Categories
વાચન સમૃદ્ધિ

રાજકુમારી અમૃત કૌર

જ. ૨ ફેબ્રુઆરી, ૧૮૮૯ અ. ૬ ફેબ્રુઆરી, ૧૯૬૪

અમૃત કૌરનો જન્મ લખનઉમાં થયો હતો. તેઓ પંજાબ પ્રાંતના કપૂરથલ્લા રાજ્યના રજવાડા પરિવારના સાત ભાઈઓનાં એકનાં એક બહેન હતાં. તેમનો પ્રારંભિક અભ્યાસ ડોરસેટ ઇંગ્લૅન્ડ ખાતે તથા કૉલેજશિક્ષણ ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાં લીધું હતું. ત્યારબાદ તેઓ ભારત પાછાં આવ્યાં. ભારત આવીને તેઓ સ્વતંત્રતાચળવળમાં જોડાઈ ગયાં. તેમના પિતા ભારતના રાષ્ટ્રીય કૉંગ્રેસના મુખ્ય નેતાઓ સાથે પરિચય ધરાવતા હતા, આથી ૧૯૧૯માં અમૃત કૌર મહાત્મા ગાંધીને મુંબઈ ખાતે મળ્યાં અને તેમના વિચારોથી પ્રભાવિત થઈ ગયાં. જલિયાંવાલા બાગમાં થયેલ હત્યાકાંડથી તેઓ બ્રિટિશ રાજનાં પ્રખર વિરોધી અને આલોચક બન્યાં. ત્યારબાદ તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાઈ ગયાં અને ભારતીય સ્વતંત્રતાઆંદોલનમાં સક્રિય થયાં અને સામાજિક સુધારણાના વિષયમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે ૧૯૨૭માં અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના કરી. ૧૯૩૦માં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ દાંડીકૂચમાં ભાગ લેવા બદલ તેઓને જેલવાસ થયો. ત્યારબાદ તેઓ ગાંધીજીનાં અંતેવાસી બન્યાં અને કઠોર જીવનશૈલી અપનાવી. તેમણે ૧૬ વર્ષ સુધી ગાંધીજીનાં મંત્રી તરીકે કાર્ય કર્યું ઉપરાંત મહિલાઉત્કર્ષ અને શિક્ષણપ્રવૃત્તિઓમાં સવિશેષ રસ લીધો. બાળલગ્ન અને પરદાપ્રથાનો વિરોધ કર્યો. તેઓ સ્વતંત્ર ભારતનાં પહેલાં સ્વાસ્થ્યમંત્રી હતાં. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ભારતના પ્રારંભિક રાજકીય જીવનમાં તેઓએ માનભર્યું સ્થાન હાંસલ કર્યું હતું. તેમની ઇચ્છાનુસાર તેઓને મૃત્યુ પછી દફનાવવાને બદલે અગ્નિસંસ્કાર અપાયો હતો.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

અબ્બાસ તૈયબજી

જ. ૧ ફેબ્રુઆરી, ૧૮૫૪ અ. ૯ મે, ૧૯૩૬

ભારતીય સ્વાતંત્ર્યસેનાની અને મહાત્મા ગાંધીજીના નિકટના સાથી તથા વડોદરા રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ. તેમનો જન્મ ખંભાત, ગુજરાતના એક સમૃદ્ધ સુલેમાની વહોરા મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમણે ઘેર રહીને ઉર્દૂ, ફારસી અને કુરાનનો અભ્યાસ કર્યો. ઉપરાંત મિશન સ્કૂલમાં અંગ્રેજીનો અભ્યાસ કર્યો. અગિયાર વર્ષની વયે ઇંગ્લૅન્ડ ગયા અને ૧૮૭૨માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ૧૮૭૫માં બૅરિસ્ટર થયા. ઇંગ્લૅન્ડના રહેવાસ દરમિયાન પાશ્ચાત્ય જીવનપદ્ધતિ અને વિચારોથી પ્રભાવિત થવાથી ભારત પરત આવ્યા બાદ પણ બ્રિટિશ રાજ પ્રત્યે વફાદાર રહ્યા. ૧૮૭૯માં વડોદરા રાજ્યની અદાલતમાં ન્યાયાધીશ તરીકે નોકરી સ્વીકારી. મુસ્લિમ સમાજમાં કેળવણીનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી તેમણે તેના ફેલાવા માટે પ્રયાસ કર્યો. વડોદરાની અંજુમન-એ-ઇસ્લામ સંસ્થા તથા સુરમાયા-જમાતે સુલેમાની બોર્ડિંગ સ્કૂલનાં ઘણાં વર્ષો સુધી પ્રમુખ રહ્યા. તેઓ સ્ત્રીશિક્ષણ અને સમાજસુધારાને સમર્થન કરતા. પડદાપ્રથાનો અસ્વીકાર કરવાની સાથે પોતાની પુત્રીઓને શાળામાં મોકલી તત્કાલીન રૂઢિગત રિવાજોને પણ પડકાર્યા હતા. ૧૮૮૫માં હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનાના સમયથી જ તેના સભ્ય હતા. ૧૯૧૭માં ગોધરા ખાતે આયોજિત એક સામાજિક સંમેલનમાં ભાગ લીધો અને ૧૯૧૯ પછી બ્રિટિશ શાસનના વિરોધી બન્યા. જલિયાંવાલા બાગ હત્યાકાંડના બનાવ અંગે રચાયેલી કૉંગ્રેસ તપાસ સમિતિમાં પણ જોડાયા. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમની જીવનદૃષ્ટિમાં પરિવર્તન આવ્યું. ૧૯૨૦માં ગુજરાત રાજકીય પરિષદ(અમદાવાદ)ના પ્રમુખ બન્યા. તેઓ બારડોલી સત્યાગ્રહમાં પણ જોડાયા અને ૧૯૩૦ની દાંડીકૂચ વખતે ગાંધીજીની ધરપકડ પછી તેઓ આંદોલનના મુખ્ય નેતા બન્યા. તેથી ૭૮ વર્ષની વયે જેલમાં જવું પડ્યું. ૧૯૩૨માં પણ ફરી જેલવાસ થયો. તૈયબજીની ધરપકડ અને જેલની સજાના સંદર્ભે ગાંધીજીએ તેમને ‘ગ્રાન્ડ ઓલ્ડ મૅન ઑફ ગુજરાત’ તરીકે નવાજ્યા હતા. ૧૯૩૩ અને ૧૯૩૫માં તે વડોદરા પ્રજામંડળના પ્રમુખ રહ્યા હતા.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

