Categories
વાચન સમૃદ્ધિ

કુલદીપ નાયર

જ. ૧૪ ઑગસ્ટ, ૧૯૨૩ અ. ૨૩ ઑગસ્ટ, ૨૦૧૮

ભારતીય પત્રકાર, સિન્ડિકેટેડ કૉલમલેખક અને લંડનમાં ભારતના હાઇકમિશનર તરીકે રહી ચૂકેલા કુલદીપ નાયરનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલા સિયાલકોટમાં થયો હતો. તેમણે લાહોરમાંથી બી.એ., એલએલ.બી.નો અભ્યાસ કર્યો. ત્યારબાદ ૧૯૫૨માં સ્કોલરશિપ મળતા નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો. ૧૯૬૭થી ૧૯૭૫ સુધી તેઓ દિલ્હીના ‘ધ સ્ટેટ્સમૅન’ના તંત્રી તથા યુ.એન.આઈ. સમાચારસંસ્થાના મૅનેજર તરીકે કાર્યરત હતા. ૧૯૭૫થી ૧૯૮૧ સુધી ઍક્સપ્રેસ જૂથ અખબારોના તંત્રી હતા. કટોકટીના અંતમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૭૮માં તેમણે એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાની સ્થાપના કરી. તેમણે રાષ્ટ્રીય અખંડિતતા પરિષદ, પ્રેસ કાઉન્સિલ, બ્રિટનની ‘જેમિની’ના વ્યવસ્થાપક મંડળના સભ્ય તથા ભારતીય સંસ્થા ‘સિટીઝન્સ ફોર ડેમોક્રસી’ના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. ૧૯૯૦ના માર્ચથી ડિસેમ્બર સુધી લંડન ખાતે ભારતના હાઇકમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે. પત્રકાર તરીકે તેમણે અનેક સ્કૂપ લખ્યા છે. ૧૯૮૮-૮૯માં પાકિસ્તાન પાસે અણુબૉમ્બ છે એ સમાચાર સૌપ્રથમ તેમણે આપ્યા હતા.  સંશોધનાત્મક પત્રકારત્વમાં તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ૧૯૮૫થી ‘બિટવીન ધ લાઇન્સ’ નામની કૉલમ લખતા હતા જે ૧૪ ભાષાઓમાં ૭૦થી વધુ અખબારોમાં પ્રગટ થતી હતી. તેઓ મોટે ભાગે વર્તમાન રાજકીય મુદ્દાઓ પર નિર્ભીક રીતે પોતાનાં મંતવ્યો રજૂ કરતા હતા. ‘ઇન્ડિયા : ધ ક્રિટિકલ ઇયર્સ, ‘ડિસ્ટન્ટ નેબર્સ’, ‘સપ્રેશન ઑવ્ જજિઝ’, ‘ઇન્ડિયા આફટર નહેરુ’, ‘ધ જજમેન્ટ’, ‘ઇન રિપોર્ટ ઓન અફઘાનિસ્તાન’, ‘ધ ટ્રૅજેડી ઑવ્ પંજાબ’, ‘ઇન્ડિયા હાઉસ’, ‘ધ માર્ટિર’, ‘વોલ એટ વાઘા’, ‘સ્કૂપ’, ‘વિધાઉટ ફિચર’, ‘ટેલ્સ ઑફ ટુ સીટીઝ’ વગેરે પુસ્તકો તેમણે લખ્યાં છે. તેમની આત્મકથા ‘બિયોન્ડ ધ લાઇન્સ ૨૦૧૨માં પ્રકાશિત થઈ હતી. તેમને ૨૦૦૩માં પ્રેસ ફ્રીડમ માટે એસ્ટોર ઍવૉર્ડ અને ૨૦૦૭માં તેમના સમગ્ર કાર્ય માટે શહીદ નિયોગી મેમોરિયલ ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. ૨૦૧૫માં રામનાથ ગોએન્કા જીવન પુરસ્કાર અને ભારત સરકાર દ્વારા ૨૦૧૯માં  પદ્મભૂષણ(મરણોત્તર)થી તેમને નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

શ્રીદેવી

જ. ૧૩ ઑગસ્ટ, ૧૯૬૩ અ. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૮

ભારતીય સિનેમાજગતનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી. શ્રીદેવીને ફિલ્મજગતનાં સૌપ્રથમ સ્ત્રી-સુપરસ્ટારના બિરુદથી ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારત તથા મુંબઈ (હિન્દી) ફિલ્મજગતમાં જીવનનાં ૫૦ વર્ષ તેમણે અભિનય કર્યો. ૧૯૬૭માં તામિલ ફિલ્મ ‘કન્ધમ્ કુરુનાઈ’માં ચાર વર્ષની વયે અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યા પછી એમની કારકિર્દી અવિરત ચાલુ જ રહી. જેના કારણે તેઓ શાળાકીય શિક્ષણથી વંચિત રહ્યાં. તેર વર્ષની વયે તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં મોખરાનું સ્થાન મેળવી ચૂક્યાં હતાં. ૧૯૭૯માં ‘સોલવા સાવન’થી હિન્દી ફિલ્મોની શરૂઆત કરી. ‘હિંમતવાલા’, ‘સદમા’, ‘લમ્હે, ‘ચાંદની’, ‘ખુદાગવાહ’, ‘મિ. ઇન્ડિયા’, ‘ચાલબાઝ’, ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ જેવી અનેક ફિલ્મોમાં શ્રીદેવીનો અભિનય યાદગાર રહ્યો. ૨૦૦૪માં ‘માલિની અય્યર’ ટીવી સિરિયલ દ્વારા નાના પડદા ઉપર પણ એમણે અભિનય કર્યો. ખૂબ નિપુણ નૃત્યાંગના તથા સર્જનાત્મક અભિનય માટે કલા-વિવેચકો પણ શ્રીદેવીનું નામ આદરથી લે છે. ૧૯૯૬માં ફિલ્મનિર્માતા-નિર્દેશક બોની કપૂર સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. એમની બંને પુત્રીઓ જ્હાનવી કપૂર તથા ખુશી કપૂર પણ અભિનયક્ષેત્રે કાર્યરત છે. શ્રીદેવીને પોતાના અદભુત અભિનય માટે ભારત સરકાર તરફથી ૨૦૧૩માં પદ્મશ્રીના સન્માનથી નવાજવામાં આવ્યાં હતાં. તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા તથા મુંબઈ ફિલ્મજગતમાં લાઇફટાઇમ એચીવમેન્ટ, ફિલ્મફેર, રાષ્ટ્રીય ઍવૉર્ડ જેવા અનેકાનેક ઍવૉર્ડ પ્રાપ્ત કરીને અભિનય જગતમાં એમણે પોતાનું અચલ નામ અને સ્થાન પ્રસ્થાપિત કર્યું. ૨૦૦૮માં ફૅશનજગતમાં પણ મૉડિંલગ કરીને વેશભૂષા તથા અદાકારીમાં પણ એક આગવી ઓળખ ઊભી કરી હતી. અભિનયની સાથે કાર્યનિષ્ઠા માટે પણ શ્રીદેવી ઉદાહરણરૂપ હતાં. સાથે બંને પુત્રીઓના જન્મ પછી એમના ઉછેર માટે સ્વેચ્છાએ વર્ષો સુધી અભિનય તેમજ ફિલ્મોથી તેઓ દૂર રહ્યાં હતાં. ભારતીય ફિલ્મજગતનાં સો વર્ષના ઇતિહાસની યાદીમાં શ્રીદેવીનું નામ ઉપરની હરોળમાં મૂકવામાં આવ્યું છે. એક સંપૂર્ણ કલાકાર તરીકે શ્રીદેવી લોકહૃદયે સદાય રહેશે.

Categories
વાચન સમૃદ્ધિ

કે. એ. નીલકંઠ શાસ્ત્રી

જ. ૧૨ ઑગસ્ટ, ૧૮૯૨ અ. ૧૫ જૂન, ૧૯૭૫

દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર કે. એ. નીલકંઠ શાસ્ત્રીનો જન્મ તેલુગુ નિયોગી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી સ્નાતક થયા. તેમણે તિરુનેલવેલીમાં શિક્ષણકાર્ય કર્યું. ૧૯૧૩માં હિંદુ કૉલજમાં અધ્યાપક તરીકે જોડાયા પછી ૧૯૧૮માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેઓ અન્નામલાઈ યુનિવર્સિટીની આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ બન્યા. ૧૯૫૨માં મૈસૂર યુનિવર્સિટીમાં ઇન્ડૉલૉજીના પ્રોફેસર તરીકે અને ૧૯૫૪માં મૈસૂર રાજ્યના પુરાતત્ત્વ નિયામક તરીકે કાર્ય કર્યું. તેઓ યુનેસ્કોની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રેડિશનલ કલ્ચર્સ ઑવ્ સાઉથ ઈસ્ટ એશિયાના નિયામક પણ હતા. અગ્નિ એશિયાના ઇતિહાસના અભ્યાસ માટે તેઓ ડચ અને ફ્રેન્ચ ભાષા પણ શીખ્યા હતા. તેમણે અર્ધી સદી જેટલા સમય સુધી ઇતિહાસનાં સંશોધન કર્યાં. તેમણે દેશ-વિદેશમાં અનેક પ્રવચનો આપ્યાં, જે ગ્રંથ સ્વરૂપે પ્રગટ થયાં હતાં. તેમણે ૧૯૨૬માં યુનિવર્સિટી ઑવ્ મદ્રાસમાં ‘ધ પાંડ્યન્ કિંગ્ડમ’ પર આપેલાં વ્યાખ્યાનો ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થયાં હતાં. તેમણે યુનિવર્સિટી ઑવ્ મદ્રાસમાં આપેલાં સર વિલિયમ મેયર વ્યાખ્યાનો ‘હિસ્ટરી ઑવ્ શ્રીવિજય, ‘યુનિવર્સિટી ઑવ્ શિકાગો’માં આપેલાં પ્રવચનો ‘ડેવલપમેન્ટ ઑવ્ રીલિજિયન ઇન સાઉથ ઇન્ડિયા’ અને ‘યુનિવર્સિટી ઑવ્ પટણા’માં આપેલાં પ્રવચનો ‘કલ્ચરલ કૉન્ટેક્ટ્સ બિટવીન આર્યન્સ ઍન્ડ દ્રાવિડિયન્સ’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ થયાં છે. તેમણે ‘ફર્ધર સોર્સિસ ઑવ્ વિજયનગર હિસ્ટરી’ના ત્રણ ગ્રંથોમાં ઇતિહાસને ઉજાગર કર્યો છે. તેઓ પટણામાં યોજાયેલ ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસના પ્રમુખ હતા. તેઓ કેન્દ્રીય પુરાતત્ત્વ સલાહકાર બોર્ડના સભ્ય હતા. તેમણે ઇતિહાસમાં કરેલાં સંશોધનો બદલ ભારત સરકારે તેમને ૧૯૫૭માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.