Categories
વાચન સમૃદ્ધિ

ગગનવિહારી મહેતા

જ. ૧૫ એપ્રિલ, ૧૯૦૦ અ. ૨૮ એપ્રિલ, ૧૯૭૪

ભારતના અમેરિકા ખાતેના ભૂતપૂર્વ એલચી, કુશળ વહીવટકર્તા અને પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા ગગનવિહારી મહેતાનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા સર લલ્લુભાઈ શામળદાસ. તેમના જન્મના વર્ષે જ પરિવાર ભાવનગરથી મુંબઈ રહેવા ગયો. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચશિક્ષણ લીધું. બી.એ. ઑનર્સની પદવી અર્થશાસ્ત્ર વિષય સાથે મેળવી. તે પછી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં પ્રવેશ મેળવ્યો અને કૉલેજનાં ચારેય વર્ષ ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયોમાં પ્રથમ આવવા બદલ અનેક ઇનામો પ્રાપ્ત કર્યાં. ૧૯૨૩માં તેમણે ‘બૉમ્બે ક્રોનિકલ’ અખબારના ઉપતંત્રી તરીકે કામ સંભાળ્યું અને તે પછી ૧૯૪૨માં તેમની વરણી ‘ફિક્કી’ના પ્રેસિડેન્ડ તરીકે થઈ. સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ તેમને ટેરિફ બોર્ડના ચૅરમૅન બનાવાયા અને પછી પ્રથમ આયોજન નિગમના સદસ્ય નિમાયા. ૧૯૫૨માં તેમને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં ભારતના એલચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પદે તેમણે છ વર્ષ સુધી પ્રશંસનીય સેવાઓ આપી. તેમણે ન્યૂયૉર્ક, જિનીવા, મોન્ટ્રિયલ વગેરે શહેરોમાં મળેલ આંતરરાષ્ટ્રીય વેપારી મહામંડળ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ૧૯૫૯થી ૧૯૬૩ દરમિયાન નૅશનલ શિપિંગ બોર્ડના ચૅરમૅન તરીકે સેવા આપી. ૧૯૬૫માં ઍર ઇન્ડિયા અને ઇન્ડિયન ઍરલાઇન્સનું ચૅરમૅનપદ શોભાવ્યું. નવી સ્થપાયેલી સંસ્થા આઈ.સી.આઈ.સી.આઈ.ના તેઓ પ્રથમ ચૅરમૅન બન્યા. તેનું સફળ સંચાલન કરી તેમણે દેશના ઔદ્યોગિકીકરણમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું. તેમની પ્રવૃત્તિસભર જીવનશૈલીમાં પણ તેઓ વિદ્યાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા. અંગ્રેજી તેમ જ ગુજરાતી ભાષા પર તેમનું પ્રભુત્વ હતું. તેમનાં નોંધપાત્ર પ્રકાશનોમાં ગુજરાતીમાં ‘આકાશનાં પુષ્પો’ અને ‘અવળી ગંગા’નો સમાવેશ થાય છે. જ્યારે અંગ્રેજીમાં ‘સ્ટડીઝ ઇન ગાંધીઝમ, ફ્રોમ રોંગ ઍંગલ્સ, પરવર્સિટીઝ, અન્ડરસ્ટૅન્ડિંગ ઇન્ડિયા’ વગેરે નોંધપાત્ર ગણાય છે.

૧૯૫૯માં તેમને ‘પદ્મવિભૂષણ’થી સન્માનવામાં આવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

શમશાદ બેગમ

જ. ૧૪ એપ્રિલ, ૧૯૧૯ અ. ૨૩ એપ્રિલ, ૨૦૧૩

ભારતીય ચલચિત્રની પાર્શ્વગાયિકા શામશાદ બેગમે હિંદી ચલચિત્રોનાં અનેક ગીતોને પોતાની વિશિષ્ટ ગાયકીથી લોકપ્રિય બનાવેલાં. મિયા હુસેન બક્ષ તથા ગુલામ ફાતિમાની દીકરી શમશાદને ગ્રામોફોન સાંભળીને સંગીત પ્રત્યે રુચિ જાગી હતી. આ જ તેમની રિયાઝ કરવાની રીત હતી અને આ જ સંગીતસાધના હતી. જોકે ત્યારે લાહોરમાં વસતા આ પરિવારમાં દીકરી સંગીતમાં આટલો બધો રસ લે તે ગમતું નહીં. તે જમાનો એવો હતો કે દીકરી ગાયિકા બને તેવું મા-બાપ ઇચ્છતાં નહીં. આવી વિપરીત સ્થિતિમાં પણ શમશાદે સંગીત તરફનો લગાવ જાળવી રાખ્યો. સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરે જ્યારે શામશાદને ગાતાં સાંભળ્યાં ત્યારે તેમણે તેમની પાસે એક પંજાબી ગીત ગવડાવ્યું. તે ગીતની રેકર્ડ બનાવી અને તે બહાર પડી, પહેલા જ પ્રયાસમાં ખૂબ વેચાઈ. તે પછી તો બીજાં ગીતોની પણ રેકર્ડ બહાર પડતી ગઈ અને શમશાદ રેડિયો કલાકાર બની ગયાં. શમશાદને ચલચિત્રમાં ‘પાર્શ્વગાયન એટલે શું ?’ તે ખબર ન હતી. દલસુખ પંચોલીએ તેમને પહેલી તક આપી. તેમણે ‘યમલાજટ્ટ’ પંજાબી ચલચિત્ર માટે આઠ ગીત ગાયાં અને તે ખૂબ લોકપ્રિય થયાં. ત્યારબાદ લાહોરમાં જ ‘ખજાનચી’ ચલચિત્ર માટે હિંદી ગીતો ગાવાની તક મળી, ચિત્રની સફળતામાં ગીતસંગીતનો ઘણો ફાળો હતો. ત્યારબાદ ૧૯૪૪માં શમશાદ બેગમ મુંબઈ આવ્યાં અને ગાયિકા તરીકે બહુ જલદી સ્થાપિત થઈ ગયાં. એ સમયના તમામ અગ્રણી સંગીતકારોએ તેમની પાસે ગીતો ગવડાવ્યાં. હિંદી ફિલ્મોમાં તેમનો સફળ સમય ૧૯૪૦થી ૧૯૫૫ સુધી હતો. ૯૪ વર્ષની જઈફ વયે તેમનું મૃત્યુ થયું. તેમને ઓ. પી. નૈયર ઍવૉર્ડ અને ૨૦૦૯માં પદ્મભૂષણ મળ્યા હતા. ૨૦૧૬માં ભારત સરકારે તેમની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ચંદુલાલ શાહ

