Categories
વાચન સમૃદ્ધિ

ઇસ્મત ચુગતાઇ

જ. ૨૧ ઑગસ્ટ, ૧૯૧૫ અ. ૨૪ ઑક્ટોબર, ૧૯૯૧

ભારતીય ઉર્દૂ નવલકથાકાર, ટૂંકી વાર્તા-લેખિકા અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતાં લેખિકા. ઇસ્મત ચુગતાઇનો જન્મ ઉત્તરપ્રદેશના બદાયૂંમાં થયો હતો. નાનપણથી જ બંડખોર સ્વભાવ ધરાવતાં ઇસ્મતે ઘર અને સમાજનો ઉગ્ર વિરોધ છતાં શાળા અને કૉલેજનું પણ શિક્ષણ લીધું. ૧૯૩૮માં લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી અને ૧૯૩૯માં અલીગઢ યુનિવર્સિટીમાંથી બી.ઍડ્.ની ડિગ્રી મેળવી. આમ બબ્બે ડિગ્રી મેળવનાર તેઓ પ્રથમ ભારતીય મુસ્લિમ મહિલા હતાં. તેઓ બરેલીની મુસ્લિમ ગર્લ્સ સ્કૂલમાં શિક્ષિકા બન્યાં અને એક વર્ષ બાદ મુંબઈની મુસ્લિમ ગર્લ્સ સ્કૂલમાં સુપરિન્ટેન્ડેન્ટ બન્યાં. આ સાથે તેમણે ટૂંકી વાર્તાઓ લખી સાહિત્યક્ષેત્રે પણ પદાર્પણ કર્યું. ઉર્દૂ સામયિક ‘સાકી’ માટે ‘ફસાદી’ નામનું નાટક એ તેમનું પ્રથમ પ્રકાશિત લેખન હતું. તેમની શરૂઆતની કૃતિઓમાં ‘બચપન’, ‘કાફિર’ અને ‘ઘીત’નો સમાવેશ થાય છે. આદર્શવાદના સ્થાને વાસ્તવિકતાને મહત્ત્વ આપતા સમાજમાં પ્રવર્તતા દંભ, મહિલાઓ પર લાદવામાં આવતાં નિયંત્રણો, કુંઠિત જીવનમાંથી ઉદભવતા અવૈધ સંબંધો અને દૂષણોનો ચિતાર વેધકતાથી નિરૂપતાં. પરદામાં રહેતી સ્ત્રીઓની ઈર્ષા અને જાતીય વિકૃતિઓને રજૂ કરતી પોતાની વાર્તા ‘લિહાફ’ (રજાઈ) ૧૯૪૪માં તેમણે પ્રગટ કરી ત્યારે સાહિત્યકારોમાં ઊહાપોહ થયો અને લાહોર અદાલતમાં અશ્લીલતા નિરૂપવાના આરોપ બદલ કેસ ચાલ્યો. આ ઉપરાંત ‘ચૌથી કા જોડા’, ‘દો હાથ’ અને ‘બેકાર’ જેવી વાર્તાઓ જાતીય સંબંધોને સ્પર્શે છે. તેમણે ‘ગર્મ હવા’, ‘સોને કી ચિડિયા’ અને ‘જિદ્દી’ તથા ‘આરઝૂ’ ફિલ્મો માટે પટકથા પણ લખેલી. શાહિદ લતીફ નામના પટકથાલેખક સાથે લગ્ન કરી ‘ફિલ્મ ઇન્ડિયા કૉર્પોરેશન’ નામની કંપની સ્થાપી પાંચ ફિલ્મોનું નિર્માણ કર્યું. તેમણે ૮ વાર્તાસંગ્રહો, ૭ નવલકથાઓની રચના કરી છે અને ઘણાના અંગ્રેજી અનુવાદો પણ થયા છે. તેમને ઉર્દૂ સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ગાલિબ પુરસ્કાર’, ‘ઇકબાલ સંમેલન’ અને ‘સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ’ પણ એનાયત થયેલ છે. તેમની વાર્તા ‘ગર્મ હવા’ને શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મ અને ફિલ્મફેર ઍવૉર્ડ મળેલ છે. ૧૯૭૬માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી તેમને સન્માનિત કરવમાં આવ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

