Categories
વાચન સમૃદ્ધિ

સુષમા સ્વરાજ

જ. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૫૨ અ. ૬ ઑગસ્ટ, ૨૦૧૯

ભારતીય રાજકારણી અને સુપ્રીમ કોર્ટનાં વકીલ. ૧૯૯૮માં થોડા સમય માટે દિલ્હીનાં સૌપ્રથમ મહિલામુખ્યમંત્રીપદે રહ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે મોદી સરકારમાં વિદેશમંત્રીનું પદ સંભાળ્યું હતું. ઇન્દિરા ગાંધી પછી વિદેશમંત્રીના પદ પર રહેનાર તેઓ બીજાં મહિલાનેતા હતાં. તેઓ ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી વિનયન વિદ્યાશાખા અને કાયદાની વિદ્યાશાખાનાં સ્નાતક હતાં. અંબાલા કૅન્ટોનમેન્ટ ખાતે એસ. ડી. કૉલેજનાં શ્રેષ્ઠ વિદ્યાર્થિની તરીકેનાં પારિતોષિકો ઉપરાંત એન.સી.સી.નાં પણ શ્રેષ્ઠ કૅડેટ તરીકે સતત ત્રણ વર્ષ સર્વશ્રેષ્ઠ કૅડેટ પુરવાર થયાં હતાં. ૧૯૭૦માં વિદ્યાર્થિની નેત્રી તરીકે તેમણે ઇન્દિરા ગાંધીની સરકાર વિરુદ્ધ કામગીરી આરંભી અને રાજકારણમાં અને જાહેરજીવનમાં સક્રિય રસ લેવાનો શરૂ કર્યો. ૧૯૭૭માં ૨૫ વર્ષની વયે તેઓ હરિયાણાનાં સૌથી યુવા મંત્રી બન્યાં હતાં. ૧૯૭૭-૧૯૭૯ સુધી દેવીલાલ સરકારમાં શ્રમ અને રોજગારમંત્રી બન્યાં. ૧૯૮૦માં તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાયાં. ૧૯૮૭માં ફરી દેવીલાલની સરકારમાં શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠામંત્રી બન્યાં. તેઓ ઉત્તમ વક્તા હોવાથી ત્રણ વાર હરિયાણા વિધાનસભાનાં ઉત્તમ વક્તા તરીકે વરણી પામ્યાં. સંસ્કૃત ભાષા પર પણ તેમની હથોટી ઉત્તમ કક્ષાની હતી. તેઓ અન્ય સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનોમાં પણ વિવિધ હોદ્દા ધરાવતાં હતાં. ૧૯૯૦માં રાજ્યસભાનાં સાંસદ બની કેન્દ્રીય રાજકારણમાં આવ્યાં. ૧૯૯૬ની ૧૧મી અને ૧૯૯૮ની ૧૨મી લોકસભામાં દક્ષિણ દિલ્હી મતવિસ્તારમાંથી ચૂંટાઈ સાંસદ બન્યાં. તેઓ વાજપાઈ મંત્રીમંડળમાં માહિતી અને સંચાર મંત્રાલયનાં મંત્રી બન્યાં. ૨૦૦૦માં ઉત્તરાખંડનાં અને ૨૦૦૬માં મધ્યપ્રદેશનાં સાંસદ તરીકે રાજ્યસભામાં કાર્યરત રહ્યાં. તેઓ ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીનાં સભ્ય, પક્ષનાં અધ્યક્ષ અને મંત્રી તથા પક્ષનાં પ્રવક્તા જેવા વિવિધ મહત્ત્વના હોદ્દા પણ સંભાળી ચૂક્યાં હતાં. મોદી સરકારમાં વિદેશમંત્રી તરીકે તેમણે કેટલાક ભારતીયોને વિદેશથી સ્વદેશ લાવવામાં અભૂતપૂર્વ ભૂમિકા નિભાવી હતી. તેમના ઉત્કૃષ્ટ પ્રદાન માટે ૨૦૨૦માં તેમને મરણોત્તર પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

સરોજિની નાયડુ

જ. ૧૩ ફેબ્રુઆરી, ૧૮૭૯ અ. ૨ માર્ચ, ૧૯૪૯

અંગ્રેજી ભાષાનાં ભારતીય કવયિત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ઉત્તરપ્રદેશનાં પ્રથમ મહિલારાજ્યપાલ હતાં. તેઓનો સ્વર ખૂબ મીઠો હોવાથી તેમને ‘હિંદની બુલબુલ’નો ખિતાબ મળ્યો હતો. સરોજિનીનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો, પણ તેમનો ઉછેર ભારતીય તરીકે થયો હતો. પિતા અઘોરીનાથ વિદ્વાન, વૈજ્ઞાનિક અને સમાજસુધારક અને માતા વરદાસુંદરી દેવી કવયિત્રી હતાં. સરોજિનીએ બાર વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી ચેન્નાઈ ઇલાકામાં પ્રથમ આવ્યાં હતાં. ત્યારબાદ ૧૮૯૫માં તેઓ ઇંગ્લૅન્ડ ગયાં જ્યાં કિંગ્ઝ કૉલેજ તથા ગિરટન કૉલેજમાં વિદ્યાભ્યાસ કર્યો. આ સમયે તેઓ વિખ્યાત સાહિત્યકાર એડમંડ ગોસ તથા સાયમન્સના સંપર્કમાં આવ્યાં હતાં. સરોજિની ચૌદ વર્ષની ઉંમરે ગોવિંદા રાજુલુ નાયડુ સાથે પરિચયમાં આવ્યાં અને ૧૮૯૮માં તેમની સાથે લગ્ન કર્યાં હતાં. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘હીરાની ઉંબર’ ઈ. સ. ૧૯૦૫માં બહાર પડ્યો. આ ઉપરાંત ‘ધ લેડી ઑફ ધ લેક’ શીર્ષક હેઠળ કવિતા અને નાટક લખ્યું. ‘ધ ગોલ્ડન થ્રેશેલ્ડ’, ‘ધ બર્ડ ઑફ ટાઇમ’ અને ‘બ્રોકનવિંગ’ નામના કાવ્યસંગ્રહો તેમની પાસેથી મળ્યા છે. ૧૯૧૪માં તેઓ ગાંધીજીને મળ્યાં અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. તેઓ સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ડૂબી ગયાં. ધરાસણામાં લાઠીમાર વખતે મોખરે હતાં અને ૧૯૪૨ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લઈ ૨૧ મહિનાની જેલની સજા ભોગવી હતી. આમ ગાંધીજીનાં એક અનન્ય શિષ્યા તરીકે તેઓએ ૧૯૨૦થી ૧૯૪૯ સુધી દેશસેવા કરી હતી. તેઓ રાજ્યપાલના હોદ્દા પર હતાં તે દરમિયાન તેમનું અવસાન થયું હતું. ભારત સરકારે ૧૩ ફેબ્રુઆરી, ૧૯૬૪ના રોજ તેમની સ્મૃતિમાં પંદર પૈસાની ટિકિટ બહાર પાડી હતી.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

પ્રાણ

જ. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૨૦ અ. ૧૨ જુલાઈ, ૨૦૧૩

હિંદી ફિલ્મના મુખ્યત્વે ચરિત્ર અભિનેતા પ્રાણનો જન્મ દિલ્હીમાં સમૃદ્ધ પંજાબી પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ પ્રાણકિશન સિકંદ હતું. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા. અભ્યાસ બાદ લાહોરમાં છબીકાર તરીકે નોકરીની શરૂઆત કરી. નસીબજોગે તેમનો સંપર્ક વલીસાહેબ સાથે થયો. તેમણે પ્રાણને પંચોલી સ્ટુડિયોમાં જોડાવા નિમંત્રણ આપ્યું. તેમની અભિનયયાત્રા પંજાબી ફિલ્મ ‘યમલાજટ’થી ૧૯૩૯માં શરૂ થઈ. ત્યારબાદ પંજાબી ફિલ્મ ‘ચૌધરી’ અને હિંદી ફિલ્મ ‘ખજાનચી’માં નાની ભૂમિકાઓ ભજવી. ૧૯૪૨માં હિંદી ફિલ્મ ‘ખાનદાન’માં નૂરજહાંની સામે નાયકની ભૂમિકા નિભાવી. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા ત્યાં સુધી દસેક ફિલ્મોમાં અભિનય કર્યો. ૧૯૪૮માં મુંબઈ આવ્યા. મિત્ર શ્યામની ભલામણથી ‘ઝિદ્દી’ ફિલ્મમાં અભિનય કરવાની તક મળી. ૫૪ સપ્તાહ ચાલેલી આ ફિલ્મે પ્રાણને નવી ઊંચાઈ બક્ષી. ત્યારબાદ ખલનાયક તરીકેની અનેક ભૂમિકાઓ ભજવી પ્રસિદ્ધિ પામ્યા. તેમણે ચોર, બદમાશ, ડાકુ વગેરે જેવી ભૂમિકાઓ ભજવી. ખલનાયકી સાથે હાસ્યરસનું પણ મિશ્રણ કરી અનેકવિધ અદાઓ અપનાવી તેઓ અત્યંત લોકપ્રિય બન્યા અને સિનેસૃષ્ટિમાં છવાઈ ગયા. ખલનાયક ઉપરાંત પણ તેમણે ‘આહ’, ‘મધુમતી’, ‘શહીદ’, ‘ઉપકાર’, ‘જંજીર’, ‘મજબૂર’ વગેરે ફિલ્મોમાં યાદગાર વિશિષ્ટ ભૂમિકાઓ ભજવી. ‘જંગલ મેં મંગલ’માં વિવિધ પ્રકારની ત્રણ ભૂમિકાઓ ભજવી. ૩૫૦થી પણ વધુ હિંદી તેમજ અન્ય ભાષાઓની ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો. ખલનાયક તરીકે પ્રેક્ષકોમાં ધિક્કારની લાગણી જગાડનાર પ્રાણ વાસ્તવિક જીવનમાં નરમ દિલ, પરગજુ સજ્જન વ્યક્તિ હતા. તેઓ સમાજ-રાજકારણ ક્ષેત્રે અન્યાયનો પ્રતિકાર કરતા. સિનેસૃષ્ટિના આ સદાબહાર કલાકારને ‘ઉપકાર’, ‘આંસુ બન ગયે ફૂલ’ અને ‘બેઈમાન’માં ઉત્કૃષ્ટ અભિનય બદલ દરેક માટે ફિલ્મફેર ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા. ૧૯૯૭માં ફિલ્મફેર લાઇફટાઇમ એચીવમેન્ટ એનાયત કરવામાં આવ્યો. ૨૦૦૧માં તેમને પદ્મભૂષણથી અને ત્યારબાદ દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