Categories
વાચન સમૃદ્ધિ

અનિલ જોશી

જ. ૨૮ જુલાઈ, ૧૯૪૦ અ. ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫

જાણીતા કવિ અને નિબંધકાર અનિલ જોશીનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ગોંડલ અને માધ્યમિક શિક્ષણ મોરબીમાં લીધું હતું. તેમણે ૧૯૬૪માં એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન હિંમતનગર અને અમરેલીમાં શિક્ષક તરીકે કામગીરી કરી હતી. ૧૯૭૧થી ૧૯૭૬ સુધી તેમણે ‘કૉમર્સ’ સામયિકના તંત્રી તરીકે તથા ૧૯૭૭થી ઘણાં વર્ષો સુધી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં લૅન્ગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતી ભાષાના સલાહકાર તરીકે પણ સેવા આપી હતી. અનિલ જોશી પાસેથી આપણને  ૧૯૭૦માં ‘કદાચ’ અને ૧૯૮૧માં ‘બરફનાં પંખી’ બે કાવ્યસંગ્રહ પ્રાપ્ત થયેલ છે. ‘પવનની વ્યાસપીઠે’ એ ૧૯૮૮માં પ્રકાશિત થયેલો એમનો લલિતનિબંધસંગ્રહ છે. આ સિવાય ‘સ્ટેચ્યૂ’, ‘બૉલપેન’, ‘બારીને પડદાનું કફન’, ‘દિવસનું અંધારું છે’ જેવા નિબંધસંગ્રહ એમણે લખ્યા છે. ‘ગાંસડી ઉપાડી શેઠની’ (૨૦૨૩) એમની નિખાલસ આત્મકથા છે. સાતમા-આઠમા દાયકાના નવતર કવિઓમાં અનિલ જોશીનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે. ૧૯૬૦ પછીની કવિતાની વાત કરીએ તો ગુજરાતી ગીતમાં આધુનિકતાનો ઉન્મેષ અનિલ જોશીનાં ગીતોમાં વિશેષ ઝળકે છે. પરંપરાગત ગુજરાતી ગીતને એમણે દૃઢ તર્ક અને મર્યાદિત ભાવ-અર્થબોધના રૂઢ સંદર્ભોમાંથી મુક્ત કરી એક નૂતન મુકામ પર પહોંચાડ્યું છે. ગુજરાતી ગીતકવિતાક્ષેત્રે રમેશ પારેખ અને અનિલ જોશીની જોડી આજે પણ મશહૂર છે. ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે…’ અને ‘અમે બરફનાં પંખી રે ભાઈ ! ટહુકે ટહુકે પીગળ્યાં’ એમનાં જાણીતાં ગીતો છે. અનિલ જોશીના ‘બરફનાં પંખી’ કાવ્યસંગ્રહને જયંત પાઠક પારિતોષિક, ‘સ્ટેચ્યૂ’ સંગ્રહને ૧૯૯૦નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. ૨૦૧૦માં તેઓ નરિંસહ ઍવૉર્ડથી સન્માનિત થયા છે.

Categories
વાચન સમૃદ્ધિ

કવિમણિ દેશીગવિનયગમ્ પિલ્લાઈ

જ. ૨૭ જુલાઈ,૧૮૭૬ અ. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૪

જાણીતા તમિળ કવિ દેશીગવિનયગમ્ પિલ્લાઈનો જન્મ કન્યાકુમારી જિલ્લાના થેરૂર ગામમાં શિવદનુ પિલ્લાઈ અને આદિલક્ષ્મીને ત્યાં થયો હતો. તેમના પિતાએ તેમનું નામ ‘દેશીગવિનયગમ્’ તેમના પૂજનીય દેવતા ઉપરથી રાખ્યું હતું. નવ વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમણે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ જે શાળામાં ભણ્યા હતા તે જ શાળામાં તથા અન્ય સંસ્થાઓ સહિત ૩૬ વર્ષ સુધી શિક્ષક તરીકે કામ કર્યું હતું. બાળકો માટે વ્યવસ્થિત રીતે કવિતા લખનારા પ્રથમ તમિળ કવિ તરીકે કવિમણિને શ્રેય આપવામાં આવે છે. તેમના ૧૯૩૮ના સંગ્રહ ‘મલારુમ્ માલૈયમ્’માં ૨૫થી વધુ બાળગીતો અને સાત કથાત્મક કવિતાઓનો સમાવેશ થાય છે. તેમની સૌથી વધુ લોકપ્રિય કૃતિઓમાંની એક બાળગીત ‘થોટ્ટથિન મેયુધા વેલ્લાઈ પાસુ’ (બગીચામાં ચરતી સફેદ ગાય) છે. તેમની કૃતિઓમાં ભક્તિગીતો, સાહિત્યિક અને ઐતિહાસિક કવિતાઓ, બાળગીતો, પ્રકૃતિ કવિતાઓ, સામાજિક વિષયો અને રાષ્ટ્રવાદી છંદો સહિત વિવિધ શૈલીઓનો સમાવેશ થાય છે. પિલ્લઈએ એડવિન આર્નોલ્ડની ‘લાઇટ ઑવ્ એશિયા’નું તમિળ ભાષામાં રૂપાંતર કર્યું હતું. તેમણે ફારસી કવિ ઓમર ખય્યામનાં કાવ્યોનો તમિળમાં અનુવાદ કર્યો હતો. કવિમણિ એક સક્રિય સંશોધક પણ હતા, જેમણે તમિળ સાહિત્ય અને ઐતિહાસિક અભ્યાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે મદ્રાસ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા તમિળ લૅક્સિકન પ્રોજેક્ટ માટે સમીક્ષક તરીકે સેવા આપી હતી. તેમણે કંબારામાયણમ્ દિવાકરમ્ અને નવનીતા પાટિયાલ જેવાં કાર્યો માટે હસ્તપ્રતોનું પણ સંકલન કર્યું હતું. તેમના પુસ્તક ‘ગંધલૂર સાલાઈ’ને એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક અભ્યાસ માનવામાં આવે છે. ૧૯૪૦માં ચેન્નાઈની પચૈયપ્પા કૉલેજમાં તમિળ વિદ્વાન તમિલવેલ ઉમા મહેશ્વર પિલ્લઈ દ્વારા તેમને ‘કવિમણિ’નું બિરુદ આપવામાં આવ્યું હતું. ૧૯૫૪માં થેરૂરમાં તેમનું એક સ્મારક બનાવવામાં આવ્યું હતું. ૨૦૦૫માં ભારત સરકારે તેમના માનમાં એક સ્મારક ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ગિરિલાલ જૈન

