Categories
વાચન સમૃદ્ધિ

કરણ દીવાન

જ. 6 નવેમ્બર, 1917 અ. 2 ઑગસ્ટ, 1979

ભારતીય સિનેમાજગતમાં હિન્દી ફિલ્મોના અભિનેતા તરીકે જાણીતા કરણ દીવાનનો જન્મ ગુજરાનવાલા પંજાબ(હાલ પાકિસ્તાન)માં થયો હતો. ત્રણ ભાઈઓમાં તેઓ સૌથી નાના હતા. તેમણે લાહોરમાં અભ્યાસ કર્યો હતો જ્યાં તેમને પત્રકારત્વમાં રસ પડ્યો અને તેમણે ઉર્દૂ ફિલ્મ મૅગેઝિન ‘જગત લક્ષ્મી’નું સંપાદન શરૂ કર્યું હતું. કરણ દીવાને 1939માં કૉલકાતામાં પંજાબી ફિલ્મ ‘પૂરણ ભગત’માં ‘પૂરણ’ની ભૂમિકા ભજવીને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની બીજી ફિલ્મ ‘મેરા માહી’ (1941) પણ એક પંજાબી ફિલ્મ હતી. ત્યારબાદ ‘રતન’માં તેમણે પહેલી વાર હિન્દી ફિલ્મોમાં નૌશાદ માટે ગીત ગાયું હતું. જે તે સમયે બી. આર. ચોપરા લાહોરમાં ફિલ્મપત્રકાર તરીકે કામ કરતા હતા, તેમણે કરણ દીવાનને દેવિકા રાની સાથે સંપર્ક કરવામાં મદદ કરી હતી, જેમણે દીવાનને મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું. જ્યારે આનાથી દીવાનને ફિલ્મો બનાવવામાં મદદ ન મળી ત્યારે તેમણે અભિનેતાઓ અને અભિનેત્રીઓને ઉર્દૂ ઉચ્ચારણ શીખવ્યું હતું. 1944માં કરણ દીવાને એમ. સાદિક દ્વારા દિગ્દર્શિત મ્યુઝિકલ રોમૅન્ટિક ફિલ્મ ‘રતન’માં અભિનય કર્યો હતો, જે તે વર્ષની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક બની હતી. 1944માં જ ‘ગાલી’ નામની સામાજિક ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ રહી હોવાનું કહેવાય છે. 1945માં ‘ભાઈજાન’ એક સફળ મુસ્લિમ સામાજિક કૌટુંબિક મેલૉડ્રામા હતી. 1947માં તેમણે ફિલ્મ ‘મહેંદી’માં અભિનય કર્યો હતો. 1948માં કરણ દીવાને ‘ફિર ભી અપના હૈ’, સ્વર્ણલતા સાથે ‘ચાંદ ચકોરી’ અને મીનાકુમારી સાથે ‘પિયા ઘર આ જા’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1949માં બનેલી ભારત-પાકિસ્તાનના ભાગલાની લોકો પર અસર દર્શાવતી ફિલ્મ ‘લાહોર’માં તેમણે નરગિસ સાથે સહકલાકાર તરીકે કામ કર્યું હતું. કરણ દીવાને 1950માં છ ફિલ્મોમાં અને 1955માં આઠ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે 1939થી 1979 સુધીમાં સિત્તેરથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ ‘જ્યૂબિલી સ્ટાર’ તરીકે ઓળખાતા હતા. તેમની વીસ ફિલ્મો સિલ્વર જ્યૂબિલી તરીકે હિટ રહી હોવાનું કહેવાય છે. સોહનલાલ કંવરની ‘આત્મારામ’ (1979) તેમની છેલ્લી ફિલ્મ હતી.

Categories
વાચન સમૃદ્ધિ

પંડિત બલરામ પાઠક

જ. 5 નવેમ્બર, 1926 અ. 15 ફેબ્રુઆરી, 1991

બલરામ પાઠકનો જન્મ બલિયા, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેમના કુટુંબે સંગીતના ક્ષેત્રે ખૂબ ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમના દાદાજી પંડિત દીનાનાથ પાઠક ઉત્તર ભારતીય સંગીતના ધ્રુપદ ગાયકીના નિષ્ણાત હતા. પંડિત બલરામ પાઠક ઉત્તર ભારતના સર્વોત્તમ સિતારવાદક હતા. બાળપણથી જ તેઓને કુટુંબના વડીલો પાસેથી સંગીતનો વારસો મળેલો. તેમનો ઉછેર સંગીતના માહોલમાં થયો હતો. આથી બાળપણથી તેઓ સિતાર અને સૂરબહાર જેવાં વાદ્યોનું શિક્ષણ તેમના પિતાજી પાસેથી પામ્યા હતા. દસ વર્ષની વયે પણ તેઓ દિવસનો મોટો ભાગ સંગીતની સાધનામાં ગાળતા. તેઓ સૂરસિંગાર જેવાં વાદ્ય તથા કંઠ્ય સંગીત શીખ્યા હતા. પશ્ચિમ બંગાળમાં આવેલ મુરશિદાબાદમાં તેઓએ 12 વર્ષની વયે કાર્યક્રમ આપ્યો હતો. જે તેમનો સૌપ્રથમ જાહેર કાર્યક્રમ હતો. તેમના સંગીતમાં નવીનતા અને સંપૂર્ણતા હતી. તેઓ સંગીતમાં આલાપ મીંડ, મુખડા, ગમક, ઝમઝમ, ઉલ્ટા ઝાલાથી અદ્ભુત સંગીતનું સર્જન કરતા હતા. નાની વયે તેઓ મહારાજા કમલા રંજન રૉયના દરબારના સંગીતકાર બન્યા હતા. તેમની વાદ્યકળાથી તેઓ ધ્રુપદ અને ખયાલની ખૂબીઓ પ્રસ્તુત કરી શકતા હતા. તેમણે અનોખી અને અનેરી અદાથી ઘણા સિતારવાદકોને મોહિત કર્યા હતા. તેઓને કૉલકાતાના સંગીતસમારોહમાં સૂર-સાધક તરીકે સન્માન મળ્યું હતું. તેઓ અઘરા અને વિરલ રાગ ખૂબ સરળતાથી ગાઈ શકતા હતા. આથી સંગીતરસિકોના મનમાં તેઓ ઉચ્ચસ્થાને હતા. મધ્યપ્રદેશની ખૈરાગર યુનિવર્સિટીમાં તેમણે સંગીત શાખાના વડા તરીકે કામગીરી બજાવી હતી. સારા સંગીતકાર ઉપરાંત તેઓ બાળસહજ શુદ્ધતા, સાદગી અને નિર્દોષપણું ધરાવતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દક્ષાબહેન પટ્ટણી

જ. 4 નવેમ્બર, 1938 અ. 10 માર્ચ, 2019

ગુજરાતનાં શિક્ષણવિદ, પ્રાધ્યાપિકા અને લેખિકા દક્ષાબહેનનો જન્મ ભાવનગરમાં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતા શાંતાબહેન અને પિતા વિજયશંકર. પિતા લેખક અને ચિંતક હતા. દક્ષાબહેન પ્રસિદ્ધ લેખક મુકુંદરાય પારાશર્યનાં નાનાં બહેન અને ભાવનગર રાજ્યના પ્રભાશંકર પટ્ટણીનાં ભત્રીજી હતાં. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં થયું હતું. તેઓ 1962માં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે સ્નાતક અને 1965માં તે વિષયો સાથે અનુસ્નાતક થયાં હતાં. 1976માં ડૉ. ઈશ્વરલાલ દવેના માર્ગદર્શનમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું. તેઓ 1962માં ભાવનગરની ઘરશાળામાં શિક્ષિકા તરીકે જોડાયાં અને 1965 સુધી ત્યાં કામ કર્યું. 1969માં પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ કૉલેજમાં જોડાયાં અને પછી 1970માં ભાવનગરની વળિયા આર્ટસ અને મહેતા કૉલેજમાં પ્રાધ્યાપિકા તરીકે જોડાયાં. 2001માં નિવૃત્ત થયાં ત્યાં સુધી તેમણે ત્યાં જ અધ્યાપનકાર્ય કર્યું. તેમણે 1977થી 1994 સુધી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાત અને ગાંધીદર્શનનાં વિઝિટિંગ વ્યાખ્યાતા તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠ અને લોકભારતી, સણોસરામાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેમણે ગાંધીવિચારધારાને જીવનનો અભિન્ન ભાગ બનાવ્યો હતો. તેઓ 1982થી 2013 સુધી ભાવનગરની ગાંધીસ્મૃતિ સંસ્થાની ગાંધીવિચારધારા સમિતિનાં સભ્ય હતાં. ગાંધીવિચારની શાળાઓમાં લેવાતી પરીક્ષાના કાર્યમાં જોડાયાં હતાં. વક્તૃત્વ અને લેખન તેમની પ્રિય પ્રવૃત્તિ હતી. તેમણે પીએચ.ડી. માટે લખેલ શોધનિબંધ છ ખંડોમાં પ્રકાશિત થયો : ‘ગાંધીજીનું ચિંતન’ (1980), ‘ગાંધીજી : વ્યક્તિત્વનું ઘડતર’ (1981), ‘ગાંધીજી : ધર્મવિચારણા’ (1984), ‘ગાંધીવિચાર : સત્ય અને અહિંસા’ (2000), ‘ગાંધીજીના વિચારમાં સત્યાગ્રહ’ (2001) અને ‘ગાંધીજીનું ચિંતન : મૂલ્યાંકન’ (2003). આ ઉપરાંત તેમનાં 50થી વધુ નિબંધો, વ્યાખ્યાનો અને વિવેચનો પ્રકાશિત થયાં છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ભગિની નિવેદિતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.