Categories
વાચન સમૃદ્ધિ

શેખ  અબ્દુલ્લા

જ. ૫ ડિસેમ્બર, ૧૯૦૫ અ. ૮ સપ્ટેમ્બર, ૧૯૮૨

કાશ્મીરના પ્રસિદ્ધ નેતા શેખ અબ્દુલ્લાનો જન્મ શ્રીનગર પાસે સૌરા ગામમાં થયો હતો. ‘શેરે કાશ્મીર’ તરીકેની ખ્યાતિ ધરાવતા શેખ અબ્દુલ્લાએ તેમની આત્મકથા ‘આતિશે ચિનાર’માં જણાવ્યા મુજબ તેમના પરદાદા હિંદુ બ્રાહ્મણ હતા અને એક સૂફી સંતથી પ્રભાવિત થઈ તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. તેમનાં ધર્મચુસ્ત માતાના વિચારોની અસર બાળપણથી જ તેમનામાં પડેલી. શ્રીનગરમાં મૅટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ કૉલેજશિક્ષણ જમ્મુ, લાહોર અને અલીગઢમાં લીધું. એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ શિક્ષણનો વ્યવસાય સ્વીકાર્યો, પરંતુ તેમની રાજકીય પ્રવૃત્તિઓને કારણે તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા. રાજકારણમાં પ્રવેશ્યા બાદ ગાંધીજી, જવાહરલાલ, મૌલાના આઝાદ, અલીભાઈઓ વગેરેના વિચારોની અસર તેમના પર પડી. તેઓ પ્રખ્યાત ઉર્દૂ શાયર ઇકબાલનાં લખાણોથી પણ પ્રભાવિત હતા. સ્વતંત્રતા માટેના ભારતના સંઘર્ષમાં શેખ અબ્દુલ્લાનો મહત્ત્વનો ફાળો હતો. સરકારી વહીવટી તંત્રમાં મુસ્લિમોને વધુ પ્રતિનિધિત્વ મળે તે માટે ૧૯૩૦માં ‘યંગમૅન્સ મુસ્લિમ ઍસોસિયેશન’ની સ્થાપના કરી હતી, જે સમય જતાં ‘નૅશનલ કૉન્ફરન્સ’ તરીકે જાણીતી થઈ. તેઓ લાંબા સમય માટે આ સંસ્થાના પ્રમુખ હતા. ૧૯૪૮માં તેઓ કાશ્મીરના વડાપ્રધાન થયા. ૧૯૪૯માં બંધારણ સભાના સભ્ય બન્યા. ત્યારબાદ તેમણે કાશ્મીરને ભારતથી સ્વતંત્ર કરવા માટેના પ્રયાસો કરતાં તેમને વડાપ્રધાનપદેથી બરતરફ કરવામાં આવ્યા. ૧૯૫૩માં તેમની ધરપકડ કરવામાં આવી. ત્યાર પછી તેમની અવારનવાર ધરપકડ થઈ અને છોડવામાં આવ્યા. આશરે ૧૧ વર્ષ તેમણે જેલવાસ (૧૯૫૩-૧૯૬૪) ભોગવ્યો. ૧૯૭૫માં ભારત તરફી નીતિ અપનાવતાં ફરી કાશ્મીરના મુખ્યમંત્રી બનવાની તક સાંપડી. તેમના અવસાન બાદ તેમના પુત્ર ફારુક અબ્દુલ્લા કેટલાક સમય માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા અને હાલમાં તેમના પૌત્ર ઉમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે સક્રિય છે. તેમની આત્મકથા ‘આતિશે ચિનાર’ માટે તેમને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર(ઉર્દૂ)થી સન્માનિત (મરણોત્તર) કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મોતીલાલ

જ. ૪ ડિસેમ્બર, ૧૯૧૦ અ. ૧૭ જૂન, ૧૯૬૫

૪૦ના દાયકાના સુપ્રસિદ્ધ અભિનેતા મોતીલાલ રાજવંશનો જન્મ સિમલામાં એક કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા શાળાનિરીક્ષક હતા. પરિવાર મૂળ દિલ્હીનો હતો એટલે દિલ્હીમાં બી.એ. સુધી અભ્યાસ કર્યો અને પછી તેઓ નૌકાદળમાં જોડાવા માટે મૌખિક પરીક્ષા આપવા મુંબઈ આવ્યા. નાદુરસ્ત તબિયતને કારણે પરીક્ષા ચૂકી ગયા. દરમિયાન એક મિત્ર સાથે એક ચિત્રનું શૂટિંગ જોવા ગયા, જ્યાં દિગ્દર્શક પી. કે. ઘોષે તેમને જોયા. હીર પારખી તેમણે મોતીલાલને અભિનેતા બનવા નિમંત્રણ આપ્યું અને સિનેજગતને એક ઉત્તમ અભિનેતાની ભેટ મળી. તેમનું પ્રથમ ચલચિત્ર ‘શહર કા જાદુ’ એ સમયનાં મશહૂર અભિનેત્રી સવિતાદેવી સાથે આવ્યું હતું. હિંદી ચલચિત્રોમાં અભિનયને નાટકીયતામાંથી અને રંગભૂમિની અસરમાંથી બહાર લાવવાનું શ્રેય તેમને ફાળે જાય છે. તેમનો અભિનય સ્વાભાવિક રહેતો. મોતીલાલે ભજવેલાં ઘણાં પાત્રો તેમના સહજ અભિનયને કારણે જ યાદગાર બની રહ્યાં હતાં. મોતીલાલે તેમના બીજા જ ચિત્ર ‘સિલ્વર કિંગ’થી સફળતા પ્રાપ્ત કરી હતી. નાદિરા, શોભના સમર્થ, સવિતાદેવી જેવી તે સમયની સફળ અભિનેત્રીઓ જોડે તેમની જોડી જામી હતી. તે સમયના વિવિધ સ્ટુડિયો સાથે પગારદાર તરીકે રહેવા કરતાં સ્વતંત્ર રહીને કામ કરવાનું તેમણે પસંદ કર્યું હતું.

