Categories
વાચન સમૃદ્ધિ

રામપ્રસાદ બક્ષી

જ. ૨૦ જૂન, ૧૮૯૪ અ. ૨૨ માર્ચ, ૧૯૮૭

ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ પરંપરાના વિવેચક, સંપાદક અને અનુવાદક રામપ્રસાદ બક્ષીનો જન્મ જૂનાગઢમાં પ્રેમશંકર બક્ષીને ત્યાં થયો હતો. વતન મોરબી. તેમણે પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં લીધું હતું. ૧૯૧૦માં વઢવાણથી મૅટ્રિક થયા. ૧૯૧૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા. ૧૯૧૫થી તેઓ મુંબઈમાં સ્થિર થયા. ૧૯૨૭થી ૧૯૫૯ સુધી આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલ, શાન્તાક્રૂઝના આચાર્યપદે રહ્યા. નિવૃત્તિ બાદ મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લેમાં ગુજરાતીના અધ્યાપક થયા. એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાં ત્રણ વર્ષ મુલાકાતી અધ્યાપક પણ રહેલા. તેઓ સંસ્કૃત અને અંગ્રેજીના સારા વાચક અને અભ્યાસી હશે તેવું તેમના લેખો પરથી કહી શકાય. બહુશ્રુતતાનો સ્પર્શ, શાસ્ત્રીયતાનો અભિગમ અને વિવરણપ્રધાન શૈલીવાળું તેમનું વિવેચન તેમને સંસ્કૃત પરિપાટીના વિવેચક તરીકે ઉપસાવે છે. ‘વાઙમયવિમર્શ’(૧૯૬૩)માં સાહિત્યના તત્ત્વની મીમાંસા કરતા લેખો છે. ‘નાટ્ય રસ’ અને ‘કરુણ રસ’માં ભારતીય સંગીતનૃત્યનાટ્ય મહાવિદ્યાલય, વડોદરાના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો સંગૃહિત થયાં છે. તેમાં સંસ્કૃત નાટ્યસિદ્ધાંત અને પાશ્ચાત્ય નાટ્યમીમાંસાનો તુલનાત્મક અભ્યાસ છે. ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’(૧૯૭૬)માં ગોવર્ધનરામની તત્ત્વમીમાંસા અને સાહિત્યિક વિશેષતાની ચર્ચા કરતા લેખો છે. તેમની પાસેથી ‘ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીઝ સ્ક્રેપબુક’, ‘નરિંસહરાવની રોજનીશી’, કરસનદાસ માણેક ષષ્ઠિપૂર્તિગ્રંથ ‘અક્ષર આરાધના’ (અન્ય સાથે), ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’ વગેરે અનેક સંપાદનો મળ્યાં છે. અનુવાદક્ષેત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ‘કથાસરિતા’, ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’ (નરિંસહરાવનાં વ્યાખ્યાનો, ભાગ ૧-૨), શીખધર્મસ્તોત્ર ‘સુખમની’ વગેરે તેમની અનૂદિત કૃતિઓ છે. ૧૯૭૬-૭૭માં પોરબંદર ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા. તેમને ૧૯૬૦-૬૪નો નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

મંજુલાબહેન દવે

જ. ૧૯ જૂન, ૧૯૧૫ અ. ૧૪ નવેમ્બર, ૨૦૦૨

લગભગ ૫૦ વર્ષ સુધી પોતાનું જીવન મહિલાકલ્યાણની પ્રવૃત્તિઓ માટે સમર્પિત કરનાર નિષ્ઠાવાન કાર્યકર મંજુલાબહેનનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતા મણિશંકર રાવલ જામનગરની નવાનગર હાઈસ્કૂલમાં આચાર્ય હતા. ૧૯૩૧માં મૅટ્રિક થયા પછી તેમનાં લગ્ન ધ્રાંગધ્રાના જયંતભાઈ દેવશંકર દવે સાથે થયેલાં શ્વશુરગૃહે આવીને તેમણે સમાજસુધારાની શરૂઆત કરેલી. સૌની સંમતિ મેળવીને તેમણે લાજ કાઢવાની પ્રથા દૂર કરેલી. ૧૯૩૯માં અડ્યાર, ચેન્નાઈ જઈને મૉન્ટેસોરી પદ્ધતિનું શિક્ષણ મેળવેલું. ૧૯૪૭માં જામનગરની આર્યકન્યા વિદ્યાલયનાં પ્રથમ આચાર્ય તરીકે છ માસ રહેલાં. ૧૯૫૪-૫૫માં તેમણે એસએનડીટી યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવેલી. ૧૯૪૮માં સ્વતંત્ર સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન ઢેબરભાઈની રાહબરી હેઠળ તેમણે સ્ત્રી-કલ્યાણનાં અનેક કાર્યોમાં આગળ પડતી ભૂમિકા ભજવી હતી. તે જ વર્ષે જામનગરમાં મહિલામંડળની સ્થાપના થઈ. સરકાર અને દાનવીર શેઠ મેઘજી પેથરાજ શાહના દાનથી બીજી ઑક્ટોબર, ૧૯૫૭ના દિવસે જામનગરમાં ‘કસ્તૂરબા સ્ત્રી વિકાસગૃહ’ની સ્થાપના કરવામાં આવી. કસ્તૂરબા સ્ત્રી વિકાસગૃહને નિષ્ઠાવાન, કાર્યદક્ષ અને સેવાભાવી કાર્યકરો મળ્યા જેમાં મંજુલાબહેન દવે સૌથી મોખરે રહ્યાં. તેના મંત્રી અને પ્રમુખસ્થાને રહીને તેમણે ૩૭ વિભાગો વિકસાવેલા. ૧૯૫૭થી ૧૯૬૭ સુધી વિધાનસભાનાં સભ્ય હતાં. તેમણે કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડની યોજના હેઠળ જામનગર જિલ્લાનાં ગામડાંઓમાં મહિલા તથા બાલકલ્યાણની અનેક પ્રવૃત્તિઓ કરી હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી તેમને અનેક પુરસ્કારો તથા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ૧૯૮૩માં કસ્તૂરબા સ્ત્રી વિકાસગૃહ સંસ્થાને ગુજરાત સરકાર તરફથી બાલકલ્યાણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ સેવા માટેનો પુરસ્કાર આપવામાં આવેલો. તે ઉપરાંત ૧૯૮૯માં તેમને મહિલા સુરક્ષા પુરસ્કાર, ૧૯૯૨માં નારી સમાજસેવાનો યંગમૅન્સ ગાંધિયન ઍસોસિયેશન ઍવૉર્ડ તથા ૨૦૦૦માં ગ્રામસમાજ સેવા ટ્રસ્ટ(પાટડી)ના પુરસ્કારો મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

