Categories
વાચન સમૃદ્ધિ

ભનુભાઈ ર. વ્યાસ ‘સ્વપ્નસ્થ’

જ. ૧૩ નવેમ્બર, ૧૯૧૩ અ. ૨૩ ઑક્ટોબર, ૧૯૭૦

કવિ, વાર્તાકાર ભનુભાઈનું બીજું નામ લક્ષ્મીનારાયણ હતું અને ‘મોહન શુક્લ’ તેમનું બીજું ઉપનામ હતું. રાજકોટમાં જન્મેલા આ કવિનું વતન જામનગર હતું. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધેલું. મૅટ્રિક સુધીનો અભ્યાસ કરેલો. ૧૯૩૩થી ૧૯૪૪ સુધી મુંબઈમાં ઝંડુ ફાર્માસ્યૂટિકલ વર્ક્સમાં કામ કરેલું. પછી થોડો સમય ‘વંદેમાતરમ્’ અને ‘સંસ્કાર’ સામયિકોમાં કામ કર્યું. ક્ષયની બીમારીને કારણે જામનગરમાં જઈ કેટલોક સમય આરામ કર્યા બાદ ૧૯૪૮માં પાછા મુંબઈ ગયા અને ત્યાં ‘આસોપાલવ’, ‘નૂતન ગુજરાત’ અને ‘હિંદુસ્તાન પત્રો’માં કાર્ય કર્યું. ૧૯૫૦થી યુ.એસ.એસ.આર.ના પબ્લિસિટી વિભાગ, દિલ્હીમાં ગુજરાતી ભાષાંતરકાર તરીકે કામ કર્યું. ૧૯૩૬માં કવિ કાન્તનાં પુત્રી ડોલર સાથે લગ્ન થયું. ગાંધીયુગીન કવિતાનો થોડોક પ્રભાવ ઝીલવા છતાં ગાંધીવિચારસરણી કરતાં સામ્યવાદી વિચારસરણી તરફ આસ્થાવાળા આ કવિમાં પ્રગતિશીલ સર્જકોનો મિજાજ વિશેષ છે. તેમની પાસેથી કેટલાંક દીર્ઘ કાવ્યો મળ્યાં છે. સૉનેટ, ગીત અને છંદોબદ્ધ કાવ્યોના ‘અજંપાની માધુરી’ સંગ્રહમાં વાસ્તવિકતા અને પ્રકૃતિનાં કાવ્યો વિશેષ જોવા મળે છે. ‘રાવણહથ્થો’ની રચનાઓમાં સમાજમાં પ્રવર્તતાં શોષણ, ગરીબાઈ અને ગુલામી જોઈને અજંપો અનુભવતા કવિનો રોષ અને વેદના વ્યક્ત થયાં છે. ‘લાલ સૂર્ય’ એ કવિની સામ્યવાદી વિચારધારા પરની આસ્થાને વ્યક્ત કરતો કાવ્યસંગ્રહ છે. ‘ચિરવિરહ’ (૧૯૭૩) એ એમનો મરણોત્તર પ્રકાશિત કાવ્યસંગ્રહ છે.

‘દિનરાત’ અને ‘ધૂણીનાં પાન’ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. વસ્તુ તરફ જોવાનો કવિનો વાસ્તવવાદૃી અભિગમ અને ઝીણું રેખાંકન આ વાર્તાઓની વિશેષતા છે. ‘જાહનવી’ એ નવલકથા અને ‘શોધ’ એ ‘મોહન શુક્લ’ના નામે લખાયેલી લઘુનવલ છે. આ ઉપરાંત તેમની પાસેથી કેટલુંક અનુવાદ સાહિત્ય પણ મળ્યું છે. તો એમણે અન્ય સાથે મળી કેટલુંક સંપાદનકાર્ય પણ કર્યું છે. ‘યુગપુરુષ ગાંધી’, ‘પૂનમનાં પોયણાં’, ‘પલટાતો જમાનો’ એ એમના અનૂદિત ગ્રંથો છે. તેઓ સોવિયેત પ્રચાર વિભાગમાં ગુજરાતી ભાષાંતરકાર તરીકે રહ્યા હોવાથી ભાષાંતર પર એમની હથોટી સારી હતી.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

ફાટફાટ સમૃદ્ધિ કોરીકટ દરિદ્રતા લાગે છે !

આખો દિવસ વાદળછાયું આકાશ હોય અને સૂર્યનું એક કિરણ પણ જોવા ન મળે, ત્યારે એને પામવા માટે મન કેટલું બધું તડપતું હોય છે ! એ પ્રકાશ વિના વાતાવરણ ગમગીન અને ઉદાસ લાગે છે અને ચિત્ત પર ભારે બોજનો અનુભવ થાય છે. એવા વાદળછાયા આકાશમાંથી કિરણ ફૂટે, ધીરે ધીરે સૂર્યનો પ્રકાશ ફેલાય ત્યારે મન કેવું નાચી ઊઠે છે ! પ્રકાશની સાથે ચિત્તને ગાઢ સંબંધ છે. એ જ મનને તાજગી, સ્ફૂર્તિ અને ઉત્સાહ આપે છે, પરંતુ જ્યારે આત્મામાં પ્રકાશનો અનુભવ થાય છે ત્યારે એમ લાગે છે કે બહારનું અંધારું કે પ્રકાશ – એ સઘળું જ અંધકારમય હતું. જેને ઉત્સાહપ્રેરક પ્રકાશ માનતા હતા એ પણ ક્યાં પ્રકાશ છે ? ભીતરનો પ્રકાશ મળતાં બહારનો પ્રકાશ અંધકારમાં પરિવર્તન પામે છે. ધીરે ધીરે બહારનો પ્રકાશ કે અંધકાર બધું જ ઓગળી જાય છે અને ભીતરમાં પ્રકાશનું અજવાળું સતત ફેલાયેલું રહે છે.

