Categories
વાચન સમૃદ્ધિ

બળવંતરાય ભટ્ટ

જ. ૨૩ સપ્ટેમ્બર, ૧૯૨૧ અ. ૨ મે, ૨૦૧૬

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગુજરાતી કલાકાર બળવંતરાય ભટ્ટનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમણે મુંબઈની ‘ધ વિક્ટોરિયા મ્યુઝિકલ સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડ’માં શાળાંત પ્રમાણપત્ર સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સૂરતના ‘શ્રી સંગીત નિકેતન’માં ડૉક્ટર ઇન મ્યુઝિક કક્ષાનો અભ્યાસક્રમ પૂરો કરી ‘સંગીતાચાર્ય’ની પદવી મેળવી. શાસ્ત્રીય સંગીતની વિશેષ તાલીમ પંડિત ઓમકારનાથજી પાસે લીધી. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા, અંધજનોની વિવિધ સંસ્થાઓ માટે પણ તેમણે સેવા બજાવી. ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાની ખયાલ ગાયકીમાં, ધ્રુપદ, તરાના ખયાલ ગાયકીની રચનાઓ સંગીતબદ્ધ કરવામાં અને મંત્રો તથા શ્લોકોના ગાયનમાં પ્રશંસનીય પ્રભુત્વ મેળવ્યું હતું. તેમને ભાવનગર મહારાજા તરફથી (૧૯૪૧-૪૨) અને હંસરાજ પ્રાગજી ઠાકરસી ટ્રસ્ટ તરફથી (૧૯૪૩-૪૫) શિષ્યવૃત્તિ મળી હતી. આ ઉપરાંત તાનસેન-વિષ્ણુ દિગંબર શિષ્યવૃત્તિ(૧૯૪૯)માં પ્રથમ વિજેતા બન્યા હતા. આકાશવાણીનાં કેન્દ્રો પરથી તેઓ ઈ. સ. ૧૯૩૩થી ગાયક તથા વાદક તરીકે કાર્યક્રમો આપતા હતા. દેશ-વિદેશમાં અનેક સ્થળે સંગીત પરિષદોમાં તેમણે ભાગ લીધો હતો. તેમણે ૨૫૦ ઉપરાંત વિવિધભાષી ભજનોનું સંગીતનિયોજન કર્યું હતું. અમેરિકાનો પ્રવાસ ખેડી અનેક વ્યાખ્યાન-નિદર્શનો યોજ્યાં હતાં. તેઓ ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમીમાં સભ્યપદે હતા. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં રીડર તરીકેની કામગીરી બજાવી હતી. ગાયક કલાકાર ઉપરાંત તેમણે સંગીતની અન્ય બાબતો પરત્વે પણ રસ લીધો હતો. ભારત સરકારે તેઓને ૧૯૯૦માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા, ૨૦૦૪માં સંગીત નાટક અકાદમી તરફથી ઍવૉર્ડ મળ્યો હતો. ત્યારબાદ ૨૦૦૭-૦૮માં તેમને કાલિદાસ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

માઇકલ ફૅરડે

જ. ૨૨ સપ્ટેમ્બર, ૧૭૯૧ અ. ૨૫ ઑગસ્ટ, ૧૮૬૭

પ્રસિદ્ધ અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફૅરડેનો જન્મ લંડનની નજીકના પરગણામાં થયો હતો. તેમણે અનેક પ્રયોગો દ્વારા વિદ્યુત-ચુંબકત્વની ઘટના સમજાવવામાં અગત્યનો ફાળો આપ્યો હતો. તેમના પિતા લુહારીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. શાળામાં જઈને શિક્ષણ મેળવવાનું તેમને માટે શક્ય નહોતું. આથી તેમણે ઘરે રહીને જ જ્ઞાન મેળવ્યું. તેર વર્ષની ઉંમરે પુસ્તકના એક વેપારીએે તેમને ઘેર ઘેર છાપાંઓ નાખી આવવાની નોકરી આપી. ત્યારબાદ એક પુસ્તકવિક્રેતાએ તેમને પોતાની દુકાનમાં રાખી બુકબાઇન્ડિંગનું કામ શીખવ્યું. અહીં મળતા ફાજલ સમયમાં માઇકલ પુસ્તકો વાંચતા. તેમનો માલિક પણ તેમને આ માટે ખૂબ પ્રોત્સાહન આપતો. એકવીસ વર્ષની વયે તેમને પ્રખ્યાત અંગ્રેજ રસાયણશાસ્ત્રી સર હમ્ફ્રી ડેવીના મદદનીશ તરીકે કામ કરવાની તક મળી. ૧૮૨૧માં તેમણે વિદ્યુત મોટરના સિદ્ધાંતની શોધ કરી અને તેનું પ્રાથમિક પ્રતિરૂપ (Primitive Model) બનાવ્યું. ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર પ્રથમ વિજ્ઞાની બન્યા. ૧૮૨૫માં તેમણે કોલટારમાંથી બેન્ઝિનને છૂટું પાડ્યું. ૧૮૩૧માં વિદ્યુત-ચુંબકીય પ્રેરણની ઘટના શોધી કાઢી. તેમણે સૌપ્રથમ ડાયનેમો બનાવ્યો. તેમણે પરાવૈદ્યુતો (dielectrics), અવાહક પદાર્થોનો અભ્યાસ કર્યો. તેમણે ‘ફૅરડે અસર’ તરીકે જાણીતી ઘટનાની શોધ કરી. ૧૮૩૨ અને ૧૮૩૩માં તેમણે રસાયણશાસ્ત્રમાં વીજવિઘટન માટે સંખ્યાત્મક નિયમો આપ્યા. વિદ્યુત-મોટર અને વિદ્યુત-જનરેટરના તેઓ જનક હતા. તેમનાં વિજ્ઞાનને લગતાં અનેક પ્રકાશનો જાણીતાં થયાં છે. તેમનું મરણોત્તર પ્રકાશન ‘ધ વેરિયસ ફોર્સીઝ ઇન નેચર’ છે. ૧૮૧૩થી ફૅરડેએ રૉયલ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યભાર સંભાળ્યો. તેઓ ડેવીના ઉત્તરાધિકારી બન્યા અને ઇન્સ્ટિટ્યૂટની પ્રયોગશાળામાં ડિરેક્ટર બન્યા. વિદ્યુત-રસાયણમાં તથા ધાતુ-વિજ્ઞાનમાં અનેક પ્રયોગો કર્યા. અત્યંત પ્રસિદ્ધ ‘ડેવી સેફ્ટી લૅમ્પ’માં પણ ફૅરડેનો મહત્ત્વનો ફાળો હતો. સર ડેવી તેમનાં છેલ્લાં વર્ષોમાં કહેતા કે ‘મારા જીવનની સૌથી મોટી જો કોઈ શોધ હોય તો તે છે માઇકલ ફૅરડે !

Categories
વાચન સમૃદ્ધિ

છોટુભાઈ સુથાર

જ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૧૧ અ. ૧૧ ઑક્ટોબર, ૧૯૯૩

ગુજરાતના સુપ્રસિદ્ધ ખગોળવિદ છોટુભાઈ સુથારનો જન્મ ખેડા જિલ્લાના ચકલાસી ગામમાં થયો હતો. શાળાકીય શિક્ષણ નડિયાદમાં લઈ પુણેની કૉલેજમાંથી બી.એસસી.ની ઉપાધિ મેળવી ખેડા જિલ્લાની કેટલીક શાળાઓમાં અધ્યાપન કર્યું. ૧૯૬૮માં નિવૃત્ત થયા. ત્યારબાદ ખગોળવિદ હરિહર ભટ્ટ અને ગણિતજ્ઞ ડૉ. પી. સી. વૈદ્યની રાહબરી હેઠળ ખગોળના ઇતિહાસમાં સંશોધન કરી ગુજરાત યુનિવર્સિટીમાંથી પી.એચડી. થયા. જે ‘ભારતીય ખગોળશાસ્ત્ર, મૌલિક કે પરપ્રાપ્ત’ નામે પુસ્તક રૂપે પ્રગટ થયું. આ ઉપરાંત ૧૯૬૭માં વલ્લભવિદ્યાનગરમાંથી ઉત્તમ સંદર્ભગ્રંથશ્રેણી જ્ઞાન-ગંગોત્રી ગ્રંથમાળાનું પ્રથમ પુસ્તક ‘બ્રહ્માંડદર્શન’ પણ તેમણે લખ્યું. ૧૯૬૮માં નિવૃત્ત થયા બાદ અમદાવાદમાં તૈયાર થતી પ્રથમ વેધશાળાના પ્રથમ નિયામક તરીકેનો હોદ્દો સંભાળ્યો અને અઢી વર્ષ દરમિયાન ખગોળના પ્રચાર માટે નોંધપાત્ર કામ કર્યું. ૧૯૭૪માં ‘અવકાશની સૃષ્ટિ’ નામે ખગોળનું એક પાઠ્યપુસ્તક લખ્યું હતું. આ ઉપરાંત પણ તેમણે બીજાં ત્રણ પાઠ્યપુસ્તકો લખ્યાં હતાં. તેમણે ‘વિજ્ઞાનદર્શન’ નામે પણ એક સામયિકનું તંત્રીપદ સંભાળ્યું હતું. વળી ‘કુમાર’ ઉપરાંત અનેક સામયિકોમાં તેમણે વિજ્ઞાનવિષયક લેખો લખ્યા હતા. ૧૯૬૭માં તેમણે ‘આપણાં પક્ષીઓ’ નામક પક્ષીજીવનના બે ગ્રંથો લખ્યા હતા. આમ નાનાંમોટાં થઈ તેમણે લગભગ પચાસેક પુસ્તકો લખ્યાં છે. વિજ્ઞાનક્ષેત્રે તેમની સેવાઓ બદલ રાષ્ટ્રીય ઍવૉર્ડ આપી તેમને સન્માનવામાં આવ્યા હતા.