Categories
વાચન સમૃદ્ધિ

ધીરુ પરીખ

જ. ૩૧ ઑગસ્ટ, ૧૯૩૩ અ. ૯ મે, ૨૦૨૧

ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ, વાર્તાકાર અને વિવેચક તરીકે જાણીતા ધીરુ પરીખનો જન્મ વિસનગરમાં થયો હતો. પિતા ઈશ્વરલાલ પરીખ ડૉક્ટરનો વ્યવસાય કરતા હતા અને ગાંધીજીની વિચારસરણીને વરેલા હતા. તેમનાં  માતાનું નામ ડાહીબહેન હતું. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિરમગામમાં જ થયું હતું. ભણવામાં તેઓ ખૂબ જ તેજસ્વી હતા. અભ્યાસકાળથી જ ટૂંકી વાર્તાઓ અને નિબંધો લખવાની શરૂઆત કરેલી અને આઝાદીની લડતમાં પણ સક્રિય રહ્યા હતા. ૧૯૫૫માં બી.એ., ૧૯૮૫માં એમ.એ. અને ૧૯૬૬માં ‘રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ’ વિષય પર મહાનિબંધ લખીને તેઓ પીએચ.ડી. થયા હતા. પ્રારંભમાં થોડો સમય મૉડર્ન હાઈસ્કૂલ, અમદાવાદમાં શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ ૧૯૫૯થી અમદાવાદાની સી. યુ. શાહ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. ૧૯૬૭થી ૧૯૬૯ સુધી તેઓ વઢવાણની મહિલા કૉલેજમાં આચાર્યપદે રહ્યા હતા. ૧૯૬૯થી ૧૯૭૭ દરમિયાન ફરી સી. યુ. શાહ કૉલેજમાં જોડાયા અને ત્યારબાદ ૧૯૭૭થી ૧૯૯૩ સેવાનિવૃત્તિ સુધી ભાષા-સાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રોફેસર અને અધ્યક્ષપદે સેવાઓ આપી હતી. ગુજરાતી ભાષા-સાહિત્યના સંનિષ્ઠ પ્રાધ્યાપકોમાં તેમનું સ્થાન નોંધપાત્ર છે. ધીરુ પરીખ પાસેથી આઠ કાવ્યસંગ્રહો, બે વાર્તાસંગ્રહો, બે જીવનચરિત્રો, તેર વિવેચનસંગ્રહો, તેર સંપાદનો, બે અનુવાદ અને એક એકાંકીસંગ્રહ એમ વૈવિધ્યપૂર્ણ સાહિત્ય પ્રાપ્ત થયું છે. ‘ઉઘાડ’, ‘આગિયા’ અને ‘અંગપચીસી’ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. તેઓ ‘વિશ્વકવિતા કેન્દ્ર’ના સહઆયોજક તરીકે અને ગુજરાતીનો અધ્યાપક  સંઘ તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહી ચૂકેલા છે. જાણીતા સામયિક ‘કવિલોક’ અને ‘કુમાર’ના તંત્રી તરીકે અને ‘બુધ-કવિસભા’ના સંચાલક તરીકે તેઓ જીવનપર્યંત સક્રિય રહ્યા હતા. ધીરુ પરીખને ૧૯૭૧માં કુમારચંદ્રક, ૧૯૮૨માં જયંત પાઠક પારિતોષિક, સચ્ચિદાનંદ સન્માન, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક અને ૨૦૦૮માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

જહાંગીર બાદશાહ

જ. ૩૦ ઑગસ્ટ, ૧૫૬૯ અ. ૨૮ ઑક્ટોબર, ૧૬૨૭

મૂળ નામ સલીમ પણ ઈ. સ. ૧૬૦૫ના ઑક્ટોબરની ૨૪મી તારીખે નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીરનું બિરુદ ધારણ કરી આગ્રાના રાજતખ્તા ઉપર તેઓ બેઠા. બાબરના વંશમાં ચોથા બાદશાહ અને મુઘલ બાદશાહ અકબરના તેઓ પુત્ર હતા. તેઓ અરબી, ફારસી, સંસ્કૃત અને તુર્કી ભાષાઓ શીખ્યા હતા. તેમણે લશ્કરી અને વહીવટી તાલીમ લીધી હતી.  તેમણે તખ્તા પર બેઠા પછી પોતાની રાજનીતિને સ્પષ્ટ કરતાં બાર ફરમાનો બહાર પાડ્યાં હતાં. જહાંગીર કોઈ કુશળ સેનાનાયક નહોતા છતાં તેમણે પિતાના વિશાળ સામ્રાજ્યમાં પોતે પણ વૃદ્ધિ કરી હતી. ૧૬૧૨માં અફઘાનોને પૂર્ણપણે વશ કરી લીધા. બંગાળમાં બર્દવાનના જાગીરદાર શેર અફઘાનને હરાવવા કુત્બુદ્દીન ખાનને મોકલવામાં આવ્યા અને બર્દવાનની લડાઈમાં બંનેના પ્રાણ ગયા. શેર અફઘાનની વિધવા મહેરુન્નિસાને શાહી દરબારમાં મોકલી અપાઈ, જ્યાં જહાંગીર મહેરુના પ્રેમમાં પડ્યા અને ચાર વર્ષ બાદ તેની સાથે લગ્ન કર્યાં, તેનું નામ નૂરજહાં (જગતની રોશની) રખાયું. નૂરજહાંએ જહાંગીર વતી કુશળ વહીવટ ચલાવ્યો, એના નામના સિક્કા પણ પડ્યા. ૧૬૧૪માં મેવાડના રાણા પ્રતાપના પુત્ર અમરિંસહને પરાજિત કરી સુલેહ કરવાની ફરજ પડાઈ. જહાંગીરના સમયમાં અંગ્રેજો સાથેના ગાઢ સંબંધોની શરૂઆત થઈ. જૉન હૉકિન્સ આગ્રામાં બે વર્ષ (૧૬૦૯-૧૬૧૧) રહ્યા. બાદશાહે તેને ખૂબ મદદ કરી. સર ટૉમસ રૉ ઈ. સ. ૧૬૧૫માં હિંદ આવ્યા. તે બાદશાહને અજમેરમાં મળ્યા અને બાદશાહ સાથે માંડૂ અને અમદાવાદની મુલાકાત વખતે સાથે રહ્યા. ત્યારબાદ અંગ્રેજોને હિંદમાં વેપાર કરવાની યોગ્ય સગવડ મળી. જહાંગીર કલાના કદરદાતા હતા. બગીચા કરાવવાના ખૂબ શોખીન, કાશ્મીરના બગીચા એના દાખલા રૂપે છે. કપડાંલત્તાં તથા મિજબાનીના શોખીન હતા. લાહોરમાં બાદશાહે દેહ છોડ્યો, નૂરજહાંએ ત્યાં ભવ્ય મકબરો બંધાવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

અમૃતલાલ હરગોવિંદદાસ

જ. ૨૯ ઑગસ્ટ, ૧૮૮૯ અ. ૧૧ માર્ચ, ૧૯૭૪

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર અમૃતલાલનો જન્મ અમદાવાદ નજીક કુહા ગામમાં થયો હતો. ગુજરાત કૉલેજમાંથી બી.એ. અને મુંબઈથી એલએલ.બી. થઈ ઈ. સ. ૧૯૧૨-૧૩માં અમદાવાદ ખાતે વકીલાતથી કારકિર્દી આરંભીને દોઢ-બે વર્ષ બાદ પિતાજીની શરાફી પેઢીમાં જોડાયા. તેમણે ઝડપથી વ્યવસાય શીખી લીધો અને ટૂંક સમયમાં કાપડમિલના માલિક બન્યા. ત્યારબાદ અમદાવાદ ટેક્સટાઇલ મિલ ઑનર્સ ઍસોસિયેશનના પ્રમુખ પણ બન્યા. ઈ. સ. ૧૯૨૭માં જ્યારે ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે હજારો મકાનો પડી ગયાં હતાં અને જાનમાલની ભારે ખુવારી થઈ હતી તે સમયે તેમણે સરદાર વલ્લભભાઈની સાથે રહીને રાહત તેમ જ પુનર્વસવાટનાં કાર્યોમાં સક્રિય ફાળો આપ્યો હતો. ગરીબ કુટુંબોને પૂરેપૂરી સહાય મળે તેવો આગ્રહ રાખ્યો હતો. ઈ. સ. ૧૯૩૬માં પિતાશ્રીના નામ પરથી અમદાવાદની પ્રસિદ્ધ એચ. એલ. (હરગોવનદાસ લખમીચંદ) કૉલેજ ઑફ કૉમર્સની સ્થાપના કરી. પોતાના સોળ વર્ષના પુત્ર બંસીલાલની સ્મૃતિમાં આણંદ ખાતેની બંસીલાલ ઍગ્રિકલ્ચરલ કૉલેજ અને ધર્મપત્નીના સ્મરણાર્થે અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ ખાતે મણિબહેન અમૃતલાલ આયુર્વેદિક કૉલેજની સ્થાપના કરી હતી. ઈ. સ. ૧૯૩૬માં બગીચા મિલનું અને ૧૯૫૬માં બગીચા મિલ નં. ૨નું સફળ સંચાલન કર્યું. ૧૯૬૭માં તેમણે બંને મિલો વેચીને જનહિતનાં કાર્યો પર લક્ષ આપ્યું. ઈ. સ. ૧૯૩૫માં શેઠ કસ્તૂરભાઈ સાથે રહી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના, ૧૯૪૯માં ગુજરાત વેપારી મહામંડળની સ્થાપના અને ૧૯૫૪માં ગુજરાત રેલરાહત સમિતિનો પ્રારંભ – આ એમનું વ્યાપાર-ઉદ્યોગ અને શિક્ષણ-સમાજ તરફ દૃષ્ટિસંપન્ન યોગદાન છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવા સ્થાપેલા ટ્રસ્ટફંડમાં ૪૨ લાખ રૂ.નો ફાળો તેઓએ એકઠો કર્યો હતો. અમદાવાદને વાડીલાલ હૉસ્પિટલ માટે તેમણે ૧૪ લાખ રૂ.નો ફાળો આપ્યો હતો. ગુજરાતના બધા જ પ્રાણપ્રશ્નોમાં તેઓએ સક્રિય રસ દાખવ્યો હતો. તેમના મહાત્મા ગાંધી, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, કસ્તૂરભાઈ લાલભાઈ, ગણેશ માવલંકર સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હતા અને રાષ્ટ્રીય હેતુ માટે મુક્તપણે દાન આપતા હતા.