Categories
વાચન સમૃદ્ધિ

વિનોદ જશવંતલાલ ભટ્ટ

જ. ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ અ. ૨૩ મે, ૨૦૧૮

ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્યલેખક વિનોદ ભટ્ટનો જન્મ દહેગામ તાલુકાના નાંદોલમાં થયો હતો. ૧૯૬૪માં એલએલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા બાદ વીસેક વર્ષ વેચાણવેરાના અને ત્યાર બાદ આવકવેરાના સલાહકાર તરીકે સેવા આપી. ૧૯૯૭થી નિવૃત્તિ લઈ સાહિત્યસર્જનને લગતી પ્રવૃત્તિઓમાં સંપૂર્ણપણે જોડાઈ ગયા. તેમણે ‘પહેલું સુખ તે મૂંગી નાર’ (૧૯૬૨) એ પુસ્તકથી લેખનકાર્યનો આરંભ કર્યો. ‘વિનોદ ભટ્ટના પ્રેમપત્રો’, ‘ઇદમ્ તૃતીયમ્’, ‘ઇદમ્ ચતુર્થમ્’ વગેરેથી તેમની સર્જક પ્રતિભાનો પરિચય થયો. ‘વિનોદની નજરે’ એ ગુજરાતી હાસ્યસાહિત્યનું અનોખું પુસ્તક છે. ‘અને હવે ઇતિ-હાસ’, ‘ગ્રંથની ગરબડ’, ‘અથથી ઇતિ’, ‘પ્રભુને ગમ્યું તે ખરું’ વગેરે તેમનાં વિશિષ્ટ પુસ્તકો છે. અમદાવાદ શહેરનો વિનોદી શૈલીમાં પરિચય કરાવતું પુસ્તક ‘અમદાવાદ એટલે અમદાવાદ’ નોંધનીય છે. ‘એવા રે અમે એવા’ (૧૯૯૯) એ એમની આત્મકથા છે જે ગુજરાતી આત્મકથા સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના અને વિદેશના સુપ્રસિદ્ધ સાહિત્યકારોનો હળવી શૈલીમાં પરિચય કરાવતી અનેક પુસ્તિકાઓ લખી છે. તેમણે પોતાની ચરિત્રલેખનની કુશળતાનો પણ પરિચય આપ્યો. સાહિત્યિક પત્રકારત્વક્ષેત્રે તેમણે ઘણું કામ કર્યું છે. ‘સંદેશ’ની રવિવારની પૂર્તિમાં ૩૨ વર્ષ સુધી તેમની ‘ઇદમ્ તૃતીયમ્’ કટાર પ્રગટ થઈ. ‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિમાં ‘મગનું નામ મરી’ કટાર લખી. કટોકટી દરમિયાન પણ તેમણે નિર્ભયતાપૂર્વક કટારલેખન કર્યું હતું. ‘હાસ્ય મારો પ્રથમ પ્રેમ છે’ કહેનારા આ લેખકે સંપાદનક્ષેત્રે અગત્યનું કામ કર્યું છે. જુદા જુદા લેખકોની હાસ્યરસની રચનાઓનાં તેમણે સંપાદન કર્યાં છે. તટસ્થ નિરીક્ષણ અને માર્મિક, વેધક કટાક્ષને કારણે તેમના લેખો ખૂબ નોંધપાત્ર બન્યા. ‘વિનોદવિમર્શ’ પૂર્વ-પશ્ચિમમાં થયેલી વિચારણાનો અભ્યાસ કરી લખાયેલું હાસ્યમીમાંસાનું પુસ્તક છે. આ દ્વારા તેમણે સૌને પોતાની વિવેચનશક્તિથી પરિચિત કર્યા. વિનોદ ભટ્ટે ગુજરાતી સાહિત્ય પરિષદનું  પ્રમુખપદ (૧૯૯૫) પણ શોભાવ્યું હતું. હાસ્ય સાહિત્યક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૮૯), જ્યોતીન્દ્ર દવે પારિતોષિક તથા કુમાર ચંદ્રક (૧૯૭૬)થી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પં. શિવકુમાર શર્મા

