Categories
વાચન સમૃદ્ધિ

નગેન્દ્ર સિંહ

જ. ૧૮ માર્ચ, ૧૯૧૪ અ. ૧૧ ડિસેમ્બર, ૧૯૮૮

ભારતીય વકીલ અને પ્રશાસક નગેન્દ્ર સિંહનો જન્મ ડુંગરપુર, રાજસ્થાનમાં રાજપૂત સિસોદિયા રાજપરિવારમાં થયો હતો. ૧૯૮૫થી ૧૯૮૮ સુધી તેમણે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના અધ્યક્ષ તરીકે કામ કર્યું. તેઓએ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના પ્રથમ ભારતીય અધ્યક્ષ તરીકે પોતાની ઓળખ બનાવી. તેમના પિતા વિજય સિંહ ડુંગરપુર રિયાસતના રાજા હતા. માતાનું નામ દેવેન્દ્રકુંવરબા. મોટા ભાઈ લક્ષ્મણ સિંહ ડુંગરપુરના અંતિમ રાજા હતા. સિવિલ સેવામાં જોડાતાં પહેલાં નગેન્દ્ર સિંહે સેન્ટ જોન્સ કૉલેજ કેમ્બ્રિજમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ ભારતીય સિવિલ સેવામાં કાર્યરત બન્યા અને પૂર્વી રાજ્યોના ક્ષેત્રીય આયુક્ત બન્યા અને ભારતની સંવિધાન સભાના સભ્ય બન્યા. તેઓ ભારતના રક્ષામંત્રાલયના સંયુક્ત સચિવ તરીકે પરિવહન મહાનિર્દેશક તરીકે તથા સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં વિશેષ સચિવ તરીકે સક્રિય હતા. ૧૯૬૬થી ૧૯૭૨ સુધી તેઓ ભારતના રાષ્ટ્રપતિના સચિવ હતા. તે પછી ૧ ઑક્ટોબર, ૧૯૭૨થી ૬ ફેબ્રુઆરી, ૧૯૭૩ સુધી ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી (કમિશનર) રહ્યા. ૧૯૬૬, ૧૯૬૯ અને ૧૯૭૫માં મળીને ત્રણ વખત તેમને સંયુક્ત રાષ્ટ્રસભામાં ભારતના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ૧૯૬૭થી ૧૯૭૨ સુધી ખંડસમય માટે સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય વિધિ આયોગમાં કામ કર્યું. તેમને આંતરરાષ્ટ્રીય બાર ઍસોસિયેશનમાં સચિવ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૯૭૩માં તેઓ નેધરલૅન્ડના હેગમાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે ગયા અને ફેબ્રુઆરી, ૧૯૮૫થી ફેબ્રુઆરી, ૧૯૮૮ સુધી ત્યાં અધ્યક્ષ બની રહ્યા. તેઓ નિવૃત્તિ બાદ મૃત્યુપર્યંત હેગમાં જ રહ્યા. ૧૯૩૮માં તેમને કામા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૭૩માં ભારત સરકાર દ્વારા ‘પદ્મવિભૂષણ’થી તેમને સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અનુતાઈ વાઘ

જ. ૧૭ માર્ચ, ૧૯૧૦ અ. ૨૭ સપ્ટેમ્બર, ૧૯૯૨

પૂર્વશાળાશિક્ષણનાં અગ્રણી અને મહારાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ કેળવણીકાર. તેમનો જન્મ પુણેમાં થયો હતો. અનુતાઈનાં લગ્ન ઘણી નાની ઉંમરે શંકર વામન જાતેગાવકર સાથે થયેલાં, પણ દુર્ભાગ્યે છ મહિનામાં જ તેઓ વિધવા થયાં. આથી તેમણે વાઘ અટક જ ચાલુ રાખી. તેઓ વિધવા થયાં ત્યારે તેમની ઉંમર તેર વર્ષની હતી અને તે સમયના રીતિરિવાજો મુજબ તેમને શું કરવું તે મૂંઝવણ હતી, પણ સદભાગ્યે તેમના કુટુંબીજનો દ્વારા તેમને અભ્યાસ કરવા સાથ આપ્યો. ૧૯૨૫ની વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષામાં પ્રથમ નંબરે આવ્યાં. ત્યારબાદ ૧૯૨૯માં પુણેની ‘વિમેન્સ ટ્રેનિંગ કૉલેજ’માંથી ‘પ્રાઇમરી ટીચર્સ સર્ટિફિકેટ કોર્સ’ કર્યો. ૧૯૨૯થી ૧૯૩૩ સુધી તેમણે નાશિક જિલ્લાના ચાંદવડ તાલુકાની શાળામાં વિદ્યાર્થિનીઓને ભણાવ્યું. ૧૯૫૦માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી; એટલું જ નહીં, ૧૯૬૧માં એકાવન વર્ષે મોતિયાની તકલીફ સાથે એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ૧૯૪૫માં તેઓ તારાબાઈ મોડકને મળ્યાં અને તારાબાઈએ પાલઘરમાં આદિવાસી બાળકોને શિક્ષણ આપવાની યોજના જણાવી. આ એક પ્રયોગાત્મક શાળાની યોજના હતી જેમાં અનુતાઈએ પોતાનો સહકાર આપવાનું વચન આપ્યું જે જિંદગીભર નિભાવ્યું. અહીં ઓછા ખર્ચે શિક્ષણ આપી બાળકનો સર્વાંગી વિકાસ કરવાનો હેતુ હતો. તારાબાઈ મોડકના ‘શિક્ષણ પત્રિકા’ માસિક દ્વારા અનુતાઈને પણ બાળ-શિક્ષણમાં ઘણો રસ પડ્યો અને તેઓ તારાબાઈનાં વ્યાવસાયિક સાથીદાર તરીકે જોડાયાં. ૧૯૭૩માં તેઓએ કોસબાડામાં આદિવાસી શિક્ષણસંસ્થાના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો. ૧૯૮૦માં અનુતાઈએ ‘બહેરાં-મૂંગાં’ બાળકો માટે શાળા શરૂ કરી. ૧૯૮૧માં ‘સ્ત્રી-શક્તિ જાગૃતિ સમિતિ’ તરફથી ‘સાવિત્રી’ માસિકની શરૂઆત કરી. તેમના પ્રદાન માટે તેમને મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૨માં ‘આદર્શ શિક્ષિકા’ અને ૧૯૭૫માં ‘દલિત મિત્ર’, ૧૯૮૦માં ‘સાવિત્રી ફુલે, ૧૯૮૪માં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ તથા ૧૯૮૫માં જમનાલાલ બજાજ પારિતોષિકો મળેલાં.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

