Categories
વાચન સમૃદ્ધિ

મનહરલાલ ચોક્સી

જ. ૨૯ સપ્ટેમ્બર, ૧૯૨૯ અ. ૪ મે, ૨૦૦૫

‘મુનવ્વર’ તખલ્લુસ ધરાવનાર મનહરલાલનો જન્મ સૂરતમાં નગીનદાસ ચોકસીને ત્યાં થયો હતો. તેમનું વતન અને નિવાસ બંને સૂરત. ૧૯૪૭માં મૅટ્રિક થયા. તેમણે હિંદી ‘વિનીત’ પરીક્ષા પણ પાસ કરી હતી. ડિપ્લોમા વિથ બૅન્કિંગ કર્યા બાદ ધ સૂરત ડિસ્ટ્રિક્ટ કો-ઑ. બૅન્ક લિ., સૂરતમાં તેમણે નોકરી કરેલી. સૂરતના ‘ગુજરાત મિત્ર’માં ‘શાયરીની શમા’ નામે કૉલમ તેમણે ચલાવી જેમાં અનેક ગુજરાતી, ઉર્દૂ શાયરીઓનો આસ્વાદ મન મૂકીને કરાવ્યો હતો. એમણે ગઝલો અને મુક્તકોથી ડાયરીઓ ભરી હતી. તેમની પાસેથી ‘પ્રીતનાં પારેવડાં’ (૧૯૬૩), ‘ઝળહળ અંતરજ્યોત’, ‘હૂંફ’ વગેરે નવલકથાઓ તથા ‘ગંગાસ્નાન’ એ વાર્તાસંગ્રહ મળ્યાં છે, પણ એમનું મુખ્ય સર્જન ગઝલમાં રહ્યું છે. ‘મુનવ્વર’ ઉપનામથી તેઓ ઉર્દૂ શાયરી પણ કરતા. વીસમી સદીના મધ્યભાગમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો ત્યારે ગઝલો ખૂબ લખાતી ગઈ. આ દરમિયાન કેટલાક પરંપરામાં લખતા ગઝલકારો પણ મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા હતા તેમાં સૂરતના આ ગઝલકાર મનહરલાલનું પ્રદાન નોંધપાત્ર હતું. ‘ગુજરાતી ગઝલ’ (૧૯૬૪) અને ‘અક્ષર’ (૧૯૭૩) તેમના મહત્ત્વના સંગ્રહો છે. તેમણે ગુજરાતી અને ઉર્દૂ એમ બંને ભાષામાં ગઝલસાધના કરી હતી. આધુનિક કાવ્ય વિભાવનાની અસરથી ગઝલ પણ રંગાવા લાગેલી. મનહરલાલ પરંપરા સાચવીને પણ નવા માહોલમાં ગોઠવાતા ગયા. સૂરતમાં ગની દહીંવાળા, ભગવતીકુમાર શર્મા, રતિલાલ ‘અનિલ’, જયંત પાઠક, અમીન આઝાદ જેવા સર્જકોની વચ્ચે રહીને મનહરલાલે ગઝલની જ્યોત જલતી રાખી હતી. એમણે પરંપરા નિભાવવા સાથે બદલાતી સ્થિતિ સાથે પણ કદમ મેળવી રાખ્યા હતા. મનહરલાલને કશાની આશા-અપેક્ષા ન હતી. એમને કોઈ ચંદ્રક મળ્યો નથી, પણ એમને નામે ચંદ્રક અપાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

લતા મંગેશકર

જ. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ અ. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૨

ભારતીય ગાયિકા. ‘સ્વરકિન્નરી’, ‘ભારતનો અવાજ’, ‘ભારતની કોકિલા’ જેવાં ઉપનામોથી જાણીતાં વિશ્વવિખ્યાત ગાયિકા લતા મંગેશકરનો જન્મ ઇંદોરમાં શાસ્ત્રીય સંગીતકાર દીનાનાથ મંગેશકરને ત્યાં થયો હતો. માતા શેવંતિ મંગેશકર ગુજરાતી હોવાને કારણે મરાઠી સંગીત સાહિત્ય સાથે, ગુજરાતી લોકસંગીત-સાહિત્ય સાથે પણ એમનો એક અલગ નાતો રહ્યો. સહજ ગાયનક્ષમતા બાબતે માતાએ લતાદીદીના પિતાનું ધ્યાન દોર્યું અને પાંચ વર્ષની વયે પિતા પાસે એમની શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ થઈ. પિતા ગાયન સાથે નાટક કંપનીનું સંચાલન કરતા હોવાથી શરૂઆતનાં વર્ષોમાં લતાદીદીએ અભિનય પણ કર્યો, પરંતુ અભિનય એમને રુચિકર ન લાગતાં અભિનયને તિલાંજલિ આપી. ૧૩ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. માસ્ટર વિનાયકની કંપની સાથે અર્થોપાર્જનને માટે તેઓ પોતાના કુટુંબ સાથે ૧૯૪૫માં મુંબઈમાં સ્થાયી થયાં. ઉસ્તાદ અમાન અલી ખાંસાહેબ પાસે ફરીથી શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી. ૧૯૪૬માં ફિલ્મ ‘આપકી સેવામેં’ માટે પ્રથમ હિન્દી ગીત ‘પા લાગું કરજોરી’ માત્ર સોળ વર્ષની ઉંમરે ગાયું. ત્યાર બાદ હિન્દી સિનેજગતના તમામ સંગીતનિર્દેશકના નિર્દેશનમાં ૫૦,૦૦૦થી પણ વધુ ગીતો એમણે ગાયાં અને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નામ અંકિત કર્યું. ૨૦૦૭માં ૭૮ વર્ષની વયે ‘દિલ તો પાગલ હૈ’માં પાર્શ્વગાયન કર્યું જે ખૂબ લોકપ્રિય બન્યું. ૨૦૨૨માં ભારતીય સેના તથા રાષ્ટ્રને સમર્પિત ‘સોગંદ મુઝે ઇસ મિટ્ટીકી’ સંગીતનિર્દેશક મયુરેશ પાઇના સંગીતનિર્દેશનમાં ગાયું. તેઓ અનેકાનેક ઍવૉર્ડ્ઝથી સન્માનિત થયાં જેમાં અનેક ફિલ્મફેર, વિવિધ રાજ્યો, સંસ્થાઓની સાથે લાઇફટાઇમ એચીવમેન્ટ, દાદાસાહેબ ફાળકે, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ તથા સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી સન્માનિત થયાં. ૩૬ ભાષાઓમાં વિવિધ ગીતો ગાનાર લતા મંગેશકર ભાષાના શબ્દોના અર્થ તથા ઉચ્ચાર બાબતે વિશિષ્ટ ધ્યાન આપવાની સાથે શાસ્ત્રીય સંગીતની તાલીમને અનિવાર્ય ગણતાં. અનેક સામાજિક સેવાઓ તથા ભારતીય સેના માટે ઋણસ્વીકાર અને આર્થિક સેવા એમના જીવનનો એક ભાગ રહ્યો. ફોટોગ્રાફી એ લતાદીદીનો વ્યક્તિગત શોખ રહ્યો. ફિલ્મ સંગીત સાથે ભજનો, ગઝલો, ગરબા, મરાઠી સંગીત એમના કંઠમાં અમરત્વ પામ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

