેનાનો આકાર એક તવા જેવો હતો. અલબત્ત, આ એક મહાન શોધ હતી; પરંતુ એનો વ્યાપક ઉપયોગ કરીને રેડિયો-ખગોળ વિજ્ઞાનનો જન્મ તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના સમયમાં જ – બહુધા ૧૯૪૬થી ૧૯૫૦ના ગાળા દરમિયાન જ – શક્ય બન્યો. આ જ રીતે, આજે જેને આપણે ‘રડાર-ખગોળશાસ્ત્ર’ તરીકે ઓળખીએ છીએ તેનો વિકાસ પણ લગભગ આ જ અરસામાં સંભવત: ૧૯૫૦માં થયો. છએક વર્ષ યુદ્ધમાં સેવાઓ આપીને ૧૯૪૫માં લોવેલ માંચેસ્ટર યુનિવર્સિટીમાં પાછા ફર્યા અને યુનિવર્સિટીના અધિકારીઓને એક રેડિયો-ખગોલીય મથક સ્થાપવાનું સમજાવી શક્યા. આ માટે યુનિવર્સિટીએ પોતાના વનસ્પતિવિભાગની જૉડ્રલ-બૅંક ખાતેની કાદવથી ખરડાયેલી વગડાઉ અને બહુધા ગૌચર ભૂમિ તરીકે વપરાતી ખુલ્લી જમીન ફાળવી આપી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જૉડ્રલ-બૅંક રેડિયો ઑબ્ઝર્વેટરી, ઇંગ્લૅન્ડ, પૃ. ૨૪)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી