Categories
વાચન સમૃદ્ધિ

નારાયણ મલ્હાર જોશી

જ. ૫ જૂન, ૧૮૭૯ અ. ૩૦ મે, ૧૯૫૫

ભારતના મહાન શ્રમિક નેતા, સમાજસુધારક અને સ્વતંત્રતાસંગ્રામના સૈનિક નારાયણ મલ્હાર જોશી કે જે નાનાસાહેબ જોશી તરીકે પણ ઓળખાય છે. તેમણે શ્રમિક આંદોલન અને સામાજિક સેવાઓના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના કોલાબા (હાલનું રાયગઢ) જિલ્લાના ગોરેગાંવ ખાતે બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પુણેની ડેક્કન કૉલેજમાંથી શિક્ષણ લીધું અને ૧૯૦૧માં બી.એ.ની ડિગ્રી મેળવી હતી. શરૂમાં તેઓ શિક્ષક તરીકે કામ કરતા હતા, પરંતુ પછી તેઓ ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત ‘સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી’માં ૧૯૦૯માં જોડાયા. ૧૯૧૧માં જોશીએ મુંબઈમાં ‘સોશિયલ સર્વિસ લીગ’ની સ્થાપના કરી. આ સંસ્થા ભૂકંપ, પૂર, રોગચાળો જેવી વિપદાઓમાં રાહત કામગીરી તેમજ ગરીબો માટે કલ્યાણકારી કામગીરી કરતી હતી. તેમણે શ્રમિક કલ્યાણ માટે અનેક કાયદાકીય સુધારાઓમાં ભાગ લીધો જેમાં ફૅક્ટરી ઍક્ટમાં સુધારાઓ, વર્કમૅન કૉમ્પેન્સેશન ઍક્ટ, ઇન્ડિયન ટ્રેડ યુનિયન ઍક્ટ, પેમેન્ટ ઑફ વેજેસ ઍક્ટ સામેલ છે. આ ઉપરાંત તેમણે ૧૯૧૯માં વિદેશમાં યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ૧૯૨૦માં લાલા લાજપતરાય સાથે મળીને ‘ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ’(AITUC)ની સ્થાપના કરી હતી અને તેઓ ૧૯૨૫થી ૧૯૨૯ દરમિયાન સંગઠનના મહાસચિવ રહ્યા. આ ઉપરાંત તેઓ બૉમ્બે પ્રાંતીય કૉંગ્રેસ સમિતિના અને પીપલ્સ વૉલન્ટિયર બ્રિગેડના અગ્રણી સભ્ય પણ હતા. ૧૯૩૧માં તેમણે ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ છોડીને ‘ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન ફેડરેશન’ની સ્થાપના કરી. તેઓ એક સક્રિય લેખક અને પત્રકાર પણ હતા. તેમણે ‘જ્ઞાનપ્રકાશ’ અને ‘કામગાર સમાચાર’ નામનાં સાહિત્યિક અને શ્રમિક પત્રોનું સંપાદન કર્યું. તેમણે ૨૦ સપ્ટેમ્બર, ૧૯૨૨ના રોજ મજૂરો માટે ‘સહકારી મનોરંજન મંડળ’ની સ્થાપના કરી. ૧૯૩૦ અને ૧૯૩૨માં ગોળમેજી પરિષદમાં પણ તેમણે હાજરી આપી હતી. તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનને લીધે ૧૯૮૦માં તેમના સન્માનમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા એક સ્મારક ટપાલટિકિટ બહાર પાડવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

