Categories
વાચન સમૃદ્ધિ

શાહમૃગ

આજે હયાતી ધરાવતું સૌથી મોટા કદનું પક્ષી.

શાહમૃગ પૂર્વ અને દક્ષિણ આફ્રિકાનાં ડુંગર, રણ અને વનસ્પતિની અછત હોય તેવા શુષ્ક પ્રદેશોમાં વસે છે. નર શાહમૃગની ઊંચાઈ ત્રણ મીટર અને વજન ૧૫૦ કિલોગ્રામ જેટલું હોય છે. નર શાહમૃગ દેખાવમાં સુંદર હોય છે. તે સફેદ અને કાળા રંગનાં પીંછાં ધરાવે છે, જ્યારે માદાનાં પીંછાં રંગે ભૂખરાં હોય છે. શાહમૃગના પગ લાંબા અને મજબૂત હોય છે. તેની ડોક લાંબી અને માથું નાનું હોય છે. ડોક, માથું તથા પગ પીંછાં વગરનાં હોય છે. તેની પાંખો નાની હોય છે.

ટૂંકી પાંખો હોવાથી શાહમૃગ ઊડી શકતું નથી; પણ તે દોડવામાં પાવરધું છે. તે કલાકના ૭૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. તેના પગમાં બે આંગળાં હોય છે. બે આંગળાં ધરાવતું આ એક જ પક્ષી છે. પગથી તે જોરદાર લાત લગાવી શકે છે. તેનું ઉત્સર્જનતંત્ર અંશત: સસ્તન પ્રાણીઓના ઉત્સર્જનતંત્રને મળતું આવે છે. શાહમૃગના ભક્ષક સિંહ, ચિત્તો, શિકારી કૂતરા, જરખ વગેરે છે. ચિત્તા સિવાયના બીજા ભક્ષકોથી તે વધારે ઝડપથી દોડી શકે છે અને તે રીતે બચી જાય છે. જરૂર પડે તો તેના પગથી જોરદાર લાત મારીને પણ તે પોતાનું તથા પોતાનાં ઈંડાં કે બચ્ચાંનું રક્ષણ કરે છે. તે લાત મારીને સિંહને પણ હંફાવી શકે છે. શાહમૃગનો ખોરાક વનસ્પતિ તથા ગરોળી, કાચિંડા, કાચબા જેવાં નાનાં પ્રાણીઓ છે. તેને દાંત હોતા નથી (આમેય પક્ષીઓને દાંત હોતા નથી.), તેથી ખોરાક ગળી જાય છે. તેના પાચન માટે તે રેતી અને કાંકરા ખાય છે ! તે પાણી વગર લાંબો સમય ચલાવી શકે છે.

શાહમૃગ ભય લાગે ત્યારે રેતીમાં માથું છુપાવી પોતે સુરક્ષિત હોય તેવું માને છે. તે વાત બિલકુલ વજૂદ વગરની છે. તે ક્યારેક ભક્ષકની નજરથી બચવા રેતીમાં ડોક લંબાવીને બેસી જાય છે. આથી દૂરથી તે રેતીના ઢગલા જેવું દેખાય છે તો ક્યારેક રેતી અને કાંકરા મેળવવા રેતીમાં મોઢું નાખે છે તેથી ઉપર્યુક્ત ભાસ થાય છે. સંવનન-ૠતુમાં શાહમૃગ ટોળામાં ફરે છે. તેમાં પથી ૧૦૦ જેટલી સંખ્યા હોય છે. જ્યારે વરસાદની અછત હોય ત્યારે પણ તે ઝિબ્રા કે હરણ જેવાં ઘાસ ચરતાં પ્રાણીઓની જોડે વિચરે છે.

નર શાહમૃગ રેતીમાં દર ખોદી માળો બનાવે છે. તેમાં તેની દરેક માદા ૧૦થી ૧૨ ઈંડાં મૂકે છે. શાહમૃગનાં ઈંડાં બધાં પક્ષીઓનાં ઈંડાં કરતાં મોટા કદનાં હોય છે. તે ૧.૫ કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે. માદા ભૂખરા રંગની હોય છે અને તે દિવસે ઈંડાં સેવે છે આથી ભક્ષકની નજરે પડતી નથી, જ્યારે રાતના અંધારામાં કાળો રંગ ધરાવતા નરનો વારો ઈંડાં સેવવાનો હોય છે. ૫થી ૬ અઠવાડિયાં બાદ બચ્ચાં જન્મે છે.

