Categories
વાચન સમૃદ્ધિ

યારોસ્લાવ હેરૉવ્સ્કી

જ. 20 ડિસેમ્બર,1890 અ. 27 માર્ચ, 1967

ચેક ભૌતિક-રસાયણવિદ અને 1959ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કાર વિજેતા. તેમનો જન્મ તે સમયના ચેકોસ્લોવાકિયાના પ્રાગ શહેરમાં થયો હતો. તેમણે શરૂઆતનો અભ્યાસ 1909 સુધી પ્રાગમાં સેકન્ડરી સ્કૂલમાં કર્યો. ત્યારબાદ પ્રાગની ચાર્લ્સ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્ર, ભૌતિકવિજ્ઞાન અને ગણિતનો અભ્યાસ કર્યો. 1910થી 1914 સુધી તેમણે યુનિવર્સિટી કૉલેજ, લંડનમાં અભ્યાસ કર્યો અને 1913માં જ બી.એસસી.ની ઉપાધિ મેળવી લીધી. પ્રથમ વિશ્વયુદ્ધ થતાં તેમણે મિલિટરી હૉસ્પિટલમાં કેમિસ્ટ અને રેડિયોલૉજિસ્ટ તરીકે કાર્ય કર્યું. 1918માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી અને 1921માં ડૉક્ટર ઑફ સાયન્સની ઉપાધિ મેળવી. ચાર્લ્સ યુનિવર્સિટી ખાતેની તેમની કારકિર્દી લાંબી અને વિશિષ્ટ પ્રકારની હતી. તેમની કારકિર્દીની શરૂઆત પ્રાગની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍનાલિટિકલ કેમિસ્ટ્રી ઑફ ચાર્લ્સ યુનિવર્સિટીમાં કરી. ત્યાં પ્રાધ્યાપક બી. બ્રાઉનરના હાથ હેઠળ કાર્ય કર્યું. ત્યારબાદ 1922માં તેમને સહાયક પ્રાધ્યાપક તરીકેની બઢતી મળી. 1926માં તેઓ યુનિવર્સિટીના પ્રથમ ભૌતિક-રસાયણશાસ્ત્રના અધ્યાપક બન્યા. અહીં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા બાદ તેઓ 1926-1954 સુધી ભૌતિક-રસાયણ વિભાગમાં પ્રાધ્યાપક અને પછી નિયામક બન્યા. 1950 અને 1952-1963 દરમિયાન તેઓ ચેકોસ્લોવાક એકૅડેમી ઑફ સાયન્સીઝના પોલેરોગ્રાફી ઇન્સ્ટિટ્યૂટના નિયામક રહ્યા હતા. હેરૉવ્સ્કીએ પ્રથમ પોલેરોગ્રાફ 1924માં વિકસાવ્યો હતો, પણ તેને સામાન્ય વપરાશમાં આવતાં અને માનક (સ્ટાન્ડર્ડ) પદ્ધતિ તરીકે પ્રસ્થાપિત થતાં દસ વર્ષ જેટલો સમય લાગેલો. 1941માં હેરૉવ્સ્કીનું વિવરણાત્મક પુસ્તક (મૉનોગ્રાફ) પોલેરોગ્રાફિક પર પ્રકાશિત થયું હતું. તેમને ચેકોસ્લોવાકિયા, જાપાન, ઑસ્ટ્રિયા, ઇંગ્લૅન્ડ અને ભારતમાં અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં. વિશ્લેષણની પોલેરોગ્રાફિક પદ્ધતિની શોધ અને વિકાસ બદલ તેમને 1959ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 1965માં તેમને ‘ફૉરેન મેમ્બર ઑફ ધ રૉયલ સોસાયટી’ના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેમના વિશિષ્ટ પ્રદાન માટે પ્રાગની કાપ્રોવા શેરીમાં તેમની ધાતુની નકશીદાર તકતી મૂકવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