યશ ચોપરા

જ. ૨૭ સપ્ટેમ્બર, ૧૯૩૨ અ. ૨૧ ઑક્ટોબર, ૨૦૧૨

હિન્દી ફિલ્મજગતના નિર્માતા, નિર્દેશક, ફિલ્મ-વિતરક તેમજ ફિલ્મસર્જનના જ્ઞાની. પિતા પી.ડબલ્યુ.ડી.માં એક સામાન્ય કારકુન તરીકે ફરજ બજાવતા હતા. આઠ ભાઈ-બહેનોમાં યશ ચોપરા સૌથી નાના હોવાથી સદા છત્રછાયામાં રહ્યા. જલંધરમાં ડોઆબા કૉલેજમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે અભ્યાસ શરૂ કર્યો સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવૃત્ત સભ્ય પણ રહ્યા, પરંતુ ફિલ્મનિર્માણની લગનને કારણે અભ્યાસ અધૂરો મૂકીને તેઓ મુંબઈ સ્થાયી થયા. શરૂઆતમાં ફિલ્મસર્જક આઈ. એસ. જોહરના સહાયક તરીકે કામ કર્યા પછી ૧૯૫૯માં ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’ સાથે ફિલ્મનિર્દેશનમાં પદાર્પણ કર્યું. મોટા ભાઈ બી. આર. ચોપરાના નિર્માણમાં બનેલી ફિલ્મ ‘વક્ત’માં નિર્દેશન કર્યું.  ૧૯૭૩માં ફિલ્મ ‘દાગ’ સાથે નિર્માતા અને નિર્દેશક તરીકે સ્વપ્ન સાકાર કર્યું. યશરાજ ફિલ્મ્સના બૅનર સાથે ‘દીવાર’, ‘કભી-કભી’, ‘ત્રિશૂલ’, ‘સિલસિલા’, ‘ચાંદની’, ‘લમ્હે’, ‘વીરઝારા’, ‘દિલ તો પાગલ હૈ’ જેવી અનેક યાદગાર ફિલ્મ એમણે બનાવી. પ્રણય ફિલ્મો એ યશ ચોપરાની ઓળખ હતી. પોતાની ફિલ્મના સંવાદો ઉપર તેઓ વિશેષ ધ્યાન અને માવજત રાખતા. તેથી યશરાજ ફિલ્મ્સના બૅનર તળેની ફિલ્મોના સંવાદો આજે પણ જનહૈયે જળવાયેલા છે. યશ ચોપરાના બે પુત્રો આદિત્ય ચોપરા તેમજ ઉદય ચોપરા પણ ફિલ્મનિર્માણ તથા નિર્દેશનમાં સંકળાયેલા છે. યશ ચોપરાને એમના યોગદાન બદલ ભારત સરકારે ૨૦૦૫માં પદ્મભૂષણના સન્માનથી નવાજ્યા. બી.બી.સી. એશિયા ઍવૉર્ડ, બ્રિટિશ એકૅડેમી ફિલ્મ્સ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ ઍવૉર્ડ, દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ, પંજાબ રત્ન ઍવૉર્ડ, લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ, સ્વિસ ગવર્નમેન્ટ ઍવૉર્ડ, ફિલ્મફેરના ઘણા ઍવૉર્ડ એમને પ્રાપ્ત થયા હતા. સ્વિટ્ઝર્લૅન્ડમાં યશ ચોપરાની પ્રતિમા અને ચોપરા લેઇક બનાવીને એમને સન્માનિત કરવામાં આવ્યા છે. ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. હિન્દી સિનેજગતમાં યશ ચોપરાનું કામ તથા નામ અવિસ્મરણીય છે.