આ ભીતરનો પ્રકાશ કોઈ આકાર ધરાવતો નથી, કોઈ વસ્તુ સાથે સંબંધિત નથી. માત્ર એનો અનુભવ વ્યક્તિના અણુએઅણુમાં વ્યાપી રહે છે. એ પ્રકાશમાંથી જાગતી દૃષ્ટિ જગતને બદલી નાખે છે, પહેલાં બહાર જે દેખાતું હતું અને જેની ચાહના હતી એ બધું શૂન્યવત્ બની જાય છે. બહારની ગમગીની કે ઉત્સાહ ઓસરી જાય છે. એ પ્રકાશનો કઈ રીતે ઉદગમ થયો, એનો સહેજે અણસાર નહોતો, પણ ભીતરનો આ પ્રકાશ વ્યક્તિનું અસ્તિત્વ પલટી નાખે છે. દુનિયા એવી જ બેઢંગી હોય છે, પણ પ્રકાશની પ્રાપ્તિ પછી સઘળા  ઢંગ બદલાઈ જાય છે. જીવન એ જ હોય છે, પણ જીવનના રંગ પલટાઈ જાય છે. પહેલાં લાલ રંગનું આકર્ષણ હતું, હવે શ્વેત રંગ પસંદ પડે છે. પહેલાં જેમ ફાટફાટ સમૃદ્ધિ જોઈ હતી, ત્યાં કોરીકટ નિર્ધનતા નજરે પડે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

નીનુ મજુમદાર

જ. ૯ નવેમ્બર, ૧૯૧૫ અ. ૩ માર્ચ, ૨૦૦૦

માત્ર ગાયક નહિ પણ સંગીતજ્ઞ અને બહુશ્રુત સ્વરકાર નીનુ મજુમદારનો જન્મ વડોદરામાં થયો હતો. પિતા નગેન્દ્રભાઈ ચલચિત્રોના અભિનેતા અને સંગીતકાર હતા. બાળપણથી જ સંગીત સાથે લગાવ હતો અને તેથી જ  નીનુભાઈએ ઉસ્તાદ ફૈયાઝખાં અને ઉસ્તાદ ઇમામઅલીખાન પાસે સંગીતની તાલીમ લીધી હતી. ૧૯૩૧માં મુંબઈ આવીને નીનુભાઈ પિતા સાથે જોડાયા. રવીન્દ્રસંગીતની પણ તાલીમ લીધી. ૧૯૩૭માં વારાણસી જઈ ઉત્તર ભારતનું લોકસંગીત શીખ્યા. મુંબઈ પાછા આવીને પિતાની સાથે જ તેમણે ચલચિત્રોમાં સંગીત આપવાનું શરૂ કર્યું. શરૂઆત તેમણે બંસરીવાદનથી કરી. સમય જતાં હિંદી અને ગુજરાતી ચિત્રોમાં પાર્શ્વગાયક અને સંગીતકાર બન્યા. સી. એચ. આત્મા અને મીના કપૂર પાસે તેમણે ગીતો ગવડાવ્યાં હતાં. હિંદી ચિત્ર ‘ગોપીનાથ’માં તેમનું સંગીત ખૂબ વખણાયું હતું. ૧૯૫૬માં વી. શાંતારામે બનાવેલા દસ્તાવેજી ચિત્ર ‘ગુજરાતનું લોકસંગીત’નું નિર્દેશન નીનુભાઈએ કર્યું હતું. નીનુભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સંગીતમાં શાસ્ત્રીય, લોક અને સુગમસંગીત, ગરબા, નાટક વગેરે ક્ષેત્રોમાં તેમની આગવી સૂઝ હતી. ગુજરાતના ગામડે ગામડે ફરીને તેમણે લોકસંગીતનું સંશોધન કર્યું હતું. ૧૯૫૩થી ૧૯૭૫ સુધી આકાશવાણી મુંબઈમાં સંગીતનિર્માતા તરીકે તેઓ કાર્યરત હતા. ત્યાંથી નિવૃત્ત થયા બાદ ‘સીતાયન’ અને બીજાં સંગીતનાટકો તેમણે લખ્યાં હતાં. તેમણે સ્વરબદ્ધ કરેલાં જાણીતાં ગીતોમાં ‘મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ’, ‘રક્ષા કરો જગદંબા ભવાની’, ‘પંખીઓએ કલશોર કર્યો’ વગેરેનો સમાવેશ થાય છે.

તેમનું આખું કુટુંબ વિવિધ કળા સાથે સંકળાયેલું છે. પત્ની કૌમુદી મુનશી ગુજરાતની કોકિલાના ઉપનામથી પ્રખ્યાત ગાયિકા હતાં અને પુત્રી રાજલ મહેતા પણ ગાયિકા છે. મીનળ પટેલ અભિનેત્રી છે અને સોનલ શુક્લ લેખિકા છે. પુત્ર ઉદય મજુમદાર ગાયક અને સંગીતકાર છે. નીનુ મજુમદારની ગીત બંદિશોમાં કાવ્ય અને સંગીતના ઊંડા રસની અભિવ્યક્તિ પ્રાપ્ત થાય છે.

અમલા પરીખ