Categories
વાચન સમૃદ્ધિ

દલસુખ પંચોલી

જ. ૭ ડિસેમ્બર, ૧૯૦૬ અ. ૨૦ ઑક્ટોબર, ૧૯૫૯

ભારતીય ફિલ્મનિર્માતા, વિતરક અને પ્રદર્શક દલસુખ પંચોલીનો જન્મ કરાંચીમાં થયો હતો. તેમના કુટુંબનું મૂળ વતન ગુજરાતનું હળવદ. તેમના પિતા લાહોરમાં ફિલ્મવિતરક હતા. પંચોલીને નાનપણથી જ ફિલ્મો પ્રત્યેનું આકર્ષણ હતું. યુવાન વયે તેઓ પણ પિતાના આ વ્યવસાયમાં સક્રિય બન્યા હતા. તે સમયે લાહોરના ફિલ્મનિર્માતાઓમાંથી દલસુખ પંચોલી જ એવા નિર્માતા હતા જેમણે સૌપ્રથમ નૂરજહાંને ‘ગુલ બકાવલી’ ફિલ્મમાં બાળકલાકાર તરીકે રજૂ કરી. લાહોરમાં અનેક ફિલ્મો કરીને તેમણે લોકોની પ્રશંસા અને ખ્યાતિ મેળવ્યાં. ભારતના ૧૯૪૭ના વિભાજન દરમિયાન તેમને પોતાનો વિશાળ સ્ટુડિયો છોડીને મુંબઈ આવી જવું પડ્યું. મુંબઈ આવીને કેટલોક સમય સંઘર્ષ કર્યા બાદ પણ તેમણે કેટલીક યાદગાર ફિલ્મો કરી. તેમના મોટા ભાઈ પણ આ વ્યવસાયમાં જોડાયા હતા. ફિલ્મોનાં નિર્માણ અને વિતરણમાં અગ્રેસર મનાતા દલસુખ પંચોલીએ લાહોરમાં વિશાળ ‘ઍમ્પાયર ટૉકી ડિસ્ટ્રિબ્યૂટર્સ’ની સ્થાપના કરી હતી. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં અમેરિકી ફિલ્મોના તેઓ સૌથી મોટા આયાતકાર હતા. ભારતના વિભાજન સમયે પંચોલીનો ‘પંચોલી આર્ટ પિક્સ’ નામે લાહોરનો સૌથી મોટો સ્ટુડિયો હતો. અહીં તેમણે અનેક યુવકો અને યુવતીઓને અભિનેતા તથા અભિનેત્રી બનવાની તક આપી. ૧૯૫૪-૫૫માં તેઓ મુંબઈમાં ‘ઇન્ડિયન મોશન પિકચર્સ પ્રોડ્યુસર્સ ઍસોસિયેશન(IMPPA)ના અધ્યક્ષ હતા. તેમને સૌપ્રથમ પંજાબી ફિલ્મ બનાવવા બદલ પણ ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. તેમણે કરેલી કેટલીક જાણીતી ફિલ્મોમાં ‘સોહની મહિવાલ’ (૧૯૩૯), ‘યમલા જટ્ટ’ (૧૯૪૦), ‘ચૌધરી’, ‘ખજાંચી’ (૧૯૪૧), ‘જમીનદાર’ (૧૯૪૨), ‘મીનાબાઝાર’ (૧૯૫૦), ‘નગીના’ (૧૯૫૧), ‘આસમાન’ (૧૯૫૫), ‘લુટેરા’(૧૯૫૮) વગેરેનો સમાવેશ થાય છે.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

નારાયણ વામન ટિળક

જ. ૬ ડિસેમ્બર, ૧૮૬૧ અ. ૯ મે, ૧૯૧૯

બ્રિટિશ રાજના સમયમાં તેઓએ ચિતવન બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોવા છતાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો. તેઓ પ્રસિદ્ધ મરાઠી કવિ હતા.

તેઓ લોકમાન્ય ટિકળના નજીકના સગા હતા. નારાયણ ટિળકે ભારતમાં જ અભ્યાસ કરેલો. માતાનો ધર્મ અને કવિતાનો પ્રેમ તેઓને વારસામાં મળેલા. ૧૧ વર્ષની વયે તેઓએ માતા ગુમાવી હતી, ત્યારથી તેમના જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું. તેમના પિતાનો સ્વભાવ ખૂબ કઠોર હતો. તેઓએ વાંચન કરી, ઊંડું વિચારીને ભારતની પ્રજા વિશે બ્રિટિશ રાજમાં થતી મુશ્કેલીઓ માટે વિમર્શ કર્યો હતો. તેમની પત્નીનું નામ લક્ષ્મી હતું.