નારાયણ ગુરુ

જ. ૨૦ ઑગસ્ટ, ૧૮૫૪ અ. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૨૮

કેરળના સમાજસુધારક સંતનો જન્મ ચેમ્પાઝન્તી ગામે એળુવા નામની અસ્પૃશ્ય મનાતી જાતિમાં થયો હતો. પિતાનું નામ માતન આશન અને માતાનું નામ કુટ્ટી અમ્મા. પિતા મલયાળમ અને સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. વૈદ્ય હોવાથી ઘણા લોકો તેમની પાસે ઉપચાર માટે આવતા. લોકો તેમને લાડમાં ‘નાણુ’ કહેતા. ઘરનું વાતાવરણ સંસ્કારી હતું. તેમની માતાનું તેમની બાલ્યાવસ્થામાં જ અવસાન થયું હતું. તેમણે રામન પિળ્ળૈ નામના વિદ્વાન પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ૧૮૭૬થી ૧૮૭૯ના ત્રણ વર્ષમાં તેમણે તમિળ, સંસ્કૃત ભાષા તથા વેદાન્તનું અધ્યયન કર્યું. પિતા પાસેથી આયુર્વેદનું શિક્ષણ મેળવ્યું. ચટ્ટામ્પિ સ્વામી તથા તૈક્કડ અય્યુવૂ યોગીઓના માર્ગદર્શન નીચે યોગનો અભ્યાસ કર્યો. કન્યાકુમારીમાં મરુતવાભલૈ નામના સ્થળે પિલ્લાથાઈમ ગુફામાં તેમણે ઘોર તપસ્યા કરી. પછી સમાજજીવનના નિરીક્ષણ માટે તમિળનાડુ તથા કેરળમાં વિવિધ સ્થળે યાત્રા કરી. નારાયણે સમાજસુધારાનું કાર્ય શરૂ કર્યું. તેમણે પહેલું કાર્ય અસ્પૃશ્યો માટે મંદિરનું નિર્માણ કર્યું. અરુવિપ્પુરમ્ ગામે નેપ્યાર નદીના કાંઠે ૧૮૮૮માં શિવાલય બનાવ્યું અને ત્યાં પોતાનો સ્થાયી આશ્રમ સ્થાપ્યો. તેમણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌને આવકાર્યા. તેમાં શિક્ષણ અને આરોગ્યને પ્રથમ સ્થાન આપ્યું. તેમણે ઠેર ઠેર મંદિરો બંધાવ્યાં. અસ્પૃશ્ય વર્ગને સંન્યાસ લેવાની સગવડ કરી આપી. ૧૮૯૪માં ગુરુના આશ્રમમાં કુમારન્ આશન જોડાયા. પાછળથી તે મલયાળમ ભાષાના મહાકવિ કહેવાયા. ૧૮૯૭માં ગુરુએ અરુવિપ્પુરમમાં મલયાળમ ભાષામાં વેદાન્તના મહાગ્રંથ ‘આત્મોપદેશતકમ’ની રચના કરી. ‘સદાચાર એ જ સાચો ધર્મ’ – એમ તેમણે લોકોને શીખવ્યું. તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના કરેલી. ૧૯૨૨માં રવીન્દ્રનાથ ટાગોરે અને ૧૯૨૫માં ગાંધીજીએ પણ આશ્રમની મુલાકાત લીધેલી. જીવનના અંતિમ વર્ષ સુધી તેઓ પ્રવૃત્તિશીલ રહેલા. બરકમ ગામે મહાસમાધિપૂર્વક તેમણે દેહત્યાગ કર્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

