Categories
વાચન સમૃદ્ધિ

સર્વોદય અને ભૂદાન

‘સર્વનો ઉદય, સર્વનું કલ્યાણ’ એવા ગાંધીમાર્ગી આચાર-વિચારની પ્રણાલી. ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી ‘सर्वेत्र सुखिनः सन्तु ।’ (અહીંયાં સૌ સુખી થાઓ) અને ‘सर्वभूतहिते रताः ।’ (સૌ પ્રાણીઓનું કલ્યાણ થાઓ)ની ભાવના વણાયેલી છે. તે ઉપરાંત ‘वसुधैव कुटुम्बकम्’ – ધરતી પરની સકળ સૃષ્ટિ એક જ પરિવાર છે –એવી ભાવના પણ પ્રચલિત છે. ૧૯૦૮માં જ્યારે રસ્કિનના પુસ્તક ‘Unto This Last’નો ગાંધીજીએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પ્રગટ થયો ત્યારે તેના મથાળા માટે ગાંધીજીએ ‘સર્વોદય’ શબ્દ પ્રયોજ્યો. ‘સર્વોદય’ એટલે સર્વનો ઉદય, સૌનું કલ્યાણ. સર્વોદયની ભાવના નવી નથી. સર્વોદયની ભાવના આ દેશની સંસ્કૃતિના મૂળમાં જ છે. રસ્કિનના પુસ્તકમાંથી ગાંધીજીને જીવનનું એક નવું દર્શન લાધ્યું. આ પુસ્તકના સારરૂપ એમણે નીચેના સિદ્ધાંતો તારવી બતાવ્યા : (૧) સહુના ભલામાં આપણું ભલું છે. (૨) સહુના કામની કિંમત એકસરખી હોય, કેમ કે જીવનનિર્વાહનો અધિકાર સહુનો એકસરખો છે. (૩) સાદું, શ્રમનું, ખેડૂતનું જીવન એ જ સાચું જીવન છે.

વિનોબા દ્વારા શરૂ કરાયેલ ભૂદાનયજ્ઞ

આ રીતે ‘સર્વોદય’ એક નવી વિચારધારાનો દ્યોતક શબ્દ બન્યો. સર્વનો ઉદય, વધુનો કે માત્ર છેલ્લાનો નહિ. રસ્કિનનું વિચારબીજ ગાંધીજીની મનોભૂમિમાં, કર્મભૂમિમાં વિકસતું રહ્યું અને જ્યારે એ પરિપક્વ થયું ત્યારે ‘સર્વોદય’ના મંત્ર રૂપે પ્રગટ થયું. સર્વોદયી સમાજરચનાનું સ્વરૂપ કેવું હોય તેની રૂપરેખા સંક્ષેપમાં ‘હિંદ સ્વરાજ’માં મળે છે. ગાંધીજીએ નવા યુગમાં ‘સર્વોદય’નો વધારે ઉચિત અર્થ કરી બતાવ્યો. સમાજ અને શરીર સરખાં છે. હૃદય, મગજ, પાચનતંત્ર, શ્વસનતંત્ર, મૂત્રપિંડ વગેરે બધા જ શરીરના અવયવો અગત્યના છે. કોઈ પણ અવયવમાં ક્ષતિ આવે તો શરીરનું તંત્ર કથળે. તેવી જ રીતે ખેડૂત, શ્રમિક, સેવક, વેપારી, સૈનિક, શિક્ષક, શાસક– એ બધા સમાજના અવયવો છે. તે સર્વનું આરોગ્ય સચવાય તો જ સમાજ નીરોગી બને; તો જ તેનો બધી રીતે ઉદય– સર્વોદય થાય. સમાજના એક વર્ગના ભોગે બીજો વર્ગ તાગડધિન્ના કરી શકે નહિ. ગાંધીજી જીવનભર સર્વોદયની આ ફિલસૂફીને ચરિતાર્થ કરવા માટેનું ચિંતન, મનન  અને આચરણ કરતા રહ્યા. ગાંધીજી બાદ વિનોબા દ્વારા આ દિશાનું કાર્ય આગળ વધ્યું અને તેમાંથી ભૂદાનયજ્ઞનો જન્મ થયો. વિનોબા ભાવે પોતાની આગવી પ્રતિભાથી તેનો વિકાસ કરતા રહ્યા. ૧૯૫૧ની ગાંધીજયંતીને દિવસે વિનોબાએ ૧૯૫૭ સુધીમાં દેશની કુલ ખેડાણની જમીનનો છઠ્ઠો ભાગ, અર્થાત્, પાંચ કરોડ એકર જમીન દાનમાં મેળવવાનો નિર્ધાર કરી પદયાત્રા આરંભી.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સર્વોદય અને ભૂદાન, પૃ. ૪૬)

