Categories
વાચન સમૃદ્ધિ

રમણલાલ છોટાલાલ મહેતા

જ. ૩૧ ઑક્ટોબર, ૧૯૧૮ અ. ૧૮ ઑક્ટોબર, ૨૦૧૪

ગુજરાતના સંગીતશાસ્ત્રના તજજ્ઞ અને અગ્રગણ્ય સંગીતવિજ્ઞાની (Musicologist) રમણલાલનો જન્મ સૂરતમાં થયો હતો. બી.એ.; ડી.મ્યૂઝ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ તેમણે ફૅકલ્ટી ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટ્સમાં આચાર્ય તરીકે સેવા આપી. તેમણે કંઠ્ય સંગીતની કિરાના શૈલીની તાલીમ કંચનલાલ મામાવાળા અને પછી અબ્દુલ વહીદખાન પાસેથી લીધી. તેમણે ખયાલ ગાયકી તથા ઠૂમરીમાં પોતાની આગવી શૈલી વિકસાવી. તેમણે મ્યુઝિક સર્કલ, સંગીત પરિષદો તથા આકાશવાણી પર શાસ્ત્રીય હિંદુસ્તાની સંગીતના વિવિધ કાર્યક્રમો આપ્યા. રમણલાલે ૪૫થી વધુ વર્ષો ભારતમાં સંગીતશિક્ષણ ક્ષેત્રે કામ કર્યું. તેમણે ભારતની અનેક યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના સંગીત-શિક્ષણ આયોજનમાં નોંધપાત્ર ફાળો આપ્યો. અનેક શૈક્ષણિક સંસ્થાઓ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તથા આકાશવાણીના સેન્ટ્રલ મ્યુઝિક ઑડિશન બોર્ડમાં નિષ્ણાત તરીકે કામગીરી બજાવી. તેમણે ૧૯૭૦માં ઇન્ડિયન મ્યુઝિકોલૉજિકલ સોસાયટી(મુંબઈ-વડોદરા)ની સ્થાપના કરી. તેઓ ‘ધ જર્નલ ઑવ્ ધી ઇન્ડિયન મ્યુઝિકોલૉજિકલ સોસાયટી’ના સ્થાપક તંત્રી હતા.

ઇંગ્લૅન્ડની કૉલેજો તથા યુનિવર્સિટીઓમાં સંગીત પર તેમણે વ્યાખ્યાનો આપ્યાં. સંગીતનાં વિવિધ પાસાં પરનાં તેમનાં પ્રકાશનોમાં ‘આગ્રા ઘરાના-પરંપરા, ગાયકી ઔર ચીજેં’, ‘ગુજરાતી ગેય કવિતા’, ‘સંગીતચર્ચા’ વગેરેનો સમાવેશ થાય છે. તેમના તંત્રીપદ હેઠળ ૧૭ પુસ્તકોનું પ્રકાશન થયું છે. તેઓ ગુજરાત સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ (૧૯૯૩-૯૪, ૧૯૯૫-૯૬) હતા. ૧૯૯૯ સુધી તેઓ તે સંસ્થાના સંગીત કાર્યક્રમમાં આવાહક તરીકે સક્રિય હતા.

રમણલાલ મહેતાને અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ તરફથી ‘ડૉક્ટર ઑવ્ મ્યુઝિક’ની માનાર્હ પદવી, ગુજરાત સરકારનો સંગીતક્ષેત્રનો ઍવૉર્ડ, ભારત સરકાર તરફથી માનાર્હ ફેલોશિપ, મુંબઈની સૂરસિંગાર સંસદ તરફથી સારંગદેવ ફેલોશિપ ઉપરાંત અનેક પ્રશસ્તિપત્રો, રોકડ પુરસ્કાર તથા ‘શ્રેષ્ઠ સંગીતાચાર્ય’નું બિરુદ પ્રાપ્ત થયાં.

૨૦૦૯માં ભારત સરકાર તરફથી તેમને પદ્મભૂષણના ખિતાબથી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પ્રમોદ મહાજન

જ. ૩૦ ઑક્ટોબર, ૧૯૪૯ અ. ૩ મે, ૨૦૦૬

પ્રમોદ વેંકટેશ મહાજન ભારતના રાજકીય નેતા હતા. તેમનો જન્મ મહબૂબનગર, તેલંગાણામાં વેંકટેશ દેવીદાસ મહાજન તથા પ્રભાવતીને ત્યાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ૨૧ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું હતું. શાળાકીય શિક્ષણ તેમણે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના યોગેશ્વરી વિદ્યાલય તથા મહાવિદ્યાલયમાં લીધું હતું. પૂનાની રાનડે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જર્નાલિઝમમાંથી ફિઝિક્સ અને જર્નાલિઝમ વિષય સાથે સ્નાતક તથા રાજ્યશાસ્ત્રના વિષય સાથે અનુસ્નાતક થયા હતા. ગોપીનાથ મૂંડે તેમના સહાધ્યાયી હતા જે પાછળથી તેમના બનેવી બન્યા હતા. સક્રિય રાજનીતિમાં જોડાયા પહેલાં તેઓ ખોલેશ્વર કૉલેજ અંબેજોગાઈમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. નાનપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સભ્ય હતા પણ મરાઠી સમાચારપત્ર ‘તરુણ ભારત’ના સહસંપાદક બન્યા પછી નોકરી છોડી પૂર્ણ સમય માટે આરએસએસના પ્રચારક બની ગયા. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના જનરલ સેક્રેટરી બન્યા. ૧૯૮૩થી ૮૫ દરમિયાન તેઓ પાર્ટીના ઑલ ઇન્ડિયા સેક્રેટરી અને ૧૯૮૪માં ચૂંટણીમાં હાર્યા બાદ તેઓ ઑલ ઇન્ડિયા ભારતીય જનતા યુવામોરચાના પ્રમુખ બન્યા. તેમની મહેનત અને વ્યવસ્થાપન કુશળતાને લીધે તેઓ ધીમે ધીમે વગ ધારણ કરતા ગયા અને રાષ્ટ્રીય સ્તરે પણ તેમની ગણના થવા લાગી. ૧૯૯૦ પછી બીજેપી પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીની રામ રથયાત્રાનું કુશળતાપૂર્વક આયોજન કરી તેઓ નેતાની હરોળમાં આવી ગયા. તેઓ ૧૯૮૬-૯૨, ૧૯૯૨-૯૬, ૧૯૯૮-૨૦૦૪ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. ૧૯૯૬માં તેઓ મુંબઈ ઉત્તરપૂર્વમાંથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા.

અટલ બિહારી બાજપાઈની ૧૩ દિવસની સરકારમાં તેમની નિમણૂક રક્ષામંત્રી તરીકે કરવામાં આવી હતી. ૧૯૯૮માં જ્યારે બીજેપીએ ફરીથી સરકાર બનાવી ત્યારે વડાપ્રધાનના સલાહકાર તરીકે ફરજ બજાવી. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણી જીતી, માહિતી-પ્રસારણ અને ફૂડ પ્રોસેસિંગ મંત્રી બન્યા. એક વર્ષ પછી તેમની બદલી પાર્લમેન્ટરી અફેર્સ અને વૉટર રિસોર્સિસ મંત્રી તરીકે કરવામાં આવી. મહિના પછી તેમને પાર્લમેન્ટરી અફેર્સ ઉપરાંત ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી ખાતું સોંપવામાં આવ્યું. ૨૦૦૧માં કૉમ્યુનિકેશન મંત્રી બન્યા.