આલ્બર્ટ અબ્રાહમ માઇકલ્સન

જ. 19 ડિસેમ્બર, 1852 અ. 9 મે, 1931

વિજ્ઞાન નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રથમ અમેરિકન વિજ્ઞાની આલ્બર્ટ અબ્રાહમ માઇકલ્સનનો જન્મ પોલૅન્ડના સ્ટ્રજેલ્નોમાં થયો હતો. 1855માં માતાપિતા સાથે અમેરિકા ગયા. તેઓ કૅલિફૉર્નિયાના મર્ફી કૅમ્પ અને વર્જિનિયામાં મોટા થયા હતા. તેમનું હાઈસ્કૂલનું શિક્ષણ સાનફ્રાન્સિસ્કોમાં થયું. ઉચ્ચશિક્ષણ માટે યુ.એસ. નેવલ એકૅડેમીમાં પ્રવેશ મેળવ્યો. 1873માં સ્નાતક થયા. 1880માં તેમણે વ્યતિકરણમાપક (Interferometer) નામનું ઉપકરણ તૈયાર કર્યું. જેના વડે તેઓ કાલ્પનિક માધ્યમ ઈથરમાં પ્રકાશનો વેગ માપવા માગતા હતા. આ પ્રકાશીય ઉપકરણ આજે માઇકલ્સન ઇન્ટરફેરૉમીટર તરીકે ઓળખાય છે. 1883માં ક્લેવલૅન્ડમાં કેસ સ્કૂલ ઑફ ઍપ્લાઇડ સાયન્સમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા. 1889માં મૅસેચૂસેટ્સમાં ક્લાર્ક યુનિવર્સિટીમાં જોડાયા. 1892માં શિકાગોની યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રથમ વડા બન્યા હતા. તેમણે અમેરિકન વિજ્ઞાની એડવર્ડ મૉર્લે સાથે મળીને પ્રયોગો કર્યા જે માઇકલ્સન-મૉર્લે પ્રયોગ તરીકે જાણીતો છે. પ્રકાશની ગતિ પરના તેમના પ્રયોગોએ ભૌતિકશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. 1920માં તેમણે અને ફ્રાન્સિસ જી. પીસે સૂર્ય સિવાયના તારાના વ્યાસનું પ્રથમ માપન કર્યું. માઇકલ્સને ખગોળશાસ્ત્રીય ઇન્ટરફેરૉમીટરની પણ શોધ કરી. તેમણે વિજ્ઞાનક્ષેત્રે આપેલા યોગદાન બદલ 1907માં તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રમફૉર્ડ પુરસ્કાર, મેટ્યુચી મેડલ, કોપ્લી મેડલ, એલિયર ક્રેસન મેડલ, હેનરી ડ્રેપર મેડલ, ડુડેલ મેડલ પુરસ્કાર જેવાં અનેક સન્માનો તેમને પ્રાપ્ત થયાં હતાં. ચંદ્ર પરના એક ખાડાનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

જે. જે. થોમસન

જ. 18 ડિસેમ્બર, 1856 અ. 30 ઑગસ્ટ, 1940

ઇલેક્ટ્રૉનના જનક તરીકે જાણીતા સર જે. જે. થોમસનનો જન્મ ઇંગ્લૅન્ડમાં થયો હતો. તેમનું પૂરું નામ જોસેફ જોન થોમસન હતું. તેમના પિતા દુર્લભ પુસ્તકોનો વેપાર કરતા હતા. જે વેપાર પેઢી દર પેઢીથી ચાલ્યો આવતો હતો. જે. જે. થોમસનને પુસ્તકો વાંચવાનો ગજબનો શોખ હોવાથી પરિવારે તેને એન્જિનિયરિંગ કરાવવાનું નક્કી કર્યું. તેમનો એન્જિનિયરિંગનો અભ્યાસ ચાલુ હતો ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું. થોમસન ભણવામાં બહુ હોશિયાર હોવાથી તેના અભ્યાસનો ભાર મિત્રોએ ઉપાડી લીધો હતો. પછીથી તેમને સ્કૉલરશિપ પણ મળી એટલે તેમનો અભ્યાસ ક્યાંય અટક્યો નહીં. અભ્યાસ પૂર્ણ કરીને જે. જે. થોમસન કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. આ ઉપરાંત પ્રયોગશાળામાં પ્રયોગ પણ કરતા હતા. 1884માં પ્રયોગશાળાના અધ્યક્ષ લૉર્ડ રેલેને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું નક્કી કર્યું. તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે 28 વર્ષના છોકરા જે. જે. થોમસનની પસંદગી કરી હોવાથી નાની ઉંમરમાં આખી પ્રયોગશાળા સંભાળવાનો ભાર થોમસન પર આવી ગયો હતો. થોમસને ખૂબ મહેનત કરી. પરિણામ એ આવ્યું કે તેમના નિર્દેશનમાં એ સંસ્થા વિજ્ઞાનના ક્ષેત્રમાં વિશ્વની ઉત્તમ સંસ્થા બની. આ પ્રયોગશાળામાં થોમસનને પોતાનું જીવનકાર્ય અને જીવનસાથી બંને પ્રાપ્ત થયાં. જે. જે. થોમસને ઇલેક્ટ્રૉનની શોધ કરી હોવાથી તેમને ઇલેક્ટ્રૉનના જનક માનવામાં આવે છે. આ ઉપરાંત તેમને આઇસોટોપના શોધક પણ માનવામાં આવે છે. આ સિવાય તેમણે સાબિત કર્યું કે કૅથોડ કિરણને કોઈ ચુંબકીય અને વિદ્યુતક્ષેત્ર પણ વિચલિત કરી શકે છે. તેમણે કરેલાં આ બધાં સંશોધનોને કારણે તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.