Categories
વાચન સમૃદ્ધિ

પુરુષોત્તમદાસ ટંડન

જ. ૧ ઑગસ્ટ, ૧૮૮૨ અ. ૧ જુલાઈ, ૧૯૬૨

દેશના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની અને દેશસેવક તરીકે જાણીતા પુરુષોત્તમદાસ ટંડનનો જન્મ ઉત્તરપ્રદેશના અલાહાબાદ શહેરના એક ખત્રી પરિવારમાં થયો હતો. ૧૯૦૬માં ઇતિહાસ વિષય સાથે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરીને તેઓ સર તેજબહાદુર સપ્રુના હાથ નીચે વકીલાતમાં જોડાયા હતા. ૧૯૨૧માં વકીલાતનો ત્યાગ કરીને તેમણે પૂર્ણ સમય માટે દેશસેવા શરૂ કરી હતી. થોડા સમય માટે તેમણે ગ્વાલિયરની વિક્ટોરિયા કૉલેજમાં અધ્યાપક તરીકે પણ ફરજ નિભાવી હતી. પુરુષોત્તમદાસ ટંડન વિદ્યાર્થી હતા ત્યારથી જ કૉંગ્રેસમાં જોડાયા હતા. ૧૯૧૯માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ વખતે તેઓ કૉંગ્રેસની સત્યશોધ સમિતિના સભ્ય હતા. ૧૯૨૦થી ૧૯૩૦ના દાયકા દરમિયાન તેઓએ અસહકાર આંદોલન અને મીઠાના સત્યાગ્રહમાં ભાગ લઈને જેલવાસ ભોગવ્યો હતો. આ જ દાયકામાં બિહાર કિસાનસભાના પ્રમુખ તરીકે તેમણે કિસાનોના પ્રશ્નોને વાચા આપી હતી. ૧૯૨૧ની સાલમાં તેઓ લાલા લજપતરાય દ્વારા સ્થાપિત ભારત લોકસેવક મંડળના પ્રમુખ તરીકે નિમાયા હતા. ૧૯૩૭ની વચગાળાની સરકારની રચના બાદ તેમણે ઉત્તરપ્રદેશની પ્રાંતીય વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી ૧૯૫૦ સુધી નિભાવી હતી. ૧૯૫૦માં આચાર્ય કૃપલાણીને હરાવીને પુરુષોત્તમદાસ ટંડન કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે મતભેદો થતાં તેમણે રાજીનામું આપ્યું હતું. ૧૯૫૨માં લોકસભા અને ૧૯૫૬માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા. દેશની રાષ્ટ્રભાષા હિંદી જ હોવી જોઈએ તેના તેઓ આગ્રહી હતા અને તે માટે તેમણે ખૂબ પ્રયત્નો કર્યા હતા. પુરુષોત્તમદાસ ટંડનની દેશસેવા અને સમાજસેવાથી પ્રભાવિત થઈને ગાંધીજી તેમને ‘રાજર્ષિ’ નામે ઓળખાવતા હતા. ૧૯૬૧માં તેમને દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારતરત્ન’થી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રેમચંદજી

જ. ૩૧ જુલાઈ, ૧૮૮૦ અ. ૮ ઑક્ટોબર, ૧૯૩૬

હિન્દી અને ઉર્દૂ સાહિત્યના પ્રતિષ્ઠિત અને લોકપ્રિય સાહિત્યકાર પ્રેમચંદજીનું મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું. તેમનો જન્મ બનારસના લમહી ગામમાં પોસ્ટ-ઑફિસમાં કારકુન તરીકે કાર્ય કરતા અજાયબલાલ મુનશીને ત્યાં થયો હતો. માતા આનંદીદેવી સ્વરૂપવાન અને સંસ્કારી હતાં. પ્રેમચંદનું બાળપણ ગામડામાં વીતેલું. પહેલાં આઠ વરસ ફારસી ભણ્યા ને પછી અંગ્રેજી. લમહીમાં જ એક મૌલવીસાહેબ પાસેથી થોડું ઉર્દૂ અને ફારસી શીખ્યા. ૧૩ વર્ષની વય સુધીમાં તો તેમણે ઉર્દૂના રતનનાથ સરશાર, મિર્ઝા રુસવા અને મૌલાના શરરને ખૂબ જ વાંચ્યા. સરકારી નોકરી કરતાં કરતાં વાર્તા લખવાની શરૂ કરી ત્યારે ‘નવાબરાય’ એ ઉપનામ રાખેલું. આથી ઘણા તેમને જીવનભર ‘નવાબ’ કહેતા. એમનો પહેલો વાર્તાસંગ્રહ ‘સોજે વતન’ સરકારે જપ્ત કર્યો ત્યારે ‘નવાબરાય’-એ ઉપનામનો ત્યાગ કર્યો અને ‘પ્રેમચંદ’ ઉપનામથી લખવાનું શરૂ કર્યું ને પછી તો એ નામે જ તેઓ ઓળખાયા. સાતેક વર્ષના હતા ત્યારે માતાનું મૃત્યુ અને પંદરેક વર્ષના હતા ત્યારે પિતાનું મૃત્યુ થયું. અભ્યાસ માટે તેમને ખૂબ જ સંઘર્ષ કરવો પડેલો. ઈ. સ. ૧૮૯૯માં તેઓ ચુનારની મિશનરી સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. પછી અનેક સ્થળોએ નોકરી કરી. પાછળથી આચાર્ય પણ થયેલા. પ્રારંભમાં તેઓ ગોખલેના શિષ્ય હતા. છેલ્લે ગાંધીજીના પ્રભાવ તળે આવ્યા. પ્રેમચંદજી ભારતની બે મોટી કોમો હિંદુ અને મુસલમાન નજીક આવે તેમ ઇચ્છતા હતા. તેમની પાસેથી અનેક નવલકથાઓ અને સંખ્યાબંધ વાર્તાઓ મળી છે. ‘રૂઠી રાની’, ‘કૃષ્ણ’, ‘સેવાસદન’, ‘નિર્મલા’, ‘ગબન’, ‘કર્મભૂમિ’ વગેરે તેમની નવલકથાઓ છે. ‘ગોદાન ભારતીય નવલકથાના ઇતિહાસમાં સીમાચિહન રૂપ ગણાય છે. તેમણે હિંદી સાહિત્યને વિપુલ પ્રમાણમાં વાર્તાઓ આપી છે. તેમની બધી જ વાર્તાઓ ‘માનસરોવર’(ભાગ ૧-૮)માં સંગૃહીત થઈ છે. તેમની ‘શતરંજ કે ખિલાડી’ વાર્તા પરથી હિન્દી ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે નાટકો, નિબંધો, જીવનકથાઓ અને અનુવાદો પણ આપ્યાં છે. ૧૯૩૬ના મે માસમાં તેમની અતિ પ્રસિદ્ધ નવલકથા ‘ગોદાન’ બહાર પડી. એ પછી તેમની તબિયત ખૂબ બગડી. એમાંથી ઊઠી ન શક્યા. તેઓ ‘હિંદી સાહિત્યના ગૉર્કી’ કહેવાય છે. તેમના આગમનથી હિંદી કથાસાહિત્યના જગતમાં નવો યુગ શરૂ થયો.

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. મુત્તુલક્ષ્મી રેડ્ડી

જ. ૩૦ જુલાઈ, ૧૮૮૬ અ. ૨૨ જુલાઈ, ૧૯૬૮

એક સુવિખ્યાત ડૉક્ટર, સમાજસેવિકા તથા ભારતની મદ્રાસ વિધાનસભામાં પ્રથમ મહિલાઉપાધ્યક્ષ હોવાનું ગૌરવ ધરાવતાં ડૉ. મુત્તુલક્ષ્મી રેડ્ડીનો જન્મ તમિળનાડુના પુદુકોટ્ટાઈ રજવાડામાં થયો હતો. પિતા એસ. નારાયણસ્વામી મહારાજ કૉલેજના પ્રિન્સિપાલ હતા. માતાનું નામ ચંદ્રામાલા હતું. તે જમાનામાં છોકરીઓને શાળામાં ભણવા માટે મોકલતા નહિ, પણ પિતા નારાયણસ્વામીએ આ માન્યતાનો ભંગ કરીને મુત્તુલક્ષ્મીને શાળામાં દાખલ કરી. ૧૯૦૩માં મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારી તે એકમાત્ર છોકરી હતી. પુદુકોટ્ટાઈના મહારાજની દરમિયાનગીરીને કારણે તેમને વિરોધની વચ્ચે કૉલેજમાં પ્રવેશ મળ્યો. રાજાએ સ્કૉલરશિપ પણ આપી. આમ મહારાજા કૉલેજમાં પ્રવેશ મેળવનારાં તેઓ સર્વપ્રથમ મહિલા બન્યાં. પ્રથમ વર્ગમાં કૉલેજ પાસ કરીને તેમણે મદ્રાસ મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. સર્જરીમાં ૧૦૦ માર્ક્સ મેળવી ડૉક્ટર બન્યાં. મહિલા અને બાળકોની સરકારી હૉસ્પિટલમાં હાઉસ સર્જન તરીકે નિમણૂક પામ્યાં. તેઓ ગાંધીજી અને ડૉ. એની બેસન્ટથી ખૂબ પ્રભાવિત હતાં. સરોજિની નાયડુના સંપર્કમાં આવ્યાં પછી તેઓ સમાજસેવાના કાર્યમાં જોડાઈ ગયાં. ગરીબ સ્ત્રીઓ અને બાળકો માટે તેમણે સેવા કરી હતી. ૧૯૩૦માં તેમના દ્વારા સ્થાપના કરાયેલ ‘અવ્વાઈહોમ’માં આજે પણ તરછોડાયેલી સ્ત્રીઓ અને બાળકોને શરણ પૂરું પાડવામાં આવે છે. કન્યાકેળવણી તથા બાળકેળવણીક્ષેત્રે તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. ૧૯૨૭માં તેમણે બાળકો માટે ભારતની પહેલી હૉસ્પિટલ ખોલી. શાળાનાં બાળકોમાં ફરજિયાત સ્વાસ્થ્ય ચકાસણી, બાળકલ્યાણ કેન્દ્રની સ્થાપના અને આરોગ્યખાતામાં અલગ મહિલાડાયરેક્ટરની નિમણૂક, ગરીબ છોકરીઓ માટે ફીમાં રાહત તથા રહેવા માટે છાત્રાલયની સગવડ જેવાં પ્રજાકલ્યાણનાં કાર્યો તેમણે હાથ ધર્યાં. દેવદાસીની પ્રથા પર પ્રતિબંધ લાવતો કાયદો પસાર કરાવ્યો. સ્ત્રીઓની વિવિધ સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલાં હતાં. ૧૯૩૧થી ૧૯૪૦ સુધી તેઓ ‘સ્ત્રી ધર્મ’ સામયિકના તંત્રીપદે રહ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થા ‘અડિયાર કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના તેમણે ૧૯૫૨માં કરી હતી. ૧૯૫૬માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માન્યાં હતાં.