૨૨ એપ્રિલ, ૨૦૦૬ના દિવસે તેમના નાના ભાઈ પ્રવીણે હતાશામાં તેમને ગોળી મારી હતી. ૧૩ દિવસ મોત સામે ઝઝૂમ્યા બાદ ત્રીજી મેના દિવસે તેમનું અવસાન થયું હતું.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જયકૃષ્ણ રાજગુરુ મહાપાત્ર

જ. ૨૯ ઑક્ટોબર, ૧૭૩૯ અ. ૬ ડિસેમ્બર, ૧૮૦૬

ઓડિશા રાજ્યમાં જન્મેલા જયકૃષ્ણ ભારતીય સ્વતંત્રતાઆંદોલનની એક મુખ્ય વ્યક્તિ અને અંગ્રેજો વિરુદ્ધ સંગ્રામમાં ભારતના સૌપ્રથમ શહીદ હતા. ખુર્દા રાજ્યના દરબારમાં તેઓ રાજા ગજપતિ મુકુંદદેવ દ્વિતીયના કમાન્ડર-ઇન-ચીફ, શાહી પૂજારી તથા વહીવટદાર હતા. તેઓએ પોતાનું જીવન રાજ્યની સેવામાં જ વ્યતીત કરેલું અને આજીવન લગ્ન કર્યાં ન હતાં. ૧૭૭૯ની સાલમાં ખુર્દા રાજ્ય અને જાનૂજી ભોસલે વચ્ચે યુદ્ધ થયું. તે સમયે સેનાના નાયક નરસિંહ રાજગુરુ હતા. તેઓ યુદ્ધમાં માર્યા ગયા એટલે જય રાજગુરુને પ્રશાસનના અને ખુર્દાની સેનાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. આમ પિતાની જવાબદારી પુત્રએ લીધી.

સૌપ્રથમ ઘૂસણખોરોની સામે વિદ્રોહ કરવાનો સમય આવ્યો. કમજોર પ્રશાસનનો ફાયદો ઉઠાવાતાં ખુર્દાના લોકો પર બર્ગિયોના હુમલા વધવા માંડ્યા. આ પરિસ્થિતિ જયકૃષ્ણ માટે અસહ્ય હતી. તેઓએ સૈનિકોની શક્તિને વ્યક્તિગત રીતે પ્રોત્સાહન આપ્યું. ગામના યુવાનોને પણ સંગઠિત કરી યુદ્ધની તાલીમ આપી. હથિયાર અને તોપગોળા (બારૂત) બનાવતાં શિખવાડ્યાં. આમ ઘૂસણખોરોની સામે લડવા માટેની યોજના બનાવી. ૧૭૫૭માં મુખ્ય સમસ્યા શરૂ થઈ. અંગ્રેજોએ પ્લાસીની લડાઈ જીતીને ઓડિશાના બંગાળ, બિહાર અને મેદિનાપુર પ્રાંતો કબજે કરી લીધા. ૧૭૬૫માં તેઓએ હૈદરાબાદના નિઝામ તથા પારસીઓ પાસેથી આંધ્રપ્રદેશના એક વિશાળ ક્ષેત્ર પર કબજો કરી લીધો. તેમણે ખુર્દામાં એક કિલ્લો બનાવ્યો. ગંજમ અને મેદિનાપુરની વચ્ચે પરિવહન માટે રસ્તો પણ બનાવ્યો. ૧૭૯૮માં ખુર્દા પર હુમલો કર્યો, પણ જયકૃષ્ણે તેમને સફળ થવા ન દીધો. જયકૃષ્ણએ અંગ્રેજોને આપણા દેશમાંથી પાછા ધકેલવાના ઇરાદાથી સેનાને વ્યવસ્થિત કરી અને હિંમતથી બધાં પરગણાં પર કબજો કર્યો. છેવટે અંગ્રેજો અને ખુર્દાની સેના વચ્ચે ઐતિહાસિક યુદ્ધ શરૂ થયું. લડાઈ લાંબી ચાલી અને જયકૃષ્ણને ગિરફતાર કર્યા, બારાબતી કિલ્લામાં લઈ ગયા. તેમના પર કેસ ચલાવ્યો અને છેવટે ફાંસી આપી. એવું મનાય છે કે ઇતિહાસમાં અંગ્રેજોની વિરુદ્ધ ભારતની તેઓ પહેલી વ્યક્તિ હતા જેને મૃત્યુદંડ આપવામાં આવેલો.

અંજના ભગવતી