Categories
વાચન સમૃદ્ધિ

રાજિન્દર પુરી

જ. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૩૪ અ. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૫

જાણીતા કાર્ટૂનિસ્ટ, કૉલમલેખક અને રાજકારણી રાજિન્દર પુરીનો જન્મ કરાંચીમાં થયો હતો. તેમના પિતા હવામાનશાસ્ત્રી હતા. પાંચ સંતાનોમાં સૌથી નાના રાજિન્દર પુરી ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે માત્ર તેર વર્ષની ઉંમરે પરિવાર સાથે દિલ્હીમાં સ્થાયી થયા. નાનપણથી જ કાર્ટૂન પ્રત્યે અત્યંત આકર્ષણ ધરાવતા રાજિન્દર પુરીએ સેન્ટ સ્ટીફન કૉલેજમાં અભ્યાસ કર્યો, પરંતુ તેમની ઇચ્છા ઇંગ્લૅન્ડ જઈને કાર્ટૂન અંગે અભ્યાસ કરવાની હોવાથી તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને તેમનો અભ્યાસ પૂર્ણ થયા પછી થોડો સમય તેમણે ‘ધ માંચેસ્ટર ગાર્ડિયન’ અને ‘ધ ગ્લાસગો હેરલ્ડ’માં કાર્ટૂનિસ્ટ તરીકે કામ કર્યું. ઇંગ્લૅન્ડથી ૧૯૫૯માં ભારત આવ્યા પછી તેમણે ‘હિંદુસ્તાન ટાઇમ્સ’માં ૧૯૬૭ સુધી કામ કર્યું. ત્યારબાદ તેઓ ‘ધ સ્ટેટ્સમૅન’માં કાર્ટૂનિસ્ટ તરીકે કાર્યરત રહ્યા હતા. તેમનાં કાર્ટૂન ‘શંકર્સ વીકલી’માં પણ પ્રકાશિત થતાં હતાં. કટોકટી પછી તેમણે ૧૯૭૭માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને તેઓ જનતા પાર્ટીના સ્થાપક જનરલ સેક્રેટરી બન્યા. જનતા પાર્ટીના ભાગલા પડ્યા પછી થોડો સમય લોકદળ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાયા હતા, પરંતુ ૧૯૮૮ પછી તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેમના જીવનનાં પાછલાં પચીસ-ત્રીસ વર્ષ તેઓ ફ્રીલાન્સ પત્રકાર તરીકે અનેક અખબારો અને સામયિકોમાં કૉલમ લખતા હતા. તેમણે ‘ઇન્ડિયા ૧૯૬૯ : અ ક્રાઇસિસ ઑફ કૉન્સિયસ, ‘ઇન્ડિયા ધ વેસ્ટેડ ઇયર્સ : ૧૯૬૯-૧૯૭૫, ‘ગવર્નમેન્ટ ધેટ વર્ક્સ ઍન્ડ હાઉ’, ‘રિકવરી ઑફ ઇન્ડિયા’, ‘બુલ્સ આઈ’ જેવાં પુસ્તકો લખ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ ગોલ્ડિંગ

જ. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૧૧ અ. ૧૯ જૂન, ૧૯૯૩

ઈ. સ. ૧૯૮૩નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિલિયમ ગોલ્ડિંગનો જન્મ ઇંગ્લૅન્ડના સેંટ કોલંબસ માઈનાર નામના સ્થળે થયો હતો. પિતાનું નામ એલેક અને માતાનું નામ મિલ્ફ્રેડ. જન્મસ્થળ માર્લબરો ગ્રામર સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ લઈ તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા. કૉલેજ- શિક્ષણ પૂરું કરી તેમણે અધ્યાપનક્ષેત્રે કાર્ય કર્યું. ઑક્સફર્ડની જે સંસ્થામાંથી તેમણે સ્નાતકની પદવી લીધી હતી ત્યાં જ તેઓ માનાર્હ ફેલો થયેલા. ઈ. સ. ૧૯૪૦માં એન બ્રુકફિલ્ડ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. સંગીત અને ગ્રીક ભાષાનું વાચન તેમના શોખના વિષયો હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે તેઓ નૌકાદળમાં જોડાયા. ૧૯૪૪માં તેઓ એક યુદ્ધનૌકાના કમાન્ડર હતા. જર્મન યુદ્ધ-જહાજ ‘બિસ્માર્ક’ને તેમણે સમુદ્રમાં ગરકાવ થતું જોયું હતું. યુદ્ધ પૂરું થયા બાદ તેઓ પુન: અધ્યાપનકાર્યમાં જોડાઈ ગયા હતા. વિશ્વયુદ્ધો ચાલતાં હતાં ત્યારના મોટા ભાગના સાહિત્યસર્જકો પર યુદ્ધના વિનાશની ઘેરી અસર પડી હતી. વળી ગોલ્ડિંગને તો સાગર અને વિશ્વયુદ્ધ બંનેનો અનુભવ હતો, તેથી તેમનાં લખાણોમાં આ બંનેનું પ્રાધાન્ય રહેલું છે. તેઓ માનતા હતા કે દરેક મનુષ્યમાં એક પશુ છુપાયેલું છે. ૧૯૫૪માં તેમની પ્રથમ નવલકથા ‘લૉર્ડ ઑફ ધી ફ્લાઇઝ’ પ્રકાશિત થઈ. વિશ્વની ૨૮ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. એમની પાસેથી ‘ધી ઇનહેરીટર્સ’, ‘ફ્રી ફૉલ’, ‘ધી સ્પાયર’, ‘ડાર્કનેસ વિઝિબલ’ વગેરે નવલકથાઓ મળી છે. ૧૯૮૭માં તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. લેખક તરીકે તેઓ ગંભીર પ્રકૃતિના હતા. તેમણે નાટકો પણ લખ્યાં છે ને અભિનય પણ કર્યો હતો. ઈ. સ. ૧૯૬૬માં તેમને ‘સર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમને અનેક સંસ્થાઓ તરફથી ડી. લિટ.ની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. છેલ્લે તેઓ કુટુંબ સાથે સેલ્સબરી પાસે આવેલ વિલ્ટશાયરમાં રહેતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