મોતીલાલને સંગીતનો શોખ હતો. તેઓ જાણીતા ગાયક મુકેશ જે તેમના પિતરાઈ પણ થાય, તેમને ચલચિત્રોમાં લાવ્યા હતા. તેમણે ‘છોટી છોટી બાતેં’ ચિત્રનું નિર્માણ અને દિગ્દર્શન કરવા ઉપરાંત તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમનાં નોંધપાત્ર ચલચિત્રોમાં : ‘શહર કા જાદુ’ (૧૯૩૪), ડૉ. મધુરિકા (૧૯૩૫), ‘દો દીવાને’ (૧૯૩૬), ‘કુળવધૂ’ (૧૯૩૭), ‘થ્રી હન્ડ્રેડ ડેઝ ઍન્ડ આફટર’, ‘હમ તુમ ઔર વોહ’ (૧૯૩૮), ‘દિવાલી’, ‘હોલી’ (૧૯૪૦), ‘સાવન’ (૧૯૪૫), ‘એક થી લડકી’ (૧૯૪૯), ‘મિ. સંપત’ (૧૯૫૨), ‘દેવદાસ’ (૧૯૫૫), ‘જાગતે રહો’ (૧૯૫૬), ‘અનાડી’, ‘પૈગામ’ (૧૯૫૯), ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ (૧૯૬૩), ‘લીડર’ (૧૯૬૪), ‘છોટી છોટી બાતે’, ‘વક્ત’ (૧૯૬૫), ‘યહ ઝિંદગી કિતની હસીન હૈ’ (૧૯૬૬)નો સમાવેશ થાય છે.

તેમને ફિલ્મ દેવદાસમાં ‘ચુન્ની બાબુ’ની ભૂમિકા બદલ અને ફિલ્મ ‘પરખ’માં સહાયક ભૂમિકા માટે ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

રમણલાલ ચી. શાહ

જ. ૩ ડિસેમ્બર, ૧૯૨૬ અ. ૨૪ ઑક્ટોબર, ૨૦૦૫

નાટ્યકાર, ચરિત્રકાર, પ્રવાસલેખક, સંપાદક અને વિવેચક. જન્મ પાદરા ગામમાં થયો હતો. ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થઈ ૧૯૫૦માં એમ.એ. અને ૧૯૬૧માં પીએચ.ડી. થયા. ૧૯૫૧થી ૧૯૭૦ સુધી સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં પ્રાધ્યાપક તરીકે, ૧૯૭૦થી મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક અને પછી અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી. તેઓ ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ અને ૧૯૮૪થી જૈન સેન્ટર, લંડન-લેસ્ટરના માનદ નિયામક તરીકે રહ્યા.

પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપના વિવેચન-સંશોધન અભ્યાસલેખો પર તેમની આગવી પકડ હતી. ‘પડિલેહા’ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેમની પાસેથી ‘નલ-દવદંતી રાસ’, યશોવિજયજીકૃત ‘જંબુસ્વામી રાસ’ અને ઉદ્યોતનસૂરિકૃત ‘કુવલયામાલા’ના પ્રમાણભૂત સંશોધનગ્રંથો પ્રાપ્ત થયેલા છે.

‘શ્યામ રંગ સમીપે’ તેમનો નવ એકાંકી નાટિકાઓનો સંગ્રહ છે. તેમની પાસેથી અબ્રાહમ લિંકનનું જીવનચરિત્ર ઉપરાંત હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી, સમય-સુંદર જેવા જૈન સાહિત્યસર્જકોનાં જીવન અને કવનવિષયક પ્રમાણભૂત માહિતી મળે છે. પ્રવાસવિષયક પુસ્તકો ‘એવરેસ્ટનું આરોહણ’ (૧૯૫૫), ‘ઉત્તરધ્રુવની શોધસફર’ (૧૯૮૦), એશિયા ને યુરોપના પ્રવાસોનું વર્ણન ‘પાસપૉર્ટની પાંખે’ (૧૯૮૩), ઑસ્ટ્રેલિયાના પ્રવાસનું પુસ્તક ‘પ્રદેશે જય-વિજયના’ (૧૯૮૪) પણ ધ્યાનાકર્ષક છે.

‘સાંપ્રત સહચિંતન’ ભાગ ૧થી ૩(૧૯૮૦)માં એમની અનેક વિષયો પરત્વેની વિચાર પ્રતિક્રિયા વ્યક્ત થઈ છે. ‘જૈન ધર્મ’ (૧૯૭૫), ‘નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય’ (૧૯૭૬), ‘બૌદ્ધ ધર્મ’ (૧૯૭૭) વગેરે એમની પરિચય પુસ્તિકાઓ છે. ‘બે લઘુરાસકૃતિઓ’ (૧૯૮૪) વગેરે એમનાં સંપાદનો છે તો સૉનેટસંગ્રહ ‘મનીષા’ (૧૯૫૧) છે. ‘રાહુલ સાંકૃત્યાયન’ એમનો અનુવાદગ્રંથ છે. ભાષાસાહિત્યના અભ્યાસીઓને તેમની કૃતિઓ ઘણી ઉપયોગી નીવડે તેવી છે. વૈજ્ઞાનિક સંશોધનની રીતે છતાં રસપ્રદ શૈલીમાં લખાયેલા તેમના લેખો ખૂબ જ માહિતી પૂરી પાડે છે.

રાજશ્રી મહાદેવિયા