Categories
વાચન સમૃદ્ધિ

કિશન મહારાજ

જ. ૩ સપ્ટેમ્બર, ૧૯૨૩ અ. ૪ મે, ૨૦૦૮

ભારતના બનારસ ઘરાનાના વિખ્યાત તબલાવાદક. તેમનો જન્મ જન્માષ્ટમીને દિવસે થયો હોવાથી તેમનું નામ કિશન રાખવામાં આવ્યું. તેમના પિતા હરિ મહારાજ સારા તબલાવાદક હતા, પરંતુ પિતાનું નાની વયે અવસાન થતાં કિશન મહારાજના ઉછેર અને સંગીતશિક્ષણની જવાબદારી તેમના કાકા અને વિખ્યાત તબલાવાદક કંઠે મહારાજે લીધી. માત્ર પાંચ વર્ષની વયથી કિશન મહારાજે તબલાવાદનની સાધના શરૂ કરી. તેઓ શરૂઆતથી જ અટપટા તાલ વગાડવામાં વિશેષ રસ ધરાવતા. પરિણામે સરળ માત્રાવાળા તાલ વગાડવાની કળા તેમને સહજ રીતે હસ્તગત બની. તેઓ સ્વતંત્ર એકલ તબલાવાદક તરીકે ખ્યાતિ ધરાવે છે. દેશના વિખ્યાત કંઠ્ય અને વાદ્ય સંગીતકારો સાથે સંગીત સંમેલનો તથા મહેફિલોમાં તેમણે સંગત કરી હતી. શાસ્ત્રીય કંઠ્ય તથા વાદ્યસંગીત, ધ્રુપદ, ધમાર સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત ઉપરાંત નૃત્ય જેવાં વિવિધ ક્ષેત્રોના કલાકારો સાથે તેઓ કુશળતાપૂર્વક સંગત કરી શકતા. તેમણે પંડિત ઓમકારનાથ ઠાકુર, ઉસ્તાદ બડે ગુલામ અલીખાં, ઉસ્તાદ ફૈયાઝખાં, પંડિત ભીમસેન જોષી, પંડિત રવિશંકર જેવા મોટા સંગીતકારો સાથે સંગત કરી હતી. વળી તેમણે નૃત્યની દુનિયાના મહાન કલાકાર શંભુ મહારાજ, બિરજુ મહારાજ, સિતારાદેવી વગેરેના કાર્યક્રમોમાં પણ તબલાં પર સંગત કરી હતી. તેમણે ગુરુશિષ્ય પરંપરા પદ્ધતિથી અનેક તાલીમાર્થીઓને તબલાવાદનની તાલીમ આપી છે. તેમના અનેક શિષ્યોએ તબલાવાદનક્ષેત્રે નામના મેળવી છે. તેઓ સંસ્કૃતિ અને ચિત્રકલામાં પણ ઊંડો રસ ધરાવતા હતા. હિંદી ભાષામાં લખેલી તેમની કાવ્યરચનાઓ ઉચ્ચ કક્ષાની ગણાય છે. ભારતના સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેમણે ૧૯૫૦-૫૧માં રશિયાનો પ્રવાસ ખેડ્યો હતો. તેમને સંગીતક્ષેત્રે તેમના પ્રદાન બદલ અનેક પુરસ્કારોથી સન્માનવામાં આવ્યા હતા. તેમાં મુખ્યત્વે ૧૯૭૩માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા અને ૨૦૦૨માં પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સાધના

જ. ૨ સપ્ટેમ્બર, ૧૯૪૧ અ. ૨૫ ડિસેમ્બર, ૨૦૧૫

ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી અને ‘ધ મિસ્ટરી ગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી સાધનાનો જન્મ કરાંચી શહેરમાં થયો હતો. પિતા શિવરામ શિવદાસાની અને લાલીદેવીનું એકમાત્ર સંતાન સાધનાનું નામ નગમા હતું, પરંતુ તેના પિતા બંગાળી અભિનેત્રી સાધના બોસના પ્રશંસક હતા તેથી પાંચ વર્ષની નગમાનું નામ સાધના રાખ્યું. ૧૯૪૭ના ભાગલા પછીનાં રમખાણો દરમિયાન સ્થળાંતર કરીને સમગ્ર કુટુંબ મુંબઈમાં સ્થાયી થયું. આઠ વર્ષ સુધી તેની માતાએ તેને ઘરમાં જ અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ તેણે ઑક્ઝિલિયમ કૉન્વેન્ટ સ્કૂલ, વડાલામાં અભ્યાસ કર્યો અને પછી જયહિંદ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. સાધના, ૧૯૬૦ના દાયકાની સૌથી વધુ સુંદર, સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરતી ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. બાળપણથી જ અભિનેત્રી બનવાનું સ્વપ્ન જોતી સાધનાને તેના પિતાએ ફિલ્મોમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરી હતી. તેની પંદર વર્ષની વયે કૉલેજમાં નાટકોમાં તેનો અભિનય જોઈને કેટલાક ફિલ્મનિર્માતાઓનું ધ્યાન તેના તરફ ખેંચાયું. તેને ભારતની સર્વપ્રથમ સિંધી ફિલ્મ ‘અબાના’(૧૯૫૮)માં અભિનય કરવાની તક મળી. જાણીતા ફિલ્મનિર્માતા શશધર મુખર્જીએ સાધના અને પોતાના પુત્ર જૉય મુખર્જીને લઈને ૧૯૬૦માં ‘લવ ઇન સિમલા’ બનાવી જે ખૂબ સફળ નીવડી. આ ફિલ્મમાં સાધનાએ કરેલી હેરસ્ટાઇલ પાછળથી દેશભરમાં ‘સાધના કટ તરીકે લોકપ્રિય બની. ત્યારબાદ તેણે એક પછી એક અનેક ફિલ્મોમાં અવનવી ભૂમિકાઓ નિભાવી અને ઝડપથી સફળતાની ટોચ પર પહોંચી. તેની કેટલીક સફળ અને લોકપ્રિય ફિલ્મોમાં ‘હમ દોનો’, ‘અસલી નકલી‘, ‘મેરે મહેબૂબ’, ‘વો કૌન થી’, ‘આરઝૂ’, ‘વક્ત’, ‘મેરા સાયા’, ‘અનિતા’, ‘ઇન્તકામ’, ‘એક ફૂલ દો માલી’  અને ‘ગીતા મેરા નામ’નો સમાવેશ થાય છે. ૨૦૦૨માં તેમને આઇફા દ્વારા લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૭૦ના દાયકાના મધ્યમાં તેણે ફિલ્મઉદ્યોગમાંથી નિવૃત્તિ લઈ લીધી. તેનાં લગ્ન દિગ્દર્શક આર. કે. નય્યર સાથે થયાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

