Categories
વાચન સમૃદ્ધિ

કમલનયન બજાજ

જ. ૨૩ જાન્યુઆરી, ૧૯૧૫ અ. ૧ મે, ૧૯૭૨

ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ, દાનવીર અને રાષ્ટ્રીય નેતા કમલનયન બજાજનો જન્મ વર્ધામાં ધનવાન કુટુંબમાં થયો હતો. પિતા જમનાલાલ બજાજ રાષ્ટ્રીય કૉંગ્રેસની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. કમલનયન બજાજે આચાર્ય વિનોબા ભાવેના વર્ધા આશ્રમમાં રહી શરૂઆતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. અહીં તેમનું પ્રારંભિક જીવન ચરખો ચલાવવો, દળવું, વણવું, રસોઈ, ખેતીકામ, સફાઈ વગેરેમાં વીત્યું. ૧૫ વર્ષની વયે ગાંધીજીની દાંડીકૂચમાં જોડાયા. તે પછી દારૂ અને પરદેશી માલ વેચતી દુકાનો પર પિકેટિંગ કર્યું અને જેલવાસ પણ ભોગવ્યો. વધુ શિક્ષણ માટે તેઓ પુણે ગયા. તે પછી થોડો સમય ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ ઇંગ્લૅન્ડ જઈને કેમ્બ્રિજમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૧૯૪૨માં પિતાનું અચાનક અવસાન થયું અને તેઓ ભારતમાં જ સ્થાયી થયા. ગાંધીજીની ‘હિંદ છોડો’ લડત દરમિયાન તેમણે સત્યાગ્રહીઓ અને ભૂગર્ભ કાર્યકરોને મદદ કરવાનું શરૂ કર્યું. સાર્વજનિક કાર્યોને પ્રોત્સાહન આપવાના હેતુથી તેમણે ‘જમનાલાલ બજાજ સેવા ટ્રસ્ટ’ની સ્થાપના કરી. તેમણે બજાજ ગ્રૂપની પ્રવૃત્તિઓનો અભૂતપૂર્વ વિકાસ કર્યો. બજાજ ઑટો, બજાજ ટેમ્પો, બજાજ ઇલેક્ટ્રૉનિક્સ, કે. સી. ઇન્ડસ્ટ્રીઝ વગેરે કંપનીઓની સ્થાપના કરી જે તેમની દૂરદર્શિતાનું પ્રમાણ છે. તેઓ ખાદી અને દારૂબંધીના હિમાયતી હતા. તેઓ ૧૯૫૭થી ૧૯૭૦ સુધી વર્ધા મતદાર મંડળમાંથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. સંસદસભ્ય તરીકે તેઓ નાણાં, ઉદ્યોગ, શિક્ષણ અને વિદેશનીતિની બાબતોમાં ખૂબ સક્રિય હતા. ઉદ્યોગપતિ તરીકે તેમણે અનેક દેશોની મુલાકાત લીધી હતી. તેમને સાદગી, સમાજસેવા અને નૈતિકતા જેવા ગુણો વારસામાં મળ્યા હતા. તેઓ તેમની આવકનો મોટો ભાગ સામાજિક કાર્યોમાં ખર્ચતા. મુંબઈ યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બિઝનેસ મૅનેજમેન્ટ શરૂ કરવા અને બૅંગાલુરુમાં આંતરરાષ્ટ્રીય સર્વોદય કેન્દ્ર શરૂ કરવા માટે મોટું દાન આપ્યું હતું. કારોબાર, શિક્ષણ, સમાજસેવા, રાજનીતિ સહિત અનેક ક્ષેત્રોમાં પોતાની અમીટ છાપ છોડનાર કમલનયન બજાજનો ભારતના ઔદ્યોગિક વિકાસમાં બહુમૂલ્ય ફાળો છે.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

આનંદશંકર ધ્રુવ

જ. ૨૨ જાન્યુઆરી, ૧૮૬૯ અ. ૭ એપ્રિલ, ૧૯૪૨

શિક્ષણ, સાહિત્ય તેમજ સમગ્ર સાંસ્કૃતિક ક્ષેત્રમાં દેશભરમાં ખ્યાતિ પામનાર આનંદશંકરનો જન્મ અમદાવાદમાં થયો હતો. પિતા બાપુભાઈ તથા માતા મણિબા. બાળપણ વડોદરા અને રાજકોટમાં વીત્યું. તેમણે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કર્યો હતો અને નાની ઉંમરે જ સંસ્કૃત શીખ્યા હતા. ૧૮૯૩માં એમ.એ.ના અભ્યાસની સાથે તેમણે ગુજરાત કૉલેજમાં સંસ્કૃતનું અધ્યાપનકાર્ય શરૂ કર્યું. ત્યારબાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં પણ કેટલાંક વર્ષો અધ્યાપનકાર્ય કર્યું. ગાંધીજીના સૂચનથી ૧૯૧૯માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આચાર્ય તરીકે ગયા. ૧૯૨૦માં હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ થયા અને ૧૯૩૬માં નિવૃત્ત થઈને અમદાવાદ આવી ગયા. ષડ્દર્શનનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો.

તેમણે ‘મુમુક્ષુ’ અને ‘હિંદ-હિતચિંતક’ ઉપનામોથી સાહિત્યસર્જન કર્યું હતું. ધર્મચિંતન અને સાહિત્યતત્ત્વચર્ચાના ક્ષેત્રમાં તેમનું અર્પણ ઉત્કૃષ્ટ કોટિનું હતું. મણિલાલના તેઓ વિશ્વાસુ અને સમાનધર્મા હતા. તેઓ ધર્મની વ્યાખ્યા કરતાં તેનો વિશાળ અર્થ જીવનની સર્વ પ્રવૃત્તિઓને લાગુ પાડવામાં માનતા હતા. તેમણે ભારતીય ફિલસૂફી અને સંસ્કૃત સાહિત્ય પર અને પશ્ચિમ ફિલસૂફી અને સંસ્કૃતિ જેવા વિષયો પર અનેક પુસ્તકો લખ્યાં છે. વધુમાં તેમણે ધર્મ અને હિંદુ શ્રદ્ધાના સાર પરની ફિલસૂફી આધારિત ચર્ચા કરતા નિબંધો પણ લખ્યા છે. તેમણે ૧૯૦૨માં ‘વસંત’ માસિકની શરૂઆત કરી હતી. ‘વસંત’ દ્વારા તેમણે એક વિશ્વવિદ્યાલયની ગરજ સારે તેવું વિદ્યા અને સંસ્કારનું ચિંતન કરવાનો પ્રયત્ન કરેલો. તેઓ ‘સુદર્શન’ના તંત્રીપદે પણ રહ્યા હતા. તેઓ ૧૯૨૮માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ફિલૉસૉફિકલ કૉંગ્રેસ જેવી સંસ્થાઓના પ્રમુખપદે રહ્યા હતા. ૧૯૩૦માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ નિયુક્ત થયેલા. ૧૯૩૬માં સર્વધર્મ પરિષદના પ્રમુખ બન્યા હતા. ‘કાવ્યતત્ત્વવિચાર’, ‘સાહિત્યવિચાર’, ‘દિગ્દર્શન’ અને ‘વિચારમાધુરી (ભાગ ૧-૨), ‘નીતિશિક્ષણ’, ‘ધર્મવર્ણન’, ‘હિંદુ (વેદ) ધર્મ’, ‘હિંદુ ધર્મની બાળપોથી’ અને ‘આપણો ધર્મ’ તેમના સાહિત્ય અને ધર્મને લગતા મહત્ત્વના ગ્રંથો છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

રામકૃષ્ણ ત્રિવેદી

જ. ૨૧ જાન્યુઆરી, ૧૯૨૧ અ. ૧૯ નવેમ્બર, ૨૦૧૫

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણીનિયામક અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ. તેમનો જન્મ મ્યાનમારમાં થયો હતો. લખનૌ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી ૧૯૪૩માં ભારતીય સિવિલ સર્વિસીસમાં જોડાયા. ૧૪ જુલાઈ, ૧૯૪૩થી તેમણે કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશ રાજ્ય સરકાર બંને સાથે ૩૬ વર્ષથી વધુની વિશિષ્ટ સેવાઓ આપી. ૧૯૫૩થી ૧૯૭૯ દરમિયાન તેમણે જિલ્લા-મૅજિસ્ટ્રેટ, આઈ.એ.એસ. ટ્રેનિંગ સ્કૂલ, દિલ્હીમાં વાઇસપ્રિન્સિપાલ, ત્યારબાદ રાજ્ય સરકારમાં ડિરેક્ટર, સેક્રેટરી, કમિશનર, ચૅરમૅન જેવા વિવિધ હોદ્દાઓ પર પણ કામ કર્યું. ૧૯૭૮-૭૯માં બુંદેલખંડ યુનિવર્સિટી, ઝાંસીના કુલપતિ રહ્યા. ૧૯૮૦ના જાન્યુઆરીથી જૂન દરમિયાન મધ્યપ્રદેશના રાજ્યપાલના સલાહકાર તરીકે કાર્ય કર્યું. તેઓ ૧૯૮૦થી ૧૯૮૨ સુધી ભારતના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર હતા. ત્યારબાદ જૂન ૧૯૮૨થી ડિસેમ્બર ૧૯૮૫ સુધી ભારતના સાતમા મુખ્ય ચૂંટણીનિયામક તરીકે સેવાઓ આપી. આ ઉપરાંત તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશનના વાઇસ પ્રેસિડન્ટ અને કુઆલાલંપુર ખાતે એશિયન સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઍડ્મિનિસ્ટ્રેશનના સલાહકાર પણ હતા. ૧૯૮૬-૯૦ સુધી ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે સેવાઓ આપી. ત્યારબાદ તેમણે લખનૌમાં રામકૃષ્ણ મિશનમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી. તેમની વિચક્ષણ બુદ્ધિપ્રતિભાથી વિવિધ ક્ષેત્રોમાં આપેલ પ્રદાનને ધ્યાનમાં લેતાં ૧૯૮૬માં ભારત સરકારે તેમને પદ્મભૂષણની ઉપાધિથી પુરસ્કૃત કર્યા હતા.

રાજશ્રી મહાદેવિયા