તેઓના મનમાં દેશસેવા અને ખાસ કરીને સ્ત્રીઓનો શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રમાં વિકાસ થાય તેવી ભાવના હતી. તે માટે તેઓ પદયાત્રા કરવા માટે નીકળી પડ્યા. તે સમયે મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ શિક્ષણથી વંચિત રહેતી હતી, ભારતીય સમાજમાં બાળલગ્ન, બાળવિધવા અને નાતજાતનાં બંધનનો ભોગ સ્ત્રીઓ બનતી. આ સમસ્યાનો ઉકેલ શોધવા તેઓ ધર્મ તરફ વળ્યા. બૌદ્ધ, જૈન તથા ઇસ્લામ ધર્મમાં તેનું સમાધાન ન મળતાં છેવટે ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા. ૧૮૯૫માં તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. લાંબા ગાળે તેમની પત્નીએ પણ એ ધર્મ સ્વીકાર્યો. ટિળકે ઘણી કવિતા  અને પ્રાર્થનાની રચના કરી. ધીમે ધીમે ટિળક ખ્રિસ્તી ધર્મમાં ઊંડા ઊતરતા ગયા. પાછલાં વર્ષોમાં તેઓએ ઈસુ ખ્રિસ્તનું જીવન મરાઠી ભાષામાં લખવાનો આરંભ કર્યો પણ તે પૂરું કરે તે પહેલાં એમનું અવસાન થયું.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

શેખ  અબ્દુલ્લા

જ. ૫ ડિસેમ્બર, ૧૯૦૫ અ. ૮ સપ્ટેમ્બર, ૧૯૮૨

કાશ્મીરના પ્રસિદ્ધ નેતા શેખ અબ્દુલ્લાનો જન્મ શ્રીનગર પાસે સૌરા ગામમાં થયો હતો. ‘શેરે કાશ્મીર’ તરીકેની ખ્યાતિ ધરાવતા શેખ અબ્દુલ્લાએ તેમની આત્મકથા ‘આતિશે ચિનાર’માં જણાવ્યા મુજબ તેમના પરદાદા હિંદુ બ્રાહ્મણ હતા અને એક સૂફી સંતથી પ્રભાવિત થઈ તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. તેમનાં ધર્મચુસ્ત માતાના વિચારોની અસર બાળપણથી જ તેમનામાં પડેલી. શ્રીનગરમાં મૅટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ કૉલેજશિક્ષણ જમ્મુ, લાહોર અને અલીગઢમાં લીધું. એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ શિક્ષણનો વ્યવસાય સ્વીકાર્યો, પરંતુ તેમની રાજકીય પ્રવૃત્તિઓને કારણે તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા. રાજકારણમાં પ્રવેશ્યા બાદ ગાંધીજી, જવાહરલાલ, મૌલાના આઝાદ, અલીભાઈઓ વગેરેના વિચારોની અસર તેમના પર પડી. તેઓ પ્રખ્યાત ઉર્દૂ શાયર ઇકબાલનાં લખાણોથી પણ પ્રભાવિત હતા. સ્વતંત્રતા માટેના ભારતના સંઘર્ષમાં શેખ અબ્દુલ્લાનો મહત્ત્વનો ફાળો હતો. સરકારી વહીવટી તંત્રમાં મુસ્લિમોને વધુ પ્રતિનિધિત્વ મળે તે માટે ૧૯૩૦માં ‘યંગમૅન્સ મુસ્લિમ ઍસોસિયેશન’ની સ્થાપના કરી હતી, જે સમય જતાં ‘નૅશનલ કૉન્ફરન્સ’ તરીકે જાણીતી થઈ. તેઓ લાંબા સમય માટે આ સંસ્થાના પ્રમુખ હતા. ૧૯૪૮માં તેઓ કાશ્મીરના વડાપ્રધાન થયા. ૧૯૪૯માં બંધારણ સભાના સભ્ય બન્યા. ત્યારબાદ તેમણે કાશ્મીરને ભારતથી સ્વતંત્ર કરવા માટેના પ્રયાસો કરતાં તેમને વડાપ્રધાનપદેથી બરતરફ કરવામાં આવ્યા. ૧૯૫૩માં તેમની ધરપકડ કરવામાં આવી. ત્યાર પછી તેમની અવારનવાર ધરપકડ થઈ અને છોડવામાં આવ્યા. આશરે ૧૧ વર્ષ તેમણે જેલવાસ (૧૯૫૩-૧૯૬૪) ભોગવ્યો. ૧૯૭૫માં ભારત તરફી નીતિ અપનાવતાં ફરી કાશ્મીરના મુખ્યમંત્રી બનવાની તક સાંપડી. તેમના અવસાન બાદ તેમના પુત્ર ફારુક અબ્દુલ્લા કેટલાક સમય માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા અને હાલમાં તેમના પૌત્ર ઉમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે સક્રિય છે. તેમની આત્મકથા ‘આતિશે ચિનાર’ માટે તેમને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર(ઉર્દૂ)થી સન્માનિત (મરણોત્તર) કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