શાહમૃગનું આયુષ્ય ૭૦ વર્ષ જેટલું હોય છે. તેનાં આકર્ષક પીંછાંથી વસ્ત્રો અને હૅટને સુશોભિત કરાય છે. પીંછાં માટે તેનો શિકાર થાય છે. આ બધાં કારણોસર એશિયામાં વસતાં શાહમૃગો નાશ પામ્યાં છે.

શાહમૃગ સારું દોડતાં હોવાથી, તેની ઉપર ઘોડાની જેમ સવારી પણ કરાય છે ! ક્યારેક મનોરંજન માટે શાહમૃગની દોડ-સ્પર્ધા યોજાય છે. દક્ષિણ અમેરિકામાં શાહમૃગને મળતું આવતું રીહા પક્ષી જ્યારે ઑસ્ટ્રેલિયામાં એમુ પક્ષી જોવા મળે છે. આ પક્ષીઓ ઊડી શકતાં નથી પણ શાહમૃગની જેમ દોડવામાં પાવરધાં હોય છે. ન્યૂઝીલૅન્ડમાં શાહમૃગને મળતું મોઆ પક્ષી જોવા મળતું, જે હવે નામશેષ થઈ ગયું છે. આ પક્ષી શાહમૃગ કરતાં પણ ઊંચું હતું.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જર્મન કન્ફેડરેશન

જર્મન રાજ્યોનો સંઘ. નેપોલિયનના પતન બાદ, ૧૮૧૫માં મળેલા વિયેના સંમેલને અનેક બાબતોમાં પુરાણી વ્યવસ્થાની પુન:સ્થાપનાનો આગ્રહ રાખ્યો હતો; પરંતુ જર્મનીનાં ૩૦૦ રજવાડાંને તેણે પાછાં અલગ ન કર્યાં. આ બાબતમાં નેપોલિયનના કાર્યનો સ્વીકાર કરી, તેમાં એક સોપાન આગળ વધ્યા, વિયેના સંમલેનમાં ભેગા થયેલા રાજપુરુષોએ જર્મનીનાં ૩૦૦ રાજ્યોને ભેગાં કરીને બનાવેલાં ૩૯ રાજ્યો ચાલુ રાખી તેના એક શિથિલ સંઘ(જર્મન સમૂહતંત્ર)ની રચના કરી. આ સંઘનાં રાજ્યોની એક સંઘસભા રાખી અને તેના પ્રમુખપદે ઑસ્ટ્રિયા અને ઉપપ્રમુખપદે પ્રશિયાને રાખવામાં આવ્યું. આ રીતે જર્મની પર ઑસ્ટ્રિયાનું વર્ચસ્ સ્થપાયું. ૧૮૧૫થી ૧૮૬૬ સુધી જર્મનીની સરકાર તરીકે તેનું અસ્તિત્વ ચાલુ રહ્યું.