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જેસલ-તોરલ

લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર. તેનું નિર્માણ બે વાર થયું. ૧૯૪૮માં નિર્માતા પી. બી. ઝવેરીના ‘કીર્તિ પિક્ચર્સ’ દ્વારા શ્વેત-શ્યામ નિર્માણનું દિગ્દર્શન ચતુર્ભુજ દોશીએ કર્યું. વાર્તા-સંવાદ-ગીતો પ્રફુલ્લ દેસાઈએ લખ્યાં અને સંગીત અવિનાશ વ્યાસે આપ્યું. તેનાં દસ ગીતોમાં સ્વર ચંદ્રકલા, રતિકુમાર વ્યાસ, અમીરબાઈ કર્ણાટકી અને એ. આર. ઓઝાના હતા. મુખ્ય કલાકારોમાં રાણી પ્રેમલતા, છનાલાલ, ચિમનલાલ, અંજના, શ્યામ, ઝવેરભાઈ, ગંગારામ, દક્ષા, બકુલેશ પંડિત, પ્રમિલ, મૂળચંદ (ખીચડી) વગેરે હતાં. ૧૯૭૧માં નિર્મિત ‘જેસલ-તોરલ’માં નિર્માણ : કાંતિ દવે તથા ટી. જે. પટેલ, દિગ્દર્શન : રવીન્દ્ર દવે, પટકથા : હિંમત દવે, ગીત-સંગીત : અવિનાશ વ્યાસ, સ્વર : મહેન્દ્રકપૂર, આશા ભોસલે, રંગલાલ નાયક, સુલોચના વ્યાસ, સુમન કલ્યાણપુર, ઇસ્માઇલ વાલેરા, કૃષ્ણા કલ્લે તથા દિવાળીબહેન ભીલના હતા. પ્રમુખ કલાકારો : ઉપેન્દ્ર ત્રિવેદી, અનુપમા, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, જયંત ભટ્ટ, મૂળરાજ રાજડા, જયશ્રી ટી. વગેરે. ઈસ્ટમૅન કલરમાં તૈયાર થયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું.

