Categories
વાચન સમૃદ્ધિ

નૃસિંહ ગુરુ

જ. ૨૪ માર્ચ, ૧૯૦૨ અ. ૨ જાન્યુઆરી, ૧૯૮૪

‘પશ્ચિમ ઓડિશાના ગાંધી’ તરીકે જાણીતા નૃસિંહ ગુરુનો જન્મ સંબલપુરના ગુરુપાલી ગામમાં થયો હતો. તેઓ સમર્પિત દેશભક્ત અને સ્વાતંત્ર્યસેનાની હતા. ૧૯૨૧માં જ્યારે તેઓ ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે અસહકાર આંદોલનમાં જોડાઈ ગયા. તેમણે જ્યાં સુધી ભારતને આઝાદી ન મળે ત્યાં સુધી સરકારી શાળામાં અભ્યાસ ન કરવાનો નિર્ણય મિત્રો સાથે મળીને લીધો. તે સમયે સમગ્ર દેશમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના હતી. આ વાત સમાચારપત્રોમાં છપાતાં ઘણા રાષ્ટ્રીય નેતાઓ તેનાથી પ્રભાવિત થયા અને તેમનું મનોબળ વધારવામાં મદદ કરી. તેમણે પોતાની કારકિર્દી ત્યાગી, સમગ્ર તાકાત સ્વતંત્રતાસંગ્રામને આગળ ધપાવવામાં લગાડી દીધી. તેમણે ઘેર ઘેર જઈને ખાદીનો અને અસ્પૃશ્યતાનિવારણનો પ્રચાર કર્યો. તેમણે શરાબ અને અફીણ વિરોધી અભિયાનનું નેતૃત્વ કર્યું. ચંદ્રશેખર બેહરા દ્વારા સ્થાપિત ‘હરિજન સેવક સંઘ’ના તેઓ સચિવ હતા અને સંબલપુરના હરિજન છાત્રાવાસની દેખભાળ કરતા હતા. ૧૯૪૨માં તેમની ભારતરક્ષા અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી અને તેમના પર ખોટો મુકદ્દમો ચલાવવામાં આવ્યો. તે પછી તેમને છોડવામાં આવ્યા. ફરી તેમની ધરપકડ કરી. ૧૯૪૪ સુધી જેલમાં રાખવામાં આવ્યા. સ્વતંત્રતા બાદ તેઓ રાજનીતિક ગતિવિધિઓથી અલિપ્ત થઈ ગયા અને પત્રકારત્વક્ષેત્રે સક્રિય બન્યા. તેમણે આર્થિક લાભ ખાતર નહીં, પરંતુ રાષ્ટ્રની સેવાના માધ્યમ તરીકે આ વ્યવસાય સ્વીકાર્યો. તેમણે ‘સમાજ’ અખબારને પશ્ચિમ ઓડિશામાં આમજનતાનું અખબાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેમને ઍસોશિએટેડ પ્રેસ ઑવ્ ઇન્ડિયાના રિપોર્ટર તરીકેની નિયુક્તિ મળી હતી. થોડા સમય માટે તેમણે સંબલપુરથી પ્રકાશિત સાપ્તાહિક ‘જાગરણ’ના સંપાદક તરીકે કામ કર્યું. વાસ્તવમાં ગાંધીવાદી સિદ્ધાંતોના પ્રત્યક્ષ અવતાર સમા નૃસિંહ ગુરુ સાચા અર્થમાં ‘પશ્ચિમ ઓડિશાના ગાંધી’ કહેવાયા છે તે યથાર્થ છે.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