કાંશીરામ

જ. ૧૫ માર્ચ, ૧૯૩૪ અ. ૯ ઑક્ટોબર, ૨૦૦૬

‘બહુજન નાયક’, ‘માન્યવર’ અથવા ‘સાહબ કાંશીરામ’ વગેરે નામથી જાણીતા કાંશીરામનો જન્મ  પીર્થીપુર બન્ગા ગામ, રોપર જિલ્લો, પંજાબમાં થયો હતો. તેઓ ચમાર જાતિના શીખ પરિવારમાં જન્મ્યા હતા. વિવિધ સ્થાનીય શાળાઓમાં શિક્ષણ મેળવી, ૧૯૫૬માં રોપરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી બી.એસસી. થયા. ભણતર બાદ તેઓ પુણેની એક્સપ્લોઝિવ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ લૅબોરેટરીમાં જોડાયા. ડૉ. આંબેડકરના પુસ્તક ‘એનિહિલેશન ઑવ્ કાસ્ટ’ની તેમના ઉપર ખૂબ અસર થઈ હતી. તેમણે બહુજન, પછાત અને દલિતોના ઉદ્ધાર માટે કામ કરવાનું પ્રણ લીધું હતું. તેમણે ૧૯૮૧માં દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિની રચના કરી હતી. દલિતોના સંગઠન અને વોટ ભેગા કરવા ૧૯૮૪માં તેમણે બહુજન સમાજ પાર્ટીની રચના કરી, ૧૯૮૪માં તેઓ પ્રથમ વાર છત્તીસગઢની જાંજગીર ચાપાં સીટ ઉપરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. ત્યારપછી ૧૯૮૮માં તેમને ફરી હારનો સામનો કરવો પડ્યો. ૧૯૯૧માં મુલાયમિંસહ યાદવ સાથે ગઠબંધન કર્યા બાદ પ્રથમ વખત ચૂંટણી જીત્યા અને લોકસભામાં પહોંચ્યા. ૧૯૯૬માં બીજી વખત ચૂંટણી જીત્યા. ૨૦૦૧માં ખરાબ સ્વાસ્થ્યને લીધે તેમણે સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ લીધો અને માયાવતીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યાં. ૧૯૮૨માં તેમણે ‘ધ ચમચા એજ’ પુસ્તક લખ્યું જેમાં જગજીવનરામ, રામવિલાસ પાસવાન અને રામદાસ અઠાવલે જેવા નેતાઓને ‘ચમચા’ અર્થાત્ કઠપૂતળી કહી નિશાન બનાવ્યા હતા. ડૉ. આંબેડકરની જેમ બૌદ્ધ ધર્મ ગ્રહણ કરવાની તેમની મહેચ્છા હતી, પરંતુ અવસાન થવાથી તે પૂર્ણ થઈ શકી ન હતી. ‘ધ ચમચા એજ’ ઉપરાંત, ‘બર્થ ઑવ્ બામસેફ’ નામનું પુસ્તક પ્રકાશિત થયુ હતું. ‘કાંશીરામ : લીડર ઑફ ધ દલિત’ બદ્રીનારાયણ તિવારીએ લખેલું તેમનું જીવનચરિત્ર છે. તેમણે આપેલાં ભાષણો પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયાં છે. એવું કહેવાય છે કે ભારતમાં આંબેડકરવાદ જીવિત રાખવાનું શ્રેય કાંશીરામને ફાળે જાય છે.

અમલા પરીખ