અતુલ દેસાઈ

જ. ૩૧ જાન્યુઆરી, ૧૯૩૪ અ. ૨૦ જાન્યુઆરી, ૨૦૧૩

શાસ્ત્રીય કંઠ્યસંગીતમાં ગુજરાતના સુવિખ્યાત કલાકાર અતુલ દેસાઈનો જન્મ અમદાવાદમાં થયો હતો. પિતા ગિરીશચંદ્ર અને માતા સુલભાબહેન. સંગીતનો વારસો માતાપિતા તરફથી મળ્યો હતો. અમદાવાદની ચી. ન. વિદ્યાલયમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. વડોદરાના કલાભવનમાંથી આર્કિટૅક્ચરનો અભ્યાસ કર્યો. ૧૯૫૫માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંગીતની વધુ તાલીમ માટે જોડાયા. તેમણે પં. ઓમકારનાથ ઠાકુર પાસેથી સંગીતની તાલીમ મેળવી હતી. ૧૯૫૬થી ૧૯૬૫ દરમિયાન તેઓ ભારતનાં અનેક આકાશવાણી-કેન્દ્રો સાથે પ્રથમ કક્ષાના કલાકાર તરીકે કાર્યરત હતા. ૧૯૬૫થી ૧૯૭૨ દરમિયાન આકાશવાણી અમદાવાદ કેન્દ્રના શાસ્ત્રીય સંગીત વિભાગના નિર્માતા તરીકે તેઓને પસંદ કરવામાં આવ્યા હતા. ૧૯૭૦થી તેઓ અમદાવાદની જાણીતી નૃત્યસંસ્થા ‘કદમ્બ’માં સંગીતવિભાગના નિયામક તરીકે જોડાયા હતા. તે જ વર્ષે અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇનમાં અમેરિકાના જાણીતા સંગીતકાર ડેવિડ ટ્યૂડર પાસેથી ઇલેક્ટ્રૉનિક મ્યુઝિકનો અભ્યાસ કર્યો હતો. જાપાનના ઓસાકા શહેરમાં યોજાયેલ ‘એક્સ્પો-૭૦’ પ્રદર્શનમાં ભારત તરફથી ઇલેક્ટ્રૉનિક સંગીતનું નિર્દેશન તેમણે કર્યું હતું. ૧૯૭૫માં તેઓ ઇસરોના સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એેક્સ્પેરિમેન્ટના સંગીત-નિર્દેશક બન્યા. તેમણે અનેક દેશોનો સાંસ્કૃતિક પ્રવાસ કર્યો હતો. અનેક નાટકો, નૃત્યનાટિકાઓ, રેડિયોરૂપકો, દૂરદર્શન પરની શ્રેણીઓ તથા બાળ-કાર્યક્રમોનું સંગીત-નિર્દેશન કર્યું હતું. ૧૯૮૬માં દિલ્હીમાં ઊજવાયેલા ‘અપના ઉત્સવ’માં ‘ગુંજે પથ્થર’ કાર્યક્રમના મ્યુઝિક ટ્રૅકનું સ્વરનિયોજન તેમણે કર્યું હતું. અતુલ દેસાઈને વડોદરાની ત્રિવેણી સંસ્થા દ્વારા શ્રેષ્ઠ કલાકાર ઍવૉર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા ગૌરવ પુરસ્કાર અને ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિશિષ્ટ ફેલોશિપ આપવામાં આવ્યાં હતાં. તદ્ઉપરાંત તેમણે પ્રાયોગિક સંગીતના ક્ષેત્રે કરેલાં કાર્યો બદલ રાષ્ટ્રપતિના હસ્તે ૧૯૯૫-૯૬ના વર્ષનો સંગીત-નૃત્ય અકાદમી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અતુલ દેસાઈનાં પત્ની સંધ્યાબહેન કથક નૃત્યનાં જાણીતાં કલાકાર હતાં.

શુભ્રા દેસાઈ