Categories
વાચન સમૃદ્ધિ

કૈલાસ ચન્દ્રદેવ બૃહસ્પતિ

જ. ૨૦ જાન્યુઆરી, ૧૯૧૭ અ. ૩૦ જુલાઈ, ૧૯૭૯

સંગીતવિદ્યાનો સંસ્કારવારસો કૈલાસને કુળપરંપરાથી મળ્યો હતો. દસ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું, તેથી તેમનાં વિદુષી માતા નર્મદાદેવીએ તેમનું પાલનપોષણ કર્યું અને સંસ્કાર તથા વિદ્યાનું સિંચન કર્યું. માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરથી જ કૈલાસચન્દ્ર શુદ્ધ ઉચ્ચાર કરતા હતા. પાંચ વર્ષની વયે તેઓને સંસ્કૃતના અનેક શ્લોકો કંઠસ્થ હતા. અગિયાર વર્ષની વયે તેઓ મૌલિક કાવ્યરચના કરતા હતા, ચૌદ વર્ષની વયે એમના મુખેથી સ્વરચિત શ્લોકોનું ગાન સાંભળીને પંડિતોએ તેઓને કાવ્યમનીષી, સાહિત્યસૂરિ જેવી ઉપાધિઓથી અલંકૃત કર્યા હતા. શાસ્ત્રો, ભાષા, સાહિત્ય, વિવિધ વિદ્યાઓ સંગીતની ગાયન-વાદન કલાઓ વગેરેનું જ્ઞાન પંડિતો પાસેથી મળવાથી કૈલાસચન્દ્રનું જીવન ખીલી ઊઠ્યું. તેઓએ સંગીત વિશે પોતાનો શોધનિબંધ રજૂ કર્યો હતો.  ભારતીય પ્રાચીન સંગીતશાસ્ત્ર અને ગાયનપદ્ધતિ સંપૂર્ણ વૈજ્ઞાનિક અને વ્યવહારુ છે. તેઓએ ‘બૃહસ્પતિ વીણા’ નામે એક નવી વીણાનો આવિષ્કાર કર્યો હતો. તેમણે સંગીતવિષયક મૌલિક ચિંતન વ્યક્ત કરતા બે ગ્રંથો લખ્યા છે : ‘ભારત કા સંગીતસિદ્ધાંત’ તથા ‘સંગીત ચિંતામણિ’. આ ઉપરાંત તેમણે ભારતનાટ્યશાસ્ત્રના ૨૮મા અધ્યાય પર વિદ્વત્તાપૂર્વક ટીકા લખી છે. ટીકાનું નામ ‘સાધના’ આપ્યું. તેમણે પોતાની ગૃહિણી સાધના અને પોતાની સંગીતસાધના બંનેને અમર બનાવી દીધાં. તેમને અનેક પદવીઓ, પદકો, પ્રતિષ્ઠાઓ અને પદાધિકારો પ્રાપ્ત થયાં હતાં.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

ચીમનભાઈ સોમાભાઈ પટેલ

જ. ૧૯ જાન્યુઆરી, ૧૯૧૮ અ. ૭ માર્ચ, ૧૯૯૫

ગુજરાતના જાણીતા પત્રકાર અને અગ્રણી અખબાર ‘સંદેશ’ના માલિક ચીમનભાઈનો જન્મ ખેડા જિલ્લાના સારસામાં થયો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ વડોદરામાં સરકારી નોકરીમાં જોડાયા, પરંતુ નોકરી અનુકૂળ ન આવતાં વેપાર-ધંધામાં પડ્યા. સમય જતાં વર્તમાનપત્રો તથા સામયિકોમાં શબ્દરચના સ્પર્ધાઓમાં રસ જાગ્યો, તે સાથે તેમને વર્તમાનપત્રોની અગત્ય સમજાઈ. તેમણે વડોદરાથી ‘લોકસત્તા’ દૈનિક શરૂ કર્યું. પત્રકારત્વનો ખાસ અનુભવ ન હોવા છતાં અખબાર અંગેની માહિતી બારીકાઈપૂર્વક પ્રાપ્ત કરી. સતત ઊંડો અભ્યાસ કરીને પત્રકારત્વ ક્ષેત્રે જરૂરી એવી ઘણી જાણકારી મેળવી. ત્યારબાદ અમદાવાદ આવી ૧૯૫૮માં નંદલાલ ચૂનીલાલ બોડીવાળાનું ‘સંદેશ’ દૈનિક હસ્તગત કર્યું. તે સમયે ‘સંદેશ’ બંધ પડવાની અણી પર હતું. ચીમનભાઈએ સંદેશને પ્રથમ કક્ષાનું પત્ર બનાવવાનો પડકાર ઝીલી લીધો. તેઓ ખૂબ હિંમતવાન, બુદ્ધિશાળી અને કાબેલ વ્યક્તિ હતા. શિસ્તપાલનના આગ્રહી હતા. કાર્યાલયમાં સૌપહેલાં આવે અને સૌથી છેલ્લા જાય. અમદાવાદનાં પત્રોમાં સૌપ્રથમ દૈનિકની સાથે દર રવિવારે વિશેષ વાંચન આપતી સાપ્તાહિક પૂર્તિ તેમણે શરૂ કરી.

ચીમનભાઈએ અનેક પ્રતિષ્ઠિત કટારલેખકોનો સાથ મેળવ્યો. ‘સંદેશ’ને સમાચારો અને માહિતીની દૃષ્ટિએ સમૃદ્ધ બનાવ્યું અને કુશળતાપૂર્વક તેનું સંચાલન કર્યું. તેમણે ‘સ્ત્રી’, ‘ધર્મસંદેશ’, ‘બાલસંદેશ’, ‘હેલ્થકેર’, ‘શૅરબજાર ગાઇડ’, ‘પંચાંગ’ વગેરે જેવાં અનેક પ્રકાશનો શરૂ કર્યાં. અમદાવાદ ઉપરાંત સૂરત, વડોદરા, રાજકોટ વગેરેની આવૃત્તિઓ પણ શરૂ કરી. તેમનાં પત્ની લીલાબહેન અને પુત્ર ફાલ્ગુનભાઈ પણ આ વ્યવસાયમાં જોડાયાં. ચીમનભાઈના કાર્યક્ષમ વહીવટ, અદ્યતન ટૅકનૉલૉજીનો ઉપયોગ તેમ જ સતત પરિવર્તનશીલ રહેવાની વૃત્તિને કારણે ‘સંદેશ’ પ્રગતિ કરતું રહ્યું અને તેનો બહોળો ફેલાવો થયો. ૭૮ વર્ષની વયે અમદાવાદમાં તેમનું અવસાન થયું.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મહાદેવ ગોવિંદ રાનડે

જ. ૧૮ જાન્યુઆરી, ૧૮૪૨ અ. ૧૭ જાન્યુઆરી, ૧૯૦૧

ખ્યાતનામ ધારાશાસ્ત્રી, આઝાદી માટેના આંદોલનના અગ્રણી મેવાળ નેતા અને સમાજસુધારક તરીકે જાણીતા મહાદેવ રાનડેના પિતા કોલ્હાપુર રિયાસના મંત્રી હતા. તેમની માતાનું નામ ગોપિકાબાઈ હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ નાશિકની ઍંગ્લોવર્નાક્યુલર શાળામાંથી પ્રાપ્ત કર્યું હતું. મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી તેઓ ૧૮૬૨માં સ્નાતક થયા હતા. ૧૮૬૪માં અનુસ્નાતક અને ૧૮૬૫માં તેમણે કાયદાશાસ્ત્રીની પદવી પણ હાંસલ કરી હતી. ૧૮૬૮માં તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા અને ઇતિહાસ, ભૂગોળ, અંગ્રેજી, ગણિત, તર્કશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર – એમ વિવિધ વિષયોનું અધ્યાપન કર્યું હતું. મહાદેવ રાનડે ૧૮૭૧માં બ્રિટિશ સરકારની જ્યુડિશિયલ સર્વિસમાં જોડાયા હતા અને ૧૮૭૩માં તેમને પ્રથમ વર્ગના ન્યાયાધીશ તરીકે બઢતી પણ મળી હતી. ૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના થતાં તેમાં પણ તેઓ સભ્ય તરીકે જોડાયા હતા. ત્યારબાદ તેઓ ૧૮૮૬માં ફાઇનાન્સ કમિશનના  સભ્યપદે અને ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરના પદ પર પણ નિમાયા હતા. ૧૮૯૩માં બઢતી પામી તેઓ મુંબઈની વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયા તે ઘટના જ સ્વયં બહુમાનરૂપ ગણાય તેવી સ્થિતિ હતી. ૧૮૯૬માં પુણે ખાતે ડેક્કન સભાની સ્થાપના કરવામાં પણ તેઓ અગ્રેસર હતા. ત્યારબાદ મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજમાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા હતી. જ્યાં તેમણે સમાજસુધારાની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. મહાદેવ રાનડે એકેશ્વરવાદી હોવાની સાથે વ્યાયામપ્રવૃત્તિને પણ ખૂબ જ મહત્ત્વ આપતા હતા. ૧૮૬૪થી ૧૮૭૧ દરમિયાન મુંબઈથી પ્રકાશિત થતા આંગ્લ-મરાઠી દૈનિક ‘ઇન્દુપ્રકાશ’ના અંગ્રેજી કૉલમના પણ તેઓ સંપાદક હતા. ‘સાર્વજનિક સભા રિપોર્ટ ઑન મટીરિયલ કન્ડિશન ઇન મહારાષ્ટ્ર’ (૧૮૭૨), ‘રેવન્યૂ મૅન્યુઅલ ઑફ ધ બ્રિટિશ એમ્પાયર ઇન ઇન્ડિયા’ (૧૮૭૭) અને ‘એસેઝ ઇન ઇન્ડિયન ઇકૉનૉમિક્સ’ (૧૮૭૯) તેમના અર્થતંત્રને આવરી લેતા નોંધપાત્ર ગ્રંથો છે.

અશ્વિન આણદાણી