Categories
વાચન સમૃદ્ધિ

લાલા અમરનાથ

જ. ૧૧ સપ્ટેમ્બર, ૧૯૧૧ અ. ૫ ઑગસ્ટ, ૨૦૦૦

દૃષ્ટિવંત સુકાની, આક્રમક બૅટ્સમૅન, નિપુણ મધ્યમ ઝડપી ગોલંદાજ, સફળ વિકેટકીપર, સમર્થ સુકાની અને સિલેક્શન કમિટીના દીર્ઘદ્રષ્ટા સિલેક્ટર તરીકે લાલા અમરનાથે ભારતીય ક્રિકેટમાં આગવી નામના હાંસલ કરી હતી. ભારતીય ક્રિકેટમાં સી. કે. નાયડુ પછી ભારતના ક્રિકેટ-શોખીનોનાં દિલોદિમાગ પર અઢી દાયકા સુધી છવાઈ જનાર પ્રતિભાશાળી ઑલરાઉન્ડર અને સમર્થ સુકાની લાલા અમરનાથની સેવાઓ અવિસ્મરણીય છે. લાલા અમરનાથ ૧૯૩૩માં ભારત તરફથી સર્વપ્રથમ ટેસ્ટ-સદી નોંધાવનારા બન્યા અને આઝાદ ભારતના સર્વપ્રથમ ટેસ્ટ-સુકાની બન્યા. ૧૯૫૨માં એમના નેતૃત્વ હેઠળ ભારતે પાકિસ્તાન સાથે પ્રથમ વાર ખેલાયેલી ટેસ્ટશ્રેણીમાં વિજય મેળવ્યો હતો. બૅટ્સમૅન તરીકે ઑફ-સાઇડના સ્ટ્રૉકનું પ્રભુત્વ ધરાવનાર લાલા અમરનાથ ‘સ્ક્વેર-કટ’ અને ‘સ્ક્વેર-ડ્રાઇવ’ લગાવવામાં કાબેલ હતા તેમજ ‘શૉર્ટ પીચ દડાને સ્ક્વેર લેગ તરફ મોકલી આપતા હતા. ઇંગ્લૅન્ડના પ્રભાવશાળી ગોલંદાજો સામે પોતાની પ્રથમ ટેસ્ટમાં ૨૧ બાઉન્ડ્રી સાથે ૨૧૦ મિનિટમાં ૧૧૮ રન કર્યા હતા. વિકેટકીપર તરીકે ક્રિકેટ ખેલવાનો પ્રારંભ કર્યો. સાહસિક બૅટ્સમૅન તરીકે ચોંકાવનારો પ્રવેશ કર્યો અને એ પછી ગોલંદાજ તરીકે વધુ ને વધુ ખીલતા રહ્યા અને એમની કારકિર્દીનું સમાપન જગતના ચુનંદા ઑલરાઉન્ડર તરીકે થયું. સ્વમાની અમરનાથની આસપાસ ક્યારેક વિવાદો પણ સર્જાયા હતા અને એક વાર એમને પ્રવાસ દરમિયાન અધવચ્ચેથી ભારત પાછા મોકલવામાં આવ્યા હતા. સ્વાધીન ભારતીય ટીમને વિદેશ લઈ જનારા આ સર્વપ્રથમ સુકાનીનું માન ધરાવનારા લાલા અમરનાથ ટેસ્ટશ્રેણીમાં ભારતને ‘રબર’ અપાવનારા પહેલા ગૌરવશાળી સુકાની છે. અમરનાથ ઇન-સ્વિંગર્સ નાખનારા મધ્યમ ઝડપી ગોલંદાજ હતા. જન્મજાત સુકાની તરીકે એમની પાસે વિકેટને પારખવાની અને વિદેશપ્રવાસનાં ભયસ્થાનોને સમજવાની ઊંડી સૂઝ હતી. ખેલાડી તરીકે વિદાય લીધા પછી ટીમના મૅનેજર તરીકે, રેડિયો-ટી.વી. કૉમેન્ટેટર તરીકે અને સિલેક્ટર તરીકે કામગીરી બજાવી. એમના પુત્ર સુરિન્દર અને મોહિન્દર અમરનાથ ટેસ્ટ ખેલાડી તરીકે અને સૌથી નાનો પુત્ર રાજિન્દર રણજી ટ્રૉફી ખેલાડી તરીકે રમ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ગોવિંદ વલ્લભ પંત

જ. ૧૦ સપ્ટેમ્બર, ૧૮૮૭ અ. ૭ માર્ચ, ૧૯૬૧

ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના અઠંગ લડવૈયા, રાષ્ટ્રીય કૉંગ્રેસના એક અગ્રણી નેતા, ઉત્તરપ્રદેશના પૂર્વ- મુખ્યમંત્રી અને પૂર્વકેન્દ્રીય ગૃહમંત્રી ગોવિંદ વલ્લભ પંતના પૂર્વજો દસમી સદીમાં મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી ઉત્તરપ્રદેશમાં સ્થાયી થયા હતા. બાળપણથી  તેમના પર પરદાદા અને મામાનો ખૂબ પ્રભાવ હતો. તેમણે મૅટ્રિક સુધીનું શિક્ષણ અલમોડા ખાતે લીધું હતું. ભણવામાં શરૂઆતથી જ એમની કારકિર્દી તેજસ્વી હતી. અલાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા બાદ તેમણે ત્યાંથી જ કાયદાશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરી હતી અને લમ્સડેન સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. અલમોડા, રાણીખેત અને કાશીપુર ખાતે વકીલાતમાં નોંધપાત્ર નામના મેળવનાર પંતે વિખ્યાત ‘કાકોરી કાવતરા’ કેસમાં વકીલોની ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. કુમાઉ પ્રદેશના વિશિષ્ટ પ્રશ્નોને વાચા આપવા માટે તેમણે ‘શક્તિ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. ૧૯૧૨માં સ્વરાજ પક્ષના સભ્ય તરીકે તેઓ ઉત્તરપ્રદેશની વિધાન પરિષદમાં ચૂંટાયા અને પોતાની વક્તૃત્વશક્તિના પ્રભાવથી ગૃહમાં પક્ષના નેતા તરીકે નિમાયા હતા. ‘ભારત છોડો’ ચળવળમાં તેમની નોંધપાત્ર હિસ્સેદારી હોવાથી તેમણે જેલવાસ પણ વેઠ્યો હતો. આઝાદી પૂર્વેની વિવિધ રાજકીય બેઠકો અને ઉચ્ચસ્તરની મંત્રણાઓમાં તેમણે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલની સાથે રહી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બંધારણસભાના સભ્ય તરીકે તેમણે મૂળભૂત અધિકારોનાં પ્રકરણ લખવામાં વિશેષ ફાળો આપ્યો હતો. ૧૯૪૬થી ૧૯૫૪ સુધી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે રહ્યા બાદ પંડિત જવાહરલાલ નહેરુના આગ્રહથી જાન્યુઆરી, ૧૯૫૫માં કેન્દ્રીય પ્રધાનમંડળમાં પ્રથમ ખાતા વિનાના પ્રધાન અને ત્યારબાદ ગૃહમંત્રીપદે જવાબદારી સંભાળી હતી. જમીનદારી પ્રથા, વેશ્યાવૃત્તિ અને સ્ત્રીઓના વેપાર જેવાં આર્થિક અને સામાજિક દૂષણો ડામવા માટે તેમજ સર્વધર્મસમભાવ અને વ્યસનમુક્તિ માટે જીવનપર્યંત કાર્યો કર્યાં. માનવતાવાદી ગુણોથી વિભૂષિત પંતજી અજાતશત્રુ હતા. દેશ પ્રત્યેની તેમની સેવાઓની કદર રૂપે ૨૬ જાન્યુઆરી, ૧૯૭૫ના રોજ તેમને મરણોપરાંત ‘ભારતરત્ન’થી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

