Categories
વાચન સમૃદ્ધિ

દેનિસ દીદેરો

જ. ૫ ઑક્ટોબર, ૧૭૧૩ અ. ૩૧ જુલાઈ, ૧૭૮૪ ફ્રેન્ચ વિશ્વકોશકાર, નવલકથાકાર, નાટ્યકલાના મીમાંસક અને ફિલસૂફ. ૧૭૩૨માં એમ.એ.ની ઉપાધિ મેળવી પણ ૧૭૪૨ સુધીનો દસકો ગરીબાઈ અને મુશ્કેલીઓમાં પસાર થયો. ત્યારબાદ અંગ્રેજી ભાષાની જાણકારી મેળવી. ધર્મની બાબતમાં તેમનો અભિગમ જુનવાણી સમાજથી અલગ રહેતો અને ક્યારેક તેમના કઠોર અભિપ્રાયો આપતા તેથી જેલવાસ પણ ભોગવવો પડ્યો. ગુનાની કબૂલાત કરવાથી અને સારી વર્તણૂકની બાંયધરી આપવાથી કેટલાક સમયની સજા પૅરિસની નજીકમાં જ અટકમાં રહી ભોગવી. અહીં જ તેમણે વિશ્વકોશનું કામ શરૂ કર્યું. ૧૦૨ દિવસની કારાવાસની સજા ભોગવી તેઓ મુક્ત થયા. રશિયાની મહાન રાણી કૅથરિને તેમનાં પુસ્તકો ખરીદવાની તૈયારી બતાવી તેથી તેઓ પૅરિસથી સેંટ પિટર્સબર્ગ સુધીની મુસાફરી કરીને ગયા. રાણીએ કેટલાંક પુસ્તકો ખરીદ્યાં અને દીદેરોનું આર્થિક ઋણ હળવું થયું. ત્યારબાદ તેમની મૉસ્કોમાં ગ્રંથપાલ તરીકે પણ નિમણૂક કરવામાં આવી. તેમની ગણનાપાત્ર કૃતિઓમાં ‘ફિલૉસૉફિકલ થૉટ્સ’ (૧૭૪૬), ‘લેટર્સ ઑન ધ બ્લાઇન્ડ’ (૧૭૪૯ – જેમાં ધર્મવિષયે જુનવાણી માન્યતાઓ પર કુઠારાઘાત છે), ‘ઑન ધ ઇન્ટરપ્રિટેશન ઑવ્ નેચર’ (૧૭૫૪), ‘ધ ફાધર ઑવ્ ધ ફૅમિલી’ (૧૭૫૮ – જેમાં નાટક વિશેના તેમના મૌલિક વિચારો જોવા મળે છે. આ ઉપરાંત પણ ઘણી બધી રચનાઓ છે, પણ જેને કારણે તે અતિ પ્રતિષ્ઠા પામ્યા છે તેવી રચના ‘ધી ઍનસાઇક્લોપીદિ’ (૧૭૪૫-૧૭૭૨) લેખકની ઘણાં વર્ષોની મહેનતનું ફળ છે. તેનું મૂળ તો ‘ચેમ્બર્સ સાઇક્લોપીડિયા’(૧૭૨૮)માં છે પણ લેખકે તેમાં ઘણા સુધારાવધારા પણ કર્યા છે. અનેક લેખકોના સહકારથી આ વિશ્વકોશનું ભગીરથ કાર્ય તેમણે સિદ્ધ કર્યું હતું. જોકે પ્રકાશક લેબ્રેતોએ લેખકની જાણ બહાર કેટલાક વિવાદાસ્પદ ફકરાઓ રદ પણ કર્યા હતા. તેમ છતાં આજના વિશ્વકોશના વિકાસમાં આ ગ્રંથો મહત્ત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

મહેન્દ્ર પંડ્યા

જ. ૪ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૨૮ ઑગસ્ટ, ૨૦૧૫

ગુજરાતના જાણીતા શિલ્પકાર મહેન્દ્ર પંડ્યાનો જન્મ ભરૂચ જિલ્લાના રાજપીપળામાં થયો હતો. પિતાનું નામ ધીરજરામ તલાટી હતું. તેમનો ઉછેર કુદરતના સાન્નિધ્યમાં થયો હતો. શિલ્પ સાથે લગાવ હોવાથી મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં શિલ્પવિભાગમાં જોડાયા. ૧૯૫૫માં સ્નાતક અને ૧૯૫૮માં અનુસ્નાતક થયા. અહીં શંખો ચૌધરી અને પ્રદોષ દાસગુપ્તા તેમના શિક્ષક હતા, તેમના માર્ગદર્શન હેઠળ તેમની કળાકારીગરી ઔર ખીલી ઊઠી. અભ્યાસ પૂર્ણ થતાં તે જ યુનિવર્સિટીના શિલ્પવિભાગમાં તેઓ પ્રાધ્યાપક તરીકે જોડાઈ ગયા. કલાઅધ્યાપન સાથે તેમણે શિલ્પસર્જન પણ ચાલુ રાખ્યું. નવ સપ્તાહ યુરોપના પ્રવાસ દરમિયાન તેઓ વિખ્યાત શિલ્પકાર હેન્રી મૂરના મહેમાન બન્યા અને તેમને ત્યાં રહીને તેઓ શિલ્પકળા વિશે ઘણું બધું શીખ્યા. ૧૯૮૬માં તેઓ નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ તેમના કલાસર્જનમાં વેગ આવ્યો. ભારત સરકારની સિનિયર આર્ટિસ્ટ ફેલોશિપ તેમને મળી. ૧૯૮૯માં ભારત સરકારના માનવસંસાધન મંત્રાલય તરફથી તેમની કલાસૂઝ અને શિલ્પસર્જનને બિરદાવતી ‘આઉટસ્ટૅન્ડિંગ આર્ટિસ્ટ ફેલોશિપ’ મળી. દેશવિદેશમાં તેમનાં અનેક વ્યક્તિગત પ્રદર્શનો યોજાયાં. ભારતમાં આધુનિક શિલ્પોને સ્થાન અપાવવામાં મહેન્દ્ર પંડ્યાનો મહત્ત્વનો ફાળો રહેલો છે.