હજારીપ્રસાદ દ્વિવેદી

જ. ૧૯ ઑગસ્ટ, ૧૯૦૭ અ. ૧૯ મે, ૧૯૭૯

હિન્દી નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, વિદ્વાન અને સાહિત્યિક ઇતિહાસકાર હજારીપ્રસાદ દ્વિવેદીનો જન્મ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના દુબે છાપરા નામના ગામમાં થયો હતો. તેમના પિતા પંડિત અનમોલ દ્વિવેદી સંસ્કૃતના વિદ્વાન હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રમાં ‘આચાર્ય’ અને સંસ્કૃતમાં ‘શાસ્ત્રી’ની ડિગ્રી મેળવ્યા બાદ ૧૯૪૯માં લખનૌ યુનિવર્સિટીમાંથી હિન્દી સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. હજારીપ્રસાદ દ્વિવેદી ૧૯૩૦માં વિશ્વભારતીમાં જોડાયા હતા જ્યાં તેઓ સંસ્કૃત અને હિન્દી શીખવતા હતા. ત્યારબાદ તેઓ બે દાયકા સુધી શાંતિનિકેતનમાં રહ્યા હતા. તેમણે હિન્દી ભવનની સ્થાપના કરી અને વર્ષો સુધી તેનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું. તેમણે બંગાળી ભાષા અને સાહિત્યની સૂક્ષ્મતા, નંદલાલ બોઝની સૌંદર્યલક્ષી સંવેદનશીલતા, ક્ષિતિમોહન સેનના મૂળની શોધ અને ગુરુદયાલ મલ્લિકની સૌમ્ય પણ રહસ્યમય રમૂજને આત્મસાત્ કરેલ. આ બધા પ્રવાહોની અસર તેમનાં લખાણોમાં સ્પષ્ટ જોવા મળે છે. ૧૯૫૦થી ૧૯૬૦ દરમિયાન તેમણે વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં હિન્દી વિભાગમાં રીડર તરીકે સેવા આપી હતી.૧૯૫૫માં ભારત સરકાર દ્વારા સ્થાપિત ભાષા આયોગના સભ્ય તરીકે પણ તેમની નિયુક્તિ થઈ હતી. ૧૮૬૦માં તેઓ પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢમાં હિન્દી વિભાગના પ્રોફેસર અને વડા તરીકે જોડાયા અને ત્યાંથી જ સેવાનિવૃત્ત થયા હતા. હજારીપ્રસાદ દ્વિવેદીએ ‘સાહિત્ય કી ભૂમિકા’ અને ‘હિન્દી સાહિત્ય કી આદિકલા’ જેવાં પુસ્તકો દ્વારા હિન્દી સાહિત્યમાં વિવેચનને એક નવી દિશા આપી હતી. તેમના ‘કબીર’, ‘મધ્યકાલીન ધર્મસાધના’ અને ‘નાથ સંપ્રદાય’ જેવા ગ્રંથોમાં ભારતના મધ્યયુગીન ધાર્મિક જીવનનું ઐતિહાસિક વિશ્લેષણ જોવા મળે છે. તેમની ‘બાણભટ્ટ કી આત્મકથા’, ‘અનમદાસ કા પોથા’, ‘પુનર્નવા’ અને ‘ચારુ-ચંદ્રલેખા’ જેવી ઐતિહાસિક નવલકથાઓને ક્લાસિક ગણવામાં આવે છે. તેમનો ‘શિરીષ કે ફૂલ’ નામનો નિબંધ NCERT દ્વારા ધોરણ ૧૨ માટે તૈયાર કરવામાં આવેલ હિંદી પુસ્તકમાં સ્થાન પામ્યો છે. આ સિવાય તેમણે અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાંથી હિંદીમાં ઘણી કૃતિઓનો અનુવાદ પણ કર્યો હતો. હિન્દી સાહિત્યમાં વિશેષ યોગદાન બદલ તેમને ૧૯૫૭માં ‘પદ્મભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા.