Categories
વાચન સમૃદ્ધિ

સવિતાબહેન મહેતા

જ. ૧૬ ઑગસ્ટ, ૧૯૨૧ અ. ૧૨ ઑગસ્ટ, ૨૦૦૬

પૂર્વ ભારતની મણિપુરી નૃત્યશૈલીને ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી વિસ્તારનાર નૃત્યાંગના સવિતાબહેનનો જન્મ પોરબંદરના સાહસિક ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ તથા સંતોકબાના કુટુંબમાં થયો હતો. વડોદરાની આર્યકન્યા વિદ્યાલયમાં શિક્ષણ લીધું ત્યારબાદ લંડન યુનિવર્સિટીમાંથી શિક્ષણનો ડિપ્લોમા મેળવી ૧૯૫૦માં પિતાએ પોરબંદરમાં સ્થાપેલ આર્યકન્યા શાળાના આચાર્યાની પદવી સંભાળી. નૃત્યશૈલીમાં વિશેષ રસ જાગ્રત થતાં પિતાની નામરજી છતાં મણિપુરી નૃત્યશૈલી અપનાવવા મણિપુરનો અઘરો પ્રવાસ ખેડ્યો. ત્યાંના રાજવી કુટુંબના નૃત્યગુરુ પંડિતરાજ આતોમ્બાબુની સલાહથી તબેતસંગબન અમુદનજી શર્મા પાસે નૃત્યશિક્ષણ મેળવ્યું. ૩૦૦૦ વર્ષ પૂર્વેનાં ગુહ્યાર્થવાળાં નૃત્યો શીખ્યાં. સાથે સાથે તેના સાંકેતિક તાલ, અંગસંચાલન, લાસ્ય-તાંડવ પ્રકાર, કરતાલ, મૃદંગ અને ડફ વગાડવાની પદ્ધતિ, સંગીતના રાગો, મૈતેયી સાહિત્ય, મણિપુરી સંસ્કૃતિ, યોગ અને ત્યાંની ગૂઢ વિદ્યાનો પણ ઊંડો અભ્યાસ કર્યો. ૧૯૫૫માં મણિપુરી નૃત્યની સાધનાને અપનાવી બિરદાવવા બદલ ત્યાંના રાજવી પરિવાર, ગુરુજનો અને સંસ્થાઓએ સવિતાબહેનને ‘મૈતેયી જગોઈ હંજબી’, ‘દ્વિતીય ઉષ્મ’, ‘સંગીતરત્નાકર’ અને ‘ચંદ્રપ્રભા’ જેવા માનાર્હ પુરસ્કારોથી નવાજ્યાં. હોળીના મુખ્ય ઉત્સવ નિમિત્તે શ્રી ગોવિંદજીના મંદિરમાં નૃત્ય સાથે મૃદંગ, ડફ અને કંજરી વાદન કરવાનો એક બિન-મણિપુરી ઉપરાંત મહિલા તરીકેનો વિરલ અવસર પ્રાપ્ત થયો. ૧૯૭૨માં ‘જયપત્ર’ એનાયત થયું. તેમણે મણિપુરી નૃત્યશૈલીના અટપટા તાલ અને રાગપદ્ધતિ વિશે ગુરુઓ પાસેથી માર્ગદર્શન મેળવી, સંશોધન કરી ‘દશકોશ’ નામે ગ્રંથ તૈયાર કર્યો જેનું ૧૯૮૨માં વિમોચન કર્યું. ગુજરાત રાજ્યે ૧૯૩૭માં તેમને તામ્રપત્ર અર્પિત કર્યું. મણિપુરી સાહિત્ય પરિષદે ૧૯૭૬માં ‘નૃત્યરત્ન’થી તેમને પુરસ્કૃત કર્યાં અને મણિપુરી રાજ્યકલા અકાદમીએ ‘ફેલોશિપની પદવી આપી. તેમને ‘વિશ્વગુર્જરી’નો ઍવૉર્ડ પણ અર્પણ થયેલો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમને ડી.લિટ.ની પદવી એનાયત કરી હતી. આ ઉપરાંત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલિંસઘે ‘યોગશિરોમણિ’ના ઇલકાબથી સવિતાબહેનને નવાજ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

પુરુષોત્તમ ઉપાધ્યાય

જ. ૧૫ ઑગસ્ટ, ૧૯૩૪ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪

ગુજરાતના ગાયક, સંગીતનિર્દેશક પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ ખેડા જિલ્લાના ધૂલિયા ગામે થયો હતો. ગૌરીશંકર તથા વિદ્યાગૌરી ઉપાધ્યાયના પુત્ર પુરુષોત્તમ બાળપણથી જ સંગીતમાં રુચિ ધરાવતા હતા. ગુજરાતી રંગભૂમિમાં નાનાં નાનાં પાત્રો દ્વારા અભિનય તેમજ ગાયનની પ્રસ્તુતિ દરમિયાન અભિનેતા અશરફખાનના ધ્યાનમાં આવ્યા અને અશરફખાને કિશોર પુરુષોત્તમ ઉપાધ્યાયને મુંબઈ મોકલ્યા, તેમની ભલામણ સાથે આકાશવાણી મુંબઈમાં ગાયન પ્રસ્તુતિ માટે કરાર કરી આપ્યો. કવિ, સંગીતનિર્દેશક શ્રી અવિનાશ વ્યાસે પુરુષોત્તમ ઉપાધ્યાયની ક્ષમતાથી અભિભૂત થઈને તેને પોતાના માનસપુત્ર બનાવ્યા. ગાયન અને સંગીતનિર્દેશનમાં પુરુષોત્તમ ઉપાધ્યાયે પોતાની સર્જનાત્મકતા તેમજ પ્રયોગશીલતા દ્વારા ખૂબ નાની વયે સંગીતના ભાવકોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું. સાથે નવરંગ નાગપુરકર પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી. ગુજરાતી સુગમ સંગીતમાં પોતાની આગવી શૈલીથી શાસ્ત્રીય સંગીતને વણી લીધું. ગુજરાતી માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે ગુજરાતી કવિઓની ઉત્તમ રચનાઓ સ્વરબદ્ધ કરી. ગીત, ગઝલ, ઉપશાસ્ત્રીય ગાયન, ગરબા એમ વિવિધ પ્રકારોને એમણે પોતાના સંગીત અને કંઠ દ્વારા જનહૈયે અને કંઠે રમતા કર્યા. બેગમ અખ્તર, મહોમ્મદ રફી, સુમન કલ્યાણપુર, લતા મંગેશકર, સરોજ ગુંદાણી, હંસા દેવે જેવાં અનેક પ્રખ્યાત ગાયકોએ પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સ્વરબદ્ધ થયેલાં ગીતોને પોતાનો કંઠ આપ્યો છે. ‘દિવસો જુદાઈના’, ‘રંગલો જામ્યો કાલિંદડીને ઘાટ’, ‘તારો છેડલો’ જેવાં અનેક ગીતો ગુજરાતી સંગીતની ઓળખ સમા બની ગયાં. તેમણે વીસથી વધુ ગુજરાતી  ફિલ્મો તથા  ત્રીસથી વધુ નાટકોમાં સંગીતનિર્દેશન કર્યું છે. એમને ‘વિશ્વગુજરાતી’, ઉર્દૂ ગાયકી માટે ‘એશિયન ઍવૉર્ડ’, સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, ‘ગૌરવ પુરસ્કાર’ તથા ભારત સરકાર દ્વારા ૨૦૧૭માં પદ્મશ્રીના સન્માનથી બિરદાવવામાં આવ્યા હતા. ‘તમે આવો તો વાત’, ‘ચંદરવો’, ‘વૈષ્ણવજન’, ‘કાંઠે ગુલમહોરનો ઠાઠ’ જેવાં એમનાં અનેક સંગીત આલબમ ભાવકો માટે મોટી ભેટ સમાં છે. તેથી જ શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને પુરુષોત્તમ-સ્વરોત્તમ કહેવામાં આવે છે. ગુણવત્તાસભર તેમ જ લોકભોગ્ય સંગીત માટે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું યોગદાન ખૂબ મોટું છે. અત્યંત સુરીલું ગાયન તેમજ ધારદાર રજૂઆત એ એમની ઓળખ છે.

Categories
વાચન સમૃદ્ધિ

કુલદીપ નાયર

જ. ૧૪ ઑગસ્ટ, ૧૯૨૩ અ. ૨૩ ઑગસ્ટ, ૨૦૧૮

ભારતીય પત્રકાર, સિન્ડિકેટેડ કૉલમલેખક અને લંડનમાં ભારતના હાઇકમિશનર તરીકે રહી ચૂકેલા કુલદીપ નાયરનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલા સિયાલકોટમાં થયો હતો. તેમણે લાહોરમાંથી બી.એ., એલએલ.બી.નો અભ્યાસ કર્યો. ત્યારબાદ ૧૯૫૨માં સ્કોલરશિપ મળતા નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો. ૧૯૬૭થી ૧૯૭૫ સુધી તેઓ દિલ્હીના ‘ધ સ્ટેટ્સમૅન’ના તંત્રી તથા યુ.એન.આઈ. સમાચારસંસ્થાના મૅનેજર તરીકે કાર્યરત હતા. ૧૯૭૫થી ૧૯૮૧ સુધી ઍક્સપ્રેસ જૂથ અખબારોના તંત્રી હતા. કટોકટીના અંતમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૭૮માં તેમણે એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાની સ્થાપના કરી. તેમણે રાષ્ટ્રીય અખંડિતતા પરિષદ, પ્રેસ કાઉન્સિલ, બ્રિટનની ‘જેમિની’ના વ્યવસ્થાપક મંડળના સભ્ય તથા ભારતીય સંસ્થા ‘સિટીઝન્સ ફોર ડેમોક્રસી’ના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. ૧૯૯૦ના માર્ચથી ડિસેમ્બર સુધી લંડન ખાતે ભારતના હાઇકમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે. પત્રકાર તરીકે તેમણે અનેક સ્કૂપ લખ્યા છે. ૧૯૮૮-૮૯માં પાકિસ્તાન પાસે અણુબૉમ્બ છે એ સમાચાર સૌપ્રથમ તેમણે આપ્યા હતા.  સંશોધનાત્મક પત્રકારત્વમાં તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ૧૯૮૫થી ‘બિટવીન ધ લાઇન્સ’ નામની કૉલમ લખતા હતા જે ૧૪ ભાષાઓમાં ૭૦થી વધુ અખબારોમાં પ્રગટ થતી હતી. તેઓ મોટે ભાગે વર્તમાન રાજકીય મુદ્દાઓ પર નિર્ભીક રીતે પોતાનાં મંતવ્યો રજૂ કરતા હતા. ‘ઇન્ડિયા : ધ ક્રિટિકલ ઇયર્સ, ‘ડિસ્ટન્ટ નેબર્સ’, ‘સપ્રેશન ઑવ્ જજિઝ’, ‘ઇન્ડિયા આફટર નહેરુ’, ‘ધ જજમેન્ટ’, ‘ઇન રિપોર્ટ ઓન અફઘાનિસ્તાન’, ‘ધ ટ્રૅજેડી ઑવ્ પંજાબ’, ‘ઇન્ડિયા હાઉસ’, ‘ધ માર્ટિર’, ‘વોલ એટ વાઘા’, ‘સ્કૂપ’, ‘વિધાઉટ ફિચર’, ‘ટેલ્સ ઑફ ટુ સીટીઝ’ વગેરે પુસ્તકો તેમણે લખ્યાં છે. તેમની આત્મકથા ‘બિયોન્ડ ધ લાઇન્સ ૨૦૧૨માં પ્રકાશિત થઈ હતી. તેમને ૨૦૦૩માં પ્રેસ ફ્રીડમ માટે એસ્ટોર ઍવૉર્ડ અને ૨૦૦૭માં તેમના સમગ્ર કાર્ય માટે શહીદ નિયોગી મેમોરિયલ ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. ૨૦૧૫માં રામનાથ ગોએન્કા જીવન પુરસ્કાર અને ભારત સરકાર દ્વારા ૨૦૧૯માં  પદ્મભૂષણ(મરણોત્તર)થી તેમને નવાજવામાં આવ્યા હતા.