મૈત્રેયીદેવી

જ. ૧ સપ્ટેમ્બર, ૧૯૧૪ અ. ૨ ફેબ્રુઆરી, ૧૯૯૦

નાનપણથી જ કુશાગ્ર બુદ્ધિ ધરાવતાં મૈત્રેયીદેવીએ યુનિવર્સિટી ઑફ કલકત્તાની જોગમાયા દેવી કૉલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી હતી. સોળ વર્ષની વયે તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉદિતા’ (૧૯૨૯) પ્રગટ થયો. ત્યારપછી તેમના અન્ય ચાર કાવ્યસંગ્રહો ‘ચિત્તછાયા’ (૧૯૩૮), ‘સ્તબક’ (૧૯૬૩), ‘હિરણ્ય પાખી’ (૧૯૭૧) અને ‘આદિત્ય મરીચિ’ (૧૯૭૩) પ્રગટ થયા. તેમને સૌથી વધુ ખ્યાતિ આત્મકથાનક નવલકથા ‘ન હન્યતે’ દ્વારા મળી. તેમને ૧૯૭૬નો ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. તેમના પિતાજી પાસે ભારતીય દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવા આવેલા ગ્રીક યુવક સાથેનાં પ્રણયસ્મરણોને વાચા આપતી આ નવલકથાનો ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. રવીન્દ્રનાથ ટાગોર તેમના પિતાજીના મિત્ર હોવાથી મૈત્રેયીદેવીના ઘેર રહેલા તે દિવસોની રોજ-બ-રોજની ઘટનાઓ અને વાર્તાલાપોનું એક સંસ્મરણાત્મક પુસ્તક ‘મંગપૂતે રવીન્દ્રનાથ’ ૧૯૪૩માં પ્રકાશિત થયું. રમણીક મેઘાણીએ તેનો ગુજરાતી અનુવાદ ‘ગુરુદેવ અમારે આંગણે’ શીર્ષકથી કર્યો છે, જે ઘણો લોકપ્રિય બન્યો છે. આ ઉપરાંત ‘કવિ સાર્વભૌમ’, ‘રવીન્દ્રનાથ: ગૃહે ઓ વિશ્વે’ તથા ‘સ્વર્ગેર કાછાકાછિ જેમાં ટાગોરે લખેલા પત્રો અને સ્મરણોને ગૂંથવામાં આવ્યાં છે. નગીનદાસ પારેખે તેનો ગુજરાતી અનુવાદ ‘સ્વર્ગની લગોલગ’ શીર્ષકથી કર્યો છે. મૈત્રેયીદેવીનો રશિયા અને ચીનના ભ્રમણ વખતે કરેલાં પ્રવચનોને સંકલિત કરી ‘ઋગ્વેદેર દેવતા ઓ માનુષ’ નામે અભ્યાસગ્રંથ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત પ્રવાસગ્રંથો ‘આચેના ચીન’ (અજાણ્યું ચીન) અને ‘ચીન ઓ જાપાને’ પણ લખ્યાં છે. સમાજકલ્યાણના ક્ષેત્રે પણ તેમનું ઘણું પ્રદાન છે. ૧૯૭૨ના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે બાંગ્લાદેશનાં અનાથ શિશુઓ માટે કૉલકાતા પાસે ‘ખેલાઘર’ નામે સંસ્થાની શરૂઆત કરી હતી. ૧૯૬૪માં તેઓ ‘ધ કાઉન્સિલ ફોર ધ પ્રમોશન ઑફ કૉમ્યુનલ હાર્મની’નાં સ્થાપક બન્યાં હતાં. ‘ધ ઑલ ઇન્ડિયા વિમેન્સ કો-ઑર્ડિનેટિંગ કાઉન્સિલ’નાં ઉપપ્રમુખ પણ બન્યાં હતાં.