પાપ-પુણ્યના સંઘર્ષને આલેખતી જેસલ-તોરલની કથા કચ્છની ધરતી પર સર્જાયેલી ઐતિહાસિક-લોકોક્તિ આધારિત ઘટના છે. અત્યાચારી જેસલ અને પુણ્યવંતી નારી તોરલના સંઘર્ષની આ કથા છે. જેસલ અને નારાયણજી બંને ભાઈઓ છે. પિતાના મૃત્યુ પછી મોટો ભાઈ નારાયણજી રાજધુરા સંભાળે છે. લાડકોડમાં ઉછેર પામેલો જેસલ સ્વચ્છંદી બને છે, ભાઈ-ભાભી નારાયણજી અને રાજબાનો શિરચ્છેદ કરે છે. મિત્રોની ચડવણીથી જેસલ એક દિવસ સાંસતિયા નામના ધાર્મિક પુરુષને ત્યાંથી તેની પાલકપુત્રી તોરલ, તેની પાણીપંથી વેગીલી ઘોડી અને દૈવી તલવારની ચોરી કરવા જાય છે. ચોરી કરવા છુપાયેલો જેસલ પ્રભુપ્રસાદ વહેંચવા નીકળેલી તોરલદેવીના હાથે પ્રગટ થઈ ગયો. સતી તોરલે આ પાપી જેસલનો ઉદ્ધાર કરવા મનોમન નિશ્ચય કર્યો અને પાપીનાં પાપ ધોવા તોરલ તેની સાથે વહાણમાં ચાલી નીકળી. જેસલનું વહાણ જેસલનાં પાપના ભારે મધદરિયે ડૂબવા લાગ્યું ત્યારે તોરલના બોધથી તેણે પસ્તાવો પ્રગટ કર્યો. જેસલનાં પાપ પ્રાયશ્ચિત્તથી ધોવાઈ ગયાં. સતી તોરલ અને જેસલે પ્રભુભક્તિમાં શેષ જીવન વ્યતીત કર્યું. કચ્છમાં જેસલ-તોરલની સમાધિ છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

હરીશ રઘુવંશી

Categories
વાચન સમૃદ્ધિ

સલાટ

પથ્થર ઘડવાનો વ્યવસાય કરનાર.

‘સલાટ’ શબ્દને ‘શિલાકાર’, ‘શિલા-પટ્ટ’ જેવા શબ્દો સાથે સંબંધ હોવાનું જણાય છે. આમ શિલા(પથ્થર)પાટ ચીરનાર સલાટના કામને ચોસઠ કળાઓમાં વાસ્તુવિદ્યામાં સ્થાન મળ્યું છે. સલાટ પથ્થર ઘડવા ઉપરાંત મૂર્તિઓ બનાવવાનું કામ પણ કરે છે. રાજાઓના સમયમાં ગુપ્ત ભોંયરાં, ધનભંડારોનાં ગુપ્ત દ્વારો, ભુલભુલામણીવાળા ગુપ્ત માર્ગો તેમ જ મનુષ્ય અને દેવોની મૂર્તિઓ વગેરે બનાવવાનું કાર્ય સલાટો કરતા.

પથ્થર ઘડતો સલાટ

વર્તમાન સમયમાં મોટા ભાગે હિંદુ અને જૈન ધર્મનાં મંદિરો-દેરાસરો બનાવવામાં અને તેમના સમારકામ માટે સલાટની કળાનો લાભ લેવાય છે. તેઓ ઘંટીનાં પડ ટાંકવાનું અને ઘંટીઓ, ખલ, ઓરસિયા વગેરે ઘડીને વેચવાનું કામ પણ કરતા હોય છે. સલાટોમાં થેરા સલાટ એ પેટાજાતિ છે. થેરા સલાટો ઘંટીના પથ્થરો ટાંકવા એક ગામથી બીજે ગામ ફરતા રહે છે. તેઓ પોતાના કુટુંબ સાથે શહેર બહાર ઝૂંપડાં બાંધીને રહે છે. આ જાતિમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ ખૂબ ઓછું છે. થેરા સલાટો – સલાટો શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગોની યાદીમાં આવે છે. સોમપુરા સલાટોને બ્રાહ્મણ ગણવામાં આવે છે. તેઓ મંદિરો બાંધવાની પ્રવૃત્તિ કરે છે. તેમની આર્થિક સ્થિતિ અન્ય સલાટો કરતાં વધુ સારી હોવાથી તેમનો સમાવેશ આર્થિક પછાત જાતિમાં થતો નથી. ધ્રાંગધ્રા અને તેની આસપાસના સોમપુરા સલાટો જાણીતા છે. ડભોઈની હીરાભગોળ સાથે સંકળાયેલા હીરા સલાટની દંતકથા જાણીતી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