રામમનોહર લોહિયા

જ. ૨૩ માર્ચ, ૧૯૧૦ અ. ૧૨ ઑક્ટોબર, ૧૯૬૭

ભારતના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી ચિંતક, પ્રથમ કક્ષાના રાજકારણી અને સાંસદ તથા પ્રજાકીય આંદોલનના અગ્રણી રામમનોહરનો જન્મ ફૈઝાબાદ, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેમના પૂર્વજોનો વ્યવસાય લોખંડનો હતો, આથી તેઓની અટક લોહિયા પડી. બાળપણમાં માતા ગુજરી જતાં દાદીએ તેમનો ઉછેર કર્યો. અભ્યાસમાં તેઓ ખૂબ તેજસ્વી હતા, શાળામાંથી જ તેઓ ગાંધીજીના પ્રભાવ હેઠળ આવ્યા. ભારતમાં અંગ્રેજી વિષય સાથે કલકત્તા યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી. ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા અને ૧૯૩૨માં અર્થશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટ પદવી મેળવી. ત્યારબાદ રાજકારણમાં ભાગ લીધો. ૧૯૩૪માં પટના ખાતે સમાજવાદી પાર્ટીની સ્થાપનાનો નિર્ણય લેવાયો, જેમાં તેઓએ સક્રિય ભાગ લીધો. રાજકીય પરિષદના પ્રમુખપદે ચૂંટાયા. ૧૯૩૬માં જવાહરલાલ નહેરુ દ્વારા તેમની વરણી કૉંગ્રેસ સમિતિના વિદેશ સચિવ તરીકે થઈ. બે વર્ષ બાદ તેઓ આ પદેથી મુક્ત થયા. ૧૯૪૦ની સાલમાં યુદ્ધ વિરોધી ભાષણ કરવા બદલ તેમને બે વર્ષ માટે જેલ થઈ. ગાંધીજીએ શરૂ કરેલ ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું, તેમાં લોહિયાએ ગુપ્ત રીતે વિદ્રોહને સંગઠિત કરવાનું કાર્ય કર્યું હતું, તે બદલ તેઓએ જેલવાસ ભોગવ્યો હતો. ૧૯૩૮માં કૉંગ્રેસ પક્ષ છોડ્યા બાદ લોહિયા કૉંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી સાથે જોડાયા. ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં તેમણે કનોજ લોકસભાક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું. ૫૭ વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના નામથી ફૈઝાબાદમાં લોહિયા યુનિવર્સિટી, લખનઉમાં રામમનોહર લોહિયા નૅશનલ લૉ યુનિવર્સિટી, નવી દિલ્હીમાં વિલિંગટન હૉસ્પિટલ ૧૯૭૦થી રામમનોહર લોહિયા હૉસ્પિટલ તરીકે ઓળખાય છે. લખનઉમાં આવેલ મેડિકલ કૉલેજ ડૉ. રામમનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ તરીકે ઓળખાય છે. ૧૯૭૭માં ભારત સરકારે તેમની સ્મૃતિમાં ટપાલટિકિટ બહાર પાડી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

એન્થની વાન ડાઇક

જ. ૨૨ માર્ચ, ૧૫૯૯ અ. ૯ ડિસેમ્બર, ૧૬૪૧

સર એન્થની વાન ડાઇક એક લેમિશ બારોક ચિત્રકાર હતા; જે સ્પેન, નેધરલૅન્ડ્સ અને ઇટાલીમાં સફળતા પ્રાપ્ત કર્યા પછી ઇંગ્લૅન્ડમાં ટોચના પૉર્ટ્રેટ ચિત્રકાર બન્યા હતા. તેમના પિતા એન્ટવર્પમાં રેશમના એક શ્રીમંત  વેપારી હતા. તેઓ પિતાનાં ૧૨ સંતાનોમાંનું સાતમું સંતાન હતા અને તેમણે નાનપણથી જ ચિત્રકામ શરૂ કર્યું હતું. કિશોરાવસ્થાના અંતમાં તેઓ સ્વતંત્ર ચિત્રકાર તરીકે સફળ થયા હતા. એન્થની વાન ડાઇક ૧૮ ઑક્ટોબર, ૧૬૧૭ના રોજ એન્ટવર્પ ગિલ્ડમાં માસ્ટર બન્યા હતા. તે સમયના અગ્રણી ચિત્રકાર પીટર પોલ રુબેન્સના સ્ટુડિયોમાં તેઓ કામ કરતા હતા, જેમનો એમની ચિત્રકલા પર મોટો પ્રભાવ પડ્યો હતો. ૧૬૨૦ના દાયકાના અંતમાં પ્રખ્યાત સમકાલીન લોકોનાં પૉર્ટ્રેટ ચીતરવાની તેમની કલા ખૂબ જ પ્રશંસા પામેલી આઇકોનોગ્રાફી શ્રેણી તેમણે પૂર્ણ કરી હતી. ૧૬૩૦થી ફ્લેન્ડર્સના હેબ્સબર્ગ ગવર્નર આર્ચડચેસ ઇસાબેલા માટે તેમણે કોર્ટ ચિત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. ૧૬૩૨માં ઇંગ્લૅન્ડના ચાર્લ્સ પ્રથમની વિનંતીને માન આપીને મુખ્ય દરબારી ચિત્રકાર તરીકે લંડન પાછા ફર્યા હતા. હોબ્લીન સિવાય વાન ડાઇક અને તેમના સમકાલીન ડિએગો વેલાઝક્વેઝ એવા પ્રથમ પંક્તિના ચિત્રકારો હતા જેમણે મુખ્યત્વે કોર્ટ પૉર્ટ્રેટિસ્ટ તરીકે કામ કર્યું હતું, જેનાથી એ શૈલીમાં મોટી ક્રાંતિ આવી હતી. વાન ડાઇક કુલીન વર્ગનાં ચિત્રો માટે જાણીતા છે. ૧૫૦ વર્ષથી વધુ સમય સુધી અંગ્રેજી પૉર્ટ્રેટ-પેઇન્ટિંગ પર તેમનો પ્રભાવ રહ્યો હતો. તેમણે પૌરાણિક, રૂપકાત્મક અને બાઇબલના વિષયો પર પણ ચિત્રો દોર્યાં હતાં. એન્થની વાન ડાઇકનો પ્રભાવ આધુનિક સમયગાળા સુધી વિસ્તરે છે. હાલમાં પ્રચલિત વાન ડાઇક દાઢીનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમના જીવનકાળ દરમિયાન ચાર્લ્સ પ્રથમે તેમને ‘નાઇટહુડ’નો ઇલકાબ આપ્યો હતો.

અશ્વિન આણદાણી