આ સંઘમાં પ્રતિનિધિઓ પ્રજાના ન હતા; પરંતુ રાજાઓએ નિમણૂક કરેલા હતા. તેઓ રાજાઓનું હિત ધ્યાનમાં રાખતા અને રાજાની આજ્ઞા મુજબ મત આપતા. તે સ્વતંત્ર રાજ્યોનું બનેલું નબળું સંગઠન હતું. આ સંઘ રાજાઓનો હતો, પ્રજાનો નહિ. આ જર્મન સંઘ કાયમી કે શક્તિશાળી બની શકે તેમ ન હતો, કારણ કે તેણે બે મહત્ત્વની બાબતોની ઉપેક્ષા કરી હતી. એક તો તેણે જર્મન પ્રજામાં ફેલાયેલી એકતાની ભાવનાને અવગણી હતી અને બીજું ઑસ્ટ્રિયા તથા પ્રશિયા વચ્ચેની જર્મનીમાંની હરીફાઈને તેણે ધ્યાનમાં લીધી ન હતી. આ સંઘમાં મૂળભૂત કાયદા, અંગભૂત સંસ્થાઓ, વૈયક્તિક અધિકારો તથા ધાર્મિક બાબતોમાં સુધારા કરવા માટે સર્વાનુમતિનો નિર્ણય રાખવામાં આવેલ હોવાથી, કોઈ પણ નક્કર કાર્ય થઈ શકતું નહિ. વળી આ સંઘને પોતાનું લશ્કર અથવા વ્યવસ્થાતંત્ર ન હોવાથી, જર્મનીમાં યથાવત્ પરિસ્થિતિ તથા ઑસ્ટ્રિયાનું આધિપત્ય ચાલુ રહ્યાં. જર્મની ઑસ્ટ્રિયાના પૂરા આધિપત્ય હેઠળ તથા મેટરનિકની પ્રત્યાઘાતી નીતિના પ્રભાવ હેઠળ આવી ગયું. મેટરનિકની જર્મની પ્રત્યેની નીતિનું ધ્યેય ઉદારમતવાદ, બંધારણવાદ તથા સંસદીય લોકશાહીનો સખત વિરોધ કરવાનું હતું. તેણે આ ધ્યેયને પાર પાડવા વાસ્તે જર્મનીના સંઘનો ઉપયોગ કર્યો. જર્મનીના સામંતો ઉત્સાહ કે ડરથી લોકોને ઉદાર બંધારણીય સુધારા ન આપે તેની તેણે તકેદારી રાખી હતી. પ્રશિયાના રાજા ફ્રેડરિક વિલિયમ ત્રીજાએ પણ લોકોને બંધારણીય સુધારાનું આપેલું વચન, મેટરનિકની દબાણથી પાછું ખેંચી લીધું. ઑગસ્ટ, ૧૮૧૯માં મેટરનિકે જર્મનીના કાર્લ્સબાદ મુકામે પ્રશિયા સહિત અગત્યના રાજાઓની સભા બોલાવી. તેમાં રાષ્ટ્રવાદી વિચારોને કચડી નાખવા માટે કેટલાક આદેશો નક્કી કરી જર્મન સંઘની સભા પાસે તે મંજૂર કરાવવામાં આવ્યા. આ આદેશો અનુસાર દરેક રાજાએ પોતાના રાજ્યમાં શાળાઓ તથા યુનિવર્સિટીઓની પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકવાનાં હતાં, વિદ્યાર્થીઓની સભાઓ પર પ્રતિબંધ મૂકવાનો હતો, યુનિવર્સિટીઓમાંથી રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતા અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને બરતરફ કરવાના હતા તથા વર્તમાનપત્રો પર કડક નિયંત્રણો મૂકવાનાં હતાં. આ બધા આદેશોને પરિણામે જર્મન સંઘ એક પોલીસ-રાજ્ય સમાન બની ગયો. રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને કચડી નાખવા માટે જર્મનીમાં દમન તથા અત્યાચારની શરૂઆત થઈ.

મેટરનિકની સૂચનાથી, જર્મન સંઘની સભાએ, રાજાઓને તેમના વહીવટી તંત્રમાં લોકોનો સહકાર લેવાની મનાઈ ફરમાવી. આમ, જર્મનીમાં મેટરનિકની પ્રત્યાઘાતી નીતિ સફળ થઈ તેના ફલસ્વરૂપે જર્મની ઑસ્ટ્રિયાના આધિપત્ય હેઠળ અને તેના આપખુદ વહીવટ હેઠળ કચડાયેલું રહ્યું. ૧૮૬૬માં ઑસ્ટ્રિયા અને પ્રશિયા વચ્ચે થયેલી તુમુલ લડાઈ બાદ પ્રાગ સંધિ કરવામાં આવી. તે મુજબ જર્મન સંઘનું વિસર્જન કરવામાં આવ્યું. તેનાથી જર્મન રાજકારણ પરનું ઑસ્ટ્રિયાનું આધિપત્ય નાબૂદ થયું.

જયકુમાર ર. શુક્લ

Categories
વાચન સમૃદ્ધિ

જયકૃષ્ણ રાજગુરુ મહાપાત્ર

જ. ૨૯ ઑક્ટોબર, ૧૭૩૯ અ. ૬ ડિસેમ્બર, ૧૮૦૬

ઓડિશા રાજ્યમાં જન્મેલા જયકૃષ્ણ ભારતીય સ્વતંત્રતાઆંદોલનની એક મુખ્ય વ્યક્તિ અને અંગ્રેજો વિરુદ્ધ સંગ્રામમાં ભારતના સૌપ્રથમ શહીદ હતા. ખુર્દા રાજ્યના દરબારમાં તેઓ રાજા ગજપતિ મુકુંદદેવ દ્વિતીયના કમાન્ડર-ઇન-ચીફ, શાહી પૂજારી તથા વહીવટદાર હતા. તેઓએ પોતાનું જીવન રાજ્યની સેવામાં જ વ્યતીત કરેલું અને આજીવન લગ્ન કર્યાં ન હતાં. ૧૭૭૯ની સાલમાં ખુર્દા રાજ્ય અને જાનૂજી ભોસલે વચ્ચે યુદ્ધ થયું. તે સમયે સેનાના નાયક નરસિંહ રાજગુરુ હતા. તેઓ યુદ્ધમાં માર્યા ગયા એટલે જય રાજગુરુને પ્રશાસનના અને ખુર્દાની સેનાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. આમ પિતાની જવાબદારી પુત્રએ લીધી.

સૌપ્રથમ ઘૂસણખોરોની સામે વિદ્રોહ કરવાનો સમય આવ્યો. કમજોર પ્રશાસનનો ફાયદો ઉઠાવાતાં ખુર્દાના લોકો પર બર્ગિયોના હુમલા વધવા માંડ્યા. આ પરિસ્થિતિ જયકૃષ્ણ માટે અસહ્ય હતી. તેઓએ સૈનિકોની શક્તિને વ્યક્તિગત રીતે પ્રોત્સાહન આપ્યું. ગામના યુવાનોને પણ સંગઠિત કરી યુદ્ધની તાલીમ આપી. હથિયાર અને તોપગોળા (બારૂત) બનાવતાં શિખવાડ્યાં. આમ ઘૂસણખોરોની સામે લડવા માટેની યોજના બનાવી. ૧૭૫૭માં મુખ્ય સમસ્યા શરૂ થઈ. અંગ્રેજોએ પ્લાસીની લડાઈ જીતીને ઓડિશાના બંગાળ, બિહાર અને મેદિનાપુર પ્રાંતો કબજે કરી લીધા. ૧૭૬૫માં તેઓએ હૈદરાબાદના નિઝામ તથા પારસીઓ પાસેથી આંધ્રપ્રદેશના એક વિશાળ ક્ષેત્ર પર કબજો કરી લીધો. તેમણે ખુર્દામાં એક કિલ્લો બનાવ્યો. ગંજમ અને મેદિનાપુરની વચ્ચે પરિવહન માટે રસ્તો પણ બનાવ્યો. ૧૭૯૮માં ખુર્દા પર હુમલો કર્યો, પણ જયકૃષ્ણે તેમને સફળ થવા ન દીધો. જયકૃષ્ણએ અંગ્રેજોને આપણા દેશમાંથી પાછા ધકેલવાના ઇરાદાથી સેનાને વ્યવસ્થિત કરી અને હિંમતથી બધાં પરગણાં પર કબજો કર્યો. છેવટે અંગ્રેજો અને ખુર્દાની સેના વચ્ચે ઐતિહાસિક યુદ્ધ શરૂ થયું. લડાઈ લાંબી ચાલી અને જયકૃષ્ણને ગિરફતાર કર્યા, બારાબતી કિલ્લામાં લઈ ગયા. તેમના પર કેસ ચલાવ્યો અને છેવટે ફાંસી આપી. એવું મનાય છે કે ઇતિહાસમાં અંગ્રેજોની વિરુદ્ધ ભારતની તેઓ પહેલી વ્યક્તિ હતા જેને મૃત્યુદંડ આપવામાં આવેલો.

અંજના ભગવતી