Categories
વાચન સમૃદ્ધિ

અતુલ દેસાઈ

જ. ૩૧ જાન્યુઆરી, ૧૯૩૪ અ. ૨૦ જાન્યુઆરી, ૨૦૧૩

શાસ્ત્રીય કંઠ્યસંગીતમાં ગુજરાતના સુવિખ્યાત કલાકાર અતુલ દેસાઈનો જન્મ અમદાવાદમાં થયો હતો. પિતા ગિરીશચંદ્ર અને માતા સુલભાબહેન. સંગીતનો વારસો માતાપિતા તરફથી મળ્યો હતો. અમદાવાદની ચી. ન. વિદ્યાલયમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. વડોદરાના કલાભવનમાંથી આર્કિટૅક્ચરનો અભ્યાસ કર્યો. ૧૯૫૫માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંગીતની વધુ તાલીમ માટે જોડાયા. તેમણે પં. ઓમકારનાથ ઠાકુર પાસેથી સંગીતની તાલીમ મેળવી હતી. ૧૯૫૬થી ૧૯૬૫ દરમિયાન તેઓ ભારતનાં અનેક આકાશવાણી-કેન્દ્રો સાથે પ્રથમ કક્ષાના કલાકાર તરીકે કાર્યરત હતા. ૧૯૬૫થી ૧૯૭૨ દરમિયાન આકાશવાણી અમદાવાદ કેન્દ્રના શાસ્ત્રીય સંગીત વિભાગના નિર્માતા તરીકે તેઓને પસંદ કરવામાં આવ્યા હતા. ૧૯૭૦થી તેઓ અમદાવાદની જાણીતી નૃત્યસંસ્થા ‘કદમ્બ’માં સંગીતવિભાગના નિયામક તરીકે જોડાયા હતા. તે જ વર્ષે અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇનમાં અમેરિકાના જાણીતા સંગીતકાર ડેવિડ ટ્યૂડર પાસેથી ઇલેક્ટ્રૉનિક મ્યુઝિકનો અભ્યાસ કર્યો હતો. જાપાનના ઓસાકા શહેરમાં યોજાયેલ ‘એક્સ્પો-૭૦’ પ્રદર્શનમાં ભારત તરફથી ઇલેક્ટ્રૉનિક સંગીતનું નિર્દેશન તેમણે કર્યું હતું. ૧૯૭૫માં તેઓ ઇસરોના સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એેક્સ્પેરિમેન્ટના સંગીત-નિર્દેશક બન્યા. તેમણે અનેક દેશોનો સાંસ્કૃતિક પ્રવાસ કર્યો હતો. અનેક નાટકો, નૃત્યનાટિકાઓ, રેડિયોરૂપકો, દૂરદર્શન પરની શ્રેણીઓ તથા બાળ-કાર્યક્રમોનું સંગીત-નિર્દેશન કર્યું હતું. ૧૯૮૬માં દિલ્હીમાં ઊજવાયેલા ‘અપના ઉત્સવ’માં ‘ગુંજે પથ્થર’ કાર્યક્રમના મ્યુઝિક ટ્રૅકનું સ્વરનિયોજન તેમણે કર્યું હતું. અતુલ દેસાઈને વડોદરાની ત્રિવેણી સંસ્થા દ્વારા શ્રેષ્ઠ કલાકાર ઍવૉર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા ગૌરવ પુરસ્કાર અને ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિશિષ્ટ ફેલોશિપ આપવામાં આવ્યાં હતાં. તદ્ઉપરાંત તેમણે પ્રાયોગિક સંગીતના ક્ષેત્રે કરેલાં કાર્યો બદલ રાષ્ટ્રપતિના હસ્તે ૧૯૯૫-૯૬ના વર્ષનો સંગીત-નૃત્ય અકાદમી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અતુલ દેસાઈનાં પત્ની સંધ્યાબહેન કથક નૃત્યનાં જાણીતાં કલાકાર હતાં.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સત્યનારાયણ ગોયન્કા

જ. ૩૦ જાન્યુઆરી, ૧૯૨૪ અ. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૩

વિપશ્યના ધ્યાન માટે પ્રસિદ્ધ ગુરુ સત્યનારાયણનો જન્મ બર્મામાં થયો હતો. તેમનો ઉછેર હિન્દુ સનાતની મારવાડી કુટુંબમાં થયો હતો. ૧૯૫૫ સુધી તેઓ સફળ વ્યવસાયી હતા. ૩૧ વર્ષની વયે તેઓને આધાશીશી નામનો શિરદર્દનો વ્યાધિ થયો હતો. એનાથી છુટકારો મેળવવા તેઓએ જાતભાતના પ્રયાસો કર્યા પણ તેઓને ઉચિત રાહત મળી નહીં. ત્યારબાદ એક મિત્રના કહેવાથી તેઓ વિપશ્યનાના શિક્ષણ સયાગ્ગી યુ બા ખીનને મળ્યા. જેણે વિપશ્યનાથી તેમનું દર્દ મટાડ્યું. ત્યારબાદ સત્યનારાયણને વિપશ્યના શીખવાનું મન થયું. તેઓને વિદ્યાર્થી તરીકે સ્વીકારી ૧૪ વર્ષ સુધી તાલીમ આપી. ૧૯૬૯માં ગોયન્કા વિપશ્યનાની તાલીમ લઈ કાબેલ થઈ ગયા. તેમને શિક્ષક તરીકે તે વિદ્યા બીજાને શીખવવાની રજા મળી. હવે ગોયન્કા પોતાનો ધંધો તેમના કુટુંબને સોંપી ભારત આવ્યા. ભારતમાં હૈદરાબાદમાં આવેલ કુસુમનગરમાં પ્રથમ વિપશ્યના સેન્ટર ખોલ્યું, તેનાં સાત વર્ષ પછી ૧૯૭૬માં નાશિક પાસે આવેલ ઇગતપુરીમાં પ્રથમ મેડિટેશન સેન્ટર ખોલ્યું જેમાં ગોયન્કાએ લોકોને મેડિટેશન શીખવ્યું. આ રીતે પોતાના ગુરુના આગ્રહને લીધે વિપશ્યનાને તેના મૂળ સ્થાન ભારતમાં ફરીથી લાવ્યા. વિપશ્યના એક પ્રકારની સાધના છે જેને ભગવાન બુદ્ધે અઢી હજાર વર્ષ પહેલાં શોધી હતી અને તે માણસોનાં દુ:ખોનું નિવારણ કરવાની એક પ્રક્રિયા છે. ગોયન્કાજી પોતાનાં પ્રવચનો દ્વારા સમજાવે છે કે આ શિક્ષા વડે માણસ પોતે પોતાનાં દુ:ખોનું નિયંત્રણ કરી શકે છે. આજે વિશ્વમાં આ શિક્ષાનો અભ્યાસ વીડિયોના માધ્યમથી કરાવી શકાય છે. ૨૦૧૨માં તેઓને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

રોમાં રોલાં

જ. ૨૯ જાન્યુઆરી, ૧૮૬૬ અ. ૩૦ ડિસેમ્બર, ૧૯૪૪

વીસમી સદીના મહાન આધ્યાત્મિક સાધક, નવલકથાકાર, નિબંધકાર અને નાટ્યકાર રોમાં રોલાંનું પૂરું નામ રોમાં એદમે પોલ એમિલ રોલાં હતું. ૧૪ વર્ષની વયે તેઓ પૅરિસમાં અભ્યાસ અર્થે ગયા હતા. ઈકૉલ નૉર્મેલ સુપિરિયરમાં પ્રવેશ મેળવી તેમણે સાહિત્ય, સંગીત અને તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ૨૯ વર્ષની વયે તેમણે લખેલ સંશોધનાત્મક પ્રબંધ ‘લે ઓરિજિન્સ દુ થિયેતર લિરિક મૉદર્ન’ને ફ્રેન્ચ અકાદમી તરફથી પારિતોષિક પ્રાપ્ત થયું હતું. રોમાં થોડો સમય શિક્ષક પણ રહ્યા હતા. રોમાં રોલાંના સંગીત પરના વિવેચનની નોંધ યુરોપમાં લેવાતી હતી. ‘સમ મ્યુઝિશિયન્સ ઑવ્ ફૉર્મર ડેઝ’(૧૯૦૮)માં તેમના સંગીત વિષય પરના નિબંધો છે. સંગીત ભાવકને જીવનના મૂળ સ્રોતો સુધી કેવી રીતે લઈ જાય છે તે તેમણે આ નિબંધોમાં સુપેરે દર્શાવ્યું છે. આ સિવાય ‘બીથોવન’ (૧૯૦૩), ‘હેન્દેલ’ (૧૯૧૦), ‘માઇકલૅન્જેલો’ (૧૯૦૫-૦૬) અને ‘ટૉલ્સ્ટૉય’ (૧૯૧૧) તેમણે લખેલાં નોંધપાત્ર જીવનચરિત્રો છે. ‘ધ પીપલ્સ થિયેટર’ નામના પુસ્તકમાં તેમણે નવી રંગભૂમિ વિશેના વિચારો સ્પષ્ટ કર્યા છે. રોમાં રોલાંએ ૧૯૦૪થી ૧૯૧૨ દરમિયાન ‘જ્યૉં-કિસ્તોફ’ નામની મહાન નવલકથાનું સર્જન કર્યું હતું. જે જર્મન સંગીતકારના જીવનનું ગદ્યમાં લખાયેલું મહાકાવ્ય છે. આ વિરાટ નવલકથાએ તેમને ૧૯૧૫નું નોબેલ પારિતોષિક અપાવ્યું હતું. આ નવલકથામાં આવતાં ‘પરોઢ’, ‘સવાર’, ‘યુવાની’, ‘બંડ’, ‘બજાર’, ‘પ્રેમ અને મૈત્રી’ જેવા વિષયોનાં વર્ણનો તેમના સાહિત્યસર્જનનાં અદભુત દૃષ્ટાંતો છે. ત્યારબાદ ‘ધ સૉલ એન્ચેન્ટેડ’ (૧૯૨૨થી ૧૯૩૩) સાત ભાગમાં લખાયેલી નવલકથા છે. રોમાં રોલાંએ ૧૯૨૪માં ‘ગાંધી’નું જીવનચરિત્ર લખેલું. તેમને ગાંધીજીની અહિંસાની વાત ખૂબ ગમી ગઈ હતી. પહેલી મુલાકાતે તેમને ગાંધીજી સેંટ ડોમિનિક અને સેંટ ફ્રાંસિસ જેવા લાગેલા. મીરાબહેનને ગાંધીજીનો પરિચય પણ તેમણે કરાવ્યો હતો. તેમણે મીરાબહેનને કહેલું કે ગાંધીજી એ તો બીજા ઈશુ ખ્રિસ્ત છે. આ એક જ વાક્યે ઇંગ્લૅન્ડના નૌકાદળના અધિકારીની દીકરીને ગાંધીજીની ભક્ત બનાવી દીધી હતી. જીવનનાં છેલ્લાં વર્ષોમાં રોમાં વેઝલેમાં રહેતા હતા. જ્યાં બાળપણથી લાગુ પડેલા ક્ષયરોગને લીધે તેમનું અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી