Categories
વાચન સમૃદ્ધિ

નારાયણ ગુરુ

જ. ૨૦ ઑગસ્ટ, ૧૮૫૪ અ. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૨૮

કેરળના સમાજસુધારક સંતનો જન્મ ચેમ્પાઝન્તી ગામે એળુવા નામની અસ્પૃશ્ય મનાતી જાતિમાં થયો હતો. પિતાનું નામ માતન આશન અને માતાનું નામ કુટ્ટી અમ્મા. પિતા મલયાળમ અને સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. વૈદ્ય હોવાથી ઘણા લોકો તેમની પાસે ઉપચાર માટે આવતા. લોકો તેમને લાડમાં ‘નાણુ’ કહેતા. ઘરનું વાતાવરણ સંસ્કારી હતું. તેમની માતાનું તેમની બાલ્યાવસ્થામાં જ અવસાન થયું હતું. તેમણે રામન પિળ્ળૈ નામના વિદ્વાન પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ૧૮૭૬થી ૧૮૭૯ના ત્રણ વર્ષમાં તેમણે તમિળ, સંસ્કૃત ભાષા તથા વેદાન્તનું અધ્યયન કર્યું. પિતા પાસેથી આયુર્વેદનું શિક્ષણ મેળવ્યું. ચટ્ટામ્પિ સ્વામી તથા તૈક્કડ અય્યુવૂ યોગીઓના માર્ગદર્શન નીચે યોગનો અભ્યાસ કર્યો. કન્યાકુમારીમાં મરુતવાભલૈ નામના સ્થળે પિલ્લાથાઈમ ગુફામાં તેમણે ઘોર તપસ્યા કરી. પછી સમાજજીવનના નિરીક્ષણ માટે તમિળનાડુ તથા કેરળમાં વિવિધ સ્થળે યાત્રા કરી. નારાયણે સમાજસુધારાનું કાર્ય શરૂ કર્યું. તેમણે પહેલું કાર્ય અસ્પૃશ્યો માટે મંદિરનું નિર્માણ કર્યું. અરુવિપ્પુરમ્ ગામે નેપ્યાર નદીના કાંઠે ૧૮૮૮માં શિવાલય બનાવ્યું અને ત્યાં પોતાનો સ્થાયી આશ્રમ સ્થાપ્યો. તેમણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌને આવકાર્યા. તેમાં શિક્ષણ અને આરોગ્યને પ્રથમ સ્થાન આપ્યું. તેમણે ઠેર ઠેર મંદિરો બંધાવ્યાં. અસ્પૃશ્ય વર્ગને સંન્યાસ લેવાની સગવડ કરી આપી. ૧૮૯૪માં ગુરુના આશ્રમમાં કુમારન્ આશન જોડાયા. પાછળથી તે મલયાળમ ભાષાના મહાકવિ કહેવાયા. ૧૮૯૭માં ગુરુએ અરુવિપ્પુરમમાં મલયાળમ ભાષામાં વેદાન્તના મહાગ્રંથ ‘આત્મોપદેશતકમ’ની રચના કરી. ‘સદાચાર એ જ સાચો ધર્મ’ – એમ તેમણે લોકોને શીખવ્યું. તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના કરેલી. ૧૯૨૨માં રવીન્દ્રનાથ ટાગોરે અને ૧૯૨૫માં ગાંધીજીએ પણ આશ્રમની મુલાકાત લીધેલી. જીવનના અંતિમ વર્ષ સુધી તેઓ પ્રવૃત્તિશીલ રહેલા. બરકમ ગામે મહાસમાધિપૂર્વક તેમણે દેહત્યાગ કર્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

હજારીપ્રસાદ દ્વિવેદી

જ. ૧૯ ઑગસ્ટ, ૧૯૦૭ અ. ૧૯ મે, ૧૯૭૯

હિન્દી નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, વિદ્વાન અને સાહિત્યિક ઇતિહાસકાર હજારીપ્રસાદ દ્વિવેદીનો જન્મ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના દુબે છાપરા નામના ગામમાં થયો હતો. તેમના પિતા પંડિત અનમોલ દ્વિવેદી સંસ્કૃતના વિદ્વાન હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રમાં ‘આચાર્ય’ અને સંસ્કૃતમાં ‘શાસ્ત્રી’ની ડિગ્રી મેળવ્યા બાદ ૧૯૪૯માં લખનૌ યુનિવર્સિટીમાંથી હિન્દી સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. હજારીપ્રસાદ દ્વિવેદી ૧૯૩૦માં વિશ્વભારતીમાં જોડાયા હતા જ્યાં તેઓ સંસ્કૃત અને હિન્દી શીખવતા હતા. ત્યારબાદ તેઓ બે દાયકા સુધી શાંતિનિકેતનમાં રહ્યા હતા. તેમણે હિન્દી ભવનની સ્થાપના કરી અને વર્ષો સુધી તેનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું. તેમણે બંગાળી ભાષા અને સાહિત્યની સૂક્ષ્મતા, નંદલાલ બોઝની સૌંદર્યલક્ષી સંવેદનશીલતા, ક્ષિતિમોહન સેનના મૂળની શોધ અને ગુરુદયાલ મલ્લિકની સૌમ્ય પણ રહસ્યમય રમૂજને આત્મસાત્ કરેલ. આ બધા પ્રવાહોની અસર તેમનાં લખાણોમાં સ્પષ્ટ જોવા મળે છે. ૧૯૫૦થી ૧૯૬૦ દરમિયાન તેમણે વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં હિન્દી વિભાગમાં રીડર તરીકે સેવા આપી હતી.૧૯૫૫માં ભારત સરકાર દ્વારા સ્થાપિત ભાષા આયોગના સભ્ય તરીકે પણ તેમની નિયુક્તિ થઈ હતી. ૧૮૬૦માં તેઓ પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢમાં હિન્દી વિભાગના પ્રોફેસર અને વડા તરીકે જોડાયા અને ત્યાંથી જ સેવાનિવૃત્ત થયા હતા. હજારીપ્રસાદ દ્વિવેદીએ ‘સાહિત્ય કી ભૂમિકા’ અને ‘હિન્દી સાહિત્ય કી આદિકલા’ જેવાં પુસ્તકો દ્વારા હિન્દી સાહિત્યમાં વિવેચનને એક નવી દિશા આપી હતી. તેમના ‘કબીર’, ‘મધ્યકાલીન ધર્મસાધના’ અને ‘નાથ સંપ્રદાય’ જેવા ગ્રંથોમાં ભારતના મધ્યયુગીન ધાર્મિક જીવનનું ઐતિહાસિક વિશ્લેષણ જોવા મળે છે. તેમની ‘બાણભટ્ટ કી આત્મકથા’, ‘અનમદાસ કા પોથા’, ‘પુનર્નવા’ અને ‘ચારુ-ચંદ્રલેખા’ જેવી ઐતિહાસિક નવલકથાઓને ક્લાસિક ગણવામાં આવે છે. તેમનો ‘શિરીષ કે ફૂલ’ નામનો નિબંધ NCERT દ્વારા ધોરણ ૧૨ માટે તૈયાર કરવામાં આવેલ હિંદી પુસ્તકમાં સ્થાન પામ્યો છે. આ સિવાય તેમણે અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાંથી હિંદીમાં ઘણી કૃતિઓનો અનુવાદ પણ કર્યો હતો. હિન્દી સાહિત્યમાં વિશેષ યોગદાન બદલ તેમને ૧૯૫૭માં ‘પદ્મભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

લે્ટનન્ટ કર્નલ અરદેશર તારાપોર

જ. ૧૮ ઑગસ્ટ, ૧૯૨૩ અ. ૧૬ સપ્ટેમ્બર, ૧૯૬૫

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અદ્વિતીય પરાક્રમ કરી જીત અપાવનાર લે્ટનન્ટ કર્નલ અરદેશર તારાપોરનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમના પૂર્વજ રતનજીબા છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં હતા. શિવાજીએ તેમને તારાપોર સહિત ૧૦૦ ગામ ઇનામ સ્વરૂપે આપ્યાં હતાં. આથી તેઓ તારાપોર કહેવાયા. પુણેની સરદાર દસ્તુર બૉય્ઝ સ્કૂલમાં અભ્યાસ કરી ૧૯૪૦માં મૅટ્રિક થયા પછી પહેલી જાન્યુઆરી, ૧૯૪૨ના રોજ સાતમી હૈદરાબાદ ઇન્ફન્ટ્રીમાં જોડાયા. હૈદરાબાદ ભારતમાં વિલીન થયું પછી તેઓ ભારતીય સેનામાં પૂના હોર્સમાં સામેલ થયા. ૧૯૬૫ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ફિલોરા પર આક્રમણ કરવા તારાપોર એમની ટુકડી સાથે આગળ વધ્યા. દુશ્મનોએ મોટી સંખ્યામાં રણગાડીઓ સાથે હુમલો કર્યો. ધમસાણ યુદ્ધ થયું. દુશ્મનની શક્તિનો તાગ મેળવવા તેઓ ટૅન્કમાંથી બહાર નીકળ્યા ત્યાં જ દુશ્મનનો તોપગોળો તેમની નજીક ફૂટ્યો, આથી તેઓ ઘાયલ થયા. સારવાર માટે યુદ્ધમેદાન ન છોડ્યું અને યુદ્ધ ચાલુ રાખ્યું. તેમણે દુશ્મનની ટૅન્કોનો ખાતમો બોલાવ્યો અને ફિલોરા જીત્યું. ફિલોરાથી ચવિન્દા જવાનું હતું. માર્ગમાં વઝીરવાલી મુકામે પાકિસ્તાની સેનાએ ભારે હુમલો કર્યો. તારાપોરે દુશ્મનોની ટૅન્કો ઉડાવી વઝીરવાલી કબ્જે કર્યું. ત્યાંથી આગળ વધી બુતુર દોગરણ પહોંચતાં જ કૅપ્ટન અજયિંસહના કાફલા પર હુમલો થયો. તારાપોર તેમના કાફલા સાથે બુતુર દોગરણ પહોંચ્યા. કલાકો સુધી ગોળાબાજી ચાલી. એમાં તારાપોરની ટૅન્કનું બખ્તર ભેદાયું. તેમ છતાંય તેઓ લડતા રહ્યા. સાંજ સુધીમાં ભારતીય સૈન્યએ જીત મેળવી પણ પાકિસ્તાનની ટૅન્કના ગોળાથી તારાપોર શહીદ થયા. તારાપોરની ટુકડીએ પાકિસ્તાનની ૬૦ ટૅન્કોનો નાશ કરી અસાધારણ શૌર્યથી દુશ્મનોને હરાવ્યા હતા. યુદ્ધભૂમિમાં કરેલ અપ્રતિમ પરાક્રમ માટે ભારત સરકારે પરમવીર ચક્ર(મરણોત્તર)થી અરદેશર તારાપોરને સન્માનિત કર્યા.