Categories
વાચન સમૃદ્ધિ

શ્રીનિવાસ આયંગર રામાનુજન

જ. ૨૨ ડિસેમ્બર, ૧૮૮૭ અ. ૨૬ એપ્રિલ, ૧૯૨૦

ભારતના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી. તમિળનાડુના કુંભકોણમના અત્યંત ગરીબ પરિવારમાં જન્મ. નાનપણથી જ ખૂબ તેજસ્વી એટલે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે દસમા ધોરણ સુધીનું ગણિત સમજી શકતા. ગણિત અને અંગ્રેજીમાં સારાં પરિણામો લાવતા તેથી સુબ્રમણ્યમ શિષ્યવૃત્તિ મળી પણ ગણિતના અતિ આકર્ષણથી બીજા વિષયો પ્રત્યેના દુર્લક્ષને કારણે કૉલેજના પ્રથમ વર્ષમાં જ નાપાસ થયા અને શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ. ૧૯૦૭માં અભ્યાસ છોડી દેવો પડ્યો. આથી આર્થિક સ્થિતિ માટે ગણિતનાં ટ્યૂશન તથા બીજે ખાતાવહીનું કામ કરવા લાગ્યા. ૧૯૧૨માં તેઓ ‘મદ્રાસ પૉર્ટ ટ્રસ્ટ’માં કારકુન તરીકે જોડાયા. કેટલાક હિતેચ્છુઓની સલાહથી તેમણે ૧૯૧૩ના જાન્યુઆરીમાં ઇંગ્લૅન્ડના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી હાર્ડીને પોતાનાં સંશોધનોનો પરિચય આપતો પત્ર લખ્યો. હાર્ડીએ તેમને ઇંગ્લૅન્ડ આવવા આમંત્રણ આપ્યું. મદ્રાસ યુનિવર્સિટીને ભલામણ કરીને રામાનુજનને સંશોધન માટે શિષ્યવૃત્તિ અપાવી. પરિણામે ૧૯૧૪ના માર્ચમાં  તેઓ ઇંગ્લૅન્ડ ગયા. કેમ્બ્રિજમાં હાર્ડી સાથે જ ઉત્તમ કોટિનું સંશોધનકાર્ય કર્યું અને કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજના ફેલો બન્યા. ૧૯૧૮માં ‘રૉયલ સોસાયટી’એ પણ તેમને  ફેલો બનાવ્યા. આ માન મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય ગણિતજ્ઞ હતા. તબિયત નાદુરસ્ત રહેવાથી ૧૯૧૯ના માર્ચ મહિનામાં ભારત પાછા આવ્યા. તેમનું સંશોધન મુખ્યત્વે સંખ્યાગણિત, અધિભૌમિતિક શ્રેઢિઓ, પરંપરિત અપૂર્ણાંકો, પૂર્ણાંકોનાં વિભાજનો વગેરે ક્ષેત્રોમાં હતું. ૧૯૦૨થી લઈ ઇંગ્લૅન્ડ ગયા ત્યાં સુધી તેમનાં બધાં પરિણામો તેમણે જે નોટમાં લખ્યાં હતાં તે તેમના જ હસ્તાક્ષરોમાં ૧૯૫૭માં મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રકાશિત થયાં છે. મરણપથારીએથી પણ નવી શોધો કરી ઇંગ્લૅન્ડ મોકલી તે ખોવાઈ ગઈ, પણ ૧૯૭૬માં જી. ઈ. એન્ડ્રુઝે કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજના પુસ્તકાલયમાં શોધી કાઢી. પૂર્ણાંકનાં વિભાજનોની સંખ્યા શોધવા અંગેનું ૧૯૧૭માં પ્રકાશિત થયેલું હાર્ડી અને રામાનુજનનું સંયુક્ત સંશોધનપત્ર યુગપ્રવર્તક બન્યું. તેમના વિશિષ્ટ પ્રદાનની યાદમાં ‘રામાનુજન પુરસ્કાર’ તથા રામાનુજન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

