Categories
વાચન સમૃદ્ધિ

કાન્તિલાલ રાઠોડ

જ. ૧૨ ડિસેમ્બર, ૧૯૨૪ અ. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૮૮

કાર્ટૂનચિત્રોના પ્રથમ ભારતીય નિર્માતા, સંખ્યાની દૃષ્ટિએ ઓછી પણ ઉત્તમ ફિલ્મો બનાવનાર વ્યક્તિ. તેમનો ઉછેર બંગાળી વાતાવરણમાં થયેલો. તેમણે શાંતિનિકેતનમાં કલાનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકા ગયા. આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શિકાગોમાં તેમણે ઍનિમેશન – કાર્ટૂન ચલચિત્રનો અભ્યાસ કર્યો. ૧૯૫૪થી ૫૬ દરમિયાન અમેરિકાની સાઇરેક્યુસ યુનિવર્સિટીમાં દસ્તાવેજી ચલચિત્ર-નિર્માણ અને સંપાદન વિષયના શિક્ષક તરીકે પણ સેવા આપી. આ સંસ્થા માટે જ તેમણે બાળકોના ચિત્રકામ વિશે ‘ક્લાઉન હોરાઇઝન’ નામની લઘુફિલ્મ બનાવી. ત્યારબાદ તેમણે કૅનેડાના વિખ્યાત કાર્ટૂન – ચલચિત્ર સર્જક નોર્મન મૅક્લૉરન જોડે કૅનેડાના નૅશનલ ફિલ્મ બોર્ડમાં કામ કર્યું હતું. ભારત પાછા વળ્યા બાદ તેમણે ૧૯૫૬થી ૧૯૬૯ સુધી ફિલ્મ્સ ડિવિઝન, ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ઉપરાંત અમેરિકાની ઇન્ફર્મેશન એજન્સી માટે લઘુફિલ્મો, દસ્તાવેજી ફિલ્મો અને બાળફિલ્મો બનાવી જેને દેશ-વિદેશમાં ઘણા પુરસ્કારો મળ્યા છે. તેઓએ કાર્ટૂન આધારિત વિજ્ઞાપનોની ટૂંકી અને અસરકારક ફિલ્મો બનાવી. કાન્તિલાલે ૧૯૬૯માં પન્નાલાલ પટેલની વાર્તા પરથી ફિલ્મ ‘કંકુ’ બનાવવાનું સાહસ કર્યું. તેઓનો આ પ્રથમ કલાત્મક ચલચિત્ર બનાવવાનો પ્રયાસ હતો છતાં તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ત્યારબાદ તેઓએ ૧૯૭૪માં ‘પરિણય’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું. આ ઉપરાંત ૧૯૭૬માં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે દસ્તાવેજી ફિલ્મ બનાવી, બાળફિલ્મ તથા ‘રામનગરી’ નામની હિન્દી ફિલ્મ બનાવી. આ સાથે બાળફિલ્મો તથા દસ્તાવેજી ફિલ્મો બનાવી. કાન્તિભાઈનું નામ ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં સર્જનાત્મક પરિણામ દાખવવા માટે કાયમ રહેશે. તેઓ ગુજરાત સરકારની ફિલ્મ સલાહકાર સમિતિના અધ્યક્ષ પણ થયા હતા.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