જ. ૧૩ એપ્રિલ, ૧૮૯૮ અ. ૨૫ નવેમ્બર, ૧૯૭૫

‘સરદાર’ તરીકે મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપ્રસિદ્ધ થયેલા ચંદુલાલ શાહનો જન્મ જામનગરમાં થયો હતો. સિડનહેમ કૉલેજમાં અભ્યાસ બાદ તેમણે મુંબઈ સ્ટૉક એક્સચેન્જમાં નોકરી કરી હતી. તેમનો મુખ્ય વ્યવસાય શૅરબજારનો હતો. છતાં ફિલ્મઉદ્યોગમાં તેમણે એવી રીતે પ્રવેશ  કર્યો કે થોડા જ સમયમાં તેઓ જાણીતા, સુપ્રસિદ્ધ દિગ્દર્શક, નિર્માતા, સ્ક્રીનરાઇટર બની ગયા. લક્ષ્મી ફિલ્મ્સના દિગ્દર્શક મણિલાલ જોશી ‘વિમલા’ ફિલ્મ બનાવતાં અચાનક બીમાર પડી ગયા અને કોઈ અનુભવ વિના તેમના મિત્ર ચંદુલાલને ભાગે ‘વિમલા’નું દિગ્દર્શન કરવાની જવાબદારી આવી પડી. નસીબજોગે ફિલ્મને ખૂબ સફળતા મળી. ચંદુલાલે બીજી બે ફિલ્મોનું દિગ્દર્શન પણ સફળતાપૂર્વક કર્યું. લક્ષ્મી ફિલ્મ્સ છોડીને કોહિનૂર ફિલ્મ્સમાંથી તેમણે ‘ટાઇપિસ્ટ ગર્લ’નું દિગ્દર્શન કર્યું. આમ શૅરબજારમાં શૅરોની ઊથલપાથલ કરતા ચંદુલાલ શાહ ફિલ્મી દુનિયામાં અચાનક આવી ગયા. અલબત્ત શૅરબજાર સાથેનો નાતો તો છેવટ સુધી ચાલુ રહ્યો. ઈ. સ. ૧૯૩૧માં બોલતી ફિલ્મ આવતાં સુધી ચંદુલાલે ત્રીસેક જેટલી મૂંગી ફિલ્મો બનાવી. મૂંગી ફિલ્મોની પ્રસિદ્ધ અભિનેત્રી ગોહરબાનુ સાથે ભાગીદારીમાં તેમણે પહેલાં ‘રણજિત ફિલ્મ કંપની’ અને ત્યારબાદ ‘રણજિત મૂવીટોન’ નામે ફિલ્મ કંપની શરૂ કરી. આ ભાગીદારી ખૂબ વર્ષો સુધી સફળતાપૂર્વક ચાલી.  તે સમયે રણજિત મૂવીટોન કંપનીના સ્ટુડિયોમાં ચાર સાઉન્ડ સ્ટેજ, પોતાની લૅબોરેટરી અને પે રોલ ઉપર ૬૦૦ જેટલા કલાકારો અને ટૅકનિશિયનોનો સ્ટાફ હતો. સ્ટુડિયોમાં ખૂબ જ પદ્ધતિસરનું કામકાજ થતું હતું. રણજિત મૂવીટોને તેના સમકાલીનોની સરખામણીએ સ્થિરતાપૂર્વક ખૂબ જ લાંબા સમય સુધી પ્રજાને સારી ફિલ્મો આપી. ચંદુલાલે પોતાના સ્ટુડિયો અને ફિલ્મનિર્માણ પૂરતી પોતાની જવાબદારી સીમિત ન રાખતાં સમગ્ર સિને ઉદ્યોગના પ્રશ્નો પરત્વે પણ ચિંતા સેવી, જેથી તેઓ સિનેજગતમાં ‘સરદાર’ ચંદુલાલ નામે ઓળખાવા લાગ્યા. બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯-૪૫) દરમિયાન રણજિત મૂવીટોન ઉપર માઠી દશા બેઠી. ચંદુલાલે શૅરબજાર અને જુગારમાં અઢળક રૂપિયા ગુમાવ્યા. અચાનક આગ ફાટી નીકળવાથી સ્ટુડિયો બળીને ખાખ થઈ ગયો. ૧૯૬૩માં આ કંપની સંપૂર્ણ રીતે સમેટી લેવામાં આવી.