બેન્જામિન ડિઝરાયલી

જ. ૨૧ ડિસેમ્બર, ૧૮૦૪ અ. ૧૯ એપ્રિલ, ૧૮૮૧

બ્રિટનના પહેલા અને એકમાત્ર યહૂદી પ્રધાનમંત્રી. તેઓ પ્રતિભાશાળી રાજપુરુષ અને સાહિત્યકાર. તેમનો જન્મ બ્લૂમ્સબરી, મિડલસેક્સ, લંડનમાં થયો હતો. તેમના શાળાકીય શિક્ષણ વિશે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. બ્રિટનમાં ૧૮૫૮ સુધી યહૂદી પાર્લમેન્ટનો સભ્ય બની શકતો ન હતો. પણ તેમણે ખ્રિસ્તી ધર્મની દીક્ષા લીધી હોવાથી ૧૮૩૧થી રાજકારણમાં પ્રવેશ મેળવ્યો હતો, પણ ૧૮૩૨ અને ૧૮૩૫ એમ બે વાર તેમની હાર થઈ હતી. ત્યારબાદ ૧૮૩૭માં ટૉરી પક્ષના ઉમેદવાર તરીકે મેઇડસ્ટોનમાંથી ચૂંટાયા હતા. ૧૮૫૦ અને ૧૮૬૦ના દસકામાં ત્રણ વાર સરકાર બનાવી ત્યારે બેન્જામિન રાજકોષના ચાન્સેલર અને હાઉસ ઑફ કૉમન્સ(આમ)ના નેતા બન્યા. ૧૮૬૮માં ચૂંટણીમાં હાર્યા પહેલાં કેટલાક સમય માટે તેઓ પ્રધાનમંત્રી બન્યા હતા. પણ ટૉરી પક્ષની થોડા સમયમાં જ હાર થતાં તેમણે રાજીનામું આપ્યું હતું. ૧૮૭૪માં સામાન્ય ચૂંટણીમાં ટૉરી પક્ષને બહુમતી મળતાં ફરી એક વાર વડાપ્રધાનપદે નિમાયા હતા. તેમણે કારીગરો અને મજૂરોની સ્થિતિ સુધારવાના અને તેમનું શોષણ અટકાવવાના તથા કામદાર સંઘોને લગતા કાયદા પસાર કરાવ્યા હતા. તેમણે બ્રિટિશ સામ્રાજ્ય અને તેનો વિસ્તાર કરવા માટે સૈન્યની કારવાઈવાળી સૌથી વધુ જાણીતી ટૉરી પાર્ટી બનાવી. તેઓ લિબરલ  અને ટૉરી બંને પક્ષના મતદાતાઓના લોકપ્રિય બન્યા હતા. તેઓ રાજનીતિજ્ઞ પુરુષ હોવા ઉપરાંત લેખક પણ હતા. તેઓ જ્યારે ૨૩ વર્ષના હતા ત્યારે પૈસાની ખૂબ જ જરૂરિયાત હોવાથી  ‘વિવિયન ગ્રે’ નામની નવલકથા જે ૧૮૨૬-૨૭માં ચાર ભાગમાં લખી હતી. ૧૮૩૨માં ‘કૅન્ટેરિની ફ્લેમિંગ’ લખી હતી, જેને ‘એક મનોવૈજ્ઞાનિક આત્મકથા’ જેવું  ઉપશીર્ષક આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૮૩૩માં ‘અલરૉયની અદભુત કહાની’ જેમાં મધ્યયુગના યહૂદીઓની સમસ્યાનું ચિત્રણ કરવામાં આવ્યું છે તે ઉપરાંત ૧૮૩૭માં ‘હેન્રીયેટા ટેમ્પલ’, ‘વેનિશિયા,’ ‘કિંનગ્ઝલી’, ‘સિબિલ’ અને ‘ટેન્ક્રેડે’ પણ નોંધપાત્ર છે. તેમને મહારાણી વિક્ટોરિયા સાથે ઘનિષ્ઠ મિત્રતા હતી અને તેમના સૂચનથી ૧૮૭૬માં પાર્લમેન્ટે એક કાયદો ઘડી રાણીને ‘ભારતની સમ્રાજ્ઞી’નો  ઇલકાબ આપ્યો હતો. રાણીએ પણ બેન્જામિનને ‘અર્લ  ઑફ બીકન્સફીલ્ડ’ પદ પર પ્રતિષ્ઠિત કરેલાં.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

ચૈતન્યપ્રસાદ દીવાનજી

જ. ૨૦ ડિસેમ્બર, ૧૮૯૮ અ. ૩ માર્ચ, ૧૯૭૦

સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને લલિતકલા જેવા ક્ષેત્રના જાણકાર ચૈતન્યપ્રસાદ દીવાનજીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીલાલ. તેઓ કચ્છના અગ્રણી નાગરિક હતા. કચ્છના દીવાનપદાની યશસ્વી કારકિર્દીને કારણે તેમને દીવાનજી અટક પ્રાપ્ત થઈ હતી. ચૈતન્યપ્રસાદે અમદાવાદમાં શિક્ષણ લીધા બાદ સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો. ૧૯૨૦માં અસહકારના આંદોલનમાં જોડાયા અને સરકારી કૉલેજનો ત્યાગ કર્યો. તે પછી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંથી સ્નાતક થયા બાદ શહેરની સંસ્કારપ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ગુજરાતના સાહિત્યસંસ્કારને  ઉત્તેજન આપવા માટે  તેઓ કાર્યરત બન્યા. સ્વ. રણજિતરામ દ્વારા સ્થપાયેલી અમદાવાદની ‘ગુજરાત સાહિત્ય સભા’ સંસ્થાના મંત્રીપદ દરમિયાન પહેલી ‘ગુજરાત ઇતિહાસ પરિષદ’ અને ‘રંગભૂમિ પરિષદ’નાં તેમણે આયોજન કરેલાં. તેઓ ૧૯૨૮થી ૧૯૫૫ સુધી અને ૧૯૫૮થી ૧૯૭૦ સુધી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી હતા. શ્રી રવિશંકર રાવળ દ્વારા ૧૭ વર્ષ સુધી ચલાવાયેલું ‘કુમાર’ માસિક આર્થિક કારણોસર બંધ કરવાનો નિર્ણય લેવાયો ત્યારે ચૈતન્યપ્રસાદે આ માસિક ચાલુ રહે તે માટે ‘કુમાર’ કાર્યાલયને લિમિટેડ સંસ્થામાં ફેરવીને તેને જીવતદાન આપ્યું. રણજિતરામ સુવર્ણચંદ્રક તથા વાઙમય સમીક્ષા જેવી ગુજરાત સાહિત્યસભાની પ્રશંસનીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં તેમનો સિંહફાળો છે. તેઓ ક્રિકેટ અને કુસ્તી જેવી રમતગમતોમાં પણ ખૂબ રસ ધરાવતા. રાષ્ટ્રીય લડતની શરૂઆતથી માંડીને જીવનના અંત સુધી ખાદી અને સ્વદેશી ચીજવસ્તુઓના  આગ્રહી રહેલા.

શુભ્રા દેસાઈ