જ. ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ અ. ૧૦ મે, ૨૦૨૨

હિંદુસ્તાની શાસ્ત્રીય રાગોને સૌપ્રથમ સંતૂરવાદ્ય પર વગાડનાર ભારતના મહાન સંતૂરવાદક પં. શિવકુમાર શર્માનો જન્મ જમ્મુમાં ગાયક પિતા ઉમાદત્ત શર્માને ત્યાં થયો હતો. કુશળ ગાયક અને તબલાં તથા દિલરુબાના નિષ્ણાત પિતા પાસેથી માત્ર ૭ વર્ષની ઉંમરથી શિવકુમાર શર્માએ કંઠ્યસંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું અને રિયાઝ દ્વારા રાગ-રાગિણીઓનો પરિચય કરવા માંડ્યો. તેમણે તબલાં, સરોદ અને સિતારવાદનમાં પણ કુશળતા મેળવી, પરંતુ સંતૂરવાદ્ય પર વધારે રુચિ ધરાવનાર શર્માજીએ તેમનું સમગ્ર કૌશલ્ય સંતૂરવાદનમાં કેન્દ્રિત કર્યું. સંતૂરવાદ્ય મૂળ કાશ્મીરનું છે. પ્રાચીન વાદ્ય ‘શતતંત્રી વીણા’માં રહેલા ૧૦૦ તારમાં અનુરૂપ ફેરફારો કરીને તેમાં કુલ ૧૧૬ તાર લગાવીને પિતા-પુત્રએ હિંદુસ્તાની શાસ્ત્રીય રાગોને સંતૂર જેવા લોકવાદ્યમાં ઝાલા, જોડ તથા ગતકારી અસરકારક રીતે વગાડી શકાય તે પ્રકારનું સક્ષમ બનાવ્યું. સંતૂરવાદનના તેમના રેડિયો ઉપર આપેલા કાર્યક્રમોમાં સંતૂરના મધુર સ્વરોએ ભારતના લોકોનાં દિલ જીતી લીધાં. ૧૯૫૫માં મુંબઈમાં સ્વામી હરિદાસ સંગીત સંમેલનમાં તેમના પ્રથમ જાહેર કાર્યક્રમને લોકોએ ખૂબ વખાણ્યો. પછીથી તેમના સંતૂરના સુમધુર સ્વરનો આસ્વાદ ભારતનાં નાનાંમોટાં શહેરો ઉપરાંત વિદેશોના લોકોને પણ માણવા મળ્યો. સૂર અને સ્વર પર મજબૂત પકડ ધરાવનાર પં. શિવકુમાર શર્માની સંતૂરના શ્રેષ્ઠતમ વાદક તરીકેની કીર્તિ ચોમેર વ્યાપી ગઈ. હિન્દી ફિલ્મો ‘ઝનક ઝનક પાયલ બાજે’, ‘સિલસિલા’, ‘લમ્હે’, ‘ડર’માં તેમનું મધુર સંતૂરવાદન લોકોને સાંભળવા મળ્યું. તેમના આલબમ ‘કૉલ ઑફ ધ વેલી’એ ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી છે. સંતૂરવાદ્યને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવાનું સમગ્ર શ્રેય પં. શિવકુમારને ફાળે જાય છે. ફિલ્મ પુરસ્કારો ઉપરાંત ૧૯૮૬માં ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૯૧માં ‘પદ્મશ્રી’ અને ૨૦૦૧માં ‘પદ્મવિભૂષણ’ની પદવીઓથી તેઓ સન્માનિત થયા છે.

પ્રીતિ ચોકસી

Categories
વાચન સમૃદ્ધિ

કમલા બેનીવાલ

જ. ૧૨ જાન્યુઆરી, ૧૯૨૭ અ. ૧૫ મે, ૨૦૨૪

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ સભ્ય અને ગુજરાત રાજ્યનાં પૂર્વગવર્નર કમલા બેનીવાલનો જન્મ બ્રિટિશ ભારતની રાજપૂતાના એજન્સીના ગોરીર ખાતે એક જાટ પરિવારમાં થયો હતો. માત્ર ૧૫ વર્ષની વયે તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયાં હતાં અને ‘ભારત છોડો’ ચળવળમાં સામેલ થયાં હતાં. કમલા બેનીવાલ ૨૭ વર્ષની વયે ૧૯૫૪માં વિધાનસભાની ચૂંટણી જીત્યાં અને રાજસ્થાન રાજ્ય સરકારમાં મંત્રી બન્યાં હતાં. ૧૯૫૪થી જ તેમણે રાજસ્થાનમાં એક પછી એક કૉંગ્રેસ સરકારોમાં મંત્રીપદે રહી ગૃહ, તબીબી અને આરોગ્ય, શિક્ષણ અને કૃષિ સહિતના વિવિધ મહત્ત્વના વિભાગો સંભાળ્યા હતા. તેઓ અશોક ગેહલોત સરકારમાં મહેસૂલમંત્રીપદે રહ્યાં હતાં. ૧૯૮૦થી ૧૯૯૦ દરમિયાન કૅબિનેટ પ્રધાન તરીકે તેમણે કૃષિ, પશુપાલન, સિંચાઈ, શ્રમ અને રોજગાર, શિક્ષણ, કલા અને સંસ્કૃતિ, પર્યટન અને સંકલિત ગ્રામીણ વિકાસ જેવા વિવિધ વિભાગોનું નેતૃત્વ કર્યું હતું. એક મંત્રી તરીકે લગભગ ૫૦ વરસ સુધી રાજસ્થાન સરકારમાં સેવાઓ આપી. તેમની લાંબી કારકિર્દી દરમિયાન તેઓ પ્રદેશ કૉંગ્રેસ પક્ષની કામગીરી સાથે પણ સંકળાયેલાં હતાં. કમલા બેનીવાલને ઑક્ટોબર, ૨૦૦૯માં ત્રિપુરાના રાજ્યપાલપદે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. તેઓ પૂર્વોત્તર ભારતમાં પ્રથમ મહિલારાજ્યપાલ હતાં. એક મહિના બાદ ૨૭ નવેમ્બર, ૨૦૦૯ના રોજ તેમને ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે ચાર વરસથી વધુ સમય માટે સેવા આપી હતી. ૬ જુલાઈ, ૨૦૧૪ના રોજ તેમની મિઝોરમના રાજ્યપાલ પદ પર બદલી કરવામાં આવી હતી. ૯૭ વર્ષની વયે જયપુરની એક ખાનગી હૉસ્પિટલમાં ટૂંકી બીમારી બાદ કમલા બેનીવાલનું અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી