Categories
વાચન સમૃદ્ધિ

જોન મુઈર

જ. ૨૧ એપ્રિલ, ૧૮૩૮ અ. ૨૪ ડિસેમ્બર, ૧૯૧૪

પ્રકૃતિવાદી લેખક, પર્યાવરણીય ફિલૉસૉફર, વનસ્પતિશાસ્ત્રી, પ્રાણીશાસ્ત્રી, હિમનદીશાસ્ત્રી અને યુનાઇટેડ સ્ટેટ્સમાં જંગલી પ્રાણીઓના સંરક્ષણ માટેના પ્રારંભિક હિમાયતી તરીકે જાણીતા જોન મુઈરને ‘પર્વતોના જ્હોન’ અને ‘રાષ્ટ્રીય ઉદ્યાનોના પિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૧ વર્ષની ઉંમર સુધીમાં યુવાન મુઈરે નવા કરાર અને મોટા ભાગનું જૂના કરારનું ‘હૃદયથી અને દુ:ખી શરીરથી’ પાઠ કરવાનું શીખી લીધું હતું. ૨૨ વર્ષની વયે તેમણે વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને ઘણાં વર્ષો સુધી પોતાની રીતે કામ કર્યું હતું. જોન મુઈરનાં પુસ્તકો, પત્રો અને નિબંધો જે પ્રકૃતિ-આલેખનથી ભરપૂર છે તે લાખો લોકો દ્વારા વાંચવામાં આવ્યાં છે. તેમના અથાક પ્રયત્નોથી યોસેમિટી ખીણ અને સેકવોઇયા રાષ્ટ્રીય ઉદ્યાનને જાળવવામાં ખૂબ મદદ મળી હતી. તેમણે જેની સ્થાપનામાં ખૂબ રસ દાખવેલો તે સીએરા ક્લબ અમેરિકાની એક અગ્રણી સંરક્ષણ સંસ્થા છે. તેમના જીવનનો મોટો ભાગ એમણે પશ્ચિમી જંગલોના સંરક્ષણ માટે સમર્પિત કર્યો હતો. યોસેમિટીને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવાની ઝુંબેશના ભાગ રૂપે મુઈરે ‘ધ સેન્ચ્યુરી’ નામના મૅગેઝિનમાં જંગલના સંરક્ષણ વિશે બે સીમાચિહનરૂપ લેખો લખેલા. જેનાથી ૧૮૯૦માં યુ.એસ. કૉંગ્રેસ દ્વારા યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના માટે બિલ પસાર કરવાના દબાણને ટેકો મળ્યો હતો. જોન મુઈરને ‘સ્કોટ્સ અને અમેરિકનો બંને માટે પ્રેરણા’ માનવામાં આવે છે. મુઈરના જીવનચરિત્રકાર સ્ટીવન જે. હોમ્સ તેમને ‘વીસમી સદીના અમેરિકન પર્યાવરણીય પ્રવૃત્તિના આશ્રયદાતા સંતોમાંના એક’ તરીકે મૂલવે છે. તો એન્સેલ એડમ્સ જેવા પ્રકૃતિ ફોટોગ્રાફરો દ્વારા તેમને ઘણી વાર ટાંકવામાં આવ્યા છે. પ્રકૃતિવિષયક એમનાં લખાણો અનેક લોકોને માર્ગદર્શક બન્યાં હોવાથી આધુનિક પર્યાવરણીય ચેતનામાં તેમનું નામ સર્વવ્યાપી બન્યું હતું. ૨૧  એપ્રિલ, ૨૦૧૩ના રોજ સ્કોટલૅન્ડમાં પ્રથમ વાર જોન મુઈર દિવસ ઊજવવામાં આવ્યો હતો. જે તેમની ૧૭૫મી વર્ષગાંઠ હતી, જેમાં આ પ્રકૃતિસંરક્ષકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ગોપીનાથ મોહંતી

જ. ૨૦ એપ્રિલ, ૧૯૧૪ અ. ૧૮ ઑગસ્ટ, ૧૯૯૧

ઓડિશાના પ્રખ્યાત નવલકથાકાર, જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા. સોનેપુરમાં શાળાશિક્ષણ લીધા પછી ૧૯૩૫માં કટકની યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યું. તેમની ઇચ્છા પ્રાધ્યાપક અથવા આઈ.સી.એમ. થવાની હતી પણ આર્થિક કારણોસર ઓડિશા સરકારની નોકરી સ્વીકારવી પડી. અહીં જુદા જુદા હોદ્દાઓ પર ફરજ બજાવી ૧૯૬૯માં નિવૃત્તિ લીધી. ત્યારબાદ ૧૯૭૦માં ઉત્કલ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગમાં યુજીસીના વિશિષ્ટ મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા. ૧૯૮૬માં તેમણે અમેરિકાની સાન જૉસ (San Jose) યુનિવર્સિટીમાં સમાજવિજ્ઞાનના મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું અને અંત સમય સુધી સાન જૅસમાં જ રહ્યા. ૧૯૩૬થી તેમણે લેખનકાર્યનો પ્રારંભ કર્યો. ૧૯૩૮માં પ્રગટ થયેલા ‘મન ગહિરર ચાસ’ નામની પ્રથમ નવલકથા પછી કુલ ૨૧ નવલકથાઓ, ૨ ચરિત્રગ્રંથો, ૮ ટૂંકી વાર્તાના સંગ્રહો, ૨ નાટકો, ૨ નિબંધસંગ્રહ ઉપરાંત ઓડિશાના આદિવાસીઓ, દલિત કોમો અને ઉપેક્ષિત જાતિઓની પરિસ્થિતિ પર આધારિત ૩ મુખ્ય નવલકથાઓ ‘પરજા’, ‘અમૃતર સંતાન’ અને ‘માતિમતાલ’ની રચના કરી. તેમના પર ફ્રોઇડના મનોવિશ્લેષણનો, રશિયન ક્રાંતિ અને ગાંધીજીની રાષ્ટ્રીય ચળવળનો પ્રભાવ જોવા મળે છે. તેમણે ટૉલ્સ્ટૉયની ‘વૉર ઍન્ડ પીસ’નો ‘યુદ્ધ અને શાંતિ’ નામે ત્રણ ભાગમાં ૧૯૮૫-૮૬માં અનુવાદ કર્યો છે તથા ૧૯૬૫માં રવીન્દ્રનાથ ટાગોરની ‘જોગાજોગ’નો ઊડિયા ભાષામાં અનુવાદ કર્યો છે. તેમની વિપુલ સાહિત્યસેવા બદલ તેમને ૧૯૫૦માં ‘વિશ્વ મિલન’ પુરસ્કાર, ૧૯૫૫માં ‘અમૃતર સંતાન’ માટે ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૧૯૭૦માં ગૉર્કીની રચનાનો ઊડિયામાં અનુવાદ કરવા બદલ સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર, ‘માટી મતાલ’ (ધ ફરટાઇલ્ડ સોઇલ) માટે ૧૯૭૩નો જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ અને ૧૯૭૬માં ડી.લિટ્.ની પદવી અને ૧૯૮૧માં ‘પદ્મભૂષણ’ પુરસ્કારથી તેમનું બહુમાન થયેલું છે.

Categories
વાચન સમૃદ્ધિ

સનત મહેતા

જ. ૧૯ એપ્રિલ, ૧૯૨૫ અ. ૧૯ ઑગસ્ટ, ૨૦૧૫

ગુજરાત રાજ્યના કૉંગ્રેસ પક્ષના નેતા સનત મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના જેસર ગામમાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી સ્નાતક થયા. કૉલેજકાળ દરમિયાન ૧૯૪૧માં ભાવનગર સ્ટુડન્ટ્સ યુનિયનની આગેવાની કરી હતી. ‘ભારત છોડો’ ચળવળમાં ભાગ લેવા બદલ જેલવાસ પણ ભોગવ્યો હતો. રામમનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓનો તેમના ઉપર ખૂબ પ્રભાવ હતો. ૧૯૫૮માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના કાઉન્સિલર તરીકે ચૂંટાયા. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૭૨થી ૧૯૭૪ સુધી ગુજરાત રાજ્યનો શ્રમમંત્રીનો હોદ્દો સંભાળ્યો. ૧૯૮૦થી ૧૯૮૫ સુધી કૅબિનેટ મંત્રી તરીકે નાણાખાતું સંભાળ્યું. ૧૯૯૦માં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના ચૅરમૅનપદે નિયુક્ત થયા. અલંગ શિપ બ્રેકિંગની સ્થાપના કરવા પાછળ તેમનો મહત્ત્વનો ફાળો હતો. ૧૯૯૬માં તેઓ સુરેન્દ્રનગરમાંથી લોકસભાની બેઠક પર ચૂંટાયા હતા. ૧૯૯૯માં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી અને સમાજસેવા સાથે જોડાયા. તેમણે ખેડૂતો, આદિવાસી અને અગરિયા માટે ખૂબ કામ કર્યું હતું. ‘શ્રમિક વિકાસ સંસ્થાન’ અને ‘ભારતીય કિસાન સંઘ’ જેવી સામાજિક સંસ્થાઓ સાથે તેઓ કાર્ય કરતા હતા. બાંગ્લાદેશની ગ્રામીણ બૅન્કના મૉડલ ઉપરથી તેમણે ગુજરાતમાં ગ્રામીણ વિકાસ બૅન્કની રચના કરી હતી. ૨૦૦૧માં નૅશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ ફરી તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો. નિરમા દ્વારા ઊભો કરવામાં આવેલા સિમેન્ટ પ્લાન્ટની સામે કનુ કલસારિયા દ્વારા ચલાવાયેલી ચળવળમાં તેમણે સાથ આપ્યો હતો. તે ઉપરાંત મહુવા નજીક મીઠી વીરડી પાસે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ નાખવા સામે તેમણે વિરોધ નોંધાવ્યો હતો.