માણેકશા સોરાબશા

કોમિસરિયત ————–

જ. ૧૧ ડિસેમ્બર, ૧૮૮૧ અ. ૨૫ મે, ૧૯૭૨

ગુજરાતના ઇતિહાસ લેખનક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરનાર માણેકશાનો જન્મ મુંબઈમાં પારસી કુટુંબમાં થયો હતો. ગુજરાતનો ઇતિહાસ આલેખનારા અલ્પસંખ્યક ઇતિહાસવિદોમાંના તેઓ એક હતા. તેમણે કૉલેજનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં લીધું. ૧૯૦૩માં બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને ૧૯૦૫માં એમ.એ. થયા. બી.એ.માં પ્રથમ વર્ગ મેળવ્યો હોવાથી કૉલેજમાંથી ફેલોશિપ પણ મળી. એમ.એ. થયા બાદ તરત જ ગુજરાત કૉલેજમાં ‘પ્રોફેસર ઑવ્ હિસ્ટરી ઍન્ડ પોલિટિકલ ઇકૉનૉમિક્સ’ તરીકે નીમવામાં આવ્યા. તેમણે રાજ્યશાસ્ત્ર વિષયમાં અધ્યાપન કર્યું. થોડા સમય માટે ગુજરાત કૉલેજમાં આચાર્ય તરીકે પણ સેવાઓ આપી. તેમણે પોતાની અધ્યાપક તરીકેની કારકિર્દી દરમિયાન ગુજરાતના મધ્યકાલીન સમયને લગતી સંશોધન કામગીરી લગભગ ૧૯૧૮થી શરૂ કરી હતી. તેઓ ઇતિહાસ અને સંસ્કૃતિને લગતાં વિવિધ મંડળો તથા સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ ‘ઇન્ડિયન હિસ્ટોરિકલ રેકર્ડ્ઝ કમિશન’ તથા ‘બૉમ્બે હિસ્ટરી કૉંગ્રેસ’નાં અધિવેશનમાં વિભાગીય પ્રમુખ તરીકે કાર્યરત હતા. ગુજરાતના મુઘલ અને મરાઠા સમયના ઇતિહાસનો તેમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. ગુજરાતના રાજપૂત સમય પછીના મધ્યકાળના ઊંડા અભ્યાસ અને મૌલિક સંશોધનના ફળસ્વરૂપે તેમણે જે ઇતિહાસલેખન કર્યું, તેમાં મેન્ડેલ્સ્લોસ ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા, સ્ટડીઝ ઇન ધી હિસ્ટરી ઑફ ગુજરાત (ધ મુસ્લિમ પિરિયડ) વૉલ્યુમ-૧, (ધ મુઘલ સાહિત્ય) વૉલ્યુમ-૨, (ધ મરાઠા પિરિયડ) વૉલ્યુમ-૩ સહિત ઇતિહાસના આઠેક ગ્રંથ આપ્યા છે. આ ગ્રંથોનું પ્રકાશન પચાસના દાયકામાં થયું હતું.

માણેકશાએ તેમના ઇતિહાસલેખનમાં રાજકીય બાબતો અને ઐતિહાસિક ઘટનાઓનું ખૂબીપૂર્વક આલેખન કર્યું છે. તેમણે પોતાના અધ્યાપનના સમય દરમિયાન તથા નિવૃત્તિકાળમાં ઇતિહાસના અધિકૃત ગ્રંથો આપીને તે ક્ષેત્રે તથા ઇતિહાસ-સંશોધનક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમની વિદ્વત્તાની કદર રૂપે સરકારે ‘ખાન બહાદુર’ના ખિતાબથી તેમને સન્માન્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