અરદેશર દારાબશા શ્રોફ

જ. ૪ જૂન, ૧૮૯૯ અ. ૨૭ ઑક્ટોબર, ૧૯૬૫

ઉદ્યોગપતિ, બૅન્કર, કુશળ વહીવટકાર અને બાહોશ અર્થશાસ્ત્રી અરદેશરનો જન્મ મુંબઈમાં થયો હતો. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને લંડન યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ અમેરિકન ચેઇઝ બૅન્કમાં જોડાયા હતા. ભારત પરત આવી સિડનહામ કૉલેજ ઑવ્ કૉમર્સમાં એડવાન્સ બૅન્કિંગ વિષયના પ્રાધ્યાપક તરીકે પણ કામગીરી બજાવી હતી. ત્યારબાદ પંદર વર્ષમાં શૅરદલાલ તરીકે સફળતા પ્રાપ્ત કરી અને એક ગણનાપાત્ર શૅરદલાલ તરીકે તેઓ તાતા જૂથમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા. ૧૯૪૪માં બ્રેટન વુડ્ઝ ખાતે મળેલ વિશ્વ નાણાકીય અધિવેશનમાં તેઓ પ્રતિનિધિ તરીકે ગયા અને ત્યાં ભારતનો દાવો સબળતાથી રજૂ કર્યો. ૧૯૫૪માં મુક્ત સાહસ અને લોકશાહી વિચારસરણીનો પ્રચાર થાય તે માટે ફોરમ ઑવ્ ફ્રી એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી હતી. દેશના વિકાસની દૃષ્ટિએ અમુક ઉદ્યોગો સરકારે જ ચલાવવા જોઈએ. તેઓ જાહેર અને ખાનગી સ્પર્ધાના વિરોધી હતા. તેઓ ન્યૂ ઇન્ડિયા એશ્યૉરન્સ કંપની લિમિટેડ અને ટાટા ટેક્સ્ટાઇલ જૂથના ચૅરમૅન પણ રહ્યા હતા. તેમણે ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર તથા બૉમ્બે શૅરહોલ્ડર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે તથા અન્ય અનેક સંસ્થામાં કોઈ ને કોઈ સભ્યપદે રહી જે તે કંપનીની સેવા કરી હતી. ઊંડી સૂઝ ધરાવનાર અર્થશાસ્ત્રી, પ્રામાણિક સજ્જન તરીકે પ્રસિદ્ધ એ. ડી. શ્રોફ ૧૯૬૦માં તાતા સન્સ લિમિટેડના ડિરેક્ટરપદેથી નિવૃત્ત થયા હતા. ૧૯૯૯માં ભારત સરકાર તરફથી તેમના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. પત્રકાર સુચેતા દલાલે તેમની જીવનકથા ઈ. સ. ૨૦૦૦માં પ્રકાશિત કરી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

તરલા દલાલ

જ. ૩ જૂન, ૧૯૩૬ અ. ૬ નવેમ્બર, ૨૦૧૩

પાકશાસ્ત્રનાં નિષ્ણાત, રાંધણકળાનાં પુસ્તકોનાં લેખિકા તરલાબહેનનો જન્મ મરાઠી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને તેઓનો ઉછેર પુણેમાં થયો હતો. ૧૯૬૦માં તેઓ નલિન દલાલને પરણી મુંબઈમાં સ્થાયી થયાં. તેમના પતિના પ્રોત્સાહનને લીધે તરલાબહેને રાંધણકળામાં ઊંડો રસ લેવાનું શરૂ કર્યું. સૌપ્રથમ તેઓએ વિદેશી વાનગીઓને શાકાહારી ઢબે રજૂ કરી. ૧૯૬૬માં તેઓએ આ માટેના વર્ગો પોતાના ઘરમાં શરૂ કર્યા. તેમની વાનગીની રીતમાં ચોક્કસ માપમાં કઈ સામગ્રી લેવી, તેમાંથી તબક્કાવાર વાનગી બનાવવાની રીત, ચોક્કસ માપ તથા કેટલી વ્યક્તિઓને વાનગી પૂરી પડશે તે બધી વાત ખૂબ ચોકસાઈથી મૂકતાં હતાં. પરિણામે નવા નિશાળિયા પણ તેમની વાનગીની રીત પ્રમાણે સહેલાઈથી બનાવી શકતા. આ પછી તેમની લોકપ્રિયતા કૂદકે ને ભૂસકે વધતી ગઈ. તેમનું નામ રાંધણકળાના સંદર્ભે ઘેર ઘેર જાણીતું થઈ ગયું. તેમના વર્ગમાં જોડાવા માટે છોકરીઓની લાંબી કતાર થવા લાગી. ૧૯૭૪માં વાનગીઓ બનાવવાનું પ્રથમ પુસ્તક ‘ધ પ્લેઝર ઑફ વેજિટેરિયન કૂકિંગ’ લખ્યું. ત્યારબાદ તેઓએ આશરે એકસો વિષયો પર રાંધણકળાનાં પુસ્તકો લખ્યાં. જેની ૩૦ લાખથી વધારે નકલ વેચાઈ. તેમનાં પુસ્તકોનો અનુવાદ હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, ડચ અને રશિયન ભાષાઓમાં થયો છે. તેઓ કાયમ સમયની સાથે રહ્યાં અને સમયની માંગ મુજબ જે અનિવાર્ય હતું તે કરતાં ગયાં. તેઓએ ટીવી પર રાંધણકળાનો કાર્યક્રમ ચાલુ કર્યો – ‘કૂક ઇટ અપ વિથ તરલા દલાલ’ અને ‘તરલા દલાલ શો’ વગેરે. આ કાર્યક્રમો ભારત ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયા, ગલ્ફના દેશો, ઇંગ્લૅન્ડ તેમજ અમેરિકામાં પણ દર્શાવવામાં આવતા હતા. ૨૦૦૫માં તેઓને ‘વુમન ઑફ ધ યર’નું ટાઇટલ ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી મળ્યું. ૨૦૦૭માં રાષ્ટ્રપતિ ડૉ. કલામના હાથે ‘પદ્મશ્રી’ એનાયત થયો. પાકશાસ્ત્રમાં ‘પદ્મશ્રી’ મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય છે.