એમ. એલ. દાંતવાલા

જ. ૧૮ સપ્ટેમ્બર, ૧૯૦૯ અ. ૮ ઑક્ટોબર, ૧૯૯૮

ભારતના પ્રખર અર્થશાસ્ત્રી મોહનલાલ દાંતવાલાનો જન્મ સૂરતમાં થયો હતો. પિતા લલ્લુભાઈ હાથીદાંતની વસ્તુઓ વેચવાનો વ્યવસાય કરતા હોવાથી તેમના કુટુંબની અટક દાંતવાલા પડી. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ મહારાષ્ટ્રના ધૂળે ગામમાં કર્યો. ૧૯૩૦માં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા અને અર્થશાસ્ત્ર માટેનું જેમ્સ ટેલર પારિતોષિક મેળવ્યું. તેને કારણે ત્યાં જ તેઓ ફેલો નિમાયા. ત્યારબાદ એમ.એ. પાસ કરીને મુંબઈની યુનિવર્સિટી ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ સોશિયોલૉજીમાં દાખલ થયા. તે દરમિયાન સવિનય કાનૂનભંગની ચળવળમાં ગુપ્ત રીતે ભાગ લેવા બદલ ૧૯૩૩માં તેમની ધરપકડ કરવામાં આવી. ૧૯૪૧થી ૧૯૪૫ વચ્ચે અમદાવાદની કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું. તે દરમિયાન આંદોલનોમાં સક્રિય ભાગ લેવા બદલ અઢી વર્ષનો જેલવાસ ભોગવ્યો. ૧૯૪૬થી મુંબઈ યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં કૃષિ-અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા. કૃષિ-અર્થશાસ્ત્રને લગતી અનેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેમણે ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતાં સામયિકોમાં તેમણે અનેક લેખો લખ્યા હતા. ઘણી અગ્રણી સંસ્થાઓની સ્થાપનામાં તેમનો મહત્ત્વનો ફાળો છે. તેમણે ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ સાયન્સીઝ રિસર્ચ, વલ્લભવિદ્યાનગર, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ, અમદાવાદ વગેરે સહિત અનેક સંસ્થાઓમાં મહત્ત્વના હોદ્દાઓ પર કામ કર્યું છે. ઘણી બધી વ્યાવસાયિક સંસ્થાઓમાં પણ તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેઓ અનેક ઍગ્રિકલ્ચરલ ઇકૉનૉમિક્સ સંસ્થાઓમાં સંપાદકમંડળના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે, જેમાં મુખ્યત્વે મુંબઈ યુનિવર્સિટીના ‘જેમ્સ ટેલર પ્રાઇઝ’, દાદાભાઈ નવરોજી મેમોરિયલ ફેલોશિપ પ્રાઇઝ તથા ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ઍવૉર્ડનો સમાવેશ થાય છે. તેમના ગ્રંથ ‘એ હંડ્રેડ ઇયર્સ ઑવ્ ઇન્ડિયન કૉટન’(૧૯૪૭)ની પ્રસ્તાવના પંડિત નહેરુએ લખી હતી. તેઓ ‘નૅશનલ પ્રોફેસર’નું બિરુદ પણ ધરાવે છે. ભારત સરકારે ૧૯૬૯માં તેમને પદ્મભૂષણનો ખિતાબ આપ્યો હતો.