રાજગોપાલાચારી ચક્રવર્તી

જ. ૧૦ ડિસેમ્બર, ૧૮૭૮ અ. ૨૫ ડિસેમ્બર, ૧૯૭૨

સ્વતંત્ર ભારતના એકમાત્ર ગવર્નર જનરલ રાજગોપાલાચારીનો જન્મ થોરાપલ્લી, તમિળનાડુમાં થયો હતો. પિતા નલ્લન ચક્રવર્તી આયંગર થોરાપલ્લીના મુનસફ હતા. માતાનું નામ સિંગરામ્મા. ‘રાજાજી’ તથા ‘સી.આર.’ના નામથી તેઓ જાણીતા હતા. પ્રારંભિક શિક્ષણ થોરાપલ્લી ગામની શાળામાં અને ત્યારબાદ હોસૂરની સરકારી શાળામાં લીધું. ૧૮૯૪માં બૅંગાલુરુની સેન્ટ્રલ કૉલેજમાંથી આર્ટ્સ વિષય સાથે સ્નાતક થયા. ત્યાર પછી ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાંથી લૉની ડિગ્રી ૧૮૯૭માં મેળવી. ૧૯૧૧માં તેઓ સેલમ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા અને ૧૯૧૭માં ચૅરમૅન બન્યા અને ૧૯૧૯ સુધી સેવા આપી. ૧૯૧૯માં ગાંધીજી સાથેની મુલાકાતથી પ્રેરાઈને ભારતની સ્વાતંત્ર્યચળવળમાં જોડાયા. ૧૯૨૧-૨૨માં કૉંગ્રેસના મહામંત્રી તરીકે ચૂંટાયા. ત્યારબાદ ઘણાં વર્ષો કૉંગ્રેસ કારોબારીના સભ્ય રહ્યા. ૧૯૩૦માં પ્રોહિબિશન લીગ ઑવ્ ઇન્ડિયાના મંત્રી રહ્યા. તે વર્ષ દરમિયાન જ ચેન્નાઈમાં દાંડીકૂચ જેવી વર્દારણ્યમમાં કૂચ કાઢી. જેથી તેમને ૨૧ મહિનાની જેલ થઈ. ૧૯૩૭માં મદ્રાસ પ્રેસિડન્સીના પ્રીમિયર બન્યા. તે વખતે તેમણે ત્યાં દારૂબંધીની શરૂઆત કરી. ૧૯૩૯માં મદ્રાસ ટેમ્પલ એન્ટ્રી ઍક્ટ પસાર કરી દલિતોને મંદિરપ્રવેશ મળે તે માટે કાયદાનો પાયો નાંખ્યો. ૧૯૪૭-૪૮માં પશ્ચિમ બંગાળના ગવર્નર અને જૂન, ૧૯૪૮થી જાન્યુઆરી, ૧૯૫૦ સુધી સ્વતંત્ર ભારતના એકમાત્ર ગવર્નર જનરલ નિમાયા. ૧૯૫૨માં તેઓ ચેન્નાઈના મુખ્યમંત્રી નિમાયા અને દક્ષિણ ભારતમાં ફરજિયાત હિંદી ભાષાના શિક્ષણની સ્થાપનામાં મહત્ત્વની કામગીરી બજાવી. ૧૯૫૯માં સ્વતંત્ર પક્ષની સ્થાપનામાં પાયાની કામગીરી બજાવી. રાજકારણની જેમ સાહિત્યના ક્ષેત્રે પણ રાજાજીનું પ્રદાન રહ્યું છે. તેઓ અંગ્રેજી અને તમિળ બંને ભાષાના સિદ્ધહસ્ત લેખક હતા. તેઓ ‘સેલમ લિટરરી સોસાયટીના સ્થાપક હતા. ૧૯૨૨માં તેમણે જેલનિવાસ દરમિયાનનો રોજબરોજનો અહેવાલ ‘Sivaiyi Tavam’ પ્રકાશિત કરેલો. એમના ‘રામકૃષ્ણ ઉપનિષદ’ને મદ્રાસ સરકારનો ઍવૉર્ડ મળેલો. ૧૯૫૧માં એમણે અંગ્રેજીમાં સંક્ષિપ્ત ‘મહાભારત’ અને પછી ૧૯૫૭માં ‘રામાયણ’ લખ્યું. અંગ્રેજી ભાષામાં ભગવદગીતા તથા ઉપનિષદ પણ લખ્યાં. તેમના પુસ્તક ‘ચક્રવર્તી થિરુમગન’ને દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદેમીનો ઍવૉર્ડ મળ્યો હતો. ૧૯૫૪માં તેમને સૌપ્રથમ ‘ભારતરત્ન’ની પદવી મળેલી.

અમલા પરીખ