Categories
વાચન સમૃદ્ધિ

જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી

જ. ૭ ફેબ્રુઆરી, ૧૮૮૩ અ. ૧૭ ઑગસ્ટ, ૧૯૩૬

ગુજરાતી ભાષાના આ મહાન ગઝલકારનો જન્મ જંબુસરમાં થયો હતો. બાળપણથી જ હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય એવા જગન્નાથ ‘સાગર’ ઉપનામથી ઓળખાતા. ૧૯૦૩માં પિતાના અવસાન પછી વૈરાગ્યભાવના વધુ ઉત્કટ બની અને ૧૯૦૬માં ‘વિશ્વવંદ્ય’ને મળ્યા અને કોઈ પણ સંપ્રદાયમાં જોડાયા વગર પોતે જ અધ્યાત્મમાર્ગ અનુસરવાનો દૃઢ નિશ્ચય કર્યો. ૧૯૧૨માં અખાજીની વાણીની અસર હેઠળ આવ્યા. હિમાલયના મણિકૂટ પર્વતની જયવલ્લી ગુફામાં જઈ તપશ્ચર્યા કરી બ્રહ્મર્ષિ સાગર બન્યા. હિમાલયથી પાછા ફર્યા પછી તેમણે વડોદરામાં પાદરા પાસે ચિત્રાલમાં ‘સાગરાશ્રમ’ સ્થાપ્યો. ‘ૐ પ્રભુજી’ના જીવનમંત્ર સાથે જ જીવન ગાળ્યું. ૧૯૨૦માં કલ્યાણદાસજીની સમાધિનો શતાબ્દી-ઉત્સવ ઊજવ્યો. શિષ્યા ૐકારેશ્વરીને સિદ્ધિપદે સ્થાપવા એ જ સમયગાળામાં ચિત્રાલમાં ‘બ્રહ્મયજ્ઞ’ આરંભ્યો. શરૂઆતની રચનાઓમાં કલાપીની કવિતાનો પ્રભાવ જોઈ શકાય છે. ૧૯૦૯માં રચેલું કાવ્ય ‘થાકેલું હૃદય’ એવું જ કાવ્ય છે. ‘દીવાને સાગર’નો પહેલો ગ્રંથ ૧૯૧૬માં પ્રગટ થયો હતો અને ૧૯૩૬માં ‘દીવાને સાગર’ ભાગ-૨ પ્રકાશિત થયો હતો, જેમાં તેમણે રચેલાં ભક્તિપદો છે. આ ઉપરાંત ‘કલાપી અને તેની કવિતા’, ‘ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સ્થાન’ અને ‘સ્વીડનબૉર્ગનું ધર્મશિક્ષણ’ તેમના વિશેષ ગ્રંથો છે.  ‘ગુજરાતી ગઝલિસ્તાન’ (૧૯૧૩), ‘સંતોની વાણી’ (૧૯૨૦), ‘કલાપીની પત્રધારા’ (૧૯૩૧) અને ‘કલાપીનો કેકારવ’ (૧૯૩૨) તેમણે કરેલાં સંપાદનો ઉલ્લેખનીય છે. તે ઉપરાંત ‘અક્ષયવાણી – અખાજીની અપ્રસિદ્ધ વાણી’ ટીકા સહિત સંપાદિત કરી છે. તો ‘સાગરની પત્રરેષા અને વિચારણા કેટલાક મહાનુભાવો અને પરિવારના સભ્યોને લખેલા પત્રોનો સંચય છે. સાતમા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે સંકળાયેલા અને કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન પણ કરેલું.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

કવિ પ્રદીપજી

જ. ૬ ફેબ્રુઆરી, ૧૯૧૫ અ. ૧૧ ડિસેમ્બર, ૧૯૯૮

હિંદીના કવિ અને ચલચિત્રજગતના વિખ્યાત ગીતકાર. મૂળ નામ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી, પણ પ્રદીપ નામથી વધુ જાણીતા થયા. તેમનું શાળાકીય શિક્ષણ ઇંદોરમાં અને ઉચ્ચશિક્ષણ અલાહાબાદ તથા લખનઉમાં સંપન્ન થયું. ‘ટીચર્સ ટ્રેનિંગ કોર્સ સંપૂર્ણ કરી શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. એક વાર ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ સાથે મથુરામાં આકસ્મિક મુલાકાત થતાં તેમની સાથે અમદાવાદ આવ્યા અને ૧૯૩૮માં ‘કુમાર’ કાર્યાલયે એમની ‘ગીતમંજરી’ શીર્ષક હેઠળ બાર જેટલાં હિંદી કાવ્યોવાળી લઘુપુસ્તિકા પ્રગટ કરેલી. મુંબઈમાં કાવ્યપઠનના જાહેર કાર્યક્રમમાં તેમની કાવ્યરચનાથી અને ગાનથી પ્રભાવિત થયેલા એન. આર. આચાર્યે પ્રદીપજીની મુલાકાત હિમાંશુ રૉય સાથે કરાવી અને તેમણે પ્રદીપજીને ‘કંગન’ (૧૯૩૯) ચલચિત્રનાં ચાર ગીતો લખવાની જવાબદારી સોંપી. તેમની ફિલ્મી અને અન્ય રચનાઓની સંખ્યા ૧૫૦૦થી ૧૭૦૦ જેટલી થાય છે. તેમને લોકપ્રિયતા બક્ષી હોય તેવાં ચલચિત્રોમાં ‘પુનર્મિલન’, ‘બંધન’, ‘કિસ્મત’, ‘ચલ ચલ રે નૌજવાન’ એમ લાંબી યાદી છે. પણ ‘આંખ કા તારા’ તેમનું અંતિમ ચલચિત્ર સાબિત થયું. તેમણે ગીતરચનાઓમાં સાદી શબ્દાવલી પ્રયોજી લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તેમાં પણ ‘આઓ બચ્ચો તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી’, ‘હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલકે’, ‘ઇન્સાફકી ડગર પે’, ‘દે દી હમેં આઝાદી બિના ખડગ…’ જેવી રચનાઓ લગભગ દરેક પરિવારમાં નાનાથી મોટા પણ ગાતાં હોય છે. તેમની મોટા ભાગની રચનાઓમાં દેશભક્તિ અને ઈશ્વરભક્તિ જોવા મળે, પણ તેમણે શૃંગારરસ ધરાવતાં ગીતોની પણ રચના કરેલી. જોકે સૌથી વધુ પ્રસિદ્ધિ તેમને ભારત-ચીન વચ્ચેના યુદ્ધમાં શહીદ થયેલા ભારતના વીર સૈનિકોને અંજલિ આપવા લખેલ અને લતા મંગેશકરે દિલ્હીના લાલ કિલ્લા પરના કાર્યક્રમમાં ગાયેલ ‘અય મેરે વતન કે લોગો’ ગીતથી મળી. પ્રદીપજીએ આ ગીતની રૉયલ્ટી ‘વૉર વિડોઝ ફંડ’ને અર્પણ કરેલી. તેમના વિશિષ્ટ પ્રદાન માટે તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવેલા; જેમાં ‘સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ’ (૧૯૬૧), ‘બૅંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ્સ ઍસોસિયેશન શ્રેષ્ઠ ગીતકાર ઍવૉર્ડ’ (૧૯૭૫) તથા ૧૯૯૭-૯૮ના વર્ષના ‘દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ’નો સમાવેશ થાય છે. ૨૦૧૧માં ભારત સરકારે તેમના સન્માનમાં રૂ. પાંચની ટપાલટિકિટ બહાર પાડેલી.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

અચ્યુત સીતારામ પટવર્ધન

જ. ૫ ફેબ્રુઆરી, ૧૯૦૫ અ. ૫ ઑગસ્ટ, ૧૯૯૨

સતારાના સિંહ તરીકે પ્રસિદ્ધ સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી નેતા અને તત્વચિંતક અચ્યુત પટવર્ધનનો જન્મ અહમદનગરમાં થયો હતો. તેમના પિતા હરિ કેશવ પટવર્ધન અહમદનગરમાં વકીલ હતા. અચ્યુત પટવર્ધન જ્યારે ચાર વર્ષના હતા ત્યારે નિવૃત્ત નાયબ શિક્ષણાધિકારી સીતારામ પટવર્ધને તેમને દત્તક લીધા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અહમદનગર ખાતે લીધું. ત્યારબાદ બનારસની સેન્ટ્રલ હિંદુ કૉલેજમાંથી અર્થશાસ્ત્રના મુખ્ય વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. આ પછી તેમણે એની બેસન્ટે સ્થાપેલી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૩૨ સુધી તેમણે અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. ઇંગ્લૅન્ડ અને અન્ય યુરોપિયન દેશોની મુલાકાત દરમિયાન તેઓ સમાજવાદી નેતાઓ અને વિદ્વાનોના સંપર્કમાં આવ્યા. ૧૯૩૨માં મહાત્મા ગાંધીજી પ્રેરિત અને સંચાલિત સવિનય કાનૂનભંગની લડતમાં જોડાયા. તેમણે અનેક વાર જેલવાસ ભોગવ્યો. ૧૯૩૪માં કૉંગ્રેસની સમાજવાદી પક્ષની સ્થાપના કરી. ૧૯૩૬માં કૉંગ્રેસ કારોબારી સમિતિના સભ્ય બન્યા. તેમણે સમાજવાદી પ્રવૃત્તિઓ માટે અનેક શિબિરો યોજી. ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી. ૧૯૪૫-૪૬માં તેઓ ભૂગર્ભ પ્રવૃત્તિઓ સાથે સંકળાયા. સતારા જિલ્લામાં ચાલતી સમાંતર સરકારના તેઓ અગ્રણી નેતા હતા. ત્રાસવાદી પ્રવૃત્તિઓના વિરોધમાં સમાંતર સરકાર રચવામાં આવી હતી. અચ્યુત પટવર્ધને આંદોલનમાં સામેલ કાર્યકરો માટે ખાવાનું તૈયાર કરવાનું, કપડાં ધોવાનું વગેરે વ્યક્તિગત કાર્યો પણ કર્યાં. તે પછી તેમણે સમાંતર સરકારની પ્રવૃત્તિઓમાં નેતાની ભૂમિકા ભજવી અને સતારા જિલ્લામાં બે વર્ષ માટે લોકશાસનની સ્થાપના કરી. ૧૯૪૭માં કૉંગ્રેસથી અલગ થઈને તેમણે સમાજવાદી પક્ષની સ્થાપના કરી. ૧૯૫૦માં તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી. ત્યાર બાદ સેન્ટ્રલ હિંદુ કૉલેજ, બનારસમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. તેમણે કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ ભજવ્યો. તેમના હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં વ્યક્ત થયેલા વિચારો તાર્કિક અને અસરકારક હતા. અશોક મહેતા સાથેનું તેમનું પ્રકાશન
‘ધ કૉમ્યુનલ ટ્રાયંગલ ઑવ્ ઇન્ડિયા’ જાણીતું છે.

શુભ્રા દેસાઈ