પરમાનંદ કુંવરજી કાપડિયા

જ. ૧૮ જૂન, ૧૮૯૩ અ. ૧૭ એપ્રિલ, ૧૯૭૧

સમાજસુધારક અને નિર્ભીક પત્રકાર પરમાનંદ કાપડિયાનો જન્મ રાણપુરમાં થયો હતો. તેમના પિતાશ્રી તત્ત્વજ્ઞાનના નિષ્ણાત હતા અને અનેક જિજ્ઞાસુઓ તેમની પાસે જ્ઞાન લેવા આવતા. સંસ્કારસંપન્ન વાતાવરણમાં ઊછરેલા પરમાનંદ કાપડિયાએ ૧૯૧૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા પછી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ૧૯૧૬માં એલએલ.બી.ની ડિગ્રી મેળવી. સત્યના આગ્રહી હોવાથી વકીલાત ક્ષેત્રે લાંબું ટક્યા નહીં. ત્યારબાદ તેમણે ઝવેરાતનો વ્યવસાય કર્યો. તે સમયે જૈન સમાજમાં ચાલ્યા આવતા પરંપરાગત રીતરિવાજો, બાળદીક્ષા, દેવદ્રવ્ય અને અનિષ્ટ વ્યવહારો સામે અવાજ ઉઠાવ્યો. તેમણે આ અંગે વિરોધ વ્યક્ત કરતાં અનેક ભાષણો આપ્યાં. પિતાશ્રીના તંત્રીપદે ચાલતા ‘જૈન પ્રકાશ’માં ‘કલાવિહીન ધાર્મિક જીવન’ અંગે અઢાર હપતાની લેખમાળા પ્રકાશિત કરી. તેમણે ૧૯૨૮માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના કરી અને તેના દ્વારા આંદોલનો ચલાવ્યાં. તેમણે ‘તરુણ જૈન’ (૧૯૩૪-૧૯૩૭) સામયિક ચલાવ્યું અને ત્યારબાદ ૧૯૩૭માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક ‘પ્રબુદ્ધ જૈન’ તેમના તંત્રીપદે શરૂ થયું. આ સામયિક દ્વારા તેમની પત્રકાર તરીકેની અને તર્કબદ્ધ અભિવ્યક્તિની શક્તિનો પરિચય થયો. ‘પ્રબુદ્ધ જૈન’ ૧૯૫૩થી ‘પ્રબુદ્ધજીવન’ના નામે પ્રકાશિત થાય છે જે અત્યારે પણ ચાલુ છે. તેમની પત્રકાર તરીકેની સફળ કારકિર્દીને કારણે સૌરાષ્ટ ટ્રસ્ટે તેમને ‘યુગદર્શન’ નામના માસિકનું સંપાદન સોંપ્યું હતું. ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ નિમાયા હતા. ‘જૈન ધર્મનું હાર્દ’ અને ‘જૈન યુવક પ્રવૃત્તિ’ વિશે મારી દૃષ્ટિમાં તેમના વિચારોની વિશદતા જોવા મળે છે. આ ઉપરાંત ‘સત્ય શિવ સુંદરમ્’ તેમનો લેખસંગ્રહ છે. તેમના મૃત્યુ પછી તેમના લેખો અને પત્રોનું સંકલન ‘ચિંતનયાત્રા’ નામના પુસ્તકમાં થયું છે. ૧૯૩૨થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ કરી જે આજે પણ ચાલે છે. જીવનભરની તેમની જ્ઞાનોપાસના અને સેવાને પુરસ્કારવા મુંબઈ જૈન યુવક સંઘે તેમના સભાગૃહને ‘પરમાનંદ કાપડિયા સભાગૃહ’ નામ આપ્યું છે.