જ. ૨૬ જુલાઈ, ૧૯૨૨ અ. ૧૯ જુલાઈ, ૧૯૯૩

સફળ અને પ્રભાવશાળી તંત્રી તરીકે સહુની પ્રશંસા મેળવનાર ભારતના પીઢ પત્રકાર ગિરિલાલ જૈનનો જન્મ હરિયાણાના સોનીપત જિલ્લાના પીપળીખેડા ગામમાં થયો હતો. દિલ્હીમાં બી.એ.ની ડિગ્રી મેળવી, ૧૯૪૮માં ‘ઇન્ડિયન ક્રોનિકલ’માં ઉપતંત્રી તરીકે જોડાયા. ૧૯૫૦માં ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના દિલ્હી કાર્યાલયમાં તંત્રી વિભાગમાં જોડાયા. ૧૯૫૧માં રિપોર્ટર અને ૧૯૫૮માં ચીફ રિપોર્ટર થયા. ૧૯૬૧માં કરાંચીમાં અને ૧૯૬૨માં લંડનમાં ‘ટાઇમ્સ’ના વિશેષ પ્રતિનિધિ તરીકે કામ કર્યું. ત્રણ વર્ષ પછી ભારત આવ્યા અને ૧૯૬૫માં દિલ્હીમાં સહાયક તંત્રી નિમાયા. ૧૯૭૦થી ૧૯૭૬ દરમિયાન દિલ્હી આવૃત્તિના વરિષ્ઠ તંત્રી રહ્યા. તે પછી તેઓ ૧૯૭૮થી ૧૯૮૮ સુધી ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રીપદે રહ્યા હતા. તેમની ગણના ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના જૂની પેઢીના સમર્થ તંત્રીઓમાં થતી હતી. તેઓ ભારતી પરિષદ, ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તથા સંરક્ષણ અભ્યાસ તથા વિશ્લેષણ સંસ્થાના સભ્ય પણ રહ્યા હતા. એક તંત્રી તરીકે ગિરિલાલ જૈન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ પર વરસો સુધી પોતાની છાપ મૂકી શક્યા હતા. તંત્રીપદેથી નિવૃત્ત થયા પછી પણ એમણે વિવિધ અખબારોમાં લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું. ‘ધ સન્ડે મેઇલ’ અને ‘ધ ઑબ્ઝર્વર’માં એમણે વિવિધ વિષયો પર ચિંતનાત્મક લેખો લખ્યા છે. તેમણે ભારત-ચીન સંબંધો તથા પાકિસ્તાનના સૈનિકવાદ વિશે પુસ્તકો લખ્યાં છે. તેમના પુસ્તક ‘ધ હિન્દુ ફિનોમિનને’ દેશના બૌદ્ધિકોમાં ખૂબ ચકચાર ફેલાવી હતી. અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટેના આંદોલનને તેમણે ટેકો આપ્યો હતો. તેઓ આ આંદોલનને હિંદુ પુનરુત્થાનની અભિવ્યક્તિ ગણતા હતા. ૧૯૯૩માં બીમાર થયા પછી તેમાંથી ફરી સાજા થયા નહિ. આથી તેમની પુત્રી મીનાક્ષી જૈને આ પુસ્તકનું સંપાદનકાર્ય સંભાળ્યું. એક જ વર્ષમાં તેની ત્રણ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી. ૧૯૫૧માં તેઓ સુદર્શન જૈન સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમની પુત્રી મીનાક્ષી જૈન ઇતિહાસકાર છે જ્યારે સંધ્યા જૈન પત્રકાર છે અને પુત્ર સુનીલ જૈન ‘ફાઇનાન્શિયલ એક્સપ્રેસ’ના મૅનેજિંગ એડિટર રહી ચૂક્યા છે. ૧૯૮૯માં તેમને ‘પદ્મભૂષણના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.