પથ્થર અને લાકડામાંથી બનાવેલાં તેમનાં શિલ્પોમાં વિવિધ પ્રકારની સપાટીઓ જોવા મળે છે. જેમ કે, ખરબચડી, પ્રતિબિંબ જોઈ શકાય તેવી સ્નિગ્ધ-સુંવાળી, આડાઊભા ઘસરકા મારીને રચેલી જાળી જેવી ભાતવાળી. તેઓ પથ્થર અને કાષ્ઠ ઉપરાંત કાચ, ખીલા, પતંગ, જૂનો કાટમાળ, ફાઇબર ગ્લાસ, પ્લાસ્ટિક જેવા પદાર્થોમાંથી પણ શિલ્પકૃતિઓ બનાવતા. ઘરના દરવાજા ઉપરની કોતરણી હોય કે પછી વડોદરા નગરમાં રસ્તાઓ પર આરસ, સિરામિક ટાઇલ્સ અને સિમેન્ટ વડે સર્જેલા ફુવારાઓ હોય. મહેન્દ્ર પંડ્યાની કલાકારીગરી અનોખી તરી આવતી. તેમની કૃતિઓ દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, લલિતકલા અકાદમી તથા ગુજરાત રાજ્યની લલિતકલા અકાદમીના સંગ્રહોમાં સ્થાન પામી છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

ઍલેકઝાન્ડર મૅકમિલન

જ. ૩ ઑક્ટોબર, ૧૮૧૮ અ. ૨૬ જાન્યુઆરી, ૧૮૯૬

તેઓ  સ્કૉટલૅન્ડના પુસ્તક-વિક્રેતા અને પ્રકાશક હતા. તેમના મોટા ભાઈ ડેનિયલ સાથે મળીને તેઓએ ‘મૅકમિલન ઍન્ડ કંપની’ નામની મોટી પ્રકાશન-સંસ્થાનો વિકાસ કર્યો હતો. જેમાં પાઠ્યપુસ્તકો, વૈજ્ઞાનિક જર્નલ, વૈજ્ઞાનિક ગ્રંથો, સાહિત્યિક કૃતિઓ તથા ઉચ્ચ કોટિનાં સામયિકોનાં વિવિધસર પ્રકાશન કર્યાં હતાં. મૅકમિલન બંધુઓએ કેમ્બ્રિજમાં પુસ્તકો વેચવાની દુકાનથી શરૂઆત કરી, જેને સફળતા મળતાં જ તેઓએ પ્રકાશનમાં ઝંપલાવ્યું અને તે ક્ષેત્રમાં હરણફાળ ભરી. ઈ. સ. ૧૮૪૪માં પાઠ્યપુસ્તકોના પ્રકાશનનો પ્રારંભ કર્યો અને ૧૮૫૫ની સાલમાં પ્રથમ નવલકથા ચાર્લ્સ કિંગ્ઝલીની ‘વેસ્ટવર્ડ હો’નું પ્રકાશન કર્યું, જે સૌથી વધુ વેચાણપાત્ર બની. ત્યારબાદ તેમણે થોમસ હ્યુસની ‘ટૉમ બ્રાઉન્સ સ્કૂલ ડેઝ’(૧૮૫૭) પુસ્તકની સતત પાંચ આવૃત્તિ પ્રકાશિત થઈ.

૧૮૫૭માં ભાઈ ડેનિયલના અવસાન સમયે પુસ્તક વેચવાની દુકાન નાની હતી અને પ્રકાશન-કૅટલૉગમાં વર્ષનાં ૪૦ પુસ્તકોની યાદી હતી. ઍલેક્ઝાન્ડરે ખૂબ પુરુષાર્થ કરી પછીનાં ૩૨ વર્ષો દરમિયાન આ ગ્રંથસૂચિમાં વર્ષનાં કુલ ૧૫૦ પુસ્તકો પ્રકાશન ધોરણે ઉમેર્યાં. તેમણે ‘મૅકમિલન્સ મૅગેઝિન’ નામક સાહિત્યિક સામયિક અને ‘નેચર’ (૧૮૬૯) નામથી અગ્રણી વૈજ્ઞાનિક સામયિક શરૂ કર્યાં. તેમણે કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ભારતમાં પોતાની પ્રવૃત્તિઓ વિસ્તારી. આ પ્રકાશનગૃહે ટેનિસન, હકસ્લી, લૂઈ કૅરોલ, રડ્યાર્ડ કિપ્લિંગ તથા યેટ્સ જેવા મહત્ત્વના લેખકોની કૃતિઓ પ્રગટ કરી.

અંજના ભગવતી