Categories
વાચન સમૃદ્ધિ

બિસ્મિલ્લાખાં

જ. ૨૧ માર્ચ, ૧૯૧૬ અ. ૨૧ ઑગસ્ટ, ૨૦૦૬

વિશ્વવિખ્યાત શરણાઈવાદક બિસ્મિલ્લાખાંનો જન્મ ડુમરાંવ, બિહારમાં પયગંબરબક્ષખાં અને મિઠ્ઠનબાઈને ત્યાં થયો હતો. જન્મ વખતનું તેમનું નામ કમરૂદ્દીન હતું. તેમના દાદા રસૂલબક્ષખાંએ નવજાત બાળકને જોઈ ‘બિસ્મિલ્લાહ’ એવો ઉદગાર કાઢ્યો અને ત્યારથી તેઓ બિસ્મિલ્લાખાં તરીકે ઓળખાવા માંડ્યા. તેમના દાદા રસૂલબક્ષ તથા પરદાદા ભોજપુર દરબારમાં શરણાઈવાદક હતા. પિતા ઉસ્તાદ પયગંબરબક્ષ પણ સારા સંગીતકાર હતા. બિસ્મિલ્લાખાંએ શરણાઈવાદનની તાલીમ છ વર્ષની ઉંમરથી તેમના મામા ઉસ્તાદ અલીબક્ષ પાસેથી લેવાની શરૂઆત કરી હતી. અલીબક્ષ વારાણસીના કાશીવિશ્વનાથ મંદિરમાં શરણાઈ વગાડતા હતા. બિસ્મિલ્લાખાંએ શરણાઈવાદનની સાથે સાથે એહમદહુસેનખાં પાસેથી શાસ્ત્રીય કંઠ્ય સંગીતની અને હાર્મોનિયમની તાલીમ લક્ષ્મણપ્રસાદ તથા ગ્વાલિયરના ગણપતરાવ ભૈયા પાસેથી મેળવી. મામાની સાથે નાની ઉંમરથી જ અનેક સંગીતસંમેલનમાં હાજર રહેવાની તેમને તક મળી. સખત રિયાઝને પરિણામે આશરે ૧૬ વર્ષની નાની વયે તો તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં કુશળ કલાકાર તરીકે ઓળખાવા લાગ્યા. પ્રયાગ સંગીત વિદ્યાલયના સંગીતસમારોહમાં શરણાઈ વગાડવા માટે તેમને સુવર્ણચંદ્રક મળ્યો અને ત્યારથી તેમને ખૂબ પ્રસિદ્ધિ મળતી ગઈ અને તેઓ ઉસ્તાદ બિસ્મિલ્લાખાં તરીકે જાણીતા થયા. ૧૯૪૭, ૧૫મી ઑગસ્ટે જ્યારે ભારતનો રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા ઉપરથી ફરકાવવામાં આવ્યો ત્યારે શરણાઈના સૂર રેલાવા બિસ્મિલ્લાખાંને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ૧૯૫૬માં શરણાઈવાદન માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવેલા. તેમણે અમેરિકા, સોવિયેત સંઘ, સાઉદી અરેબિયા તથા ઇરાક જેવા દેશોની યાત્રા કરી હતી અને અપૂર્વ ચાહના મેળવી હતી. આકાશવાણી ઉપરથી પણ તેમના અનેક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવ્યા છે. તેમને મળેલા પુરસ્કારોમાં ‘સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ’ (૧૯૫૬), ‘પદ્મશ્રી’ (૧૯૬૧), ‘પદ્મભૂષણ’ (૧૯૬૮), ‘પદ્મવિભૂષણ’ (૧૯૮૦) અને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારત રત્ન’(૨૦૦૧)નો સમાવેશ થાય છે. તેમના મૃત્યુના દિવસે ભારત સરકારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

કર્નલ જેમ્સ ટૉડ

જ. ૨૦ માર્ચ, ૧૭૮૨ અ. ૧૮ નવેમ્બર, ૧૮૩૫

બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક અધિકારી. સ્કૉટલૅન્ડના ઇસ્લિંગટનમાં જન્મેલા જેમ્સ ટૉડને માત્ર સત્તર વર્ષની ઉંમરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નિયુક્તિ મળી. ૧૮૧૩માં તેમને કૅપ્ટનના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. ૧૮૧૮થી ૧૮૨૨ સુધી તેઓ પશ્ચિમી રાજપૂતાનાના પોલિટિકલ એજન્ટ તરીકે કાર્યરત રહ્યા. તેમણે રાજપૂત રાજ્યોમાં શાંતિ સ્થાપીને લોકોમાં વિશ્વાસ પેદા કર્યો. પરિણામ સ્વરૂપે માત્ર એક જ વર્ષમાં અગાઉ ખાલી થયેલાં ૩૦૦ જેટલાં કસબા અને ગામોમાં લોકો પાછા ફર્યા અને વેપારરોજગાર શરૂ થયો. તેમણે તેમના વહીવટનાં પાંચ વર્ષ દરમિયાન લોકોની ખૂબ ચાહના મેળવી. બ્રિટિશ રાજના રાજપ્રતિનિધિ તરીકે તેમનું યોગદાન ખૂબ ઉલ્લેખનીય રહ્યું. તેમની નિમણૂક દરમિયાન જ્યારે તેઓ પહેલી વાર ઉદયપુર ગયા ત્યારે રાજપૂતાના અને તેના આસપાસના પ્રદેશોના ટોપોગ્રાફિકલ નકશા તૈયાર કર્યા અને રાજપૂતાના પર નવો ઇતિહાસ-ગ્રંથ લખી ઇતિહાસનું પુનર્લેખન કરવાનું નક્કી કર્યું. ૧૮૧૯માં જોધપુર પહોંચી તેમણે પુરાતત્ત્વ પર ગહન શોધકાર્ય કર્યું. તેમણે ઘણી મુદ્રાઓ તથા અભિલેખોનો સંગ્રહ કર્યો જે ઇતિહાસલેખનમાં અત્યંત ઉપયોગી સાબિત થયો. ત્યારબાદ અજમેર, પુષ્કર, જયપુર, સીકર, ઝૂંઝનૂ, પાલી, મેડતા આદિ જગ્યાઓએ રહી ગ્રંથ માટે આધારસામગ્રી ભેગી કરી. આમ અથાગ મહેનત બાદ ૧૪ જાન્યુઆરી, ૧૮૨૩માં તેમણે ‘ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા’ કૃતિ પ્રકાશિત કરી. ૧૮૨૯માં ઇંગ્લૅન્ડ પાછા ફર્યા બાદ તેમની સુવિખ્યાત રચના ‘એનલ્ઝ ઍન્ડ ઍન્ટિક્વિટીઝ ઑફ રાજસ્થાન ઑફ ધ સેન્ટ્રલ ઍન્ડ વેસ્ટર્ન રાજપૂત સ્ટેટ્સ ઑફ ઇન્ડિયા’નો પ્રથમ ભાગ તથા ૧૮૩૪માં બીજો ભાગ પ્રકાશિત થયો. તેમની રચનામાં સર્વપ્રથમ વાર ‘રાજસ્થાન’ શબ્દનો પ્રયોગ થયો. તેમને રાજસ્થાનના ઇતિહાસ-લેખનના પિતામહ માનવામાં આવે છે. તેમનું નામ અને કામ ઇતિહાસ અને યાત્રા-સાહિત્યમાં બહુ આદર સાથે લેવાય છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

ડાહ્યાભાઈ ધોળશાજી

જ. ૧૯ માર્ચ, ૧૮૬૭ અ. ૩૦ એપ્રિલ, ૧૯૦૨

ગુજરાતી નાટ્યકાર તરીકે જાણીતા ડાહ્યાભાઈ ધોળશાજીની અટક ઝવેરી હતી. તેમનું તખલ્લુસ ‘નવીન’ હતું. તેમનો જન્મ અમદાવાદમાં જૈન ઓસવાળ જ્ઞાતિના એક શ્રીમંત કુટુંબમાં થયો હતો. તેમણે ૧૮૮૫માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં દાખલ થયા હતા, પરંતુ એક વર્ષ બાદ તેમણે અભ્યાસ છોડી દીધો હતો. ડાહ્યાભાઈ ધોળશાજીનું ગુજરાતી નાટકક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન છે. તેમણે ધના દેસાઈ અને ધમલા માળી જેવાં હાસ્યપોષક ખલપાત્રો(comic villains)નું સર્જન કર્યું હતું. નાટકોમાં તેમણે લોકગીતો અને લોકકથાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો. રંગમંચ ઉપર સચોટ સંવાદ લખવાની પ્રથા, ગીતોની આકર્ષક તરજો બાંધવાની, યુગલગીતો મૂકવાની તેમજ ‘ટૅબ્લો’ ગોઠવવાની પ્રથા તેમણે શરૂ કરી હતી. ૧૮૮૯માં કવિ કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુંતલમ્’ નાટકના અનુવાદથી તેમની સાહિત્યસર્જનની યાત્રા શરૂ થઈ હતી. તેમનાં નાટકોમાં મનુષ્યજીવનનાં સુખો અને દુ:ખો જેવાં સંવેદનોની છાયાઓની સાથોસાથ સદાચાર અને નીતિબોધ પણ વણાયેલા છે. ‘શાકુન્તલ’ બાદ ‘સતી સંયુક્તા, ‘સુભદ્રાહરણ’, ‘ભોજરાજ’, ‘ઉર્વશી અપ્સરા’, ‘વીર વિક્રમાદિત્ય’, ‘રામરાજ્યવિયોગ, ‘સતી પાર્વતી’, ‘ભગતરાજ’, ‘કેશર-કિશોર’, ‘મ્યુનિસિપલ ઇલેક્શન, ‘અશ્રુમતી’, ‘સરદારબા’, ‘ઉમાદેવડી’, ‘તારાસુંદરી’, ‘વીણા-વેલી’, ‘વિજયાવિજય’, ‘ઉદયભાણ’ અને ‘મોહિનીચંદ્ર’ જેવાં ૨૦થી વધુ નાટકો પ્રાપ્ત થાય છે. ‘વિજય-કમળા નાટકનો એક અંક ડાહ્યાભાઈએ અને બીજો અંક છોટાલાલ ઋષભદેવ શર્માએ ડાહ્યાભાઈના અવસાન બાદ ૧૯૦૪માં લખ્યો હતો.

અશ્વિન આણદાણી