કૅપ્ટન વિક્રમ બત્રા

જ. ૯ સપ્ટેમ્બર, ૧૯૭૪ અ. ૭ જુલાઈ, ૧૯૯૯

શેર શાહ’ અને ‘કારગિલના સિંહ’ તરીકે ઓળખાતા કૅપ્ટન વિક્રમ બત્રાનો જન્મ હિમાચલ પ્રદેશના પાલમપુરમાં થયો હતો. પિતા ગિરધારીલાલ પ્રાધ્યાપક અને માતા કમલકાંતા શિક્ષિકા. પિતા પાસેથી દેશભક્તોની વાર્તાઓ સાંભળીને તેમનામાં દેશપ્રેમનાં બીજ રોપાયાં. તેમની શાળા પાલમપુર મિલિટરી કૅન્ટોનમેન્ટમાં આવેલી હતી. આથી લશ્કરના જવાનોની શિસ્તની તેમના પર ગાઢ અસર પડી. શાળેય શિક્ષણ પૂર્ણ કરી ચંડીગઢની દયાનંદ ઍંગ્લો-વૈદિક કૉલેજમાં દાખલ થયા. એન.સી.સી.ના શ્રેષ્ઠ કૅડેટ તરીકે તેમણે પ્રજાસત્તાકદિનની પરેડમાં ભાગ લીધો હતો. લશ્કરમાં જોડાવાની ઇચ્છાથી તેમણે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા આપી. આ દરમિયાન તેમને હૉંગકૉંગમાં મર્ચન્ટ નેવીમાં નોકરી મળી, પરંતુ ભારતીય લશ્કરમાં જોડાવાની ઇચ્છા હોવાથી તેમણે તે નકારી કાઢી. તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. તેમની ભારતીય સેનાની ૧૩મી જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ બટાલિયનમાં લેફ્ટનન્ટ તરીકે નિમણૂક થઈ. પહેલી જૂન, ૧૯૯૯ના રોજ તેમને તેમની ટુકડી સાથે કારગિલ યુદ્ધમાં મોકલવામાં આવ્યા. પૉઇન્ટ ૫૧૪૦ શિખર પર કબજો કરી બેઠેલા પાકિસ્તાની ઘૂસણખોરોને હાંકી કાઢવાનું મિશન તેમને મળ્યું. તેમણે ટુકડીનું નેતૃત્વ કર્યું અને શિખર પર બેઠેલા દુશ્મનો પર હુમલો કર્યો. વહેલી સવારે ૪:૩૦ વાગ્યે તેમણે સાંકેતિક ભાષામાં ‘યે દિલ માંગે મોર !’ કહી જીતની જાહેરાત કરી. આપણા પક્ષે એક પણ જાનહાનિ થયા વિના ૧૩ જેટલા સૈનિકોને ખતમ કરવામાં આવ્યા. તેમના આ પરાક્રમ બદલ તેમને કૅપ્ટનનો હોદ્દો આપવામાં આવ્યો. એ પછી પૉઇન્ટ ૪૮૭૫ શિખર પર કબજો કરી બેઠેલા દુશ્મનોને હાંકી કાઢવાનું કામ તેમની ડેલ્ટા કંપનીને સોંપવામાં આવ્યું. કપરા ચઢાણવાળા પર્વત પર એમની ટુકડી ગઈ. ખડકો પાછળ સંતાયેલા દુશ્મનોએ ગોળીબાર કર્યો. સાથીદાર યશ પાલને બચાવવા દોડ્યા એ જ સમયે દુશ્મનની ગોળી તેમની છાતીમાં વાગી. એ સાથે જ ફેંકાયેલો ગ્રૅનેડ ફાટતાં વિક્રમ બત્રા શહીદ થયા. ભીષણ જંગના અંતે સાત જુલાઈએ પૉઇન્ટ ૪૮૭૫ પર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાયો, પરંતુ બત્રા તે જોવા માટે જીવિત ન હતા. વિક્રમ બત્રાના વિરલ પરાક્રમ બદલ ભારત સરકારે ૧૫ ઑગસ્ટ, ૧૯૯૯ના રોજ મરણોત્તર પરમવીરચક્ર એનાયત કર્યો. ‘LOC : કારગિલ’ અને ‘શેર શાહ’ ફિલ્મોમાં તેમની બહાદુરી દર્શાવવામાં આવી છે.